નિસર્ગોપચાર..એક સ્વાનુભવ…

June 24, 2009

નિસર્ગોપચાર વિશે ઘણું વાંચેલ અને સાંભળેલ..તેથી મનમાં આછો ખ્યાલ હતો જ કે નિસર્ગોપચાર એટલે ઉપવાસ, રસાહાર, ફળાહાર કે સાદું ભોજન, માલિશ, શેક કે માટી વિગેરે દ્વારા થતો ઉપચાર…..આટલો પ્રાથમિક ખ્યાલ મારી માફક લગભગ બધાના મનમાં હોય જ એ સ્વાભાવિક છે. જોકે સાવ પ્રામાણિકપણે કહું તો મારા મનમાં એવી કોઇ ખાસ શ્રધ્ધા નહોતી. છતાં ફાયદો થાય કે નહીં..નુકશાન તો નહીં જ થાય..અને કંઇ નહીં તો એક નવો અનુભવ તો મળશે જ…અને દસ દિવસમાં બે ચાર ટકા પણ ફરક પડે તો કશું ખોટું નહીં..એવી ગણતરીથી મનમાં થોડું કૂતુહલ,થોડી શ્રધ્ધા,થોડી અશ્રધ્ધા એવા અનેક તર્ક, વિતર્ક સાથે હું બરોડા..ગોત્રીમાં અવેલ વિનોબા નેચર કયોર આશ્રમમાં દાખલ થઇ. જતાની સાથે જ શારીરિક સ્થિતિની જાણકારી માટે..રોગ વિશેની માહિતિ માટે ત્રણ, ચાર પાનાનું એક ફોર્મ ભરવાનું આવ્યું. જાણે પરીક્ષાનું પેપર હાથમાં આવ્યું. એક પછી એક પ્રશ્નો ભરતી ગઇ. બે ચાર અઘરા લાગતાં પ્રશ્નો ઓપ્શનમાં છોડી પણ દીધા..( પરંતુ માર્કસ ન કપાયા ) આપણા પોતાના શરીર વિશે આપણી પાસે કેટલી અધૂરી જાણકારી છે તેનો અહેસાસ આ પ્રશ્નપત્રે કરાવ્યો. હવે ફોર્મ હાથમાં લઇ અંદર જવાનું હતું. ત્યાં પહેલી મુલાકાત અહીંના ડોકટર કમલેશભાઇ સોલંકી સાથે થઇ.શાંત, સરળ, લગભગ પાંત્રીસની આસપાસની ઉમર…અને ચહેરા પર સતત રમતું સ્મિત..દર્દીના મનમાં થોડો વિશ્વાસ જરૂર જગાવી જાય. ભરેલું ફોર્મ કમલેશભાઇના હાથમાં આપ્યું. કમલેશભાઇ એક પછી એક પ્રશ્ન પર..હકીકતે જવાબ પર નજર નાખતા જાય અને જરૂર લાગે ત્યાં પૂછપરછ કરતા જાય.ચહેરા પરનું સ્મિત આછું કે ઘેરું થતું જાય..પણ ગેરહાજર તો ન જ થાય તેથી મનમાં જાગેલી ધરપત અકબંધ રહે.
તેમણે જરૂરી ઉપચાર સૂચવ્યા. ફોર્મમાં લખ્યા અને પછી અંદર બીજી કેબિનમાં મોકલ્યા. હવે પ્રાથમિક ડર ઓછો થઇ ગયો હતો. હાથમાં આંસરશીટ લઇ અંદર ગયા .( સાથે મારી ખાસ બહેનપણી મીનાક્ષીબહેન ચન્દારાણા હતા. જેમના સ્વાનુભવની વાત સાંભળીને જ હું અહીં આવવા પ્રેરાઇ હતી. ) અહીં બેઠા હતા…ડોકટર ભરતભાઇ..એકદમ શાંત ગંભીર મુખમુદ્રા..ધીરગંભીર ઋષિ જેવા વ્યકતિત્વનો અનુભવ થાય. કવિ શ્રી રાજેન્દ્ર શુકલની યાદ આવી ગઇ. અહીં શાંત, ગંભીર બનીને ડાહી ડાહી વાતો જ કરાય એવું પ્રથમ દર્શને લાગ્યું. તેમણે બહું સરળતાથી પ્રશ્નો પૂછયા. સૂઝયા તેવા જવાબ આપ્યા. પાસ તો થવાશે ને ? એવી આશંકા સાથે… ત્યાં ધીમેથી પ્રશ્ન આવ્યો,’ ફળાહાર પર રહી શકશો ? ‘ એવી જ શાંતિથી જવાબ આપ્યો,’ હા જી, ચોક્કસ..’ ભરતભાઇએ ફોર્મમાં જરૂરી ઉપચારો લખ્યા. પાછળથી જાણ થઇ કે શ્રી ભરતભાઇ એલોપેથીમાં જ ભણેલ છે. અને પીડીયાટ્રીશીયન છે. એમ.બી.બી. એસ. અને ડી.સી.એચ. કરેલ છે. આ જાણકારી મનને મોટી રાહત આપી ગઇ કે હાશ અહીં કોઇ ઉંટવૈદુ તો નહીં જ થાય..એલોપેથીનો કોઇ વિરોધ અહીં નથી. જરૂર લાગે ત્યાં લોહીના રીપોર્ટ, કે એમ.આર.આઇ..વિગેરે બધી તપાસ કરવામાં આવે જ છે. જોકે સામાન્ય રીતે અહીં બધેથી થાકી, હારીને મેડીકલ રીપોર્ટોની ફાઇલો સાથે લઇને જ લોકો આવતા હોય છે. તેથી એવી ખાસ જરૂર પડતી નથી. પરંતુ ગમે તે વ્યક્તિ નહીં.પરંતુ એક કવોલીફાઇડ ડોકટર બધા રીપોર્ટ ચેક કરે છે તે વાત દર્દીના મનમાં એક હાશકરો જરૂર જગાવી જાય છે.
હવે હું પ્રવેશી રૂમ નંબર બે માં. વાતાવરણ શાંત, ચોખ્ખું..સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી. જરૂરી બધી જ સગવડ રૂમમાં હતી.રૂમમાં ભક્તિસંગીતના ધીમા, મીઠા સ્વરો રેલાઇ રહ્યા હતાં. ગૂગળના ધૂપની સુવાસ પ્રસરી રહી હતી. સામે નિયમો, સૂચનો અને ટાઇમટેબલ લખેલ ચાર્ટ પર નજર નાખી.
આમ નેચર કયોર આશ્રમની દસ દિવસ માટેની હું સદસ્ય બની. હવે એક નજર અહીંની દિનચર્યા પર…. સવારે બરાબર પોણા છ વાગ્યે ઉઠવાના એલાર્મ તરીકે ધીમું સંગીત રૂમના સ્પીકરમાંથી રેલાયું. ઉઠીને ફ્રેશ થયા. ત્યાં સવા છ વાગ્યે આશ્રમનો બેલ વાગ્યો. અમારે ઉષ:પાન માટે ડાઇનીંગ હોલમાં જવાનું હતું. કોઇને ભાગે લીંબુ પાણી અને મધ હતા. કોઇને પલાળેલી મેથી અને ગરમ પાણી તો કોઇને ભાગે ખાલી ગરમ પાણી..જેવી જેની શારીરિક જરૂરિયાત. રસોડાના અનિતાબહેન જેશ્રીકૃષ્ણ કહી એક મન્દ હાસ્ય સાથે સૌને આવકારતા જાય અને પોતાની પાસે રહેલ ચાર્ટમાં જોઇ જે લખેલ હોય તે સૌને આપતા જાય. મારા ભાગમાં આવેલી પલાળેલી મેથી થોડું કટાણું મોં કરીને હું ખાઇ ગઇ. અહીં કંઇ ફરવા કે મોજમજા કરવા થોડી આવી છું ? એમ કહી મનને મક્કમ કર્યા પછી કોઇ વાન્ધો નથી આવતો.
