ચીસ ( દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત ) 

“ બેટા, હવે કેમ છે મારા લાલાને ? હજુ તાવ કેમ નથી ઊતરતો ? “

લાડકા પૌત્રની તબિયતની ચિંતા દાદાના અવાજમાં ઊભરી રહી.

 “ પપ્પા, ખબર નહીં, ડોકટરને પણ સમજાતું નથી કે બધી દવા બરાબર અપાય છે. છતાં…. અને હા, પપ્પા દવા પણ આપણી કંપનીની જ અપાય છે. 

“ હેં ? આપણી કંપનીની ? “ 

અને દુલેરાયની ચીસ ગળામાં જ અટવાઈ રહી. 

ફેસબુક.કોમ

ફેસબુકના ઓવારે થયેલો પરમ અને અમીનો પરિચય બે વર્ષમાં મૈત્રીની સરહદો ઓળંગીને પ્રેમની પગદંડીએ પાપા પગલી પાડી રહ્યો હતો.
આજે પહેલીવાર પર પરમે મળવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
કંઈક અચકાતી નવ્યા આખરે તૈયાર થઈને સાંજે નક્કી કરેલી જગ્યાએ પહોંચી ત્યાં..
નિશાંત ? પરમ? તું ?
અને તું ?અમી ? નવ્યા?
પતિ પત્ની બંને ડઘાઈને એકમેક સામે જોઈ રહ્યા.

ત્રિશંકુ

ત્રિશંકુ

ઓપરેશન પછી પણ તમારા પતિના બચવાના ચાંસીસ ત્રીસ ટકા ગણાય.
ડોકટરના શબ્દો રેવતીની ભીતર ખળભળી રહ્યા હતા.
ત્યાં..
બેન, અહીં સહી કરો.
એક કર્કશ અવાજ તેના કાનમાં રેલાયો.
ધડકતા હૈયે ખોરડું ગિરવે મૂકવાના કાગળો હાથમાં લેતા રેવતીની નજર ખાટલીમાં સૂતેલી નાનકડી બે દીકરીઓ પર પડી.
અને..સહી કરવા જતો તેનો હાથ ત્રિશંકુ બનીને લટકી રહ્યો.

માતૃદિન


તું છે દરિયો
ને હું છું હોડી…!
મા, મને કેમ
ખબર પડી મોડી…?

આખું આકાશ
એમાં ઓછું પડે,
એવી વિરાટ
તારી ઝોળી…!

મા, મને કેમ
ખબર પડી મોડી…?

તડકાઓ પોતે
તેં ઝીલી લીધા,
ને છાંયડાઓ
આપ્યા અપાર,
એકડો ઘૂંટાવીને
પાટી પર દઈ દીધો
ઈશ્વર હોવાનો આધાર…

અજવાળાં અમને
ઓવારી દીધાં ને,
કાળી ડિબાંગ
રાત ઓઢી…!

મા, મને કેમ
ખબર પડી મોડી…?

વાર્તાઓ કહીને
વાવેતર કીધાં,
અને લાગણીઓ
સીંચી ઉછેર,
ખોળામાં પાથરી
હિમાલયની હૂંફ,
ને હાલરડે
સપનાંની સેર,
રાતભર જાગી
જાગીને કરી તેં
ઈશ્વર સાથે જીભાજોડી…

મા,
મને કેમ
ખબર પડી મોડી…?

દરેક દિવસ માતૃદિવસ. માતૃત્વ ને વંદન.

 

અજ્ઞાત
🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹

micro stories

 

1 ગુડ ટચ બેડ ટચ..

વરસની પુત્રીને નિકિતા ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજાવી રહી હતી.

દીકરી ધ્યાનથી મમ્મીની વાત સાંભળી રહી હતી.

બેટા, સમજાયું તને ? ખબર પડી ને ?

હા, મમ્મા..એટલે કે દાદાજી કરે છે બેડ ટચ અને તું કરે છે ગુડ ટચ..રાઈટ મમ્મા ?

નિકીતા સ્તબ્ધ..

2

છેલ્લી વોર્નીગ

છેલ્લી વોર્નીંગ છે. પેપર પર સહી કર અને ચાલી જા, મારી જિંદગી અને મારા ઘરમાંથી. “

અને અમરે દીવાલ પરથી નીતુની તસ્વીર ઉતારી જોશથી ઘા કર્યો.

ફરશ પર કાચના ટુકડાઓ વેરાઈ રહ્યા.

નીતુ પતિ સામે જોઈ રહી.પણ આજે તેના આંસુ પણ અમરને પીગળાવી શકયા.

આખરે નીતુ ઘરની બહાર નીકળી.

તે આંખોથી ઓઝલ થઈ ત્યાં  સુધી અમર તેને નીરખી રહ્યો.

પછી નીચા નમી વેરાયેલા કાચના ટુકડાઓ એકઠા કરી તેને જોડવાનો પ્રયાસ કરતા ભીની આંખે તેણે કબાટમાંથી પોતાના રીપોર્ટની ફાઈલ કાઢી.

 

 

 

 

 

 

 

આજનો અનુભવ..

આજનો અનુભવ..
ગઈ કાલે ડેલસ આર્ટ મ્યુઝીયમ જોવા ગયા હતા. અહીં અમેરિકામાં જોવાલાયક સ્થળો સામાન્ય રીતે અતિ ભવ્ય જ હોય છે. મારે અહીંના સ્થળોની વાત નથી કરવી. એ બધી વિગતો તો ગૂગલ પરથી આંગળીના ટેરવે મેળવી શકાય છે. મારે તો અહીંના એ અનુભવોની, એ સંવેદનાની વાત કરવી છે જે ભીતરના ગૂગલને સ્પર્શે છે. અને એ આંગળીના ટેરવે નહીં, પણ દિલના દરવાજે ટકોરા દેવાય તો જ મળી શકે.
મ્યુઝીયમ જોયા પછી બાજુના જ એક રળિયામણા અને વિશાળ એવા કલાઇડ વોરન પાર્કમાં ગયા હતા.
ત્યાં લગભગ સીતેરેક વરસનો એક પુરુષ એક મોટી કાર્ટમાં બાળકો માટેની જાતજાતની રમત લઈને કશું બોલ્યા સિવાય બાળકોને મોજ કરાવતો હતો. તેની સામે વીસેક જેટલા બાળકો ખુશખુશાલ બનીને દોડાદોડી કરતા હતા. મસમોટા બબ્બલ કરીને હવામાં ઊડે અને બાળકો જમ્પ કરી કરીને એને ફોડે. ખાસ્સી વીસેક મિનિટ એ ચાલ્યું. પછી એકી સાથે બે ચાર ફ્રીઝ બી હવામાં ફંગોળે અને બાળકો દોડે. જેના હાથમાં આવે એ ફ્રીઝ બી એ બાળકની થઈ જાય. બધા બાળકો લગભગ ત્રણથી છ, સાત વરસની ઉંમરના હતાં. ફરીથી સાબુના ફીણ જેવા બબ્બલસનો વારો આવે.
એકાદ કલાક બાળકોને રમાડયા પછી પાંચેક મિનિટનો વિરામ લઈ ચૂપચાપ એ પાર્કની બીજી બાજુએ જયાં બાળકો દેખાય ત્યાં પહોંચે અને ફરીથી ત્યાં એ રમત ચાલુ થાય.

ત્યાં બીજા કોઈ સાથે વાતચીત કરતા ખબર પડી કે એ રોજ અહીં પાર્કમાં આવી જે બાળકો હોય તેની સાથે આ રીતે આખી સાંજ વીતાવે છે. કોઈ મોટી મોટી વાતો નહીં, બસ મૌન રહીને સાવ અજાણ્યા બાળકોને મોજ કરાવ્યે જાય છે. બાળકોના ચહેરા પરનું હાસ્ય જોઈને એ ખુશખુશાલ.

આપણે ત્યાં પણ સીનીયર સીટીઝનોનો કયાં તોટો છે ? આ દ્રશ્ય જોઈને ઘણાં વિચારો મનમાં ઉમટી પડયા. પણ તેજીને ટકોર જ હોય. અને મિત્રો બધા તેજી છે જ ને ?

