ચપટી ઉજાસ.. 163
મારી પ્રાર્થના
અંતે મેં બી.એસ.સી.માં એડમીશન લીધું . એનો અફસોસ છે અને નથી.. ઘરમાં મારે લીધે કોઇ પ્રોબ્લેમ ..કોઇ ઝગડો નથી થયો એથી હું ખુશ છું. કોલેજ શરૂ થઇ ચૂકી છે. નવું વાતાવરણ..નવા મિત્રો..નવા પુસ્તકો.. ધીમે ધીમે હું ગોઠવાતી જાઉં છું. બધાને નવાઇ લાગે છે કે આટલા માર્કસ છતાં હું બીજી કોઇ બ્રાંચમાં જવાને બદલે અહીં આ કોલેજમાં આવી છું. બધા પૂછે છે.. કયારેક હું હસીને જવાબ ટાળી દઉં છું..તો કયારેક એકાદ બે શબ્દોમાં જવાબ આપી દઉં છું..મને ફીઝીકસમાં રસ હતો. મારે એમાં આગળ પી.એચ. .ડી. કરવું છે. મારે તો ગમે તેમ કરીને બધાની જિજ્ઞાસા શાંત કરવાની હતી.
કોલેજેથી સીધા ઘેર આવવાનું છે..કોલેજમાં કોઇ છોકરાઓ સાથે બોલવું નહીં.. મસ્તી કરવી નહીં.. આવી અનેક કડક સૂચનાઓ મને શરૂઆતથી જ મળી ચૂકી હતી. અને નહીંતર મારી કોલેજ અડધેથી પણ બંધ કરી દેવામાં આવશે..એવી ધમકી પણ દાદીમા આપી ચૂકયા હતા. પણ મને એવી કોઇ સૂચનાઓની જરૂર જ નહોતી. મને આમ પણ એવી કોઇ ફાલતુ ચીજોમાં રસ જ કયાં હતો ?
સમય વીતતો રહ્યો હતો. દાદીમાની તબિયત હવે પહેલા જેવી નહોતી રહેતી. ઉમરનો પ્રભાવ દેખાવા લાગ્યો હતો. પણ એ ફકત શરીર પર. બાકી તેમના વર્તનમાં..સ્વભાવમાં કોઇ ફરક નથી પડયો. પણ રોજ એક કે બીજે બહાને તે ઉમંગી ફૈબાને અચૂક યાદ કરતા રહે છે. નામ તો નથી બોલતા પણ અંદરથી એ ફૈબાને ઝંખે છે એવું મને હમેશા લાગ્યું છે. જોકે તેમ છતાં મને એ પણ ખાત્રી છે કે આજે પણ ફૈબા આવે તો એ એમને માફ કરી શકે તેમ નથી જ. અસદ અંક્લને સ્વીકારી શકે એમ નથી જ. જીવનમાં અમુક વાતોના મૂળ એટલા તો ઉંડે ધરબાયા હોય છે કે સમજીએ..ધારીએ તો પણ એને ઉખેડી શકાતા નથી હોતા. હિન્દુ મુસ્લીમ વચ્ચેના વૈમનસ્યના આ બીજ એવા તો ઉંડે જડ નાખી ગયા છે કે એને ઉખેડીને ફેંકી દેવા અઘરા નહીં અશકય જ બની રહ્યા છે. ખેર!
કુંજકાકા કહે છે.. ગ્રેજયુએટ થઇને અહીં આગળ ભણવા આવી જજે. તેમણે તો અત્યારે પણ આવવા માટે કહ્યું હતું. પણ મને કોણ જવા દે ? મારા જીવનનો આગલો મોડ..હવે પછીનો પડાવ કયો હશે..કેવો હશે એની પણ મને જાણ નથી. જે સમય આવશે એને સારી રીતે જીવવાનો પ્રયત્ન કરીશ.. બસ..એ જ એક શ્રધ્ધા મનમાં લઇને હું આગળ વધતી રહું છું . જીવનના પહેલા દસ વરસોમાં ઉમંગી ફૈબા મને ઘણું શીખવાડી ગયા છે. તેમણે મને અંદરથી સમૃધ્ધ કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે અને એ નિષ્ફળ જાય એ મને ગમે તેમ નથી. મારી નિષ્ફળતા એ ફૈબાની નિષ્ફળતા બની રહે.. જેમને મેં હમેશા મારા જીવનનો આદર્શ માન્યા છે એ ફૈબા નિષ્ફળ જાય એ મારાથી કોઇ રીતે સહન થાય તેમ નથી.