મેથી ખાઇ લીધા પછી સાડા છ વાગ્યે યોગાસન હોલમાં પ્રવેશી.યોગની સૂકક્ષ્મ ક્રિયાઓ, પ્રાણાયામ, આસનો વિગેરે સમૂહમાં ચાલુ થયા. કસરત અને યોગ વિશેના તફાવતની સાચી સમજ નિમેશભાઇએ આપી. યોગના આસનો એ ફકત શારીરિક ક્રિયા જ નહીં..મનથી ફી
લ કરવાની..અહેસાસ કરવાની એક અનુભૂતિ છે એ ખૂબ સરસ રીતે યોગશિક્ષક શ્રી નિમેશભાઇએ સમજાવ્યું. સૂક્ષ્મ સ્તરે તેનાથી કઇ રીતે શું ફેરફાર થાય છે તે કદાચ પહેલીવાર આટલી સરસ રીતે જાણવા મળ્યું. અને પરિણામે મને હમેશા કંટાળાજનક અને વેઠ લાગતા આસનો આજે હળવાશભર્યા અનુભવાયા. અને બધી ક્રિયાઓ દિલથી થઇ. આઠ વાગ્યે ફરી બેલ થયો. અને અમે સૌ ફરીથી ડાઇનીંગ હોલમાં ગોઠવાયા. ત્યાં સરસ મજાનો ઉકાળો અમારી રાહ જોતો હતો. ગોળના ઉકાળેલ પાણીમાં આદુ, ફુદીનો અને લીલી ચાની મહેક આવતી હતી. દૂધમાં એ મીક્ષ કરીને મોટો ગ્લાસ ભરીને આપ્યો. મને તો મજા આવી ગઇ. ગરમાગરમ ઉકાળો પીને તાજગી આવી ગઇ. બરાબર નવ વાગ્યે ઉપચાર ગૃહ તરફ પ્રયાણ કર્યું. અમારો ચાર્ટ બધી જગ્યાએ અમારી પહેલાં જ પહોંચી જતો હતો. એનિમા, નગોડના પાંદડાનો શેક, તલના તેલથી આખા શરીરે અનુભવી હાથોથી સરસ માલિશ, કટિ સ્નાન, મડ બાથ, નસ્ય, અને સૌથી છેલ્લે સ્ટીમ બાથ અને પછી તુરત ઠંડા પાણીથી શાવર…. સૌની જરૂરિયાત મુજબ અલગ અલગ રીતે ઉપચાર ચાલુ હતા. 11 વાગ્યાની આસપાસ ઉપચાર ગૃહમાંથી બહાર નીકળી ત્યારે શરીમાં સ્ફૂર્તિ, તાજગી સ્પષ્ટ અનુભવાતા હતા. બોડી રીલેક્ષ એટલે શું એનો અનુભવ કદાચ જિન્દગીમાં પ્રથમ વાર થયો. ખૂબ સારું ફીલ થયું. બાર વાગ્યાની આસપાસ ડોકટર કમલેશભાઇ હાથમાં ફાઇલ લઇને પ્રવેશ્યા.અને પૂછપરછ કરી. કેવું લાગ્યું.. બીજી કોઇ જરૂરિયાત તો નથી ને ? આહાર અંગેની જાણકારી આપી. બરાબર લાગે છે કે કેમ તે પણ પૂછયું. એ જ સ્મિત સાથે. હવે તો મનમાં રહેલી પેલી શંકા અદ્રશ્ય થવા લાગી હતી. સવા બારે ફરીથી બેલ..અને અમે સીધા ડાઇનીંગ હોલમાં..કોઇને ફળ, કોઇને બાફેલો ખોરાક, કોઇ જયુસ,..તો કોઇને ખાલી ગરમ પાણી પણ હતું. બધાને બીજાને શું મળ્યું છે તે જોવામાં રસ પડતો હતો.એક બીજા સાથે થોડો પરિચય થયો. હળવા વાતાવરણ વચ્ચે મેં મારા ભાગે આવેલ ફળ..જેમાં પપૈયુ, તરબૂચ અને દ્રાક્ષ હતા..એ પૂરા કર્યા. કવોંટીટી પૂરતી હતી તેથી કોઇ તકલીફ પડે તેમ નહોતું.
જમીને રૂમમાં આવી. થોડીવાર સૂતી. મારી સાથે મારા રૂમમાં બારમા ધોરણની પરીક્ષા આપીને આવેલ આરોહી હતી. જે વજન ઉતારવા માટે આવેલ હતી. દીકરી જેવો ભાવ અનુભવાયો. સરસ મજાની હસમુખી છોકરી હતી. મને તો પરદેશમાં રહેતી મારી દીકરીની યાદ આપી ગઇ. થોડી વાર સૂતી ત્યાં બે વાગ્યે રૂમમાં જ બે માટી પટી આપી ગયા. જે અમારે પેટ અને આંખ ઉપર લગાડીને સૂવાનું હતું. સરસ મજાની ઠંડક અનુભવાઇ. મને ગાન્ધીજી યાદ આવી ગયા. બરાબર પોણા ત્રણ વાગ્યે એક બહેન રૂમમાં આવ્યા. અને પેટ અને કમર ઉપર એક ઠંડા પાણીમાં ભીંજવેલ કપડું અને તેની ઉપર ગરમ કપડું વીંટી ગયા. જેને અહીંની ભાષામાં “ લપેટ “ કહે છે. પોણૉ કલાક એ રાખીને સૂવાનું હતું. પછી ફરીથી ઉપચાર ગૃહમાં પહોંચ્યા. હવે અહીં સ્થાનિક જે ભાગમાં દુખાવો હોય ત્યાં વરાળ લેવાની હતી. કોઇને એકયુપ્રેશરની સારવાર અપાતી હતી. કોઇને શિરોધારાની સારવાર અપાતી હતી. કોઇ આખા માટીથી ઢંકાઇને ઉભા હતા. મારે ભાગે આવેલ સ્થાનિક વરાળ લીધી. હવે વારો હતો જિમમાં જવાનો. ત્યાં બધાને પોતાની શારીરિક જરૂરિયાત મુજબ શિક્ષકની મદદ સાથે જુદા જુદા સાધનોનો ઉપયોગ કરી કસરત કરવાની હતી. મારે ફકત કમર અને ગરદનની હળવી કસરત કરવાની હતી.જે મને બતાવવામાં આવી.
ત્યારબાદ સવાચારે ફરીથી બેલ..અને ડાઇનીંગ હોલમાં જઇ દૂધીનો રસ ધીમે ધીમે પીધો. સારો લાગ્યો. એ પીને ફરીથી યોગાસન રૂમમાં…ત્યાં હવે સવારની જેમ સમૂહમાં નહીં..પરંતુ અલગ અલગ ગ્રુપમાં પોતાની જરૂરિયાત મુજબ યોગની સૂક્ષ્મ ક્રિયાઓ કરવાની હતી. જે નીચે ન બેસી શકે તેમના માટે ખુરશીની વ્યવસ્થા હતી. અડધા કલાકે એ પૂરું થયું અને બરાબર સવા છ વાગ્યે ફરીથી બેલ અને અમે આતુરતાથી ડાઇનીંગ હોલમાં.. મારે ભાગે બાફેલ સરગવાની શિંગો, ફળો અને ગરમાગરમ સૂપ હતો. સૂપ ખૂબ સરસ હતો. શાંતિથી બધાએ પોતપોતાને ભાગે આવેલ ભોજન કર્યુ.કોઇ બિચારા ચૂપચાપ બીજાની સામે જોતાં જોતાં ખાલી ગરમ પાણીનો જગ લઇ ચાલતા થયા!