સમસ્યા સંક્રાન્તિકાળની..

મારા પુસ્તક સાસુ વહુ ડોટ કોમમાંથી..

સ્ત્રીના..કેટકેટલા સ્વરૂપો…તેમાં સૌથી પ્રેમાળ..પાવન સ્વરૂપ એટલે સ્ત્રીનું માતૃસ્વરૂપ…એક મા કે એક દીકરી તરીકે સ્ત્રી હંમેશા પ્રેમાળ જ હોય છે. એ સહજ સ્વીકારાયેલી વાત છે. પરંતુ એ જ સ્ત્રી જયારે સાસુ કે વહુ બને છે ત્યારે એ પ્રેમ, એ લાગણીનું ઝરણું બંનેમાંથી કયાં અદ્ર્શ્ય થઇ જાય છે..એ જલદી સમજાતું નથી. કયું રસાયણ બંનેને બદલી નાખે છે ?

એક પ્રેમાળ મા, કઠોર સાસુ કેમ બની જાય છે કે દીકરીનો વહાલનો દરિયો ખારો કેમ બની જાય છે ? કયા સંજોગો..કઇ પરિસ્થિતિ..કયું અજ્ઞાત તત્વ બંનેમાં બદલાવ લાવે છે..એના કારણો..પરિણામો કે ઉપાયોની શોધ થઇ શકે તો ઘણાં અનિષ્ટ પરિણામોથી બચી શકાય. આ એક સંબંધ સમાજની સૂરત બદલી શકે…આ એક સંબંધને મહેકાવી શકાય તો સમાજમાં વૃધ્ધાશ્રમોની આવશ્યકતા ન રહે. એક સ્ત્રી જો બીજી સ્ત્રીને સમજી શકે…તો આનો ઉપાય અશકય નથી જ..એમ માનું છું. જોકે દરેક વાતની માફક અહીં પણ તેર મણનો “તો “ આડો આવે છે..જેને હટાવવો કઠિન બની રહે છે.

કોઇ પણ ઘરમાં લગ્નપ્રસંગ આવે ત્યારે બંને પક્ષે તેની અનેક તૈયારીઓ થતી રહે છે. પરંતુ કોઇ પક્ષે માનસિક તૈયારી થતી નથી. ખાસ કરીને દીકરી..જે વહુ થવાની છે..અને મા જે સાસુ થવાની છે તે બંનેએ પોતાની માનસિકતા અંગે વિચાર કરવો જોઇએ…એમ મને તો લાગે છે. બની શકે કોઇને આ વાત હાસ્યાસ્પદ લાગે..કોઇને તુચ્છ કે વેવલી વાતો લાગે..કોઇને અર્થહીન જણાય..પરંતુ મને તો બહું પ્રામાણિકતાથી લાગે છે કે આજના સમયમાં આવી કોઇ તૈયારી ખૂબ જરૂરી છે. હું જાણું છું..આ કંઇ ધારીએ છીએ તેટલી સહેલી વાત નથી જ. પરંતુ જો બંને પક્ષે નિષ્ઠા હશે તો એ અશકય પણ નથી જ.
સાસુ, વહુના સંબંધોમાં બદલાવની આવશ્યકતા એ આજના સમયની માંગ છે.આ સંબંધને એકવીસમી સદીના વાતાવરણને અનુલક્ષીને એકવાર ફરીથી મઠારવાની જરૂર છે.
કારણ એટલું જ કે પહેલાના જમાનામાં સ્ત્રીનું સ્થાન મોટે ભાગે ઘરમાં જ હતું. કુટુંબમાં તેનું ખાસ કોઇ આર્થિક યોગદાન નહોતું. પુરૂષ કમાય અને સ્ત્રી ઘર ચલાવે..એ સહજ હતું. પરિણામે આજના જેવા પ્રશ્નો ઉપસ્થિત થતા નહીં..કે પ્રમાણમાં ઓછા થતા.. આજે પરિસ્થિતિ બદલાઇ છે. છોકરી વધારે ભણતી થઇ છે, કમાતી થઇ છે. બહારની દુનિયામાં એણે પ્રવેશ કરી લીધો છે. ત્યારે સ્વાભાવિક રીતે જ એ પોતાના અધિકાર વિશે જાગૃત બની હોય. અને જયારે એ અધિકાર ન મળે ત્યારે એનું મન વિદ્રોહ કરી ઉઠે છે કે એ ગૂંગળાઇ રહે છે.
આ ક્ષણે હીરાબહેન પાઠકના એક સુંદર કાવ્યની પંક્તિઓ મનમાં રમી રહી છે.

“ હવે તો માળામાંથી ઊડું !
બસ, બહું થયું
કયાં લગી આમ ભરાઇ રહેવું ?
સાવ ઘરકૂકડી !

આ જ કાવ્યમાં હીરાબહેન પાઠક આગળ કહે છે

હા, માળામાં છે
મારા સુંવાળા સુખ શાંતિ,
પણ આ દૂરનું આકર્ષણ
તો છે આભ,
મારી ગતિ હવે એ જ સન્મતિ,
હું જીવું મારા વતી..
પાંખોમાં વિધ્યુત સંચાર
અડધા ચરણ માળામાન્હ્ય,
અડધા કેવા ઉંચકાય!
ચંચુ ને ચક્ષુ આભે ધાય
કરું ગતિ ઉતાવળી
આ હું ઊ…..ડી ચલી! “

એક પગ ઘરમાં અને બીજો બહાર જવા તત્પર..દ્રષ્ટિ વિશાળ ગગન તરફ..
આવા સંક્રાંતિકાળે પ્રશ્નો તો આવવાના જ. એ પ્રશ્નના સાચા જવાબ શોધવાની આ આપણી જાગૃત મથામણ બની રહેશે.
એક ચિનગારી જલી શકે અને વધારે નહીં તો ચપટીક ઉજાસ ફેલાઇ શકે તો પણ ઘણું. સાસુ, વહુના સંબંધોને શકય તેટલા મીઠાં બનાવી એક સ્વસ્થ કુટુંબના અને એ દ્વારા એક સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી થવાનો આ એક સંનિષ્ઠ પ્રયાસ માત્ર.
હું તો ઇચ્છું.. આપણી સાસુ, વહુની આ સહિયારી યાત્રામાં અનેક લોકો સહભાગી થાય. અને આ યાત્રા ફકત આપણા બેની ન બની રહેતા સહુની સહિયારી બની શકશે તો વધારે આનંદ થશે.
આ ક્ષણે સઘળી આશંકાઓથી મુકત..કોઇ જ પૂર્વગ્રહો સિવાય ખુલ્લા દિલથી તને આવકારવાની તૈયારી સાથે……

સાસુમા..સાસુ +મા

ખોવાયેલા સ્મિતની શોધ..

ખોવાયેલા સ્મિતની શોધ

 

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસોનું 
મનને છે કેવું ઘેલું, જર્જરિત જણસનું ?


