ચપટી ઉજાસ..૧૬૩

 

ચપટી  ઉજાસ.. 163

 

                                                                                             મારી પ્રાર્થના

અંતે મેં બી.એસ.સી.માં એડમીશન લીધું . એનો અફસોસ છે અને નથી..  ઘરમાં મારે લીધે કોઇ પ્રોબ્લેમ ..કોઇ ઝગડો નથી થયો એથી હું ખુશ છું. કોલેજ શરૂ થઇ ચૂકી છે. નવું વાતાવરણ..નવા મિત્રો..નવા પુસ્તકો.. ધીમે ધીમે હું ગોઠવાતી જાઉં છું. બધાને નવાઇ લાગે છે કે આટલા માર્કસ છતાં હું બીજી કોઇ બ્રાંચમાં જવાને બદલે અહીં  આ કોલેજમાં આવી છું. બધા પૂછે છે.. કયારેક હું હસીને જવાબ ટાળી દઉં છું..તો કયારેક એકાદ બે શબ્દોમાં જવાબ આપી દઉં છું..મને ફીઝીકસમાં રસ હતો. મારે એમાં આગળ પી.એચ. .ડી.  કરવું છે. મારે તો ગમે તેમ કરીને બધાની જિજ્ઞાસા શાંત કરવાની હતી.

કોલેજેથી સીધા ઘેર આવવાનું છે..કોલેજમાં કોઇ છોકરાઓ સાથે બોલવું નહીં.. મસ્તી કરવી નહીં.. આવી અનેક  કડક સૂચનાઓ  મને શરૂઆતથી જ મળી ચૂકી હતી. અને નહીંતર મારી કોલેજ અડધેથી પણ બંધ કરી દેવામાં આવશે..એવી ધમકી પણ દાદીમા આપી ચૂકયા હતા. પણ મને એવી કોઇ સૂચનાઓની જરૂર જ નહોતી. મને આમ પણ એવી કોઇ ફાલતુ ચીજોમાં રસ જ કયાં હતો ?

સમય વીતતો રહ્યો હતો. દાદીમાની તબિયત હવે પહેલા જેવી નહોતી રહેતી. ઉમરનો પ્રભાવ દેખાવા લાગ્યો હતો. પણ એ ફકત શરીર પર. બાકી તેમના વર્તનમાં..સ્વભાવમાં કોઇ ફરક નથી પડયો. પણ રોજ એક કે બીજે બહાને તે ઉમંગી ફૈબાને અચૂક યાદ કરતા રહે છે. નામ તો નથી બોલતા પણ અંદરથી એ ફૈબાને ઝંખે છે એવું મને હમેશા લાગ્યું છે. જોકે તેમ છતાં મને એ પણ ખાત્રી છે કે આજે પણ ફૈબા  આવે તો એ  એમને માફ કરી શકે તેમ નથી જ. અસદ અંક્લને સ્વીકારી શકે એમ નથી જ.  જીવનમાં અમુક વાતોના મૂળ એટલા તો ઉંડે ધરબાયા હોય છે કે  સમજીએ..ધારીએ તો પણ  એને ઉખેડી શકાતા નથી હોતા. હિન્દુ મુસ્લીમ વચ્ચેના વૈમનસ્યના આ બીજ એવા તો ઉંડે જડ નાખી ગયા છે કે એને  ઉખેડીને ફેંકી દેવા અઘરા નહીં અશકય જ બની રહ્યા છે. ખેર!

કુંજકાકા કહે છે.. ગ્રેજયુએટ થઇને અહીં આગળ ભણવા આવી જજે. તેમણે તો અત્યારે પણ આવવા માટે કહ્યું હતું. પણ મને કોણ જવા દે ? મારા જીવનનો આગલો મોડ..હવે પછીનો પડાવ કયો હશે..કેવો હશે એની પણ  મને જાણ નથી. જે સમય આવશે એને સારી રીતે જીવવાનો પ્રયત્ન કરીશ.. બસ..એ જ એક શ્રધ્ધા મનમાં લઇને હું આગળ વધતી રહું છું . જીવનના પહેલા દસ વરસોમાં ઉમંગી ફૈબા મને ઘણું  શીખવાડી ગયા છે. તેમણે મને અંદરથી સમૃધ્ધ કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે  અને એ નિષ્ફળ જાય એ મને ગમે તેમ નથી. મારી નિષ્ફળતા એ ફૈબાની નિષ્ફળતા બની રહે.. જેમને મેં હમેશા મારા જીવનનો આદર્શ માન્યા છે એ ફૈબા  નિષ્ફળ જાય એ  મારાથી કોઇ રીતે સહન થાય તેમ નથી.

મનમાં આવા કોઇ વિચાર..આવી ધૂન ચાલતી રહે છે. અને હું  બીજી બધી વાતોમાંથી .. ઘરમાંથી મારું ધ્યાન હટાવીને ભણવામાં ચિત્ત પરોવતી રહું છું.

હમણાં થોડા દિવસ પહેલા  સ્વરા માસી આવેલા. સ્વરા માસીના લગ્ન અમેરિકામાં થયા હતા. પણ તેમની સાથે છેતરપિંડી થયેલી. છોકરો ત્યાં પહેલેથી જ પરણેલો હતો. અને ઘણું  સહન કર્યા બાદ  અંતે સ્વરા  માસી  પાછા અહીં આવી ગયા હતા. આવીને અહીં ફરીથી ભણવાનું શરૂ કર્યું હતું. હિમત હાર્યા સિવાય આગળ ભણતા રહ્યા.  પી.એચ. .ડી. કરીને એક કોલેજમાં હવે પ્રોફેસર થયા હતા.  કોલેજના કવાર્ટરમાં  એકલા રહેતા હતા. ખૂબ ખુશ હતા.  કોઇની સાથે કાયમ રહીને તેમના ઓશિયાળા બની રહેવું તેમને પસંદ નહોતું. 

મારી આસપાસ બનતા  જાતજાતના અનુભવોમાંથી હું કશુંક શીખતી રહું છું. સ્વામી વિવેકાનંદના પુસ્તકો મને બેહદ પ્રિય છે.  જેટલી વાર વાંચુ છું એટલીવાર કંઇક નવું પામતી હોઉં એવું અનુભવાય છે. એમ તો શ્રી ટાગોરે પણ કંઇ મને ઓછી નથી આકર્ષી.. હમણાં કયારેક દાદીમાને રામાયણ..ભાગવત પણ વાંચી સંભળાવું છું. ઇશ્વર જે કરે એ સારા માટે..એવું માનવી બોલતો રહે છે.કહેતો કે લખતો રહે છે. પણ સાચા દિલથી એ પોતે એ વાત સ્વીકારી કયાં શકે છે ? જો ખરેખર દિલથી એ એવું સ્વીકારી શકતો હોય ..માની શકતો હોય તો પછી જીવનમાં દુખને કે કોઇ ફરિયાદને  સ્થાન જ કયાં રહ્યું ? પણ જીવનના સમીકરણો એમ સહેલાઇથી બેલેન્સ નથી થતા હોતા.. મોહ, માયા, મમતાના પડળ..વિવિધ લાગણીઓના  ઝરણા જીવનને જુદા જુદા મોડ આપતા રહે છે. અને માનવી એમાં અટવાતો રહે છે. એની શ્રધ્ધા વધતી ઘટતી રહે છે. એમાં ભરતી ઓટ આવતા રહે છે.

કદાચ જીવનની મજા પણ એમાં જ હશે..નહીંતર જીવન એકધારું..નીરસ જ બની જાત ને ?

કયારેક મનમાં થાય છે ફૈબા કયાં હશે ? શું કરતા હશે ? મને યાદ કરતા હશે ? જવાબ હું જ આપું છું.. ફૈબા મને ભૂલી  ગયા છે  એવું   ખુદ ફૈબા કહે ને તો યે હું ન માનું..મારા આ વિશ્વાસને દસ વરસના જાત અનુભવનું પીઠબળ છે. બસ મારા વહાલા ફૈબા જયાં  હોય ત્યાં ખુશ રહે.. એ પ્રાર્થના  અંતરમાંથી આપોઆપ સરી રહે છે. 

અને છતાં આ પળે મને જાણ નથી કે ફૈબા કયાં છે 

( published in jansatta..lokasatta on every sunday )

સંબંધસેતુ..

                                                                                           હું  લોહી  વેચતો  નથી.

નહી આવી શકે તારા ઘરે, તુ જીદ છોડી દે,
સંબંધો  એમ બન્ધાતા નથી અવસરો બદલવાથી..