હવે નિરાંતનો સમય હતો. મુલાકાતીઓને મળવાનો સમય કે બગીચામાં લીલીછમ્મ લોનમાં બેસવાનો સમય. કોઇ નિરાંતે વાતો કરતા હતા. કોઇ લોનમાં ટહેલતા હતા. તો કોઇએ બગીચાના ઝૂલા પર જમાવ્યું હતું. સૌ એકબીજાને મળી..તેમની શારીરિક તકલીફો, ઉપચારના અનુભવ અને કૌટુબિંક માહિતિની આપ લે કરી રહ્યા હતા. કોઇ બીજી ત્રીજી વાર આવેલ લોકો પાસેથી માર્ગદર્શન લઇ રહ્યા હતા. કોઇ તો અહીં ત્રણ મહિનાથી રહ્યા હતા. વ્હીલચેરમાં બેસીને આવેલ લોકો હાથમાં ફકત એક લાકડી લઇને પગે ચાલીને જાય એ વાત કોને ન આકર્ષે ? આવા અનેક અનુભવોની આપ લે થતી હતી. 7-30 વાગ્યે પ્રાર્થનાનો બેલ વાગ્યો. અલબત્ત એ ફરજિયાત નહોતી. પ્રાર્થના પછી કોઇ હોલમાં રહેલ ટી.વી. જોવામાં પ્રવૃત થયા. કોઇ ત્યાંની લાઇબ્રેરીમાંથી લાવેલ પુસ્તક જોતા હતા.કોઇ લોનમાં ચાલતા હતા. કોઇ નિરાંતે બેસીને વાતો કરી રહ્યા હતા. મને બાળકોમાં રસ હોવાથી હું ત્યાંના ઉત્સાહથી છલોછલ બાળકો સાથે વાતો કરી રહી હતી.
બરાબર દસ વાગ્યે નિદ્રાદેવીની આગોશમાં ગઇ . ઘસઘસાટ ઉંઘ..અને આશ્રમનો પહેલો દિવસ પૂરો થયો. હવે અહીંની ખાસ બે ચાર વિશિષ્ટતાઓ જે મને આકર્ષી ગઇ…
અહીં જનરલ વોર્ડ, સ્પેશ્યલ રૂમ અને ડીલક્ષ રૂમ એમ રહેવાની ત્રણ જાતની વ્યવસ્થા છે. પરંતુ ખાસ વાત એ કે જનરલ વોર્ડમાં રહો કે ડીલક્ષ રૂમમાં.. તમારી સારવાર, આહાર કે કોઇના વર્તનમાં કોઇ જ તફાવત નથી થતો. એ વાત ખૂબ સ્પર્શી ગઇ.
કોઇ કર્મચારીને કોઇ ભેટ કે કોઇ બક્ષિસ આપવાની ચોખ્ખી મનાઇ છે. જેથી આશ્રમનું વાતાવરણ કલુષિત થાય નહીં. કોઇને કશું આપવાની ઇચ્છા થાય તો ત્યાં રાખેલી પેટીમાં ચૂપચાપ નાખી શકે છે. જે પછીથી અમુક સમયાંતરે કર્મચારીઓને વહેંચી દેવામાં આવે છે. અહીં સવારે ડોકટર ભરતભાઇને જાતે આશ્રમની સફાઇ કરતા જોયા. કોઇ કામ પ્રોફેશનલી નહીં..પરંતુ દિલથી થતું જોયું..અનુભવ્યું.
જનરલ વોર્ડમાં ખાવા, પીવા , રહેવા અને સારવાર બધું મળીને ફકત 175 રૂપિયા…જેમાંથી કદાચ તેમનો પોતાનો ખર્ચ પણ ન જ નીકળી શકે. પરંતુ અહીં કમાવાની દ્રષ્ટિ નથી જ. એમ હું મારા પોતાના અનુભવ પરથી દાવા સાથે કહી શકું. કોઇ ગરીબ વ્યક્તિ પૈસાના અભાવે સારવાર વિના ન જાય તેનો ખ્યાલ પણ રાખવામાં આવે છે. આખા સ્ટાફનું વર્તન ખૂબ વિનમ્ર, સાલસ સહકારભર્યું અને ગરીબ, અમીર સૌ પ્રત્યે એકસરખું અને ખૂબ માયાળુ અનુભવાયું. બધા દિલથી સારવાર કરતા હતા. કયાંય વેઠ કે જલદી જ્લદી પતાવી દેવાની વૃતિ નહોતી. ખૂબ સારું લાગ્યું. પૂરી નિષ્ઠાથી કામ થતું હતું. ઉપરી લોકો સારા હોય ત્યાં સ્ટાફમાં આપોઆપ આ ભાવના આવી જતી હશે તેવું લાગ્યું. પ્રોફેશનલ ટચ ને બદલે પર્સનલ ટચ અનુભવાયો.
કોઇ દર્દીને કોઇ પણ જાતની તકલીફ ન પડે તેનો ખાસ ખ્યાલ રહેતો. નિયમો જરૂર હતા અને હોવા જ જોઇએ..પરંતુ નિયમોમાં કયાંય જડતા નહોતી.
અહીંથી જતી વખતે પણ ડોકટર દરેક દર્દી સાથે પર્સનલ વાત કરીને હવે પછી ભવિષ્યમાં પોતાના આરોગ્ય માટે કેવો ખ્યાલ રાખવો, કયો આહાર લેવો વિગેરે માહિતિ પણ સૌની ફાઇલમાં લખીને આપવામાં આવે છે.
ભરતભાઇના પત્ની માધવીબહેન અને કમલેશભાઇના પત્ની કિરણબહેન પણ આશ્રમની પ્રવૃતિઓનું એક અવિભાજય અંગ બની ગયા છે. તેમના માયાળુ સ્વભાવ દરેક દર્દીને એક હૂંફ પૂરી પાડે છે.
જતી વખતે મારી માફક કદાચ દરેકને થતું જ હશે કે વધારે નહીં તો પણ વરસમાં એક વાર તો અહીં આવવું જ જોઇએ.અરે, કોઇ રોગ ન હોય તો પણ આવવું જોઇએ. ગાડી જેવા યંત્રને પણ વરસમાં એકાદવાર તો સર્વીસમાં મૂકવી જ પડે છે ને ? તો પછી શરીર જેવા અણમોલ મશીનને વરસમાં એક વાર તો તો ચાર્જીંગમાં, સર્વીસમાં મૂકવું જ જોઇએ ને ? અને અહીં એ પૂરેપૂરું ચાર્જ થશે જ..એટલી ખાત્રી તો જરૂર આપી શકાય.
લોકો સુધી, દર્દીઓ સુધી આ માહિતિ પહોંચે..અને લાભ લઇ શકે.. ફકત એ જ હેતુથી..લેખક તરીકેની એક ફરજ સમજીને… ગમતાનો ગુલાલ કરવાની ભાવનાથી આ લેખ લખાયો છે. બાકી અહીં કોઇને જાહેરખબરની જરૂર જ નથી. કેમકે વિના જાહેરખબર પણ આ આશ્રમ બારેમાસ ભરચક્ક જ રહે છે. અગાઉથી નામ લખાવેલ ન હોય તો અહીં જગ્યા મળવી અઘરી થાય છે.
આશા છે આ માહિતિ લોકોને ઉપયોગી નીવડશે અને સૌ કોઇ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે એ આશા અને શ્રધ્ધા સાથે અસ્તુ…
सर्वे संतु निरामया:….
સરનામુ… નિસર્ગોપચાર કેન્દ્ર વિનોબા આશ્રમ,ગોત્રી વડોદરા.390021