શૈશવમાં સ્વજનો અનેક વાર એક પ્રશ્ન પૂછતા, ‘ બેટા, મોટા થઇને તારે શું થવું છે ? “ ત્યારે મનમાં આવે એવા જવાબ હું આપી દેતી. દરેક વખતે સાવ જુદો જવાબ આવતો. આજે ક્ષણે વિચાર આવે છે કે હવે કોઇ પૂછે કે તારે શું થવું છે ? તો મારો જવાબ શું હોય ?
બની શકે અસંખ્ય લોકોની જેમ મારો જવાબ હોય કે મારે ફરી એકવાર બાળક બની જવું છે. વરસતા વરસાદમાં કાગળની હોડીઓ તરાવવી છે, હાઇડ એન્ડ સીક નહીં પણ થપ્પો દાવ, લાકડા દાવ ,લંગડી, સાતતાળી રમવા છે. મોબાઇલની રમતોમાં નહીં પણ શેરીની સહિયારી રમતોમાં ખોવાવું છે. છાનામાના સંતાઇને આંબલીના કાતરા ખાવા છે, લાલ ચટ્ટક ચણીબોર જાતે તોડીને, એમાં મરચું, મીઠું નાખીને આરામથી આરોગવા છે,અથાણાની સૂકાતી હળદર મીઠાવાળી કેરીના ચીરિયા કોઇ જુએ એમ ઉપાડીને ભાગવું છે અને દોસ્તો સાથે વહેંચીને ખાવા છે. બે મોટા ચોટલા આગળ ઝૂલાવી, તેમાં મોગરાના મઘમઘતા ફૂલની વેણી ગૂંથી બહેનપણીઓ સામે રોફ મારવો છે. પેપર ડીશમાં નહીં છાપાના કાગળમાં બે આનાની ભેળ લઇને દોસ્તારો સાથે ઝાપટવી છે. એવું તો કેટલું યે કરવું છે. પણ હવે કોઇ પૂછતું નથી કે તારે શું બનવું છે


કોઇ પૂછે કે પૂછે , પણ અનાયાસે શૈશવની કુંજગલીમાં ઘૂમવાનું ભાગ્ય ફરી એકવાર મળ્યું ત્યારે આજનો લ્હાવો લીજિયે, કાલ કોણે દીઠી છે ની જેમ લહાવો કેમ ચૂકાય ? અંતર દાબડીમાં તળિયે છૂપાઇને બેસેલા સમયની ક્ષણોનો ઘૂઘવાટ આજે પણ ભીતરમાં એવો અકબંધ પડયો છે એનું ભાન જયારે ફરી એકવાર અહીં ગુજરાતમાં આવવાનું થયું ત્યારે અનાયાસે થયું. અને ખૂલ જા સિમસિમ કરતા મનના સઘળા યે આગળિયા ફટાક દેતા ખૂલી પડયા. એમાંથી હરખઘેલી બનીને કૂદી પડી ખળખળ કરતી વહી ગયેલી ક્ષણો. આજે ક્ષણનો સાદ કોઇ આયાસ સિવાય શબ્દ ઝરણું બની વહી રહ્યો છે પાનાઓમાં


વરસો સુધી ધરાઇને બંગાળના ઉપસાગરના ઘૂઘવતા મોજાઓના નાદને ઝિલ્યા પછી ફરી એક વાર અરબી સમુદ્રને ભેટવા, એનાથી ભીંજાવા ગુજરાતમાં પહોચાયું એનો આનંદ, રોમાંચ તન મનને ઉત્સાહથી છલકાવી રહ્યો છે. ગુજરાત અને એમાં પણ વહાલા વતન, જન્મભૂમિ પોરબંદરના અંજળ પાણી હજુ ખૂટયા નથી, હજુ એના દાણા પાણી નસીબમાં લખાયા છે એનો અહેસાસ થઇ રહ્યો છે. ગુજરાતમાં આવવાનું તો ઘણાં સમયથી વિચારાતું હતું, જોરશોરથી ગાજતા હતા પણ એમાં દૂર દૂર સુધી કયાંયે સૌરાષ્ટ્ર, પોરબંદરનું તો શમણું યે નહોતું આવ્યું. પણ જીવનમાં અનેક વાત કલ્પના બહારની બનતી રહે છે ને ? સમયે કરવટ બદલી અને અમે અચાનક.. સાવ અચાનક આવી ગયા મારી જન્મભૂમિમાં જે હવે બની છે અમારી કર્મભૂમિ


ભીતરમાં શબ્દો ગૂંજી ઉઠે છે..
એક પુરાના મૌસમ લોટા,યાદભરી પૂરવાઇ ભી


મહિના પહેલાનો જન્મભોમકાનો પહેલો દિવસ.. પૂરા ચાર દાયકા, ચાલીસ વરસ પછી વતનની ધરતીમાં પ્રવેશીએ ત્યારે કેવી અનુભૂતિથી મન ભર્યું ભર્યું બની રહે ?

આંખો ચકળવકળ બનીને ચારે તરફ ફરતી રહે. શું બદલાયું છે અને શું નથી બદલાયું એના લેખા જોખા મનમાં અનાયાસે ચાલતા રહે. આંખો કશુંક જૂનું શોધવા ઝંખી રહે. જૂના દ્રશ્યો પણ નવા વાઘા પહેરીને સામે આવે ત્યારે આશ્વર્ય ચકિત બનીને જોઇ રહેવા સિવાય શું બીજું શું થઇ શકે ? મારી આંખોમાં પણ શૈશવ સમું વિસ્મય અંજાઇ રહે છે. ઘણું બદલાયું છે. અલબત્ત બદલાયું છે એનો અફસોસ થયો. બલ્કે ગૌરવ અનુભવ્યું કે ના, મારું શહેર પણ સમયની સાથે પરિવર્તન પામ્યું છે ખરું. સમયથી પાછળ કે પછાત નથી રહી ગયું. પ્રગતિ ભણી પાપા પગલી તો જરૂર ભરી છે. બહું દોડયું નથી પણ ચાલ્યું જરૂર છે એની ઝાંખી ચારે તરફ જોવા મળી રહી છે. જે બદલાય નહીં કાળની ગર્તામાં વિલીન થઇ જાય. પણ મારું શહેર તો ખાસ્સું બદલાયું છે. અલબત્ત હજુ મોલ કે મલ્ટી પ્લેક્ષ કલ્ચર વિકસ્યું નથી. પણ ફકત મોલ કે મલ્ટી પ્લેક્ષ થીયેટર શું બદલાવની સાબિતી છે ?

 

કેટકેટલા દ્રશ્યો પરિવર્તનની એંધાણી આપી રહ્યા છે ! જે ગલીઓમાં અસંખ્ય વાર ઘૂમી હતી ગલી આજે અપરિચિતની જેમ મારી સામે તાકી રહી છે. એની આંખોમાં કયાંય ઝાંખો પાંખો ઓળખાણનો અણસાર સુધ્ધાં નહીં ? જોકે એમાં એનો કોઇ દોષ પણ કેમ કાઢી શકાય ? એણે તો જોઇ છે ટચુકડું ફ્રોક પહેરીને ઘૂમતી એક નાદાન છોકરી, એની ઓળખાણ તો છોકરી સાથેની. પ્રૌઢ સ્ત્રીને ગલીઓ કયાંથી ઓળખવાની ? જાણવા છતાં મનમાં થોડું ઓછું તો જરૂર આવી જાય છે. આંખમાં ભીના ભીના વાદળ તરવરવા લાગે છે


ત્યાં તો..ના, ના , બેન એમ મનમાં ઓછું આણીએ..અમે છીએ ને તને હોંકારો દેવા.
એકાદી જૂની શેરીમાંથી ટહુકો ફૂટી નીકળે છે અને મારે રોમ રોમ જાણે દીવા પ્રગટે છે. મન વરસો કૂદાવીને શૈશવનો મધમીઠો રોમાંચ માણવા તલપાપડ બની ગયું. થોડું જૂનું પણ હજુ અડીખમ ઉભું છે એનો આનંદ પણ કયાં ઓછો છે ? ચાલીસ વરસ પહેલાની જૂની દુકાન પરના બોર્ડમાં હજુ પણ શબ્દો દેખા દે છે અને મારે માટે તો જાણે શબ્દે શબ્દે ઝિલમિલ દીપ પ્રજવલી ઉઠે છે


આમ પણ નથી તેની વાત છોડીને , જે છે તેનું સુખ માણવું તો જીવન કહેવાય ને ? ન્યાયે જે થોડા જૂના સંભારણાઓ બચ્યા છે એનો આનંદ માણી રહું છું.


જઇને વતનમાં એટલું જોયું અમે મરીઝ
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત્..


જોકે મારે મરીઝની જેમ એવો અફસોસ નથી કરવાનો કેમકે શૈશવના કોઇ દોસ્ત હવે અહીં છે કયાં


અમને મળેલા કોલોનીના ઘરમાં હજુ કલરકામ અને એવું બીજું નાનું મોટું ઘણું કામ ચાલતું હતું તેનો પરોક્ષ લાભ  થયો. કેવી રીતે ?

