પૂ. મમ્મી,
બત્રીસલક્ષણો….!
” પેટીઓ જરીક ખોલતાં જ પિયરીયું છલકાયું
કોડ ભરેલું ત્રાંબા બેડું પાણિયારે મલકાયું
રહી રહી પડઘાય ઉંડાણે સહિયરોનું ગાણું ”
તમારા પત્રની એક વાત મને બહું સ્પર્શી ગઇ. દીકરાને બે વાર નથી જનમવું પડતું. જયારે દીકરીને બે વાર..કે તમારા કહેવા મુજબ ત્રણ વાર જનમવાનું હોય છે. અને હું તો આગળ વધીને એમ પણ કહીશ કે એણે ઓછામાં ઓછી ત્રણ વાર તો પોતાની જાતને અચૂક સાબિત કરવી જ રહીને ? સ્ત્રી પાસે કોઇ પણ વાતની સાબિતી..પુરાવા માગવાની આપણી પ્રથા તો સદીઓ જૂની ને ?
પહેલા જન્મ વખતની તો કોઇ વાતનું મને સ્મરણ ન હોય એ સ્વાભાવિક છે. પરંતુ આ બીજા જન્મની તો હું આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહી છું. ઘરમાં બધા મારી મસ્તી પણ કરે છે કે ઘર અને મમ્મીને છોડીને જવાની બહું ઉતાવળ આવી ગઇ છે કે શું ? હું મારી જાતને નસીબદાર માનું છું કે મારા મનની એ આતુરતાને કે અધીરતાને મારા થનાર સાસુ સમક્ષ વ્યક્ત કરી શકું છું.
તમારા પત્રમાં વિમલભાઇની વાત વાંચી ખૂબ સારું લાગ્યું. આવા સંબંધો પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. એ આપણા બદલાતા સમાજનું પ્રતિબિંબ નથી ?
મને જાણ હતી જ કે તમે એ પુસ્તક જરૂર વાંચ્યું જ હશે. અને તમને પણ મારી જેમ એ ગમ્યું છે એ જાણી વધારે આનંદ થયો.
મમ્મી, હમણાં નિદા ફાઝલીનો એક શેર વાંચ્યો..મને બહું ગમી ગયો.
“ આખું આકાશ કયારેય આંખમાં આવતું નથી. કભી કિસીકો મુક્કમલ જહાં નહીં મિલતા..”
કોઇ પણ વ્યક્તિ સર્વગુણસંપન્ન ન જ હોય..એવું આપણે સૌ કહેતા રહીએ છીએ. જો દિલથી એ વાત માનતા હોઇએ..સમજતા અને સ્વીકારતા હોઇએ તો પછી કોઇની અણગમતી વાત, એકાદ અવગુણ ..એકાદ અણગમતી આદત પ્રત્યે આપણે સૌ આટલા બધા અસહિષ્ણુ કેમ બની જતા હોઇએ છીએ ? જરાક કોઇની ભૂલ દેખાય એટલે આપણું મન તુરત કયારેક દંડો તો કદીક ત્રાજવું હાથમાં લેવા તત્પર બની જાય છે. અન્યની ભૂલ આડે આંખ આડા કાન કરવાની વાત આપણને જાણે આવડતી જ નથી. દરેક વ્યક્તિ પોતપોતાનો “ હું “ લઇને જ ઘૂમી રહ્યા હોય છે. “હું”ની પોટલી માથેથી ઉતારવી સહેલી નથી જ ને ?
એમાં પણ સાસુ, વહુ તો જાણે હાથમાં સતત બિલોરી કાચ લઇને જ ફરતા હોય છે. કોઇ એકાદ અવગુણ ઝપટમાં આવી જાય એટલી જ વાર…એને બિલોરી કાચ વડે મોટૉ કરીને, મીઠું, મરચું ઉમેરીને પતિ કે પુત્ર પાસે કે પછી કોઇ અન્ય પાસે જલદી ઠાલવી દેવાની તક જ શોધતા રહેતા હોય છે.
મમ્મી, એવું ન થઇ શકે કે દરેક વ્યક્તિના સમગ્ર અસ્તિત્વ સાથે બધાએ નિસ્બત રાખવાની જરૂર જ નથી ? જેનું જે પાસું..જે વાત ન ગમતી
હોય તેની ઉપેક્ષા ન કરી શકાય ? જે પાસા સાથે આપણને કોઇ સંબંધ નથી એના પ્રત્યે ધ્યાન દેવાની..કોઇ જરૂર ખરી ? દરેક વ્યક્તિમાં એકાદ તો સારી વાત હોવાની જ ને ? એ તરફ જ જો દ્રષ્ટિ રાખીએ તો ? દરેક વખતે બીજાના અવગુણ જ શોધતા રહેવાની સહજ વૃતિ આપણા સૌમાં વત્તે ઓછે અંશે હોવાની જ.