મૌન…

June 22, 2009


ઘણાં સમય બાદ ખુશીને કોલેજમાં આવેલ જોઇ કયાંક થોડૉ ગણગણાટ…તો કયાંક સ્મશાનવત્ શાંતિ…. ’ખુશી, તું આવી ગઇ ? બહું સારું કર્યું…જે થયું તે થયું….એ યાદ કરીને ઘરમાં થોડું બેસી રહેવાય ? ‘ મીતાલીએ કહ્યું.

‘હા, એ નરાધમોને તો બરાબર પાઠ ભણાવવો જોઇએ. તને ખબર છે ખુશી ? મહિલા સંગઠને મોરચો કાઢયો ત્યારે અમે બધી તારી બહેનપણીઓ સૌથી આગળ હતી. ‘ ખુશી, તું જરા યે ચિંતા ન કરતી.. અમે સૌ તારી સાથે જ છીએ..

‘ બાય, ધ વે..ખુશી, એ લોકો કેટલા હતા ? તેં પ્રતિકાર કરવાનો પ્રયત્ન બહું કર્યો હશે નહીં ? ’

ખુશી મૌન… માંડ માંડ એક મંદ સ્મિત ફરકાવી શકી..એ સ્મિતમાં અઢળક આંસુઓ છલકતા હતા…એ કોઇ જાણી શકવા કે અનુભવી શકવાનું સામર્થ્ય કયાં ?

સહાનુભૂતિને નામે આવા કે આનાથી પણ બદતર અનેક પ્રશ્નોનો સામનો કહેવાતા સગાઓ તરફથી સુધ્ધાં કરતી આવી હતી. બધાને જાણવાની જિજ્ઞાસા..કૂતુહલ…ખણખોદ, પંચાત…એક છૂપો રસ, માનવસ્વભાવની આ છાની વિકૃતિ…આ બધાનો અનુભવ …અસહ્ય અનુભવ….ખુશીનો આત્મા કકળી ઉઠતો.

કયારેક જોશથી ચીસો પાડીને કહેવાનું મન થઇ આવતું..’ તમારી પુત્રી કે બહેન સાથે આવું કશું બને ત્યારે જાણી લેજો..આ બધું..ત્યારે પૂછી લેજો આ બધા પ્રશ્નો..સંતોષી લેજો તમારી જિજ્ઞાસા….’ ખુશીના અસ્તિત્વમાં આક્રોશ ઉઠતો..આક્રન્દ પ્રગટી રહેતું..પણ….. મનમાં હતું..એટલીસ્ટ મિત્રો આવું કશું નહીં પૂછે..ત્યાં કદાચ હળવાશ અનુભવી શકાશે…પણ…..અહીં પણ એ જ……વાત જ એવી હતી ને ? બધાને “ કંઇક “ જાણી લેવું હતું..સાંભળવું હતું..જાણે કોઇ નોનવેજ જોક્સ સાંભળવો હોય તેમ……. ખુશી ચૂપચાપ ત્યાંથી ચાલી ગઇ. ’ છે જરા યે શરમ ? જાણે કંઇ બન્યું જ ન હોય તેમ ચાલતી થઇ. ’આપણે એના સપોર્ટમાં આટલું કહ્યું તો પણ કશો જવાબ સુધ્ધાં આપ્યો? કોઇ વાત ન કરી..આપણે તો એના શુભચિંતક હતા…મિત્રો હતા..ખેર ! આપણે શું ? બાકી આપણે તો એના માટે થઇને કોર્ટમાં સુધ્ધાં પહોંચ્યા હતા..
‘ અરે,મેં તો હોસ્પીટલમાં પેલા નરાધમને બે લાત સુધ્ધાં ઠોકી દીધી હતી.

પણ ખુશીને તો જાણે આ બધાની કોઇ કદર જ નથી. આભારનો એક શબ્દ બોલ્યા સિવાય ચાલી ગઇ. બધાની સમજાવટથી માંડ માંડ કોલેજ આવેલ ખુશી જાણે કોઇ નવતર પ્રાણી હોય તેમ બધા તાકી રહ્યાં હતાં. તેની બહેનપણીઓ સુધ્ધાં….

પ્રોફેસરો સહિત બધાએ એક કે બીજા બહાને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યા કર્યો. જે કયારેય તેની સાથે વાત નહોતા કરતા..તે બધા આજે સામે ચાલીને….

ઘેર આવી ખુશી રડી પડી. નથી જોઇતી મારે કોઇની દયા..કોઇની સહાનુભૂતિ….મને એ જ પહેલાની ખુશી બની રહેવા દો..હું કંઇક અલગ નથી થઇ ગઇ. મહેરબાની કરીને મને ખોતરવાનું….સહાનુભૂતિ બતાવવાનું બંધ કરો. જે વાત ભૂલવાનો હું પ્રયત્નકરી રહી છું..એ કોઇ મને ભૂલવા દેશે કે કેમ ? ‘ ખુશીના દિલમાં એક આક્રોશ …

બળાત્કારનો ભોગ બનેલી ખુશી પર છેલ્લા પન્દર દિવસોથી સતત માનસિક..શાબ્દિક બળાત્કાર ચાલુ જ રહ્યો હતો. પહેલાં પોલીસ,ડોકટરો, વકીલ,કુટુંબીજનો, મિત્રો, મહિલા સંસ્થાઓ….નારી સંગઠનો…કોઇ જ બાકી નહોતું રહ્યું. આવા આરોપીને સજા મળવી જ જોઇએ..જેથી બીજી બહેન દીકરીઓ બચી શકે….એમ માની બદનામીનો ભય રાખ્યા સિવાય હિમત કરી પોલીસમાં ફરિયાદ કરી તે શું પોતાની ભૂલ હતી? ખુશી જ નહીં..તેના મમ્મી, પપ્પા પણ એવું વિચારી રહ્યા. તેના ઘર તરફ..ખુશી તરફ અનેક આં ગળીઓ ચીન્ધાતી રહી હતી. જેનો કોઇ અંત જ નહોતો આવતો.