ઘૂઘવતા સમુદ્રની સામે વરસોથી અડીખમ ઉભેલા રાજમહેલ જેવા દીસંતાવીલા”  જેના પગથિયા ઉતરચડ કરવાની સ્પર્ધા શૈશવમાં અનેક વાર કરેલી વીલામાં અત્યારે એક બે મહિના માટે અમારો મુકામ ગોઠવાયો.

 

મારે માટે   કંઇ ઓછા રોમાંચની વાત છે ? મને તો હજુ એક શમણાં જેવું ભાસે છે. ટચુકડું ફ્રોક પહેરીને, જે પગથિયા કૂદતા હતા પગથિયા છે ? વીલા ત્યારે રાજમહેલ બનીને અમારી કલ્પના સૃષ્ટિમાં વિહરતા. મસમોટા દેખાતા મહેલ અંદરથી કેવા હશે તેની માત્ર કલ્પના કરેલી. કોઇ દિવસ એમાં રહીશું એની કયાં ખબર હતી ? વાહ નસીબ ! ભાગ્યની બલિહારી કે બીજું કંઇ ?

 

અહીં ઘૂઘવતા સમુદ્રની સામે, ડૂબતા સૂર્યનારાયણની સાખે પપ્પાએ અનેક વાર ગાયત્રી મંત્રના જાપ કરાવ્યા હતા.આજે પણ મનમાં આપોઆપ જાપ ચાલુ થઇ ગયો. કદાચ પરમ લોકમાંથી પપ્પા સાંભળે તો કેવા ખુશ થાય ! મન જાણે કેવી યે આસ્થાથી છલોછલ થઇ ઉઠયું.
વીતેલા વરસોની ભરતી હજુ ભીતરમાંથી કયાં ઓસરી છે


દરિયાના મોજા સામે બાથ ભીડતા કાળમીંઢ ખડકોને શૈશવમાં અનેક વાર દોડી દોડીને કૂદાવ્યા હતા. આજે આધેડ ઉંમરે, જીવનના પડાવે ધીમે ધીમે સાચવીને એક એક ડગ ભરીને ઉતરી રહી છું ત્યારે મારી અંદર સૂતેલી છોકરી મને આશ્વર્યથી નીરખી રહી છે. કદાચ મારી ઉપર હસી રહી છે.

 

‘જો, કેવી ભાગતી હતી. “ બેટા, ધીમે ધીમેમાબાપ એમ બૂમો પાડતા હતા ત્યારે એમનું કહ્યું કદી માન્યું હતું ? આજે વગર કહ્યે ગતિ પર બ્રેક લાગી ગઇને ? ‘

 

હા, સમય ભલભલાની ગતિ પર બ્રેક લગાવી દે છે. સત્યથી હું બાકાત કેમ રહી શકું ?
પણ જે બ્રેક લાગી છે તે તો પગની ગતિ પર . મનની ગતિ પર કાળ પણ જલદીથી બ્રેક લગાવી શકતો નથી. આજે મારા પગ ધીમા પડયા છે , એની ગતિ ચોક્કસપણે ધીમી પડી છે પણ મનની ગતિમાં કોઇ ફરક કયાં પડયો છે ? કેટકેટલા દ્રશ્યો નજર સામેથી પસાર થઇ રહ્યાં છે. સમયની સાથે દરેક વસ્તુને ઘસારો લાગે છે. અનેક રંગો અતીતની ગર્તામાં ઝાંખા પડતા જતા હોય છે. પણ મનના રંગોને જલદી કાટ નથી લાગતો. ભીતરમાં દ્રશ્યો આજે પણ એવા સદા બહાર


મારી વરસો જૂની ચોપાટીએ હજુ ખાસ કોઇ નવા શણગાર સજયા નથી. વીલાનો પણ લીલો રંગ આજે યે જળવાયો છે. મરીનાનું એજ ભેળ હાઉસ હાઉકલી કરી રહ્યું છે. પણ હવે એમાં ભેળને બદલે પીઝા અને પાઉંભાજી મળે છે. જયાં બેસીને દર રવિવારે ભેળ ખાધી છે ત્યાં પીઝા ખાવાનું મન થયું. પતિદેવના કહેવા છતાં ધરાર ખાધા સિવાય પગથિયા ઉતરી ગઇ. સહજતાથી બધા પરિવર્તન સ્વીકાર્યા પછી પણ ક્ષણે, જગ્યાએ મન જાણે કેમ અવળચંડુ બની બેઠું. ના, અહીં પીઝા તો નથી ખાવા. આમ પણ મનના કારણ સાવ અકારણ હોય ને ? કયાંક વાંચેલી પંક્તિ મનમાં રમી રહે છે


મન મતવાલું માને શેણે ?
ઘાવ ઝિલે વજ્જ્રરના,
ને ભાંગી પડે એક વેણે..


ચોપાટીનો દરિયો છોડીને હવે અમારી કાર પૂ.બાપુના જન્મ સ્થળ તરફ દોડી રહી. ના, ના દોડી નહીં પણ ધીમી ગતિના સમાચારની જેમ ચાલી રહી. ડ્રાઇવરને ગાડી સાવ ધીમી ગતિએ ચલાવવાનું કહ્યું હતું જેથી કોઇ પણ દ્રશ્ય ચૂકી જવાય. આમ તો ચાલીને પગપાળા બધા રસ્તેથી પસાર થવું હતું પણ સાંજ થવા આવી હતી અને અધીરા મનને આજ ને આજ બધાને મળી લેવું હતું. પાછા સૂર્યદેવતા કંઇ મારે લીધે રોકાય એમ નહોતા. તો પોતાની કેસરિયાળી રંગ છટા વેરતા ઝડપભેર પશ્વિમ આકાશ તરફ દોડી રહ્યા હતા.
દેવ, ધીમા તપો..એમ નહીં પણ દેવ જરા ધીમા ચાલોએમ કહું તો પણ કંઇ મારી વાત થોડી સાંભળવાના ? મહાભારતના યુધ્ધમાં કૃષ્ણ ભગવાને તેના પ્રિય સખા અર્જુન માટે થઇને થોડી ક્ષણો વાદળમાં સૂર્યદેવને સંતાડી રાખ્યા હતા પણ મારું એવું ગજું, એવી પાત્રતા કયાં ?
શૈશવમાં કીર્તિમંદિરની લાઇબેરીમાંથી પહેલીવાર શબ્દોનો પરિચય પામી હતી. મને કેમ વિસરે રે ?    નાદાન ઉંમરે સમજાય કે સમજાય તો પણ કેટકેટલા પુસ્તકો વાંચ્યા હતા ! ગ્રન્થપાલ અનંતાબહેનનો ગૌરવર્ણો ચહેરો આજે પણ નજર સામે તરવરી ઉઠયો. અમુક દ્રશ્યો કાળના ઘસારાથી પર હોય છે


કીર્તિમંદિરમાં આજે વરસો પછી ફરી એકવાર પૂ.બાપુના ફોટામાં રેંટિયા સાથેના પ્રસન્ન હાસ્યને મન ભરીને માણી રહી. ઇતિહાસના પાનાઓમાં વાંચેલી ગાથા નજર સામે તરતી રહી. કેવા પુનિત દ્રશ્યો સર્જાયા હશે ? ક્ષણે..કેવા કેવા સંભારણાઓ..કેવા કેવા સંવાદો રચાયા હશે બધી વિભુતિઓ વચ્ચે ? કેવી ઐતિહાસિક ક્ષણો સર્જાઇ હશે ? કલ્પના માત્રથી મન અભિભૂત થઇ રહ્યું. ભર્યા ભર્યા મન સાથે સ્મરણોની કુંજગલીમાં એક ભીની લટાર માર્યા બાદ ત્યાં રાખેલા ચોપડામાં મનની સંવેદના શબ્દોમાં પણ ટપકાવી


માણ્યું તેનું સ્મરણ કરવું છે એક લ્હાવો..” 