જન્મથી જીવનની છેલ્લી ઘડી સુધી આપણે સૌ એક કે બીજા સંબંધોને જાળવતા હોઇએ છીએ.. નિભાવતા હોઇએ છીએ.. કયારેક સ્વાર્થથી તો કયારેક નિસ્વાર્થભાવે  પણ સંબંધો સચવાતા હોય છે અને સચવાવા પણ જોઇએ. જીવનમાં દરેક વખતે દરેક  કામ ફકત પૈસાથી નથી થઇ  શકતા .. ઘણીવાર જે કામ પૈસાથી નથી થઇ શકતા  તે કામ સંબંધથી આસાનીથી થઇ શકે છે. પરંતુ ઘણીવાર માનવી પૈસાના મદમાં જીવનનું પરમ સત્ય ભૂલી જતા  હોય છે. અને જયારે સમજાય ત્યારે ઘણું મોડું થઇ ગયેલું હોય છે.

અક્ષય ગર્ભશ્રીમંત ઘરમાં ચાંદીના ચમચા સાથે જનમ્યો  હતો  અને એવી રીતે મોટો  થયો  હતો. . શ્રીમંત પિતાનો એક નો એક પુત્ર હોવાને નાતે પાણી માગે ત્યાં દૂધ મળતું. તેમની બધી ઇચ્છા ..બધી જિદ પૂરી થતી. પરિણામે શૈશવથી તે જિદ્દી અને પોતાનું ધાર્યું કરવાવાળા બની રહ્યા. નોકરો ઉપર હુકમ કરીને તેમને ધમકાવવામાં બાળક અક્ષયને મજા આવતી. અને ત્યારે કોઇ ટોકવાવાળું નહોતું. અને ધીમે ધીમે મોટા થતા એ આદત હવે કાયમી  બની ગઇ. તેમના સ્વભાવનો એક અંશ બની ગઇ. પોતાને કોઇની જરૂર નથી.. બધાને પોતાની જરૂર પડે એવી ભ્રામક માન્યતા દ્રઢ થતી ગઇ.

સમય પસાર થતો રહ્યો. અક્ષયના લગ્ન થયાશ્રીમંત પિતાની પુત્રી વૈશાલી પણ લગભગ એવા સ્વભાવની હતી. આમ પતિ પત્ની બંને..   આવ ભાઇ હરખા..આપણે બે સરખા જેવા હતા. પૈસાના જોરે કામ થતા રહેતા. પણ કોઇને તેમનો સ્વભાવ ગમે એવો નહોતો. પણ અક્ષય અને  વૈશાલીને કોઇની પરવા કયાં હતી ?પોતાના પૈસાના ગુમાનમાં તેઓ મસ્ત રહેતા હતા.

લગ્નના ત્રણ વરસ બાદ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો. હવે તો સુખમાં  ચાર ચાંદ લગી ગયા હતા. દાદા, દાદીએ એક વરસ સુધી  પૌત્રને  રમાડવાનો લહાવો માણ્યો હતો. અને પછી  એક ટૂંકી બીમારીમાં એક વરસના અંતરે બંને પ્રભુ પાસે પહોંચી ગયા હતા. જીવન એની ગતિએ વહેતું રહ્યું હતું.

એવામાં અક્ષયની તબિયત બગડી. જાતજાતના ટેસ્ટ થતા રહ્યા. વધુ પડતા શરાબને લીધે લીવર ડેમેજ થયું હતું. ઓપરેશન સિવાય બીજો કોઇ ઉપાય નહોતો. પરંતુ  અક્ષયનું હીમોગ્લોબીન બહું ઓછું હતું. તેથી ઓપરેશન પહેલા લોહી આપવું  પડે તેમ હતું. પરંતુ અક્ષયનું બ્લ્ડ ગ્રુપ બહું રેર ગણાતું.આર.એચનેગેટીવ પ્રકારનું હતું.. જે સહેલાઇથી મળી શકે એમ નહોતું. લોહી મેળવવા માટે વૈશાલી બધે તપાસ કરતી રહી. પરંતુ કોઇનું લોહી મેચ નહોતું થતું. એવામાં ખબર પડી કે તેમના માળીનું લોહી આ પ્રકારનું છે. વૈશાલીના જીવમાં જીવ આવ્યો. માળી તો ના  પાડી જ્ કેમ શકે ? તે તો તેનો નોકર હતો. માગશે એટલા પૈસા આપી દેશું..પછી પૂરું.

વૈશાલીએ માળીને બોલાવ્યો. તેના લોહીની જરૂર પડી છે એમ કહ્યું. વૈશાલીના વર્તનમાં ..તેના શબ્દોમાં આજે પણ ઉધ્ધતાઇ હતી. તેણે બીજી કોઇ વાત કરવાને બદલે.. કોઇ વિનંતી કે સારા શબ્દોને બદલે સીધું માળીને કહ્યું,

બોલ, તારે કેટલા રોપિયા જોઇએ છે લોહી આપવાના કહેતા વૈશાલીએ પર્સ ખોલ્યું.

માળી ડઘાઇ ગયો. પોતે જાણે લોહીનો વેપારી હોય એમ તેને પૂછવામાં આવ્યું હતું કે બોલ, તારા લોહીનો શું ભાવ છે ?

માળી બે ચાર ક્ષણ તેની ઉધ્ધત શેઠાણી સામે જોઇ રહ્યો. પછી પૂરી મક્કમતાથી બોલ્યો.

હું લોહી વેચવાનો ધંધો નથી કરતો. મારે લોહી નથી આપવું. તમે બીજો કોઇ લોહી વેચનાર વેપારી હોય તો શોધી લો..

કહીને માળી આજે  વૈશાલીની વાત સાંભળવા પણ રોકાયો. તેના મનમાં આક્રોશ પ્રગટયો હતો. પૈસાવાળાઓ સમજે છે શું એમના મનમાં ? આમ પણ તે મજબૂરીને લીધે બંગલામાં કામ કરતો હતો.બાકી તેને દિલથી લોકો માટે કોઇ આદર નહોતો .

તે જવાબ આપ્યા સિવાય  સીધો પોતાને ઘેર ચાલ્યો ગયો. વૈશાલી તો ડઘાઇ ગઇ. આવી તો તેણે કલ્પના પણ નહોતી કરી.. તેને તો એમ હતું કે તે માળી માગશે એટલા પૈસા આપી દેશે..અને વાત પૂરી. પણ અહીં તો એની ધારણાથી બધું વિપરીત થયું. તેણે બૂમ પાડીને માળીને બોલાવવાનો પ્રયાસ કરી જોયો. પણ તેની બૂમ સાંભળીને પણ આજે માળી રોકાયો નહીં.

હવે  વૈશાલીને થોડી વાર તો ગુસ્સો આવ્યો. એક સામાન્ય નોકર પોતાને ના પાડી કેમ શકે ? તેણે ઘરના બીજા નોકરને માળીને ઘેર તેને બોલાવવા મોકલ્યો કે  જો તે નહીં આવે તો તેની નોકરી હમેશ માટે જશે..એવી ધમકી પણ આપી.  જો  પૈસા ઓછા પડતા હોય તો તે વધારે આપવા તૈયાર છે. એમ પણ કહેવડાવ્યું.

હજુ વૈશાલીની વાતમાંથી પૈસા જતા નહોતા.

થોડીવારે નોકર વીલે ચહેરે પાછો આવ્યો. અને કહ્યું કે માળીને હવે અહીં આમ પણ નોકરી કરવી નથી. અને તે પોતાનું લોહી વેચવા નથી માગતો.

વૈશાલી હવે થોડી ગભરાઇ. લોહીની વ્યવસ્થા નહીં થાય તો ?જેમ જેમ  સમય વીતતો જતો હતો તેમ તેમ જોખમ વધતું જતું હતું.

ત્યાં વૈશાલીની મમ્મી આવ્યા. શું થયું બેટા, લોહી મળ્યું ? તું તો કહેતી હતી ને  તારા કોઇ  માળીનું લોહી જમાઇને મેચ થાય તેમ છે. તેં એને પૂછયું

હા.. પણ મમ્મી એણે લોહી આપવાની ના પાડી.

ઓહ..ના પાડી..? હવે કોઇનું લોહી તો પરાણે લઇ શકાય. હવે  શું કરીશું ? તેની મમ્મીના અવાજમાં  ચિંતા ભળી હતી.