ખુશીના માતા પિતાના મનમાં અનેક પ્રશ્નો હથોડાની માફક વાગતા હતા…સમાજની કોઇ જવાબદારી…ખરી કે નહીં ? કયાં ખોવાઇ ગઇ છે સૌની વિવેક બુધ્ધિ ?કોઇનામાં પરિપકવતા નહીં ? સમાજની સમજણને શું થઇ ગયું છે ? ન કરે નારાયણ …ને આવતી કાલે એમની બહેન, દીકરી સાથે આવું કશું અઘટિત બને ત્યારે એને પણ આમજ કૂરેદશો ? મૌન રહીને એને બધું ભૂલાવવામાં મદદરૂપ નહીં થઇ શકાય ? “ પણ તેમના પ્રશ્નોનો જવાબ કોણ આપે ?

’આવનાર દરેકના મનમાં કશુંક જાણી લેવાનું કુતૂહલ સાફ દેખાતું હતું. સહાનુભૂતિનો સાગર ઉમટયો હતો. પણ..એ સાગરમાં તરી શકાય એવું નહોતું. અનેક મહોરા ઓઢીને લોકો પૂછતા રહેતા.

શારીરિક બળાત્કાર જીરવી ગયેલી ખુશીને રોજરોજનો આ માનસિક બળાત્કાર જીરવવો અઘરો પડી ગયો છે. જાણે તે કોઇ પાત્ર બની ગઇ હોય તેમ તેની સામે આંગળી ચીંધાતી રહે છે. જખમ દૂઝતા રહે છે. અને ખુશીનું હાસ્ય વધુ ને વધુ મૂરઝાતું રહે છે.

ખુશી મૌન…એકદમ મૌન….અણુ અણુમાંથી ઉઠતા આક્રોશ સાથે મૌન….શું બોલે ? ખુશી શું જવાબ આપે ?

તણખલાં..

June 21, 2009

આ મારા નાજુક નમણાં ટાંચણ,

મારગકાંઠે હસતાં ફૂલ સરીખા:

વાટમારગુ નીરખે,પછી વીસરી જાય.

2

રાત્રિએ સૂરજને કહ્યું:

આ ચન્દ્ર તારો પ્રેમપત્ર છે,

તો ધરતીપુત્ર તરણાં પર ઠરેલા અશ્રુબિન્દુઓ

મારા પ્રત્યુત્તર છે.

3

મધુતૃપ્ત મધમાખી પુષ્પ પ્રતિ ઋણભાવનું

ગુંજન- ગાન છેડે છે,

પણ રૂપલબ્ધ પતંગિયુ તો, માને છે કે

પોતે ફૂલને કૃતાર્થ કર્યું છે.

4

મૃત વાણીની ધૂલિથી તું મેલીઘેલી છો ?

તો, તારા માન્હ્યલાને મૌનનો અભિષેક આપ.

5

પતંગિયુ પોતાની આવરદા મહિનાઓમાં નહીં,

ક્ષણોમાં સમાવી દે છે-

અને છતાંય તેને સમયનો તોટો નથી!

( કવિવર રવીન્દ્રનાથ ટાગોરના મૌક્તિકોનું શ્રી જયંત મેઘાણીએ કરેલ ભાવાનુવાદ..” તણખલાં” માંથી સાભાર )

અક્કલ વિનાનો પ્રશ્ન..

June 18, 2009

પીપળનું વૃક્ષ…

વૃક્ષ ફરતે ઓટલો.

ઓટલામાં ગોઠવાયા..

ઝાંખાધબ્બ થઇ ગયેલ

શંકર ભગવાન..

કૃષ્ણે પણ મારી પલોઠી

રાધા સંગ.

વિઘ્નહર્તાએ પણ

જમાવ્યો અડ્ડો…

અંબા માતાજી નીકળ્યા

સિંહ સમેત….

નવા ઘરમાં..

જૂના દેવોને મળી સજા

ઘરનિકાલની…

હવે રૂડા, રૂપાળા..

શણગાર સજેલા

નવા ભગવાન..

નવા માતાજી પધારશે..

ઘરની શોભા વધારવા…

જૂના મા બાપ પણ..

ઝાંખાધબ્બ…

સાવ કરચલિયાળા ચહેરા

લબડી ગયેલ ત્વચા,

રૂપેરી વાળ..

દાંતના ન કોઇ ઠેકાણા..

ધ્રૂજતા હાથ અને ડગુમગુ પગ….

કેમ શોભે નવા

આલિશાન બંગલામાં ?

પધરાવ્યા એમને પણ

ઘરડાઘરમાં…

નાનકડો પુત્ર..

સાવ અબૂધ..

પૂછી રહ્યો

પ્રશ્ન એક સાવ …

અકક્લ વિનાનો..

’ પપ્પા, પ્લીઝ…તમે

જૂના નહીં થાવ ને ?

કયાં સુધી ?

June 16, 2009

મારી નાનકડી હથેળીમાં…

અઢળક રેખાઓ..

આડી અવળી..

વાંકીચૂકી..

ઘાટી કે આછી..

એકબીજીને સમાંતર..

કે એકમેકને કાપતી…

જીવનરેખા, વિદેશરેખા..

અભ્યાસરેખા,ધનરેખા…

આખાયે જીવતરનો ભાર ઉંચકતી..

અટપટી રેખાઓ..

પાછા વચ્ચે આવતા..

મસમોટા પર્વતો..

બુધ, શુક્ર કે ગુરૂના..

મંગળ, શનિની વક્ર દ્રષ્ટિ..

કેટકેટલું સંઘરીને બેઠી છે..

મારી આ નાનકડી હથેળી..

હું આશ્ર્વર્યચકિત બની જોઇ રહું છું..

મારી આ ખુલ્લી હથેળીને…

કેટલી અઘરી છે ઉકેલવી

આ હથેળીની ભાષા ?

કયાં સુધી આમ મૂઢની જેમ

તાકયા કરવી મારે એને ?
મારા જ હાથમાં અને…

છતાં…

મારા હાથની બહાર….

ઉકેલી ન શકું હું જ એને..

. ને….

ભટકયા કરવું ઠામોઠામ ?

કયાં સુધી ?કયાં સુધી ?

આજની ખાટી મીઠી..

June 13, 2009

કેટલીક વાર હું મને પોતાને ઉપકારક સલાહો આપું છું. પરંતુ તેનો અમલ કરવાનું મારે માટે અઘરું બને છે.

સંબંધસેતુ..