કોઇ પણ સાસુને બત્રીસલક્ષણી વહુ જ ખપે છે. અને વહુને પણ એથી ઉતરતી સાસુ શા માટે જોઇએ ?
હકીકતે બત્રીસ લક્ષણ એટલે શું ? કયા કયા ? એની જાણ પણ કેટલાને હોય છે ? આમ તો મને યે ફકત આ શબ્દની જ ખબર હતી. પરંતુ થોડાં સમય પહેલા આ બત્રીસલક્ષણો વિશે કયાંક વાંચ્યું..વાંચવાની તો મજા આવી..પરંતુ બાપ રે..! મને તો કલ્પના પણ નહોતી કે બત્રીસ લક્ષણો આવા હોય. અને આવા બત્રીસ લક્ષણ વાળી વ્યક્તિ હકીકતમાં હોઇ શકે ખરી ? એવો પ્રશ્ન પણ મારા મનમાં જરૂર ઉઠયો. તમે તો કદાચ વાંચ્યા જ હશે. છતાં મને લખવાની મજા આવે છે..એટલે લખું છું. આ તો મેં વાંચેલા બત્રીસ લક્ષણો છે..તમે કોઇ જુદા તો નથી વાંચ્યાને ? તો તો બંને મળીને ચોસઠ થવાના હોં…! મારી ડાયરીમાં મેં ઉતારી લીધેલા એ બત્રીસ લક્ષણો.. આ રહ્યા..અલબત્ત એ ડાયરીમાં જ રહેવાના..જીવનમાં આટલા બધા ગુણો આવી જાય તો તો કદાચ આપણે માનવમાંથી દેવની કક્ષાએ પહોંચી જઇએ.. બરાબર ને ?
1…સ્વમાન, ધીરજ, વાકપટુતા, ક્ષમા અને સત્ય… આ પાંચ લક્ષણ પુરૂષના લક્ષણ ગણાયા છે. ( અહીં પણ પુરૂષ શબ્દ જ વપરાયેલો છે હોં..સ્ત્રીનું તોકયાંય નામોનિશાન નથી )
2 ચપળતા, અલ્પ નિદ્રા, સાહસ, વફાદારી,( કૃતજ્ઞતા ) સ્વામીભક્તિ અને તુરત સમજી જવું….આ છ લક્ષણ કૂતરાના ગણાયા છે.
3 મધુર વાણી, આકર્ષક દેખાવ, ઉચ્ચ સ્થાને રહેવુ, સુઘડતા..યુક્તિ,પ્રયુક્તિ જાણવી, મગજ શાંત રાખવું, શત્રુને હણવા,..આ સાત ગુણ પક્ષીઓના રાજા મોરના ગણાયા છે.
4
વહેલા ઉઠવું, યુધ્ધમાં અડગતા, પરિવારનુ પોષણ, પોતાની સ્ત્રી પર પ્રીતિ રાખવી,..આ ચાર ગુણ કૂકડાના ગણાયા છે. ( કૂકડો પોતાની પત્ની પ્રત્યે સૌથી વધારે પ્રેમ રાખે છે ? આનો અર્થ એવો થયો ? )
5
સખત મહેનત કરવી, દુ:ખને ગણકારવુ નહી, સંતોષી રહેવું,…..આ ત્રણ ગુણ ગધેડાના ગણાયા છે. આપણે ઘણીવાર કોઇને કહેતા હોઇએ છીએ કે સાવ ગધેડા જેવો છે. ત્યારે પણ તેનામાં આ ત્રણ ગુણ તો છે જ..એ આપણે કબૂલ કરીએ છીએ ને ?
6
ચંચળતા..અવિશ્વાસ ( જલદી કોઇ પર વિશ્વાસ ન કરવો ). લાજ શરમ રાખવી, સમયની કસોટીમાથી બહાર ઉતરવુ, પોતાની જાતિ સાથે જ રહેવું… આ પાંચ ગુણ કાગડાના ગણાયા છે. આપણે કોઇને કાગડા જેવો છે એમ પણ કહેતા જ હોઇએ છીએ ને ? એ કયા અર્થમાં કહેતા હશું ? એ પ્રશ્ન વિચારવા લાયક ગણાય કે નહીં ?