હવે તો મમ્મી, મને યે નથી સમજાતું કે શું કરવું ? પણ માળીએ લોહી આપવાની કેમ ના પાડી ? તેં એને પરિસ્થિતી સમજાવી નહીં ?

મેં તો  બધું કહ્યું..અરે એ માગે તેટલા પૈસા આપવાનું પણ કહ્યું.. પણ એ જિદ્દીએ તો એક જ વાત પકડી રાખી..

હું કંઇ લોહીનો વેપારી નથી. લોહી વેચવાનો ધંધો નથી કરતો..

આવું સંભળાવીને તે ચાલ્યો ગયો. મેં નોકરીની ધમકી આપી એને પણ ગણકારી.

વૈશાલીની મમ્મી એક મિનિટ દીકરી સામે જોઇ રહી.એને બધી વાત સમજાઇ . પોતે દીકરીએન સંસ્કાર નહોતી આપી શકી. ભાડૂતી  આયા પાસે ઉછરેલી દીકરી પાસેથી બીજી શું આશા રાખી શકાય ? તેને પોતાની ભૂલ તો ઘણાં  સમયથી  સમજાઇ હતી. પણ સમય વીતી ગયા પછી. ખેર ! જે હોય તે અત્યારે એ બધો વિચાર કરવાનો સમય નથી. તેણે કહ્યું

હું માળીને ઘેર જાઉં છું. તું પણ મારી સાથે ચાલ.

એને ઘેર ?

હા..અને તારે હું કહું એમ કરવાનું છે જો અક્ષયની જિંદગી બચાવવી હોય તો..

વશાલી આશ્વર્યથી  મા સામે જોઇ રહી. મા એ જિદ્દીને  કેમ મનાવી શકશે ?

મા દીકરી બંને માળીને ઘેર પહોંચ્યા. માળી તેમને પોતાને ઘેર આવેલા જોઇ રહ્યો. તેના ચહેરા પર કઠોરતા અને મક્કામતા હતી.

ત્યાં વૈશાલીની મમ્મી આવી.

ભાઇ, મારી નાદાન દીકરીને તું માફ કરી શકીશ ? હું લોહી માટે નથી આવી. પરંતુ મારી દીકરીએ પૈસાના  અભિમાનમાં તારું લોહી ખરીદવાની વાત કરી ભૂલની માફી માગવા આવી છું. લોહી કોઇનો જીવ બચાવવા માટે માગી શકાય..ખરીદી ન શકાય એની કોઇ કીમત ન લગાવી શકાય. ભાઇ, મારી દીકરીની બહું મૉટી ભૂલ થઇ ગઇ છે. તારી વાત સાચી છે..તું તો ભાઇ  ઝાડવા ઉછેરનારો છે.. લોહી વેચનારો નહીં. વૈશાલીતેં નાના માણસનું અપમાન કર્યું છે. એની માફી માગ પછી આપણે બીજી જગ્યાએ લોહીની તપાસ કરવા જશું. નહીંતર ભલા માણસના નિસાસા આપણને  બધેથી  પાછા કાઢશે

 વૈશાલીએ મા સામે જોયું. તેને જાણે પળે કશુંક સમજાઇ રહ્યું હતું. તેણે  બે હાથ જોડી માળીને સોરી કહ્યું.

માળી તો જોઇ રહ્યો. શેઠાણી તેની માફી માગી રહી હતી..

ભાઇ, ચાલ, હવે એને  માફ કરી દેજે હોં.. અમે જઇએ,, બીજે લોહીની તપાસ કરવા જવાનું છે. મોડું થાય છે. ભગવાન તને સુખી રાખે ભાઇ..અને હા..તારી નોકરી અંગે આણે જે કહેવડાવ્યું હતું એ પણ એની ભૂલ હતી હોં..

કહેતા    વૈશાલીનો હાથ પકડી તેની મમ્મી દરવાજા તરફ ચાલી.

ત્યાં માળીનો અવાજ આવ્યો.
બેન, હું યે આવું છું. મારું લોહી કોઇને બચાવવાના કામમાં આવી શકતું હોય તો એનાથી મોટું પુણ્ય બીજુ કયું હોય ? અમે કંઇ તમારી જેમ  દાન ધરમ નથી કરી શકતા.. એક પુણ્ય  કમાવાનો મોકો ભગવાને આપ્યો છે તો હું પાછો નહીં પડું.. તો બેને.. વાકય  અધુરૂ રાખીને  માળી તેમની સાથે જ બહાર નીકળ્યો.

વૈશાલી તો જોઇ રહી. તેની મમ્મીએ માળીનો આભાર માન્યો. અને બધા જલદી જલદી હોસ્પીટલે પહોંચ્યા.

ભગવાનની કૃપાથી ઓપરેશન સરસ રીતે સફળ થયું હતું. અક્ષયની જિંદગી બચી ગઇ હતી.

  વાતને મહિના વીતી ગયા હતા. હવે  રોજ સવારે અક્ષય અને વૈશાલી માળી સાથે ચા પીતા બગીચામાં  બેસે છે અને પછી માળી કામે ચડે છે.

અક્ષય અને વૈશાલીનો જાણે નવો અવતાર થયો છે. હવે એમની વાતમાંથી  પૈસો શબ્દ અદ્રશ્ય થઇ ગયો છે.

 હવે તેમના જીવનમાં  સંબંધોના નવા નવા સેતુઓ બંધાઇ રહ્યા છે. હવે પૈસાને નહી જં સંબંધને..માનવતાને જીવનમૂલ્યોને મહત્વ અપાઇ રહ્યું છે.   વાતાવરણમાં હવે તેમનો પુત્ર મોટો થઇ રહ્યો છે. સૌથી મોટી  વાત કહેવાય ? એક નવી પરંપરા સ્થપાઇ રહે ત્યારે એનો વિશુધ્ધ આનંદ કંઇક અલગ હોય ને ? આપણે  કોઇ પણ આવી કોઇ ભૂલ તો  નથી  કરી રહયા ને ? પૂછીશું  જાતને સવાલ ?

 શીર્ષક પંક્તિ..હિતેન આનંદપરા..

 

અત્તરકયારી..સાચી સાધના..

 

અત્તરકયારી

સાચી સાધના

થોડા દિવસ પહેલા  અહીં અમેરિકામાં એક મોટા બાબાનું  પ્રવચન ગોઠવાયું હતું. યજમાનની સાથે મારે પણ જવાનું હતું. અમારા એ મિત્રને ખૂબ ઉત્સાહ અને હોંશ હતા. અરે, બહું જ્ઞાની છે..બહું સરસ બોલે છે. અહીં ઘેર બેઠા ગંગા આવી છે તે લાભ લેવો જ જોઇએ ને ? આવો અવસર જલદી નથી મળતો. જમવાની બધી વ્યવસ્થા ત્યાં જ કરાઇ છે. ઘેર આવીને બનાવવાની કશી લપ નહીં. અને અમે તેમની મહાન વાણી સાંભળવા ઉપડયા.નામ તો નહી આપી શકાય..કેમકે અનેક લોકોની ધાર્મિક લાગણી દૂભાતા વાર નથી લાગતી. પરંતુ મજાની વાત એ છે કે  અહીં અમેરિકા જેવા ભૌતિકવાદી દેશમાં પણ   બાબાઓ અને કહેવાતા સંતોની કોઇ કમી નથી. સાધુ મહાત્માઓની આખી  ફોજ અહીં   અવારનવાર ઉતરી આવતી હોય છે. ભક્તોને ખર્ચે અને જોખમે. તેમની વાણીમાં ચોક્કસપણે એક વશીકરણ હોય છે, ચબરાકિયાપણૂં હોય છે. લોકોને શું ગમે છે, શું જોઇએ છે કે શું સાંભળવું છે એની એમને પૂરી જાણકારી હોય છે. શ્રોતાઓની નાડ પારખતા એમને બહું સરસ રીતે આવડતું હોય છે. અને બહું ઉત્તમ વકતા હોય છે. કયાં શું બોલાય એની પૂરી પરખ હોય છે. વચ્ચે વચ્ચે હાસ્યના ફુવારા છોડતા પણ આવડતું હોય છે. સમયને અનુરૂપ વાત કરી શકવાની ક્ષમતા આવા બાબાઓ પાસે ભરપૂર હોય છે. એમાં શંકાને કોઇ સ્થાન નથી. ત્યાગની મસમોટી વાતો કરીને આસાનીથી તેઓ લાખો રૂપિયા કમાઇ લેતા હોય છે.