June 10, 2009


“ વિખૂટા છો થઇ ગયા હો સ્વજનથી પણ

સુગન્ધી તેના સ્મરણ સાચવીએ.. “

જન્મ અને મરણ…કુદરતનો સ્વાભાવિક ક્રમ છે. જે જનમ્યું તે જાય…આ સનાતન સત્યથી આપણે સૌ પરિચિત છીએ જ. આત્મા અમર છે એવી વાતોથી પણ અજાણ્યા કયાં છીએ ?છતાં જીવનમાં એ વસમી પળ જયારે સામે આવે છે ત્યારે બધી ફિલોસોફી ભૂલાઇ જાય છે. અને એ પળનો ભાર જીરવવો અઘરો બની જાય છે. સ્નેહીઓની વિદાય હમેશા વસમી જ લાગે છે. ભૌતિક રીતે તે આપણી વચ્ચે હવે નથી એ સત્ય સ્વીકારતા માનવીને સમય તો અચૂક લાગે છે.બાકી સમય જેવી સચોટ દવા બીજી કોઇ નથી. ન હોઇ શકે. સમય ભલભલા ઘાને રૂઝાવી શકે છે. અને તેથી જ તો જીવનપરંપરા ચાલુ રહી શકે છે. આના વિના તો હું નહીં જ રહી શકું..એવું જેના માટે લાગતું હોય તે વ્યક્તિને પણ માનવી થોડા સમયમાં ભૂલી જાય છે. કદાચ અંદરથી ન ભૂલી શકે એવું બને.પરંતુ પોતાનું જીવન સ્વસ્થતાથી જીવી શકે છે ..માણી શકે છે.

કુદરતે દરેક માનવીને આ અદભૂત શક્તિ આપીને ઉપકાર જ કર્યો છે. તેથી યોગ્ય રીતે જ કહેવાયું છે. “ દુ:ખનું ઓસડ દહાડા “ કે પછી
Time is the only solution.. .. પરંતુ જીવનમાં અનેકવાર એવું બનતું હોય છે કે આપણી ખૂબ નજીકની વ્યક્તિ હોય તેને પણ આપણે જીવનભર સાચી રીતે ઓળખી શકતા નથી હોતા. તેને સમજવામાં આપણે થાપ ખાઇ જતા હોઇએ છીએ. અને જયારે ઓળખી શકીએ છીએ ત્યારે ઘણીવાર બહું મોડું થઇ ગયું હોય છે. પછી પસ્તાવાનો પણ કોઇ અર્થ રહેતો નથી. તેથી કોઇ વ્યક્તિ વિશે અનુમાન કરતા પહેલાં..કોઇ ધારણા બાન્ધતા પહેલા કે કોઇના ન્યાયાધીશ બની ટીકા કરતાં પહેલાં બે વાર વિચારવું જોઇએ. જેથી પાછળથી પસ્તાવાનો સમય ન આવે.
આજે આવી જ કોઇ વાત કરવી છે. નિશાબેન વરસોથી અનેક સામાજિક સંસ્થાઓ જોડે સક્રિય રીતે સંકળાયેલ હતા. ઘરમાં કોઇ બંધન નહોતું. દીકરી, દીકરા બધા પરણી ગયા હતા. અને બધા ખૂબ સુખી હતા. કોઇની ચિંતા કરવાની નહોતી. એક નો એક દીકરો ડોકટર હતો. ઘરમાં વહુ પણ સંસ્કારી આવી હતી. પતિ તરફથી પણ કોઇ વાતની રોકટોક નહોતી. આમ ઘરમાં બધી રીતે સુખી હતી. ઘરમાં હવે કોઇ કામ નહોતું. કોઇ જવાબદારી નહોતી. બેસી રહેવાનો નિશાબેનનો સ્વભાવ નહોતો.

જોકે આમ તો બાળકો નાના હતા ત્યારે પણ ઘણી સંસ્થાઓમાં તે સક્રિય હતા જ. પરંતુ હવે તો એ બધી પ્રવૃતિઓ જ..એ સામાજિક સંસ્થાઓ જ તેમના જીવનનું કેન્દ્ર બની ગઇ. દિવસનો મોટો ભાગ તેમનો ત્યાં જ વીતતો. બપોરે બે વાગ્યે નિશાબહેન ઘરની બહાર અચૂક હોય જ. કોઇ ટાઢ, કે તાપ તેમને રોકી ન શકે.

વેકેશનમાં દીકરીઓ પિયર આવે ત્યારે મમ્મીને કહે, અમે આવીએ એટલા દિવસ પણ તને તારી સંસ્થાઓ વિના ન ચાલે. આજે નથી જવાનું..’ પણ નિશાબહેન તો હસીને વાત ટાળી દે. પપ્પા છે ને ઘરમાં..તેની કંપની તમને મળશે. હું થોડીવાર જતી આવું. અને એ થોડીવાર એમની છેક સાંજે જ થાય. ત્યાં પહોંચ્યા પછી નિશાબહેન દીકરીઓને પણ ભૂલી જાય. અને પછી તો કંટાળીને ત્રણે દીકરીઓએ મમ્મીને કહેવાનું જ માંડી વાળ્યું. કહેવાથી કોઇ ફરક નહોતો પડતો. જોકે પપ્પા તેમને કંપની આપવા બધું છોડી દેતા. દીકરીઓ બાપ સાથે કિલ્લોલ કરી રહેતી. પપ્પા ખૂબ પ્રેમાળ હતા. દીકરીઓની સાથે બધે બહાર જતા..તેમને ગમે તે સતત કર્યા કરતા. દીકરીઓને હમેશા થતું કે પપ્પા આપણું કેટલું ધ્યાન રાખે છે. મમ્મીને તો તેમની સંસ્થાઓ જ પહેલા છે.. પછી આપણે બધા..જોકે ધીમે ધીમે બધાએ એ સ્વીકારી લીધું હતું. તેથી ઘરમાં કોઇ પ્રશ્નો નહોતા થતા. પરંતુ પપ્પા બે વરસ પહેલા અચાનક અલવિદા કરી ગયા. કોઇને સેવા કરવાની એક પણ ક્ષણ આપ્યા સિવાય જ. હવે બધાને એમ કે મમ્મી પડી ભાંગશે અને કયાંય નહીં જાય. પરંતુ તેને બદલે એક મહિના પછી મમ્મી પાછા તેની પ્રવૃતિઓમાં ડૂબી ગયા.. કદાચ બમણા જોશથી. જોકે હવે કોઇએ વાંધો લીધો નહી કે ચાલો, મમ્મી એ રીતે પણ ખુશ રહે છે.ઘરમાં પૈસાનો કોઇ પ્રશ્ન નહોતો. ઇશ્વરની પૂરી મહેરબાની હતી.