7
એકાગ્રતા..આ એક લક્ષણ બગલાનું ગણાયું છે. મમ્મી, મેં કોઇ પાસેથી બગ ભગત એવો શબ્દ સાંભળ્યો છે. તો એનો અર્થ આની સાથે તો બંધબેસતો કેમ નથી ?
અને સૌથી છેલ્લે…પરાક્રમ…એ એક લક્ષણ સિંહનું ગણાયું છે. જંગલના રાજા સિંહમાં તો બસ ફકત એક જ ગુણ..? …
મમ્મી, આવા બત્રીસ ગુણવાળી વ્યક્તિ કોઇ હોઇ શકે ખરી ? આપણા બંનેના શબ્દકોશમાંથી તો આ શબ્દ આપણે કાઢી જ નાખીશું ? જેથી એને શોધવાની ઝંઝટમાં જ ન પડાય…આમ તો બધાએ પોતાના અંગત શબ્દકોશમાંથી તો કાઢી જ નાખવો જોઇએ. એવું નથી લાગતું ?
જોકે આ લખતા લખતા હું તો હસતી જાઉં છું.
ત્યાં આવું ત્યારે કોઇ વહેવાર માટે નહીં..( અલબત્ત એ કારણની પણ સાવ અવગણના કેમ થઇ શકે ? )પરંતુ દિલથી તમારે માટે કશુંક..તમને ગમે તેવું લાવવાની ઇચ્છા થાય છે. અને મને જાણ છે કે હું સોનાની વસ્તુ લાવીશ એના કરતાં પણ કોઇ સારા પુસ્તક લાવીશ તો તમને વધારે આનંદ થવાનો. તમારી પુસ્તકપ્રીતિથી અમે કોઇ કયાં અજાણ છીએ ?
અંજનાબહેનની વાત વાંચી. વહુ ખરેખર એવી કોઇ ગણતરીથી એવું કરતી હોય તો એ સારી વાત નથી જ. પરંતુ ખરેખર એવું છે કે હકીકતે વહુ પોતાની મમ્મી માટે લાવી એ ન ગમવાથી અંજનાબહેન આવી રીતે વિચારે છે ? પહેલાં એ પૂરી તટસ્થતાથી જોવું જોઇએ એમ મને તો લાગે છે. કયારેક વહુને શંકાનો લાભ પણ આપવો જ જોઇએ ને ?
બાકી કોઇ પણ દીકરીને પોતાની મમ્મી માટે લેવાની હોંશ હોય એ સ્વાભાવિક નથી ?
અમારી જ બાજુમાં તરલાબહેન રહે છે. તેમની દીકરી તેમના માટે કશુંકલાવે ત્યારે હોંશથી બતાવી જાય.
.’ મારી રચના મારે માટે લાવી છે. એ કશુંક નવું જુએ એટલે એને તુરત મમ્મી યાદ આવી જ જાય..કે આ તો મારી મમ્મીને ખૂબ ગમે.અને મારે માટે લઇને જ રહે. ‘
હવે એ જ તરલાબહેન તેમની વહુ તેની મમ્મી માટે કશુંક લાવે ત્યારે..
’ એની મા માટે લાવી..જો મને પૂછયું પણ ખરું ? આવું તો ન જાણે કેટલું યે પિયર ભેગું કરતી હશે કોને ખબર છે ? અને પાછું બધું છાનુમાનું…જાણે આપણને તો કંઇ ખબર જ નહીં પડે..મને તો બધી ખબર પડી જ જાય..’
આવા ડબલ ધોરણો શા માટે ? એક વહુએ પોતાની મમ્મી માટે કશું લેવું હોય તો છૂપાવવું શા માટે પડે ? હોંશથી બધાને કહીને લાવી કેમ ન શકે ? આપણો સમાજ એટલો ઉદાર પણ ન બની શકે ? અને વાંધો મોટે ભાગે સાસુઓને જ હોય છે. એટલેકે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે..એ સત્યને..એ મેણાને એ શા માટે પૂરવાર કરી રહી છે ?