આજે  આ એક વ્યાપાર બની ગયો છે.બહું વ્યવસ્થિત વ્યાપાર..કોઇ મૂડી રોકાણ સિવાય અને ખોટ ન જવાની ખાત્રી આપતો વ્યાપાર. દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિએ..આના સંદર્ભમાં કયાંક વાંચેલું એક જાણીતું ઉદાહરણ યાદ આવે છે.

 

વાત ચીન દેશની છે. ચીનમાં માત્સુ નામનો એક મોટો સાધક થઇ ગયો. એની સાધનાનો કોઇ જોટો નહોતો. એની ખ્યાતિ દૂર દૂર સુધી પ્રસરેલી હતી.  તે  શહેરથી દૂર એક નાનકડી ઝૂંપડીમાં  રહેતા હતા. જયાં લોકોની કોઇ અવરજવર નહોતી. કોઇ ખલેલ પહોંચાડનાર નહોતુ. એવી એકાંત જગ્યાએ રહીને  પ્રભુની આરાધના કરતા રહેતા. પૂરો સમય  એ ફકત ઇશ્વરની આરાધનામાં જ રત રહે.

એક દિવસ એના ગુરૂ ફરતા ફરતા ત્યાં આવી ચડયા અને એની પાસે ઉભા. પણ આ સાધક સાધનામાં એવો તો મગ્ન હતો કે પોતાની સામે પોતાના ગુરુજી આવીને ઉભા છે તેની પણ તેને જાણ ન થઇ.   તે તો બસ પોતાનામાં મસ્ત હતો.

ગુરુએ શિશ્યને એની સાધનામાંથી જાગૃત કર્યો નહી. પરંતુ   તેમણે હાથમાં એક ઇંટ લીધી. અને એ ઇંટને એક પથ્થર પર ઘસવા માંડી.
થોડી વારે માત્સુ સાધનામાંથી જાગ્યો ત્યારે તેણે જોયું કે ગુરુજી ઇંટને પથ્થર પર ઘસી રહ્યા હતા.

માત્સુએ આ જોઇ આશ્વર્યથી ગુરુજીને પૂછયું.

‘આપ નાના છોકરાની જેમ ઇંટને આમ પથ્થર પર કેમ ઘસી રહ્યા છો ?

ગુરુજીએ શાંતિથી જવાબ આપ્યો.

‘ આ પથ્થર પર ઇંટ ઘસી ઘસીને હું તેને દર્પણ બનાવીશ.

માત્સુ હસી પડયો.

‘  ગુરુજી તમે કેવી વાહિયાત વાત કરો છો ?   અરે, ગમે તેટલું ઘસો તો પણ  ઇંટ તે કદી દર્પણ બની શકે ખરી ? ‘

ગુરુજીએ તુરત શાંતિથી જવાબ આપ્યો.

માત્સુ, તને એટલી જાણ છે કે ઇંટને ગમે તેટલી ઘસીએ તો પણ એ દર્પણ ન બની શકે. તો પછી બેટા,  તું તારા મનરૂપી ઇંટને હમેશા ફકત  પ્રાર્થના અને સાધનારૂપી પથ્થર પર ઘસ્યા કરે છે. પણ એથી શું તારું  જીવન દર્પણ સમુ ચળકી શકે  ખરું ? અહી એકાંતમાં સાધના કરવાને બદલે કોઇ લોકોપયોગી કામમાં તું તારી જાતને જોડ. લોકોને મદદરૂપ બન. દુઃખિયાઓ અને અનાથોના આંસુ લૂછ. દુઃખ અને પીડાથી  તપ્ત બનેલા આત્માઓને આશ્વાસનના  જળથી સીંચ અને તેમના આત્માને શીતળ બનાવ. લોકોની સેવા કરતા બીજી કોઇ સેવા મોટી નથી. જા, ઊઠ, લોકો વચ્ચે જઇને વસ. તેમના દુઃખ દર્દને સમજવાનો, નિકટથી જાણવાનો પ્રયાસ કર. લોકોથી ભાગતા નહીં લોકોની વચ્ચે રહીને તેમની પીડાને, તેમના સંકટોને,  તેમના દુઃખોને શકય તેટલા  દૂર કરવામાં લાગી જા..એ સાધના કરતા બીજી કોઇ સાધના મોટી  નથી. ‘

માત્સુએ  ગુરુજીને પ્રણામ કર્યા અને એકાંત  છોડીને જનસમૂહમાં જઇને વસ્યો.

જનસેવા એ જ પ્રભુ સેવા એવી કહેવતથી આપણે અજાણ નથી જ ને ? ઇશ્વરની સેવા એટલે ઇશ્વરે બનાવેલા માનવોની સેવા. કોઇ પ્રવચનો સાંભળવા જવાની જરૂર નથી. કોઇ ત્યાગ, વૈરાગ્યની જરૂર નથી.  એટલો સમય જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં ગાળીએ તો ?

એક નજર કરીશું  તો આપણી આસપાસ જ  એવા અનેક  લોકો મળી આવશે જેમને એક કે બીજા પ્રકારની સહાયની જરૂર હોય જ છે. અરે, ઘણી વખત આપણા જ કોઇ સ્વજનને આપણી મદદની જરૂર હોય ત્યારે આપણે સિફતથી આંખ આડા કાન કરીને દૂર ખસી જતા હોઇએ છીએ..તો પછી આપણે ગમે તેવા સરસ પ્રવચનો સાંભળીએ.. એનો કોઇ અર્થ ખરો ?

ઇશ્વરે  સેવાની તક આપણને આપી છે..એમ માનીને દીન, દુઃખી લોકોને મદદ કરવાની કોઇ પણ  તક ઝડપી લેવી ન જોઇએ ? આપણે એવા લોકો માટે કશુંક કરી શકીએ એ શું ઓછા સદભાગ્યની વાત કહેવાય ?  અને એ અનુભવ આપણને જે આનંદ આપશે એ કંઇક અલગ જ હશે.

મોટા મોટા કામ, કે લાખો, કરોડો રૂપિયાના દાન  ન કરી શકીએ એનો કોઇ અફસોસ ન હોય. કરવા જેવા  અનેક નાનકડા કામો આપણા લંબાયેલા હાથની રાહ જોઇને તત્પર છે. આપણે મદદનો  હાથ લંબાવીશું ?  બની શકે આજે તમારું કામ જોઇને આવતી કાલે એમાં બીજા હાથ પણ ભળે અને એક  દીપથી  અનેક દીપ  જલે ને એક નવા સમાજના નિર્માણમાં આપણે પણ આપણો નાનકડો ફાળો જરૂર નોંધાવી શકીએ.બસ જરૂર છે માત્ર શરૂઆતની..એક પગલું આગળ મૂકવાની.

અને એ જ તો છે જીવનની સાચી સાધના.. શું કહો છો દોસ્તો ?

( published in Gujarat Guardian date 8th May 2013 )

સંબંધસેતુ..

                                                                                                                                                                      સંબંધોની કાવડ..

કાન ધરો જો હૈયે તો, શુકનવંતા વાવડ છે,

સંબંધોની સાવ અનોખી અહીં કાવડ છે

હમણાં એક સરસ વાત વાંચી  કે ઘટે તે ઘરડાં અને વધે તે વૃધ્ધ .. વાત ગમી ગઇ. કેલેન્ડરના રોજ રોજ ફાટતા પાના વરસોમાં  આપણી ઉમર વધારતા રહે છે અને આપણા આયખાની  ઉમર ઘટાડતા રહે છે. માનવમાત્ર  માટેનો એ સ્વાભાવિક ક્રમ છે. સમય સમયનું કામ કરતો રહે છે. અને ઉમર વધતા શરીરને ઘસારો લાગતો રહે છે. કોઇને થોડો વહેલો તો કોઇને મોડૉ.. પણ એ સમય  દરમ્યાન આપણે આપણને   મળેલો સમય કેવી રીતે વીતાવીએ છીએ એના પર આપણા ઘરડા થવાનો કે વૃદ્ધ થવાનો  આધાર રહેલો છે. વૃધ્ધ અર્થાત જેમના   માનસિક વિકાસમાં વૃધ્ધિ થતી રહે છે. સમયની સાથે જે વિકસતા રહે છે. જેમના વિચારોમાં પરિપકવતા આવતી રહે છે. અને શકય તેટલા કોઇને મદદરૂપ થવાની ભાવના જનમતી રહે છે. એવા વૃધ્દો સમાજને ભારરૂપ થવાને બદલે મદદરૂપ બની રહે છે. આજે આવી હમણાં જોયેલી એક સાચી વાત..