મનમાં આવા કોઇ વિચાર..આવી ધૂન ચાલતી રહે છે. અને હું બીજી બધી વાતોમાંથી .. ઘરમાંથી મારું ધ્યાન હટાવીને ભણવામાં ચિત્ત પરોવતી રહું છું.
હમણાં થોડા દિવસ પહેલા સ્વરા માસી આવેલા. સ્વરા માસીના લગ્ન અમેરિકામાં થયા હતા. પણ તેમની સાથે છેતરપિંડી થયેલી. છોકરો ત્યાં પહેલેથી જ પરણેલો હતો. અને ઘણું સહન કર્યા બાદ અંતે સ્વરા માસી પાછા અહીં આવી ગયા હતા. આવીને અહીં ફરીથી ભણવાનું શરૂ કર્યું હતું. હિમત હાર્યા સિવાય આગળ ભણતા રહ્યા. પી.એચ. .ડી. કરીને એક કોલેજમાં હવે પ્રોફેસર થયા હતા. કોલેજના કવાર્ટરમાં એકલા રહેતા હતા. ખૂબ ખુશ હતા. કોઇની સાથે કાયમ રહીને તેમના ઓશિયાળા બની રહેવું તેમને પસંદ નહોતું.
મારી આસપાસ બનતા જાતજાતના અનુભવોમાંથી હું કશુંક શીખતી રહું છું. સ્વામી વિવેકાનંદના પુસ્તકો મને બેહદ પ્રિય છે. જેટલી વાર વાંચુ છું એટલીવાર કંઇક નવું પામતી હોઉં એવું અનુભવાય છે. એમ તો શ્રી ટાગોરે પણ કંઇ મને ઓછી નથી આકર્ષી.. હમણાં કયારેક દાદીમાને રામાયણ..ભાગવત પણ વાંચી સંભળાવું છું. ઇશ્વર જે કરે એ સારા માટે..એવું માનવી બોલતો રહે છે.કહેતો કે લખતો રહે છે. પણ સાચા દિલથી એ પોતે એ વાત સ્વીકારી કયાં શકે છે ? જો ખરેખર દિલથી એ એવું સ્વીકારી શકતો હોય ..માની શકતો હોય તો પછી જીવનમાં દુખને કે કોઇ ફરિયાદને સ્થાન જ કયાં રહ્યું ? પણ જીવનના સમીકરણો એમ સહેલાઇથી બેલેન્સ નથી થતા હોતા.. મોહ, માયા, મમતાના પડળ..વિવિધ લાગણીઓના ઝરણા જીવનને જુદા જુદા મોડ આપતા રહે છે. અને માનવી એમાં અટવાતો રહે છે. એની શ્રધ્ધા વધતી ઘટતી રહે છે. એમાં ભરતી ઓટ આવતા રહે છે.
કદાચ જીવનની મજા પણ એમાં જ હશે..નહીંતર જીવન એકધારું..નીરસ જ બની જાત ને ?
કયારેક મનમાં થાય છે ફૈબા કયાં હશે ? શું કરતા હશે ? મને યાદ કરતા હશે ? જવાબ હું જ આપું છું.. ફૈબા મને ભૂલી ગયા છે એવું ખુદ ફૈબા કહે ને તો યે હું ન માનું..મારા આ વિશ્વાસને દસ વરસના જાત અનુભવનું પીઠબળ છે. બસ મારા વહાલા ફૈબા જયાં હોય ત્યાં ખુશ રહે.. એ પ્રાર્થના અંતરમાંથી આપોઆપ સરી રહે છે.
અને છતાં આ પળે મને જાણ નથી કે ફૈબા કયાં છે
( published in jansatta..lokasatta on every sunday )