તરલાબેન જો વાંધો ન લેતા હોતો તો તેની વહુ તેને હોંશથી બતાવી જ શકે ને ? એક જ ઘરમાં પૂરી પારદર્શકતા હોવી ન જોઇએ ? જમાઇ લાવે તો તે બહું સારો ગણાય..પણ પોતાનો દીકરો પણ કોઇનો જમાઇ છે જ એ વાત કેવી સિફતથી ભૂલી જવાતી હોય છે ? તો દીકરો સાસરાવાળાનો થઇ ગયો એવા તાણા મરાતા હોય છે. લગ્ન વખતે કહેતા હોય છે કે અમે તો દીકરો આપીને દીકરી લીધી..પરંતુ એ બધું તો ફકત બોલવા ખાતર જ બોલાતું હોય છે.એવું મને તો લાગે છે.જમાઇ સારો જોઇએ છે..પણ પોતાનો દીકરો સારો જમાઇ બને એ મંજૂર નથી. મમ્મી , લખતી વખતે હું બિલકુલ ભૂલી જાઉં છું કે હું કોને લખું છું…મનમાં ઉઠતી દરેક વાત અનાયાસે..બિલકુલ સહજતાથી શબ્દોમાં ઉતરતી આવે છે. શરૂ કર્યું ત્યારે મને હતું..હું શું લખીશ ? મને કંઇ એવું બધું ફાવે નહીં. પણ હવે તો ન જાણે કયાંથી કેવા કેવા વિચારો મનમાં આવતા જાય છે. અનેક ઉદાહરણો નજર સમક્ષ આવતા રહે છે. કદી ન વિચારેલ વાત એક અલગ રીતે..નવા જ સન્દર્ભમાં મારી સમક્ષ ઉઘડતી રહે છે.
હમણાં મારા એક કાકાનો યુવાન પુત્ર એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો..તેના લગ્ન થયે હજુ બે જ વરસ થયા હતા. કાકા, કાકીએ જ વહુને બીજા લગ્ન માટે તૈયાર કરી..પોતે જ સારું ઠેકાણું શોધ્યું..અને પોતાને ઘેરથી જ વહુને દીકરી રૂપે વિદાય કરી. સાચા અર્થમાં વહુને દીકરી બનાવી પોતાની ફરજ પૂરી કરી. અને આજે પણ તેને દીકરી માનીને બધો વહેવાર પણ કરે છે. સમાજમાં આજે આવા અનેક દાખલા જોવા, વાંચવા કે સાંભળવા મળતા રહે છે. જે બદલાવની નિશાની છે. સમાજમાં આવી રહેલ પરિવર્તનની સાબિતી છે.
અને દરેક સાચી, નવી પ્રક્રિયા હમેશા ધીમી અને નક્કર હોય છે..સદીઓથી લાગેલો કાટ કંઇ એકાદ પેઢીના પ્રયત્નોથી પરિણામો ન પણ બતાવે. પરંતુ ધીરજ ગુમાવ્યા સિવાય કે નિરાશ થયા સિવાય પ્રયત્નો ચાલુ રાખવા જ રહ્યા. સાચી વાત ને મમ્મી ?
મને એક વિચાર આવે છે. મમ્મી, દરેક પતિએ અઠવાડિયામા એકવાર ગૃહિણીની માફક રહેતા ન શીખવુ જોઇએ ? અરે, એક પ્રયોગ ખાતર કે એક ચેલેન્જ ખાતર પણ અઠવાડિયામાં એક દિવસ ..અરે એટલીસ્ટ મહિનામાં એક દિવસ તો એવો નક્કી કરી જુઓ..કે જે દિવસે સવારે દૂધવાળો આવે ત્યારથી રાત્રે બારણા બન્ધ થાય..ત્યાં સુધીના તમામ કામ પુરૂષ જાતે કરે… મને ખાત્રી છે કે જિંદગીમાં કયારેય પુરૂષ એક પ્રશ્ન પૂછતાં તો ભૂલી જ જશે કે..
“ ઘરમાં આખો દિવસ કરે છો શું ? “
જાત અનુભવ પછી એ સવાલ પૂછવાની હિંમત તે નહીં જ કરે. પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે કયો પુરૂષ આ પ્રયોગ માટે તૈયાર થશે ?
મમ્મી, હમણાં નવું શું વાંચ્યું ? તમારા ઓરીસ્સાના અનુભવો..ભાષાના ગરબડ ગોટાળા ફોનમાં સાંભળવાની મજા આવે છે. તો ત્યાંની પ્રજાની આળસ અને ગરીબાઇ વિશે જાણીને દુ:ખ પણ થાય છે.
તમારી વહુરાણી..