ઢળતી સાંજ આંખમાં અઢળક યાદ આંજી રહી હતી. હવે અમારી સવારી ઉપડી સુદામા મંદિર તરફ. સુદામા મંદિર, કીર્તિમંદિર અને ચોપાટી ત્રણ તો પોરબંદરની આગવી ઓળખાણ છે. ( હવે એમાં સાંદિપનીનું નામ ઉમેરાયું છે. ) સુદામા મંદિરના ચોગાનમાં પહોંચતા સ્મૃતિઓના પારેવા ઘૂ ઘૂ કરી ઉઠ્યા. અહીં પાંચ પૈસાની જુવારના દાણા નાની નાની હથેળીમાં રાખીને બહેનપણીઓ સાથે કલાકો તપ કરીને ગભરુ પંખીડાઓની પ્રતીક્ષા કરી છે. અમારો વિશ્વાસ કરતા તે કદી અચકાયા નથી. ઘડીકમાં ખભ્ભા પર, તો ઘડીકમાં હાથ પર બેસીને જુવારનો દાણો લઇ ઝટપટ ભાગી જતા પારેવાઓ ક્ષણે પણ ભીતરમાં પાંખો ફફડાવી ઉઠયા. આજે કબૂતરો કયાંય દેખાયા નહીં. તે પંખીની ઉપર કોઇએ કદીક પથરો ફેંકી દીધો હશે કે શું ? તેથી તેઓ પણ અમારામાંથી, માનવજાતમાંથી શ્રધ્ધા ગુમાવી બેઠા છે કે શું ? અને એક વાર શ્રધ્ધા, વિશ્વાસ ગુમાવ્યા પછી તો..


રે રે શ્રધ્ધા ગત થઇ, પછી કોઇ કાળે આવે રે..


કલાપી આવું કોઇ અનુભવ પરથી ગાઇ ઉઠયા હશે ને ? સ્મૃતિઓ કિનારા વિનાના દરિયા જેવી હોય છે. કયારે, કઇ પળે ઉછળીને મોજારૂપે બહાર વિસ્તરશે કોણ કહી શકે ?


એક છાનો નિશ્વાસ નાખી અમે સુદામાના મંદિરમાં પ્રવેશ્યા. ખાસ કોઇ ફરક વર્તાયો. ભાવથી નમીને,પૌંઆનો પ્રસાદ લઇને હું તો દોડી..ભૂલભૂલામણીમાં.. વાહ..કેટકેટલી વાર ભૂલભૂલામણીમાં ફરી વળ્યા હતા. આજે પણ ફરી એકવાર એમાં ઘૂસ્યા. ઉમંગ અને ઉત્સાહથી, જરા યે અટવાયા સિવાય એમાંથી બહાર આવ્યા. સંસારની ભૂલભૂલામણીમાં અનેક વાર અટવાયા છીએ.પણ અહીં તો વિના વિઘ્ને પસાર થઇ જવાયું. શૈશવનો આનંદ ફરી એકવાર અંકે કરી હવે અમે ઉપડયા બજાર તરફ


ધીમી ગતિએ ચાલતી કારની બારીમાંથી કુતૂહલભેર રસ્તા પરના બોર્ડ વાંચતી રહી. અચાનક નજર એક બોર્ડ પર પડી. “ અરૂણ ફોટો સ્ટુડિયો..” 


યાદોની વાવના પગથિયે ટહુકા ફૂટી નીકળ્યા. ઓહ..માય ગોડ.. સ્ટુડિયો હતો.. જેમાં જિંદગીનો પહેલો ફોટો પડાવ્યો હતો.પપ્પા હોંશે હોંશે ત્યાં ફોટો પડાવવા લઇ ગયા હતા. દિવસે પહેલી વાર નાનકડા ચણિયા ચોલી પહેર્યા હતા. કે સાત વરસની ઉંમર.. વખતના ફોટોગ્રાફરના શબ્દો આજે પણ ભૂલાયા નથી.


બેટા, સરસ મજાનું હસવાનું. હસીએ ને તો ફોટો સરસ આવે.’
ઓહ..ફોટો સરસ આવવાનો ઉપાય આટલો સીધો સાદો અને સહેલો..!
હું તો ખડખડાટ હસી પડી હતી. અને ફોટો બહું મજાનો આવ્યો હતો એમ બધાએ એકી અવાજે કહ્યું હતું. આજે પણ જૂના આલ્બમમાં કેદ થયેલો ફોટો વાતની સાક્ષી પૂરે છે. બોર્ડ જોતાની સાથે અસ્તિત્વમાં જાણે કશુંક ઓગળી રહ્યું.

“ વહી ગયેલ કો ક્ષણ ઓગળે ,
ભીતર ભીના સ્મરણ ઓગળે”

ત્યારે સાવ સહેલો લાગતો ઉપાય જીવનના દરેક પડાવે એવો સહેલો નથી બનતો હોતો વાત અનુભવે સમજાવી છે પણ સાથે સાથે પણ અચૂક સમજાવ્યું છે કે ઉપાય જો કરી શકીએ, જીવનમાં સાચુકલું હસી શકીએ તો હમેશા સુંદર લાગીએ અને જીવનપથના અનેક વિઘ્નો આસાનીથી પાર કરી શકાય. જોકે કહેવું કે લખવું સહેલું છે, પરંતુ કોઇ પણ વાતનો અમલ જીવનમાં કયાં એટલો સહેલો હોય છે ? હસવા જેવી સામાન્ય વાત પણ જીવનમાં કેવી અઘરી બની ગઇ છે. માટે પણ સજાગ રહીને પ્રયત્ન કરવા પડે છે. જીવનની એક વિડંબના કહેવાય ને ? સહજ રીતે હસવાનું જાણે ભૂલાઇ ગયું છે.જે હસાય છે પણ પ્લાસ્ટીકિયું, ફોર્મલ સ્માઇલ..


ખોવાયેલા સ્મિતની શોધ મારે કરવી છે. મારી જૂની ગલીઓમાં.. મારી જન્મભૂમિ, ગાંધીના ગામમાં. ગાંધીજીના ગામનું ગૌરવ તો એને જરૂર મળ્યું છે પણ ગૌરવ જાળવવું તો ખાંડાના ખેલ. આજકાલ તો એવા ખેલનાર કયાં મળવાના ? પણ છતાં યે આશા ગુમાવવી કેમ પાલવે ? આશાની ઉજમાળી લકીર અને શ્રધ્ધાના તાંતણા તો જીવનના અવલંબનો..આજે નથી આવતી કાલે પણ નહીં હોય એવો નેગેટીવ વિચાર શા માટે


આખરે તો જીવનનું એક માત્ર સત્ય..


હસતે હસતે કટ જાયે રસ્તે, જિંદગી યૂં હી ગુઝરતી રહે.
ખુશી મિલે યા ગમ, દુનિયા ચાહે બદલતી રહે..


Published in navchetan

 

 

જીવન જયાંથી પુનઃ શરૂ થયું.

જીવન જયાંથી પુનઃ શરૂ થયું. ( નવચેતન દીપોત્સવી અંકમાં પ્રકાશિત લેખ )