દિવસો એની રીતે દોડી રહ્યા હતા. એવામાં નિશાબહેન જીવલેણ માન્દગીમાં સપડાયા. અને ત્રણ મહિનાની બીમારી ભોગવી, પુત્ર અને પુત્રીઓની ખૂબ સેવા પામી શાંતિથી વિદાય લીધી. વિદાયના આગલા દિવસે દીકરીઓ નિશાબહેનને કહેતી હતી’ મમ્મી, હવે તું આ બધામાંથી રાજીનામુ આપી દે.આ બધા ચેક ઉપર સહી કરાવવા અને બીજા અનેક કામો માટે અહીં હોસ્પીટલમાં આવીને તેને હેરાન કરે છે.’ નિશાબહેન માથુ ધૂણાવી દેતા. અને શકય હોય ત્યાં સુધી ફોન ઉપર સલાહ,સૂચના આપતા રહેતા.

મમ્મી છેલ્લી મિનિટ સુધી પોતાની પ્રવૃતિ ન જ છોડી શકયા અને અંતે મમ્મી ન જ માન્યા તેનો વસવસો બધી દીકરીઓના મનમાં હતો. પરંતુ તેમના મૃત્યુ પછી તે બધી સામાજિક સંસ્થાઓએ નિશાબહેનને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો. અનેક સંસ્થાઓના પ્રતિનિધિ હાજર હતા. તેમના કુટુંબીઓને પણ તેમાં ખાસ હાજર રહેવા કહ્યું હતું.

દીકરીઓ ગઇ. ત્યાં તેમણે જોયું કે આખા હોલમાં તેમની મમ્મીના ફોટાઓનું..તેમણે કરેલી કામગીરીના ફોટાઓ ખૂબ સરસ રીતે લગાવ્યા હતા. અને પછી તો ત્યાંની અનાથ બહેનોએ, અનેક નિરાધાર છોકરીઓ એ એક પછી એક ભીની આંખે અને રુન્ધાતા અવાજે નિશાબહેનની વાતો કરી. પોતાના અનુભવો કહ્યા. દરેકને તન, મન અને ધનથી કેટકેટલી અને કેવી રીતે મદદ કરી હતી. કેટલીયે દીકરીઓના જીવનમાં ઉજાસ ફેલાવ્યો હતો. માનવતાનું, સેવાનું એક કોડિયુ પ્રગટાવ્યું હતું. જેનો પ્રકાશ અનેક સ્ત્રીઓના જીવનમાં રેલાયા હતો.સ્વયંભૂ રીતે આખો કાર્યક્રમ્ બે કલાકને બદલે ચાર કલાક ચાલ્યો. બહેનોએ નિશાબહેન કઇ કઇ અને કેવી કેવી રીતે તેમને મદદ કરતા રહ્યા હતા તેની માંડીને વાત કરી. તે બધાની આંખ અનરાધાર વરસતી હતી. એ બધા પ્રસંગોની સાક્ષી રૂપ ફોટાઓમાં નિશાબહેન દીકરીઓ સામે જોઇ ધીમંધ મલકતા હતા એવું કેમ લાગ્યું ?

ત્રણે દીકરીઓની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેતા હતા. પોતાની ત્રણે દીકરીઓ તો સુખી હતી. જયારે આ બધી દીકરીઓને માની હૂંફની સાચી જરૂર હતી. જે તેમણે તેમને આપી હતી. બધી બહેનો ત્રણે દીકરીઓને કહેતી હતી ‘ ખાલી તમે જ તમારા બા નથી ગુમાવ્યા.અમે બધાએ અમારા નિશાબા ગુમાવ્યા છે.. એ અમારી સૌના મા હતા. ‘ બધી દીકરીઓ સ્તબ્ધ..પોતે આજ સુધી મમ્મીને કયારેય સમજી ન શકયા ? આટલા નજીક હોવા છતાં ઓળખી ન શકયા ? મમ્મીને હમેશા અન્યાય જ કરતા રહ્યા ? હવે માની માફી પણ કેમ માગવી ? પસ્તાવાનો કોઇ અર્થ કયાં બચ્યો હતો ? તેમની દ્રષ્ટિ મમ્મીના ફોટા પર સ્થિર થઇ. મનોમન માફી માગી રહ્યા. સામે નિશાબેનનો ફોટો મધુર હાસ્ય રેલાવી રહ્યો હતો.

સાચે જ કેટલાક સંબંધોને પામવા બહું અઘરા હોય છે. ઉપરછલ્લી રીતે નહીં સંબંધોની ભીતર,…માનવીના હૈયાના ઉંડાણમાં ઝાંકતા શીખવું જોઇએ..જેથી કોઇ સંબંધને આપણે અન્યાય ન કરી બેસીએ.

(સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )

अयोग्य: पुत्र: !

June 8, 2009

गुजरातीमूलम् – नीलम दोशी

अनुवाद – नीतिन महेता

सर्वे मातपितर: इव भद्रक: अपि स्वप्नम् अपश्यत् यत् ममं पुत्र: पलाश: अध्ययनांतरं धनं सम्पादयेत्, सुखेन जीवेत् इति ! सौभाग्यात् पलाशेन सुयोग्य: उध्योग : अपि प्राप्त: ! पलाशस्य पत्नी वन्या सुन्दरी संस्कारवती च ! विवाहानंतरम् अचिरात् एव पलाशेन स्थानपरिवर्तनादेश: प्राप्त:! अत: स: पल्या सह नगरे अवसत् !

उध्योगात् निवृत: भद्रक: प्रतिमासं निवृतिवेतनं प्राप्नोति स्म ! किंतु व्यये अनिग्रहकारणात् तत् निवृतिवेतनं तस्मै पर्याप्तं न भवति स्म ! अत: पुत्र: प्रतिमासं तस्मै धनं प्रेषयति स्म् ! तस्मात् भद्रकस्य जीवनं निश्विंततया प्रचलति स्म् ! गृहे मित्रमिलनं, भजनम् इत्यादिकं बहुधा प्रचलति स्म्,व्ययचिंतां विना ! यदा विराम: प्राप्येत तदा पलाश: पल्या सह ग्रामम् आगच्छति स्म ! गृहे आनन्दमय: परिसर द्रश्यते स्म ! वन्या अपि दुग्धशर्करान्यायेन गृहे व्यवहर्ति स्म् !

गच्छता कालेन वन्यया पुत्री प्राप्ता ! पौत्री द्रष्टा भद्रक: तत्पत्नी च नितरां संतुष्टौ ! भदक: तु एतदवसरे अपि स्वभावनुगुणं महांतम एव व्ययम् अकरोत् ! प्रसूते: द्वित्राळां मासानाम् अनंतरम् पत्या पुत्र्या च सह वन्या नगरं गतवती ! इदानी कौटुम्बिकव्ययभाराश्धिक्य कारणात् पलाशस्य धनप्रेषळे अनियतता समागता ! एकस्मिन मासे तत: पत्रम् आगतं यत् उत्तरदायित्ववृध्धिकारळत: सध्य: काले धनं प्रेषयितुं न शक्यते इति 1 एतस्य पठनात् भद्रक: नितरां क्रुध्धं ! पुत्रम् अयोग्यं मत्वा तेन सह व्यवहारं स्थगितं क्रतवान स: ! दूरवाण्या सम्भाषणम् अपि तेन निराक्रतम् !