હમણાં  એક સ્વજનની તિથિ હોવાથી નિમિત્તે આણંદમાં એક વૃધ્ધાશ્રમમાં જમાડવા જવાનું થયું હતું. ત્યાં શારદાબહેનને જોઇ હું ચમકી ઉઠી. કેમકે તેમને ..અને તેમના કુટુંબને હું સારી રીતે ઓળખતી હતી. આવા સંસ્કારી કુટુંબની વ્યક્તિ અહીં વૃધ્ધાશ્રમમાં ? હું તેમની સામે આશ્વર્યથી જોઇ રહી.

મારી મૂંઝવણ જોઇ તે હસી પડયા. મને કહે, ‘ તને થાય છે ને કે હું અહીં કેવી રીતે

મેં માથું હલાવ્યું.

આવ અહીં થોડી વાર નિરાંતે બેસીએ.. અમે બંને ત્યાં એક બેંચ પર બેઠા. હું તેમની વાત સાંભળવા આતુર હતી.

જો, બેટા, તને ખબર છે કે તારા કાકાના ગયા પછી  હું થોડી   એકલી થઇ ગઇ હતી. ઘરમાં દીકરો વહુ અને તેના બાળકો હતા એટલે સમય તો ચાલ્યો જતો. પણ માનસિક રીતે એકલતા તો સાલતી જ હતી. દીકરાના બાળકો નાના હતા  ત્યાં સુધી તો બહું વાંધો ન આવ્યો. એમની સાર સંભાળની જવાબદારી મેં લઇ લીધી હતી. આમ પણ  નવરા બેસી રહેવું તો મને કોઇ રીતે ગમે નહીં એ મારો સ્વભાવ તું જાણે છે.

હવે બાળકો મોટા થઇ ગયા.સ્કૂલે જવા માંડયા. હું કંઇ બહું ભણેલી નથી જેથી એમને ભણવામાં  મદદ કરાવી શકતી  નથી. એ લોકો  હવે દાદીનો ખોળૉ છોડીને તેમની દુનિયામાં મશગૂલ છેહવે તેમની પાસે સમય નથી. હવે તેઓ તેમના ભણવામાં અને બીજી બધી  પ્રવૃતિઓમાં  વ્યસ્ત રહે છે. વહુ એની રીતે વ્યસ્ત છે. હું  તેને સવારના થોડી મદદ  કરાવી લઉં.પછી આખો દિવસ  ઘરમાં  કોઇ  કામ હોતું નથી. એક દિવસ હું સમય પસાર થતો નથી..એકલી પડી ઉં છું. એવી કોઇ ફરિયાદ કરતી હતી ત્યારે દીકરો વહુ કહે,

મમ્મી, તમે કોઇ કલબમાં કે કોઇ સંસ્થામાં મેમ્બર થઇ જાવ. તમારો સમય સરસ રીતે પસાર થશે અને તમને બધાને મળવાનું ગમશેબહાર જવાથી મન પણ મોકળું રહેશે. અમે બધા તમને વધારે સમય આપી શકતા નથી એની અમને ખબર છેપણ સિવાય ઉપાય નથી. આજકાલ હરિફાઇના જમાનામાં અમારે બધાને દોડવું પડે છે.

તેમની  એવાત સાચી હતી. રાત્રે થાકીને આવે ત્યારે હું તેમની પાસેથી એવી આશા કેમ રાખી શકું કે હવે તેઓ મારી સાથે બેસી રહે. પાંચ દસ મિનિટ બેસી લે..પણ  પછી તેમને સવારથી પાછી ભાગદોડ શરૂ થવાની  હોય એટલે જલદી સૂઇ જાય અને છોકરાઓને પણ જલદી સૂવડાવી દેવા પડે. હું ટી.વી. જોતી બેસી  રહું.

દીકરા વહુની વાત માનીને મેં એક કલબની મેમ્બર બનીને તેમાં જવાનું શરૂ કર્યું. થોડો સમય સારું લાગ્યું. બધા સાથે મળીને કંઇક રમીએ.. વાતો કરીએ કે કયારેક કોઇ ર્પોગ્રામ થાય..પિકનીક થાય ..

પણ બધું લાન્બુ ચાલ્યું. મનમાં થતું હતું કે તો હું સમય વેડફું છું. સાઠ વરસ પછી તો  મને મળેલો આ સમય એ ઇશ્વરે આપેલું બોનસ કહેવાય. અને સદનસીબે મારી તબિયત પણ  સારી હતી. કોઇ  ખાસ શારીરિક પ્રશ્ન નહોતા. તો આમ સમય બગાડવો યોગ્ય ન કહેવાય . એવો કોઇ અજંપો મનમાં ચાલતો હતોત્યાં એક દિવસ કોઇની સાથે અહીં આવવાનું  થયું. અહીં બધું જોયું. મને ગમી ગયું. અને મનમાં વિચાર આવ્યો કે હું વૃધ્ધાશ્રમ જોઇન કરી લઉં તો ? અહીં ઘણું  કામ છે અને ઘણું નવું થઇ શકે તેમ છે. અહીના સંચાલકોને હું મળી. અને મારી ભાવના જણાવી. તેઓએ રાજીખુશીથી પરવાનગી આપી.

બસ..અને હું રોજ સવારે મારું  ટિફિન ..રોટલી, શાક મારી જાતે બનાવીને અહીં  લઇને આવી જાઉં છું.. અને અહીં  બધા તરછોડાયેલા..દૂભાયેલા વૃધ્ધોને એક કે બીજી રીતે મદદરૂપ થવાનો પ્રયત્ન કરું છું. શરૂઆતમાં દીકરા વહુને થતું કે મમ્મી આવી જગ્યાએ જાય તો અમારું ખરાબ દેખાય પણ  પછી  તેઓએ પણ મારી ભાવનાની કદર કરી. હું સવારથી સાંજ સુધી અહીં રહું છું. સાંજે સાત વાગ્યા પછી ઘેર આવી જાઉં છું. શરૂઆતમાં તો બધા મને શંકાની નજરે જોતા..કોઇ તરફતી ખાસ સાથ નહોતો મળતો. પણ ધીમે ધીમે તેમને મારામાં વિશ્વાસ જાગવા માંડ્યો.

અહીં રહેતા દરેક વૃધ્ધ પાસે પોતાની કથા ને વ્યથા છે. તેમના પ્રશ્નોનો ઉકેલ તો મારી પાસે નથી હોતો..પણ તેમની વાત પૂરી સહાનુભૂતિથી સાંભળવાવાળું કોઇ તેમની પાસે નથી હોતું. હું તેમની વાતો નિરાંતે સાંભળું છું. જરૂર  પડયે બે સારી વાત કહું છું. કોઇ બીમાર વૃધ્ધની સાર સંભાળ પ્રેમથી લઉં છુંકોઇ વૃધ્ધ પાસે કોઇ વિષિશ્ટ આવડત હોય તો એની એ આવડતનો લાભ બીજાને મળે એવું ગોઠવું છુંઅહીંના રસોડામાં પહોંચીને જમવાનું બનાવતા લોકો પર જાતે દેખરેખ રાખું છું. જુઓ..હમણાં આ બગીચાને પાણી પીવડાવવાનું કામ હું કરતી હતી. એ જોઇને આ લોકો જાતે એમાં મદદ કરાવવા આવી જાય છે. પાઇપ લઇને પાણી પીવડાવવાનું કામ તો એ લોકો પણ કરી શકે છેરોજ સવારે ખીલતા ફૂલોને જોઇ આનંદ પામતા તેમને શીખવાડું છુંઅનેક  નાના મોટા   કામ એ લોકો કરતા થયા છે. આજ સુધી એમનામાં ઉત્સાહનો અભાવ હતો અને બસ બેઠા બેઠા પોતાની વ્યથાને વાગોળતા રહેતા. હવે તેમનું મન બીજી વાતોમાં પરોવાવાને લીધે એ વ્યથાને વિસરતા જાય છે. બસ..હું તો એ જ મુખ્ય કામ કરું છું. તેમનો ઉત્સાહ મંદ ન પડી જાય અને જીવનરસ સૂકાઇ ન જાય કે નિરાશાવાદી ન બની જાય એનું ધ્યાન  રાખીને એ માટે જાતજાતની રમતો કે  તેમને રસ પડે તેવી પ્રવતિઓ કરાવતી રહું છું. હમણાં હોળીનો તહેવાર હતો તો અમે બધા સાથે અહીં હોળી  પણ રમ્યા. બસ.. આવા નાનકડાં કામ કરીને મને યે સંતોષ મળે છે.