લાગે છે જયારે જીવનમાં કંઇ બચ્યું નથી
જીવનની નવી શરૂઆત હોય છે. “ 


નવચેતન તરફથી દિવાળી અંકમાં લખવાનો વિષય મળ્યો. બહું ગમી ગયો.અને રઇશ મણિયારની ઉપરની પંક્તિ મનમાં રમી રહી. વિષયના અનુસંધાને જીવનકિતાબના પાના મનઃચક્ષુ સામે ફરફરી રહ્યાં. વીતેલા વરસોની હારમાળા એક પછી એક પસાર થતી રહી. જીવન પુનઃ કયાંથી શરૂ થયું ? ક્ષણે તો તંત્રીશ્રીનો મજાનો પ્રશ્ન મનને મૂંઝવી રહ્યો છે.
જીવનના છઠ્ઠા દાયકામાં પ્રવેશવાની ઘડી હવે બહું દૂર નથી. ત્યારે પાછળ વળીને જોઉં છું, તો મને પોતાને પણ આશ્વર્ય થાય છે. સાચું કહું તો ઇશ્વર કૃપાથી આજ સુધી જીવન મોટે ભાગે સીધી રેખા પર સરળતાથી વહ્યું છે. એવો કોઇ મોટો વળાંક, કોઇ મોટો સંઘર્ષ જીવનમાં આવ્યો નથી. હા, કદીક નાના, મોટા પ્રસંગો બનતા રહ્યા, એવા કોઇ પ્રશ્નો આવતા રહ્યાં જે પીડાની અનુભૂતિ કરાવી ગયા. પરંતુ જેને જીવનનો ટર્નીંગ પોઇન્ટ કહી શકાય, જે બિંદુથી સમગ્ર જીવન પલટાઇ ગયું હોય એવી કોઇ મોટી ઘટના તો જીવનમાં બની નહીં ? મને પોતાને પ્રશ્ન થાય છે. વિષય મળ્યો ત્યારે જાણે વાતનું ભાન થયું. આને ઇશ્વર કૃપા ગણું ? સદનસીબ સમજું કે કમનસીબ ?
દરેકના જીવનમાં આવો કોઇ ટર્નીંગ પોઇન્ટ આવતો હશે અને હું એક માત્ર એનાથી વંચિત રહી છું ? ફરી એકવાર જીવનયાત્રા પર નજર નાખું છું. અડધી સદી જેવડા જીવનમાં સાવ કશું બન્યું હોય એવું થોડું હોય
સૂર્યોદયની સાથે રોજ એક નવી સવાર ઉઘડે છે અને સાથે સાંપડે છે ઇશ્વરની કૃપા સમો અણમોલ એવો એક વધારે દિવસ..પળપળનું બનેલું એક નવું જીવન રોજ સવારે શરૂ થતું હોય છે પરંતુ આપણે એનો અહેસાસ કરી શકતા નથી. દુનિયામાં અનેક લોકો સૂતા પછી સવારે ઉઠી શકતા નથી , જીવનલીલા કયારે, કેવી રીતે, કઇ પળે સમાપ્ત થઇ જાય છે કોણ કહી શકે છે ? એથી તો રોજ સવારે આપણને જીવતદાન મળ્યું છે એમ વિચારી શકીએ તો દિવસને વેડફી શકીએ ખરા ?
જીવન છે તો ખુશીની, સુખની, આનંદની ક્ષણો પણ છે અને પીડા, વેદના અને સંઘર્ષની કપરી પળો પણ આવવાની . આશા અને નિરાશાની આવનજાવન જીવનભર ચાલતી રહેવાની
જીવન ઝરણું કદી સીધી લીટીમાં નથી વહેતું. એમાં નાના મોટા અનેક વળાંકો તો આવતા રહેવાના. કોઇ વળાંક જીવનમાં કશુંક ઉમેરે છે તો કોઇ વળાંક કશુંક બાદ પણ કરી જાય છે. જીવન શારીરિક, માનસિક આર્થિક, સામાજિક વગેરે કેટકેટલા આયામોમાં પથરાયેલું હોય છે. એમાં કોઇ પણ ક્ષેત્રે અચાનક કોઇ મોટો ફેરફાર થાય ત્યારે થોડી વાર માટે જાણે જીવન થંભી ગયું હોય એવો આભાસ, એવી અનુભૂતિ મનને ઘેરી વળે છે. જેમાંથી સમયસર જો બહાર નીકળી શકાય તો હતાશાની ઘેરી લાગણી ફરી વળે છે જે ડીપ્રેશન તરફ લઇ જાય છે. માનવીમાત્રનો પિંડ ભાવનાના અર્કથી બંધાયેલો છે. ખુશીથી હસી ઉઠે છે તો પીડાથી રડી પણ પડે છે.


2005
માં આવી કોઇ હતાશા ભીતરમાં ઘેરી વળેલી. દીકરી લગ્ન કરીને અને દીકરો આગળ ભણવા માટે અમેરિકા ગયા. સ્નેહથી કલબલતો માળો ખાલી થઇ ગયો. પરંતુ મારી સાથે મારી સ્કૂલ, મારા સંતાન જેવા વહાલા વિધ્યાર્થીઓ હતા તેથી વાંધો આવ્યો. પરંતુ અરસામાં શારીરિક તકલીફ એવી શરૂ થઇ કે દસ મિનિટ પણ બેસી શકાય. ગુજરાત અને મુંબઇ બંનેના અનેક ડોકટરો પાસે ફરી વળ્યા.પરિણામ શૂન્ય. પીડા સાથે જીવતા શીખવું પડશે એક માત્ર ઉપાય. હાઇસ્કૂલની મારી અતિ પ્રિય નોકરી , મારા પ્રિય વિધ્યાર્થીઓને છોડવા પડયા.બહું વસમું લાગ્યું.


દુકાળમાં અધિક માસની જેમ વરસો સુધી ગુજરાતમાં રહ્યા બાદ અચાનક અમારી બદલી વેસ્ટ બેંગાલમાં કોલકત્તા પાસે આવેલા હલ્દિયામાં થઇ. નવી જગ્યાએ પતિદેવ એક્દમ બીઝી..દેશ, વિદેશમાં સતત ફરતા રહેવાનું. નરી એકલતા. આખી કોલોનીમાં હું એક ગુજરાતી.  નવા પુસ્તકો પણ ન મળી શકે. ઘરમાં હોય એ વારંવાર વાંચ્યા કરવાના. મળે કોઇ ગુજરાતી છાપા. કશું મળે. અનેક પાર્ટીઓમાં જવાનું ફરજિયાત અને મળે ભાત, માછલા, ચીકન, મટન અને શરાબની રેલમછેલ.. એમાં ખાવું શું ? તમે તો ઘાસફૂસ ખાવાવાળાએવી કોમેન્ટ સાંભળવા મળે

 દીકરો, દીકરી કહે મમ્મી, તું કોમ્પ્યુટર શીખી લે. પણ બેસવાની તકલીફ મોટી. એકી સાથે અડધો કલાક બેસી શકાય. પણ એમ નિરાશ થઇને બેસી રહું તો તો આજ સુધીનું વાંચેલું, અન્યને કહેલું બધું નકામું કહેવાય ને
કોમ્પ્યુટરનો પણ નહોતી જાણતી. દીકરા, દીકરીએ મેઇલ કેમ કરાય સમજાવ્યું. ધીમે ધીમે હું મેઇલ કરતી તો થઇ. રોજ કોમ્પ્યુટર ખોલીને કંઇક ને કંઇક શીખતી રહી. એવામાં રીડ ગુજરાતીના મૃગેશભાઇ ( હજુ પણ એમના નામની આગળ સ્વ. લખતા જીવ નથી ચાલતો.)નો પરિચય થયો. તેમણે બ્લોગ બનાવતા શીખવાડયું. ગુજરાતી ફોન્ટ શીખવ્યા. બ્લોગમાં શું લખવું સમજ નહોતી પડતી. પણ દીકરીને બહું મીસ કરતી હતી.તેથી એના શૈશવના સ્મરણો લખવા ચાલુ કર્યા. ભાષાનો કે અભિવ્યક્તિનો કોઇ પ્રશ્ન નડયો. કેમકે શૈશવથી વાંચનનો અતિશય શોખ, પાગલપનની હદે શોખ હતો બીજરૂપે ભીતરમાં સંઘરાયું હશે. જેનો મને પોતાને પણ ખ્યાલ નહોતો.