अत्रांतरे भद्रकस्य पुत्र्या: विवाह: निश्विंत: ! ‘ न कापि चिंता ! ऋणं प्राप्य पुत्र्या: विवाह: निर्वतयिष्यामि अहम् 1 पुत्रं तु धनं न याचिष्यामि इति सर्वेषां पुरत: सदर्पम् अवदत् भद्रक: 1 मित्राणां बन्धूनां च पुरत: तेन ऋणप्रस्ताव: उपस्थित: किंतु ते स्रवे कमपि व्याजं वदंत: निराकृति दर्शितवंत: 1 पुत्र्या: विवाहनिर्वर्तनाय धनं कथं प्राप्येत् इति चिंतां प्राप्तवान भद्रक: ! अत्रांतरे पलाशस्य सुह्रदौ आगत्य उक्तवंतौ,

“ आर्य ! अलं चिंतया 1 आवयो : पितृतुल्य: अस्ति भवान ! पलाशस्य भगिनि आवयो: अपि भगिनि एव ! ” इति ! तौ एव स्वयं धनव्यव्स्थां परिकल्पितवंतौ ! विवाहसंबंधेषु सर्वेषु अपि कार्येषु सोत्साहं प्रवृतौ जातौ !

तयो: व्यवहारं द्रष्टा भद्रक: गद्गदकंठ: जात: “ भवतो: धनं यथाशक्ति शीघ्रं प्रत्यर्प्यिष्यामि “ इति आद्रर्नयन: स: अवदत् 1 ’ऋणप्रत्यर्पणविषये कापि चिंता न कार्या ‘इति तौ उक्तवंतौ !

विवाहदिनम् आसन्नम् ! पलाश: सपत्नीक: ग्रहे उपस्थित: जात: ! भद्रक: पुत्रे उपेक्षां प्रदर्शयन सर्वविधं समालोचनं करोति स्म तस्य सुह्रदया सह एव ! तथापि पलाश: शांततया एव स्मेरमुख: सन व्यवहरति स्म ! वन्या अपि सर्व कार्येषु यथायोग्यं प्रवृता जाता !

वरयात्राया: स्वागताय कीद्रशौ व्यवस्था स्यात् इत्वत्र गृहे चर्चा प्रवृता ! भद्रक: तदवसरे अपि पलाशस्य सुह्दया सहैव चर्चाम् अकरोत् ,न तु पलाशेन सह ! पलशविषयक: क्रोध: भद्रकस्य मुखे व्यवहारे वचने च स्फुटतया द्रश्यते स्म ! तस्य क्रोधस्य उपशमनाय सुह्रदौ बहुधा प्रयत्नम् अकुरुताम् ! तथापि भद्रकस्य क्रोध: न उपशाम्य्ति !

अत्रांतरे पलाश: चर्चार्थ सुह्र्दौ बहि: आहूतवान ! एतत् लक्षितवान भद्रक: अचिंतयत् वत् एष: मद्विषये अयोग्यवचनानि तौ वदिश्यति इति ! अत: स: छन्न: भूत्वा तेषां चर्चाम् अश्रुणॉत !

पलाशस्य सुह्रदौ उक्तवंतो “ पलाश, आवां चिंतयतौ स्व: यत्भवत: पितरं वस्तुस्थितिं कथयाव इति ! भवत: विषये तस्य क्रोध: न आवाभ्यम सह्यते ! सर्व धनं भवता एव दत्तम् आवयो: द्वारा ! तथापि पिता तु करुध्यति भवते ! एतत् न युक्तम् ! ”

“ न वक्तव्यम इदानीं किमपि ! धनं मया दत्तम् इति यदि स: जानीयात् तर्हि स: धंस्वीकरणम् एव निराकुर्यात क्रुध्ध:सन ! तस्य अभिमांनस्य भंग: सर्वर्था न करणीय: इदानीम् !’

’ तथापि स्रवेषां पुरत: स: भवंतम् अयोग्यम् कथयति पौन: पुन्येन ! एतत उचितं खलु ? ‘

‘ तेन किमपि अनुचितं न कृतम् ! प्रतिमासं यत् धनं प्राप्यते स्म तस्य स्थगनं जातन इत्यत: स: मयि कुपित: किंचित ! तद्विषये चिंता न कार्या ! ‘
‘ स: अतिव्ययं क्रत्वा रिक्तहस्त: जात: ! अतिव्यय: तस्यैव खलु दोष :? तथापि भवता औदाएयेळ भगिन्या: समग्र: विवाहव्यय: उढ: ‘

’ तस्य व्यवहारे दोष: मा दर्श्यताम् ! बाल्यावस्थायां तेन मम अनेके प्रमादा: सोढा: ! किं तदीय: एक दोष : मया सोढुं न शक्यते ? अत: मया इदानी शानततया स्थातव्यम् ! गच्छता कालेन सर्व सम्यक भविष्यति ! ‘

छन्न: भूत्वा श्रुतवान भद्रक: “ अयोग्यस्य “ पुत्रस्य वास्तवं स्वरूपं खातवान 1 तस्य नेत्रे सजले जाते !

આજની ખાટી મીઠી..

June 8, 2009

માણસ વિવેક સમજી શકે તેવું, પરંતુ જલદીથી વિવેક વાપરી ન શકે તેવું પ્રાણી છે.

વાત.. થીજેલ એક સંબંધની…

June 2, 2009

કાળના અસ્ખલિત પ્રવાહમાં

વહેતા, તણાતા, અથડાતા, પછડાતા..

ફરી એકવાર…

વરસોનું અંતર ઓળંગીને.

મળ્યા આપણે..

થયા લીલાછમ્મ..

છલકી લાગણીઓ ગાંડીતૂર

એકમેકમાં થયા ઓળઘોળ..

આજે…

ફરી એકવાર પડીશું છૂટા..

એકમેક સામે અનેક ફરિયાદો,

પાર વિનાની અપેક્ષાઓ..

ગૂંચવણભરી ગેરસમજણો…

. ઘેરાયેલ ગોરંભો…..

પણ જવા દે…

ઘણીયે વાતો..

સમજણની ક્ષિતિજની બહાર જ હોય

કોઇ આરોપનામા મૂકવા નથી મારે

ન ઇચ્છું કોઇ બચાવનામા…

આપણો સંબંધ એવી નિમ્નકક્ષાએ પહોંચે…

એ મંજૂર નથી મને.

કદાચ આ જ આપણી નિયતિ..

મળવું..છૂટા પડવું..ફરી મળવું..ફરી…

શું અનંત આ રફતાર

ઋણાનુબંધની…?
પણ..

.એ તો મનને મનાવવાનું..

એક આશ્વાસન માત્ર…

ભીતર થીજી ગયેલ

ઠંડીગાર લાગણીઓ….

ઝંખે…

એક હૂંફાળુ તાપણું….

સૂકાભઠ્ઠ બની ગયેલ…

સંબંધોના વૃક્ષનું

એકાદ લીલુંછમ્મ બીજ

કયાંક ઉંડે ધરબાઇને પડયું હશે તો…

બની શકે…

કોઇ એકાદ છાંટે

ફરી કૂંપળ ફૂટી નીકળે…

અને આપણે ફરી…..

પ્રિય,

વસંત, અને પાનખરની

આવનજાવન હો ભલે

અંદર ભીનો ભીનો

એક શ્રાવણ તો રહેશેને અકબંધ ?