બધા સાથે સંબંધોનો એવો તો સેતુ બંધાઇ ગયો છે કે હવે તો મને તેમના વિના નથી ગમતું. કયારેક ભૂલથી પણ કોઇ  કારણસર  એકાદ દિવસ અવાય તો લોકો ફરિયાદ કરે છે. મને તેમના વિના નથી ચાલતું અને તેમને મારા વિના  નથી ચાલતું. તને ખબર છે ? હમણાં મારો જન્મદિવસ હતો એની આ લોકોને ન જાણે કેમ ખબર પડી ગઇ હતી. બધાએ ફૂલોનો બુકે બનાવીને .. કોઇએ સરસ લખાણ લખીને તો કોઇએ પોતાની અંગત વસ્તુમાંથી મને ભેટ આપીને મારો જન્મદિવસ ઉજવ્યો હતો. હું તો આનંદથી છલોછલ બની હતી. આ લોકોએ મને જે પ્રેમ આપ્યો છે તેનાથી હું સભર બની  છું. હવે તો અમે અહીં બધાનો જન્મ દિવસ જુદી જુદી રીતે ઉજવીએ  છીએ..મુખ્ય વસ્તુ એમનો જીવનમાંથી રસ ન ઊડી જાય અને નિરાશ બનીને બેસી ન રહે બસ એ જ તો હું કરું છું..અને કહ્યું છે કે બીજાને આપે છે એ ખુદ પણ એનાથી વંચિત નથી રહેતો. એમને માટે કશુંક કરવા જતા હું કેટલું બધું પામી રહી છું..એ વાતનો એહસાસ મને થતો રહે છે.

હું તેમની વાત સાંભળીને તેમને ધન્યવાદ આપી રહી. અહીં તો લોહીના  સંબંધથી તરછોડાયેલા લોકો  હતા..પણ આજે એક વ્યક્તિના થોડા પ્રયત્નોથી.. નવી દ્રષ્ટિથી અહીં બીજા કેટલા સંબંધોને કૂંપળ ફૂટતી હતી જોઇ મન પ્રસન્નતા અનુભવી રહ્યું.

આપણે પણ આવી કોઇ નવી દ્રષ્ટિથી વિચારતા શીખીશું ? તો કરવા જેવા કામોનો દુનિયામાં તૂટો નથી. આપોઆપ દેખાશે.. અને આપણે પોતે પણ વિકસતા રહીશું. બીજાને ફૂલો આપવા જતા  આપણૉ  પોતાનો હાથ આપોઆપ મહેકી રહે ને ?  

 ( published in stree magazine regularly) 

સંબંધસેતુ..

                                                                                                    એક મજાનો સેતુ..

 

 

 

તું એવી રીતે આ સંબંધને ભૂલી ગયો, વ્હાલા
કે જાણે પાણીની ઉપર હવાએ પગલા ના પાડ્યા !

 

 

 

ગિરાબહેનને  શૈશવથી સંગીતનો શોખ..ભગવાને ગળામાં કુદરતી મીઠાશ પણ ભરપૂર આપેલી. પરંતુ નાનકડું ગામ…અને ઘરમાં જૂનવાણી વાતાવરણ…એમાં દીકરીની જાતને એમ રાગડા તાણતા શીખવાની મોકળાશ કયાંથી મળે ? કોણ આપે ? સ્કૂલના કોઇ નાનકડા કાર્યક્રમમાં ગાવાની તક મળતી..અને ગિરા ખીલી ઉઠતી.

તારે ઘેર જ ઇને જે નખરા કરવા હોય તે કરજે..

કોલેજમાં જવાનો તો સવાલ જ ઉભો ન થયો. બારમું ધોરણ પાસ કર્યું ત્યાં તો  મા બાપે  સાપના આ ભારાના હાથ પીળા કરાવીને પોતાની જવાબદારી પૂરી કર્યાનો..ભાર હળવો કર્યાનો હાશકારો લીધો.

ગિરા પરણીને પોતાને ઘેર આવી. હવે તો ગિરા શહેરમાં અને પોતાને ઘેર આવી હતી.શૈશવથી શ્વસેલ સપના હવે જરૂર પૂરા થશે એવી એક આછી પાતળી આશા છાના ખૂણે બન્ધાઇ. પરંતુ થોડા સમયમાં જ ખબર પડી ગઇકે શહેર મોટું હોવાથી કોઇ ફરક નથી પડતો. ઘરમાં તો એ જ જૂનવાણી વાતાવરણ..એ જ રીતિરિવાજો..અને અહીં તો વહુની ભારેખમ પદવી. ઘરમાં સાસુએ ઘડેલ ચોક્કસ નીતિનિયમોના દાયરામાંથી ચસકી શકવાનો સવાલ જ નહોતો. શમણાં તો સળવળવાનું નામ પણ લઇ શકે તેમ નહોતા. પોતાના ઘરનો બધો યે ભ્રમ વરાળ થઇને ઉડી ગયો.

પતિ પાસે પણ મનના આગળિયા ખૂલવા ન પામ્યા.. અને વરસો વીતતા રહ્યા. હવે તો ગિરાને યાદ પણ નથી આવતું કે પોતાને ગાતા આવડે છે..કે પોતે ગાઇ શકે છે. જીવનની જંજાળમાં અટવાતી ગિરા…ગિરાબહેનના માથામાં સફેદી ડોકિયા કરવા લાગી હતી. મનમાં હતું કે દીકરી આવશે તો પોતે એને સંગીત જરૂર શીખડાવશે…પણ…એ ઇચ્છા યે અધૂરી જ રહી. બે દીકરાઓની માતા બની..ઘરમાં દીકરાની માનું ગૌરવ મળ્યું.

અને હવે બંને દીકરાઓના લગ્ન કરી દીધા હતા. મોટા દીકરાની નોકરી બીજા શહેરમાં હોવાથી તે લગ્ન કરીને દૂર ગયો. નાના દીકરો લગ્ન પછી પણ સાથે જ રહ્યો. હવે ગિરાબહેન વહુ મટી સાસુ થયા હતા.આર્થિક રીતે કોઇ પ્રશ્ન નહોતા. વહુ પણ સારી મળી હતી. ઘરનો બધો વહેવાર..જવાબદારી સાચવી લેતી હતી. ગિરાબહેન નવરા..સાવ નવરા ધૂપ બની ગયા. વહુએ ઘરમાં બ્યુટી પાર્લર ચાલુ કર્યું હતું. ઘરની અને પાર્લરની બંને જવાબદારી નિભાવવાની તેનામાં કુશળતા હતી. ગિરાબહેને એક દિવસ ડરતા ડરતા પતિ પાસે વાત મૂકી જોઇ…

મોકો જોઇને એક દિવસ ભીતરમાં સંતાયેલ શમણાં સળવળી ઉઠયા..

હવે મારી પાસે ઘણો સમય છે. અને મને સંગીતનો શોખ છે..હું સંગીતના કલાસમાં જાઉં ?

સંગીત ?આ વળી શું ભૂત ભરાયું છે ? આ ઉમરે વળી સંગીત ? લોકો શું કહેશે ? વહુ શું ધારશે ? અરે, દેવ દર્શને જા.. જોઇએ તો કોઇ મહિલામંડળમાં જા…રોજ સવાર સાંજ મંદિરે જતી જા..હવે ધરમધ્યાન કરવાના દિવસો છે. આ ઉમરે એવા કોઇ નવા નખરા..નવા ધખારા કરવાની કોઇ જરૂર નથી..આપણા ઘરમાં જે શોભતું હોય તે જ શોભે.

તે દિવસે તો વાત અટકી ગઇ. પણ ગિરાબહેન હવે હાર માનવાના મૂડમાં નહોતા. પતિને પોતે જરૂર સમજાવશે.અને ફરી એક દિવસ પતિ મૂડમાં લાગ્ય અત્યારે ગિરાબહેને વાત કાઢી.થોડી દલીલો પછી ન જાણે કેમ આજે પતિએ હ પાડી.

ઠીક છે..તને આટલું બધું  મન છે તો કર.

ગિરાબહેન રાજી રાજી.. પતિ આમ આટલી સહેલાઇથી માની જશે એવી કલ્પના નહોતી..પણ આજે કોઇ સારા મૂહુર્તે વાત થ હતી અને બધું પાર ઉતર્યું હતું. કાલે જ સંગીતકલાસમાં જ ઇ ફોર્મ  લઇ આવશે. પોતે બધી તપાસ કરી જ રાખી હતી.