વહાલના દરિયા જેવી દીકરી સાથેના સ્મરણો બ્લોગ પર મૂકવા માંડયા.મારા આશ્વર્ય અને આનંદ વચ્ચે વાચકોનો અસાધારણ પ્રતિભાવ સાંપડવા લાગ્યો. ઉત્સાહ વધતો ગયો. લખાતું ગયું. જીવનસાથી હરીશે સૂચન કર્યું કે બહું સરસ રીતે લખાયું છે. અનેક લોકોને સ્પર્શશે. આનું પુસ્તક કર


આખરે પુસ્તક થયું. “ દીકરી મારી દોસ્તપુસ્તકનું નામકરણ કરીને ફૈબા બન્યા તરૂબેન કજારિયા. પુસ્તકની આજે તો પાંચ આવૃતિ થઇ ચૂકી છે.અંગ્રેજી  આવૃતિ પણ થઇ છે.  (મરાઠી આવૃતિ અત્યારે પ્રેસમાં છે. )
બસ. મને લાગે છે જીવનનો ટર્નીંગ પોઇન્ટ કહેવો હોય તો આને કહી શકું. એકલતા દૂર થઇ શકી. જીવન સ્થિર થઇ જશે કે શું ? એવા કોઇ અદીઠ ભયના ઓથારમાંથી બહાર આવી શકાયું. ફરી એકવાર જીવન ઝરણું ખળખળ કરતું વહી રહ્યું. ફરી એકવાર ઉત્સાહ અને આશાનો સંચાર થયો. એકલતા રળિયામણા એકાન્તમાં પરિણમી રહી. એક પછી એક પુસ્તકો લખાતા ગયા. કુલ પુસ્તકોની સંખ્યા આજે 20 થઇ ચૂકી છે. જેમાંથી ચાર પુસ્તકોને વરસના શ્રેષ્ઠ પુસ્તક તરીકેના એવોર્ડ પણ મળ્યા. સંદેશ, જનસત્તા, લોકસત્તા, ગુજરાત ગાર્ડિયન જેવા છાપાઓમાં તથા ઘણાં મેગેઝિનોમાં નિયમિત કોલમ પણ શરૂ થઇ. આમ સાહિત્યના ક્ષેત્રમાં સાવ અનાયાસે પદાર્પણ થયું એને જીવનનો ટર્નીંગ પોઇન્ટ કહેવાય ?  બાકી અમારી સાત પેઢીમાં કોઇને શબ્દો કે પુસ્તકો સાથે દૂર દૂરનો પણ કોઇ નાતો નહીં. અને આજે સાહિત્ય, પુસ્તકો મારું જીવન બની ચૂકયા છે.. સાહિત્ય તો દરિયો છે પણ એક ટીપું બનીને એમાં ભળી શકાયું છે એનો આનંદ છે. શબ્દોએ મને નવું જીવન આપ્યું છે. અને હું સભર બનીને જીવી ગઇ છું. જીવનસાથી હરીશનો પૂરેપૂરો સાથ, સહકાર અને પ્રોત્સાહન મારા ઉત્સાહને વધારતા રહ્યાં છે. અનેક પરિચિત, અપરિચિત લોકોનો પણ હૂંફાળો સાથ અને સહકાર સાંપડયા છે. કંઇ ઓછા નસીબની વાત છે ? મારી પાત્રતા કરતા ઇશ્વરે મને વધારે આપ્યું છે .બે વરસ પહેલાં પૂરા બાર મહિના બે પગ અને એક હાથ પ્લાસ્ટરમાં રહ્યાં. ફ્રેકચર થતા રહ્યાં, શારીરિક મર્યાદાઓ આવતી ગઇ. ઓળંગાઇ તો નથી શકાઇ પણ એને મારી ઉપર હાવી પણ નથી થવા દીધી. શારીરિક તકલીફને લીધે અમુક કોલમ સામેથી બંધ કરવી પડી. પણ એનો ઝાઝો અફસોસ કર્યા સિવાય ગુજરાતથી દૂર બંગાળ અને ઓરીસ્સામાં વરસો સુધી એકલા થઇ ગયાની કે  શારીરિક પીડાની કોઇ ફરિયાદ કર્યા સિવાય શબ્દોને સહારે જીવન જિવાતું રહ્યું.
સંતાનો અમેરિકામાં ડોકટર છે એથી મેડીકલ ક્ષેત્રે જે પણ નવી શોધખોળ થાય એનો લાભ લેવાય છે ઇશ્વરની કૃપા ને ?  અનેક મિત્રોની હૂંફાળી લાગણીથી જીવન સભર સભર.. અને સૌથી મોટું વરદાન એટલે એ જ કે મને જીવનમાં માણસો હમેશા બહું મજાના મળ્યા છે એનો સંતોષ અને આનંદ છે. કદાચ જીવનની સૌથી મોટી ખુશી છે
બે વરસથી  ફરીથી ગુજરાતમાં, વતનમાં આવી શકાયું છે એનો આનંદ પણ ઓછો નથી. જીવનયાત્રામાં ઇશ્વર હમેશા સતત સાથે રહ્યો છે, દરેક સમયે માર્ગ મળ્યો છે. એક પછી એક દરવાજા એની કૃપાથી ખૂલતા રહ્યા છે.
આજે પણ અનેક શારીરિક મર્યાદાઓ અકબંધ છે. પણ સાથે સાથે અનેક સગવડો મળી છે, કોઇ આર્થિક, સામાજિક પ્રશ્નો નથી. જીવન સાથી સાચા અર્થમાં મિત્ર  છે.સહજીવન સખ્ય જીવન બનીને પાંગરી ઉઠયું છે. કોઇ અપેક્ષા વિના તેના હમેશના શબ્દો..
“ મારા જીવનનું એક માત્ર ધ્યેય..એટલે તારી ખુશી..”

દિલની પૂરી સચ્ચાઇથી બોલાતા આવા શબ્દો સાંભળીને દુખનો તો ઓછાયો પણ કેમ સ્પર્શી શકે ?
સંતાનોનો સ્નેહ સતત અમારી સાથે છે. ભૌતિક રીતે દૂર છીએ પણ મન જુદા નથી થયા એનો આનંદ છે. બધી જવાબદારીઓ પૂરી થઇ ચૂકી છે. વિદેશ જઇએ ત્યારે ડોકટર દીકરો આજે પણ પગ દબાવી આપે છે એથી વિશેષ બીજું શું જોઇએ ? દીકરીનો સ્નેહ તો હોય . જમાઇ અને વહુરાણીના પણ એવા સ્નેહથી સભર છીએ.. તો જીવનની મૂડી છે જે અમારી પાસે મબલખ છે અને કદી ખૂટે એમ નથી

ટર્નીંગ પોઇન્ટ કહેવો હોય તો મારી પાસે તો આ જ છે. પાછળ ફરીને જોઇને યાદ કરવા મથું છું તો પણ બીજો કોઇ એવો મોટો ટર્નીંગ પોઇન્ટ મારી જિંદગીમાં તો દેખાતો નથી. અને હવે કોઇ  નય મોટો ટર્નીંગ પોઇન્ટ આવે એવું લાગતું નથી.  અને આવી જાય તો સ્વીકારવાની માનસિક પુખ્તતા આવી શકી છે. બાકી કોઇ પણ પળે જીવન પર એન્ડનું પાટિયું લાગી જાય તો પણ  તૈયારી છે . મારી પોતાની શ્રધ્ધાંજલિ, મારી આખરી ઇચ્છાઓ પણ લખીને જાહેરમાં બ્લોગ પર મૂકી દીધી છે. કોઇ એવી ઇચ્છાઓ અધૂરી નથી. મરવાની કોઇ ઉતાવળ પણ નથી. ભરપૂર જીવવું છે, માણવું છે. પણ ઇશ્વરનું તેડું આવે તો કોઇ વિરોધ પણ નથી. પણ જીવન છે ત્યાં સુધી તો..બાકી કઇ ક્ષણે કાળ કરવટ બદલે છે કોણ જાણી શકયું છે ? સમયની એક વામન ક્ષણમાં વિરાટ શકયતાઓ સંતાયેલી હોય છે તો જીવનનું પરમ સત્ય..માટે ક્ષણ ક્ષણને માણવી રહીને..?
અને ક્ષણે તો..
શાના દુઃખ ને શાની નિરાશા ? મુકુલે મુકુલે મુખરિત આશા
નિયતિ કેરા અદભૂત પાસા..શ્રધ્ધાની નવ જાગી પિપાસા..
અસ્તુ..

મારો ગ્રન્થરાગ..

મારો ગ્રંથરાગ..