પરંતુ બીજે દિવસે વહુને તાવ આવ્યો ને ગિરાબહેન જઇ ન શકયા. થોડા દિવસ તાવ ચાલ્યો.. ગિરાબહેનને થયું મોડા ભેગું મોડું..આમ વહુને તાવમાં મૂકીને થોડું જવાય ? ગિરાબહેન સંવેદનશીલ હતા. વહુની સેવા હસતા મોંએ કરતા રહ્યા..આટલા વરસો વહી ગયા તો આટલા દિવસોમાં શું ખાટું  મોળું થઇ જવાનું ?

પણ..ના..માનવીની બધી ધારણાઓ એમ સાચી કયાં  નીવડતી હોય છે ? થોડા દિવસોમાં તો કેટકેટલી ઉથલપાથલ માનવજીવનમાં સર્જાઇ શકે છે એનો અનુભવ સમય અનેકવાર કરાવતો જ રહે છે ને ?

વહુનો તાવ ઉતર્યો ત્યાં જ..ગિરાબહેનના પતિ અચાનક સાવ સાજા નરવા સૂતા હતા..તે  ઉંઘમાં જ મોટું ગામતરું કરી ગયા. અને ગિરાબહેન પર વૈધવ્યનો બોજ ખડકાઇ ગયો.

બે મહિના સુધી તો આઘાતની કળ પણ ન વળી શકી..આઅચાનક શું થ ઇ ગયું ?

સગાવહાલાઓથી ઘર ઉભરાતું રહ્યું.

સમય કદી થોભતો નથી. ધીમે ધીમે બધા ફરી એકવાર પોતાના રુટિનમાં ગોઠવાતા ગયા. કોઇન અજવાથી જીવન અટકી નથી જતું.જેના વિના નહીં જ જીવી શકય એવુઍં લાગતું હોય તેના ગયા પછી પઁઅ જીવન ચાલતું જ રહે છે. અને ચાલવું જ જોઇએ.

 

સમયની સાથે ગિરાબહેન પણ થોડા સ્વસ્થ થયા. પણ હવે શું કરવું ? જીવનમાં અચાનક ઉભરાઇ આવેલ ખાલીપ હવે કેમ ભરવો ?

બધા દેવદર્શન કરવાની..ભગવાનમાં જીવ પરોવવાની સલાહ ..સૂચનાઓ આપતા રહ્યા. પણ એમ કોઇના કહેવાથી  શું થઇ શકે છે ?

ગિરાબહેનને ફરી એકવાર સંગીતના કલાસ યાદ આવ્યા. પતિએ તો હા પણપાડી હતી.પરંતુ હવે જો આ વાત કોઇને કહે તો બધા એમ જ કહેને કે પતિને નામે ચરી ખાય છે. હવે પતિ કયાં રોકવા આવવાનો છે ? બાકી તેને ઓળખતા લોકો કોઇ સ્વીકારવ અતૈયાર ન જ થાય કે તેમણે હા પાડી હતી..

હવે વર નથી..એટલે ફાવ એતેમ ભટકવાની છૂટ મળી છે..કુટુંબમં તો બધા એમ જ વિચારવાના હતા..એનાથી ગિરાબહેન અજાણ નહોતા જ.

સેવાપૂજામાં ધ્યાન પરોવવાનો પ્રયત્ન કર્યો..વિશ્ણુસહશ્ત્ર નામ લેતા લેતા તુલસીપત્ર ચડાવતા રહ્યા..ભજનો ગાતા રહ્યા. બસ…એમ જ સમય પસાર કરતા રહ્યા.

ત્યાં એકવાર તેમને ભજન ગાતા સાંભળી તેમની વહુ..ધરા કહે,

મમ્મી, તમે સરસ ગાવ છો..તમારા ગળામાં કેવી મીઠાશ છે..તમે થોડી પધ્ધતિસરની તાલીમ લો તો ?

ગિરાબહેન આશ્વ્રયથી ધરા સામે  જોઇ રહ્યા.

ધરાએ કહ્યું,

મમ્મી, સાવ સાચું કહું છું..તમે કોઇ સંગીતકલાસ જોઇન કરી લો..તમને ઘણું શીખવા મળશે…અને તમારો સમય સરસ પસાર થશે. સંગીતજેવું વરદાન તો બીજું એકે નથી.

પણ…લોકો…’

ગિરાબહેન બોલવા ગયા

મમ્મી.લોકોની ચિંતા છોડો..જેને બોલવું હશે તે બે ચાર દિવસ બોલશે..આપણે એ સાંભળવાની કોઇ જરૂર નથી..આપણી જિંદગી આપણી રીતે જીવવાનો દરેકને હક્ક છે. અને તમે કયાં કશું  ખોટું કરો છો ? શીખવા માટે કોઇ ઉમર નથી હોતી.

આ તો પોતાના જ મનની વાત…

અને અઠવાડિયામાં જ ગિરાબહેનના સંગીતકલસ ચાલુ થ ઇ ગયા. ગિરાબહેન વહુને અંતરના આશીર્વાદ આપી રહ્યા.

આજે તો આ  વાતને દસ વરસ વીતી ચૂકયા છે. ગિરાબહેન આજે પોતે સંગીતના કલાસ શરૂ કર્યા છે. અને તેમાં સૌથી પહેલી શિષ્યા છે તેમની વહાલી નાનક્ડી  પૌત્રી. એક જીવન સભર બનીને છલકી ઉઠયું છે. એક વહુએ સાસુની જીવનને ચેતનાથી ભરી દીધું..અને બીજાના જીવનમાં ખુશી ભરી શકનાર કયારેય પોતે તેનાથી વંચિત રહી શકે ખરું ?

કોણ કહે છે..સ્ત્રી..જ સ્ત્રીની દુશ્મન છે ?

સંબન્ધનો કેવો મજાનો સેતુ..અને તે પણ બે સ્ત્રીઓ વચ્ચે..સાસુ ..વહુ વચ્ચે…

શીર્ષક પંક્તિ… વિવેક  ટેલર

 ( સ્ત્રી સાપ્તાહિકમાં નિયમિત પ્રકાશિત થતી શ્રેણી ) 

સંબંધસેતુ..

                                                                                 વાત  નવતર સંબંધોની .. 

  મારામાં રોજ રોજ મોતી બન્ધાય છે

    એવી છે મારી એક છાનેરી છીપ

 

મહેલ હોય કે ઝૂંપડી..શ્રીમંત હોય કે ગરીબ, સંબંધોનું પોત તો બધે સરખું જ હોવાનું.  શ્રીમંતના દિલમાં લાગણી વધારે હોય અને ગરીબના હૈયામાં ઓછી હોય એવું નથી હોતું. બલ્કે કયારેક તેથી ઉલટું હોઇ શકે. શ્રીમંતો મોટે ભાગે ( અપવાદ તો દરેક જગ્યાએ હોવાના જ. ) સંબન્ધોને પૈસાને ત્રાજવે તોલતા હોય છે. દરેક સંબંધને મૂલવવાની તેની રીત અલગ હોય છે. મોટેભાગે એવું જોવા મળતું હોય છે કે કોઇ અમીર વ્યક્તિને ઘેર જાવ તો તમારું સ્ટેટસ કેવું છે..તમે હીરા મોતીના ઘરેણાં કેવા પહેર્યા છે..કપડાં કેવા પહેર્યા કે કઇ ગાડી લઇને આવ્યા છો કે તેમને માટે શું લઇને ગયા છો…એ બધા પરથી તમારી કિંમત નક્કી થાય છે અને એ મુજબ જ તમારી આગતા સ્વાગતા થાય છે. પણ આજે તો મારે વાત કરવી છે  દિલની અમીરાતની…ઝૂંપડીમાં ઝળહળતી માનવતાની..

 

ઘણાં વરસ પહેલા અમારે ઘેર એક બેન કામ કરવા આવતા હતા. તેનું નામ સવિતા હતું. સવિતાનો  પતિ છૂટક મજૂરીએ જતો હતો અને પોતે  ઘરકામ કરતાં હતાં. તેમને એક દીકરો અને એક દીકરી હતા. સવિતા  ખૂબ પ્રામાણિક, ચોખ્ખી અને સંસ્કારી હતી. તેના કામમાં કયારેય કશું કહેવાપણુ હોય નહીં.  અમારા ઘરની એક ચાવી હમેશા તેની પાસે રહેતી. એટલી વિશ્વાસુ.  અમારે ઘેર આખો દિવસ સવારથી સાંજ રહેતી. કદાચ અમારું ઘર સવિતા ઉપર જ આધારિત બની ગયું હતું. એમ કહું તો જરાયે અતિશયોક્તિ નહીં કહેવાય.

તેની દીકરી દસ વરસની હતી. અને દીકરો બાર વરસનો.  સ્વાભાવિક રીતે જ બંને બાળકો મ્યુનીસીપાલીટીની શાળાએ ભણતા હતા.કયારેક રવિવારે અમારે ઘેર પણ આવે. હું હમેશા જોતી કે સવિતા દીકરીને વધારે લાડ કરે છે. ગમે તે વસ્તુ આપીએ એટલે પહેલા દીકરીનો ભાગ જ હોય. પછી જ દીકરાનો વારો આવે. દીકરીને શક્ય  તેટલા સારા કપડાં પહેરાવે..દીકરી પણ ખૂબ પ્રેમાળ હતી. ભાઇ બહેન વચ્ચે ખૂબ સંપ હતો. કયારેક ઝગડે તો સવિતા દીકરાને જ ખીજાતી. દીકરી વહાલનો દરિયો કહેવાય કે એવી કોઇ જાણ તેને નહોતી..પરંતુ દીકરી પ્રત્યે દરિયા જેટલું વહાલ તેના વર્તનમાં ઘૂઘવતું રહેતું.મને કયારેક નવાઇ લાગતી.સામાન્ય રીતે આ લોકો દીકરાને જ વધારે મહત્વ આપતા હોય છે એવું ઘણાં અનુભવોમાં મેં જોયું હતું. પણ સવિતા દીકરીનો વધારે ખ્યાલ રાખતી હતી એવું મને ઘણીવાર લાગતું હતું.

 એકવાર કંઇક વાત નીકળતા મેં તેને કહ્યું, ’ સવિતા, તારો દીકરો એકદમ તારા જેવો જ દેખાય છે. દીકરી સાવ જુદી દેખાય છે. નથી મા જેવી દેખાતી કે નથી તેના બાપ જેવી.

સવિતાએ ધીમેથી જવાબ આપ્યો,’ ના, બેન, એકદમ એના બાપ ઉપર ગઇ છે. ‘

મેં કહ્યું,’ ના રે, એના બાપને મેં જોયો છે હોં. એ તો એકદમ કાળો છે. ને આ તો રૂના ઢગલા જેવી.’’ મેં હસતા હસતા કહ્યું.

’ બેન. તમે એના બાપને જોયો નથી. એનો બાપ પણ આવો જ રૂપાળો હતો. ‘

’ કોણે કહ્યું મેં નથી જોયો.? રવિવારે આપણે ઘેર બગીચાનું કામ કરવા તો આવે છે. ‘

’ બેન એ મારો વર આવે છે. આનો બાપ નહીં.’

’એટલે ? ‘ હવે મને સમજાયું નહીં.

’બેન, આ છોકરી મારી નથી..’

હું પ્રશ્નભરી નજરે એને જોઇ રહી.

હવે સવિતાએ માંડીને વાત કરી.

’ આમ તો હું કયારેય કોઇને કહેતી નથી. પણ તમારી હારે મન મળી ગયું છે. એટલે પેટછૂટી વાત કરું છું. આ છોકરીના મા ને બાપ અમારી બાજુમાં જ નાનકડી ઝૂંપડીમાં  રહેતા હતા. શાકની રેકડી ફેરવતા હતા. આ છોકરી તેમની સાત ખોટની હતી. એક જ દીકરી હતી. દીકરીને રેકડીમાં નીચે કપડાનું પારણુ બાંધીને એમાં સૂવડાવીને ભેગી લઇ જાય. મા ગીત ગાતી જાય અને શાક વેચતી જાય.

એક દિવસ અચાનક એક કાળમુખા ટૃકે રેકડીને હડફેટમાં લઇ લીધી. મા અને બાપ બંને ત્યાં જ મરી ગયા. અને આ નાનકડી છોકરી બચી ગઇ. દૂર ફેંકાઇ ગઇ. પણ બેન, રામ રાખે તેને કોણ ચાખે ? આ ફૂલ બચી ગયું. પણ મા ને બાપ વિનાનું. તેમના સગામાં પણ એવું કોઇ નહોતું. હવે આ આવડી અમથી છોકરીને કયાં મૂકવી ? કોઇએ કહ્યું કે અનાથાશ્રમમાં અનાથ છોકરાઓને રાખે છે. આને પણ ત્યાં મૂકી આવો.

પણ બેન, મારો જીવ ન ચાલ્યો. તેની મા મારી બહેનપણી હતી. હવે ચાલી ગઇ તો એની છોકરીને હું અનાથ કેમ થવા દઉં ? આપણે સાવ માણસાઇમાંથી જઇએ ? એટલે પછી અમે જ એને દીકરી કરીને રાખી લીધી. મોટી કરી..અને જે આછું પાતળુ મળે છે તેમાં તેનો પણ સમાવેશ થઇ જાય છે. તેને તો ખબર પણ નથી કે તેને મેં જનમ નથી આપ્યો. અમારા નશીબમાં આ દીકરી ભગવાને લખી હશે. મેં તેને જનમ ભલે નથી આપ્યો.તો યે હું એની મા તો છું જ.હું એને   મારા પેટની દીકરીથી વધારે સાચવું છું. જોકે અમે તો હવે ભૂલી પણ ગયા છીએ કે આ અમારી દીકરી નથી. કંઇ જનમ આપીએ તો જ પોતાની કહેવાય એવું થોડું છે ?’

કેટલી મોટી વાત કરી નાખી સવિતાએ..અને તે પણ બિલકુલ સજહતાથી…જનમ આપવાથી દેવકી મા થવાય. પણ સવિતા તો યશોદામા બની હતી. અને યશોદાનું માતૃત્વ દેવકીથી ઉતરતું  થોડું જ હતું ?

આ કયો સંબંધ હતો ? કોઇ મોટી મોટી વાતો નહીં. કશું કર્યું છે એવું કોઇ ભાન નહીં. બહેનપણીની દીકરીને આ ગરીબ બાઇએ કેવી સહજતાથી અપનાવી લીધી હતી.એની જગ્યાએ કોઇ શ્રીમંત સ્ત્રી હોત તો ? એની કોઇ બહેનપણીના બાળકની જવાબદારી એ લઇ શકે ખરી ?  એવી વેઠ કે લપમાંએ પડે જ નહીં. બહું થાય તો કોઇ અનાથાશ્રમમાં મૂકી આવે. એનાથી વધારે અમીરી એ દાખવી ન શકે. જયારે આ ગરીબ સવિતાને તો પૈસાનો..ખર્ચનો એવો કોઇ વિચાર સુધ્ધાં નથી આવ્યો. અડધામાંથી અડધો આપવાની આપણી સંસ્કૃતિ આવા લોકોથી જ ઉજાગર છે એવું નથી લાગતું ? વગર કહ્યે..એ સંબંધો જાળવી જાણે છે. કોઇ ચર્ચાઓની એને જરૂર નથી. સવિતાના દિલની ગરિમાને હું મનોમન નમી રહી. આની જગ્યાએ હું પોતે હોત તો પણ કાયમ કોઇને ઘરમાં રાખીને જવાબદારી ન જ લઇ શકી હોત. કોઇને પૈસા આપી દેવા કે કોઇ સંસ્થાઓમાં ફંડફાળા આપી દેવા બહું આસાન વાત છે. પણ વગર કહ્યે સંબંધો જાળવીને એનું જતન તો સવિતા જેવી સામાન્ય સ્ત્રી જ કરી શકે. આપણા મોટા લોકોનું એ ગજુ નહીં. આપણે તો આપણા પોતાના સગાઓના સંબંધો પણ કયાં જાળવી શકીએ છીએ ? એમાં પણ બે વ્યક્તિ વચ્ચે દીવાલો જ ઉભી કરીએ છીએ ને ?આપણે સૌ સંબંધો વિશે મોટી મોટી વાતો કરી શકીએ..લખી કે વાંચી શકીએ..જયારે આવા મુઠ્ઠીભર લોકો સંબંધને ઉજાળે છે..સમાજને ઉજાળે છે અને સાર્થક કરી જાય છે.

 ( published in stree as regular column )