 

આ વિષય પર લખવાનું આમંત્રણ મળ્યું અને મનમાં ફરી વળ્યા સ્મરણોના ઘૂઘવતા પૂર..અનેક સ્મૃતિઓ જે વરસોથી ભીતરમાં અડ્ડો જમાવીને બેઠી હતી તે  અચાનક સળવળી ઉઠી..અને એ મીઠા સળવળાટે પહોંચી જવાયું..શૈશવની કુંજગલીઓમાં…

 શૈશવની મારી એ કુંજગલી એટલે પોરબંદરનું કીર્તિમંદિર..ના..અત્યારે પૂ. બાપુના જન્મસ્થાનને લીધે નથી કહેતી. આ ક્ષણે તો મારી સમક્ષ તરવરે છે…

કીર્તિમંદિરની  લાઇબ્રેરી…અને તેમાં અડિંગો જમાવીને બેસી રહેતી સાતેક વરસની એક છોકરી….લાઇબ્રેરી ખૂલે તે બંધ થાય ત્યાં સુધી ત્યાં જ અઠે દ્વારકા…

 

 આ હતી મારા ગ્રંથરાગની…મારા  never failing friend ની શરૂઆત…અને આવા કદી સાથ ન છોડનાર મિત્ર વિશે લખવાનું કોને ન ગમે ? એ નિમિત્તે ફરી એકવાર ઝરણા જેવા એ દિવસોની સંગાથે વહી શકાયાનો આનંદ…

 

 પુસ્તકોની એ મૈત્રીએ જીવનમાં કયારેય નિરાશા નથી આપી.. હમેશા કંઇ ને કંઇ આપ્યું જ છે..અને હજુ યે એનું આપવાનું તો ચાલુ જ…અલબત્ત ઝિલી શકાય પોતાની ક્ષમતા મુજબ….એ અલગ વાત છે. હજાર હાથવાળો તો આપ્યા કરે..પણ  બે હાથમાં એને ઝિલવાની પાત્રતા તો જાતે જ કેળવવી રહીને ? 

સાત વરસની ઉમરે ચાલુ થયેલી મારી વાચનયાત્રા કે ગ્રંથયાત્રા આજે પણ યથાવત્…

આજે ઘણી જગ્યાએ લખું છું. પરંતુ આજે પણ લેખન કરતા વાંચનને પહેલું સ્થાન જ આપ્યું છે.

વાંચન મારા માટે એક નશાથી કમ નથી.જેનો કેફ ઘટવાને બદલે વધતો રહ્યો છે.

પુસ્તક સાથેની મૈત્રીની શરૂઆત કદાચ વાંચતા શીખી ત્યારથી જ થઇ ગઇ હતી..

ઝગમગ, રમકડું, બાલસંદેશ, ચાંદામામા,..વગેરે સાથે નાતો બીજા, ત્રીજા ધોરણમાં ભણતી હતી ત્યારે જ જોડાઇ ગયેલ..મને યાદ છે ત્યાં સુધી મેં  વાંચેલું પહેલું પુસ્તક..અર્થાત મારો પહેલો મિત્ર બકોર પટેલ…( આજે આ ઉંમરે પણ આ પહેલા મિત્રની મૈત્રી  મારી ભીતર એવી જ લીલીછમ્મ રહી છે. આજે પણ હું એને મળતી રહું છું..અને છલકતી રહું છું. )

પછી એમાં મિંયા ફૂસકી, છકો, મકો, ખાપરો કોડિયો  વગેરે ઉમેરાતા રહ્યા.

ધીમે ધીમે આ યાત્રા વિકસતી ગઇ..અનેક પાત્રો જોડાતા ગયા…તો કોઇ છૂટતા પણ ગયા…

પોરબંદરના કીર્તિમંદિરની લાઇબેરીની સભ્ય હું સાત વરસની ઉમરે બની ચૂકી હતી..અને ભૂખાળવાની જેમ જે હાથ લાગ્યું તે વંચાતું ગયું. એ સ્થાન મારે માટે તીર્થસ્થાન..કોઇ મંદિરથી કમ નહોતું..ત્યારે અઠવાડિયામાં બે વાર જ એ લાયબેરી ખૂલતી કે પછી અઠવાડિયે બે વાર જ પુસ્તકો બદલી શકાતા એવું યાદ છે. એ બે દિવસ મારો ડેરો અચૂક ત્યાં હોય જ..અનંતાબેન અને જેસંગભાઇ એ સમયે લાઇબ્રેરિયન હતા એ મને બરાબર યાદ છે કેમકે  બાલમંદિરના મારા એ પ્રથમ શિક્ષકો હતા..એમનો ચહેરો આજે પણ હું ભૂલી શકી નથી..ખૂબ પ્રેમથી મને પુસ્તકો આપે. કોઇ રોકટોક નહીં…બે પુસ્તક ત્યાં બેસીને વાંચવાના… લાઇબ્રેરી બંધ થાય ત્યારે જ ત્યાંથી ખસવાનું..  બે પુસ્તકો ઘેર લાવવાના… બે દિવસમાં એ અચૂક પૂરા કરી લેવાના.બાકી રહી ગયા હોય તો  ઘરમાં બધા સૂઇ જાય પછી હળવેથી ઉઠીને લાઇટ ચાલુ કરીને સૂતા સૂતા વાંચ્યા કરવાનું..

 

 ઘરમાં ખાસ એવું કોઇ વાતાવરણ નહોતું..મારા સિવાય કોઇને વાંચવાનો શોખ પણ નહીં..પરંતુ મને કોઇ રોકતું નહીં. પપ્પા બહારગામ જાય ત્યારે મારે માટે  બે ચાર પુસ્તકો અચૂક ખરીદી લાવતા.. આર્થિક સધ્ધરતાને લીધે ઘરમાં છાપા,મેગેઝિનો આવતા. પપ્પા એ જમાનામાં lions clubના પ્રમુખ હતા એ યાદ છે. કલબમાં યોજાતી વકતૃત્વ હરિફાઇમાં મારો નંબર આવતો ત્યારે પપ્પા રાજી રાજી થઇને  ગૌરવ અનુભવતા અને મને વાંચવાનો છૂટો દોર મળી રહેતો.

 મારી અંદર વાચનની એક ચિનગારી  મારા બીજા ધોરણના શિક્ષક સરોજબહેને જલાવી..કીર્તિમંદિરની લાઇબ્રેરીના પગથિયા તેમણે જ બતાવ્યા.. ભૂખાળવાને જાણે બત્રીસ પકવાન મળ્યા…અને ચાલુ થઇ મારી વાચનયાત્રા…મારો ગ્રંથરાગ..ગ્રંથ ગાંડપણ…પણ કહી શકો…મારા ઘરના લોકો તો એવું જ કહેતા. પાંચમા ધોરણમાં આવીને ચશ્મા આવી ગયા તેથી હું બહું વાંચ્યા ન કરું એની ચિંતા મમ્મી, પપ્પા કરતા..ત્યારે દાદીમાને ઘેર રહેવા પહોંચી જતી. પપ્પાએ અભણ દાદીમાને બ્રાઉન પેપરના પૂંઠા બતાવીને કહી રાખ્યું હતું કે આવા પૂંઠાવાળી ચોપડી હોય તો વાંચવા દેવાની..બીજી કોઇ નહીં.. આપણે બંદાએ સાવ સહેલો ઉપાય તુરત શોધી લીધો..મન હોય તો માળવા કયાં દૂર હતું ?

 પાઠયપુસ્તક પરના બ્રાઉન પેપરના પૂંઠા ઉતારીને ચડાવી દીધા વાર્તાની ચોપડી પર..કામ પૂરું. દાદીમા ભલે ને થોડી થોડી વારે આવીને ચેક કર્યા કરે….” બિચારી છોકરી આખો દિવસ ભણવાની ચોપડી વાંચે છે.”

 જોકે ભણવામાં હમેશા પ્રથમ નંબર ઘરમાં હું એક જ લાવતી તેથી એ અંગે કોઇને કહેવાનું રહેતું નહીં. શૈશવના એ સમયમાં અકરાંતિયાની માફક જે મળે એ  વાંચ્યા સિવાય મને ચેન ન જ પડે. ચોપાટી પર ભેળ ખાધી હોય ને કાગળ વાંચ્યા સિવાય ફેંકી દીધો હોય ત્યારે ઘરના બધા મારી મસ્તી અચૂક કરે..

દોડ..દોડ..વાંચ્યા સિવાય પેલો કાગળિયો ઉડી જાય છે..

અને હું દોડું પણ ખરી..! ’

 સાતમા ધોરણમાં પહેલું કાવ્ય ( ? ) લખેલું સ્કૂલની હરિફાઇમાં..અને આશ્વાસન ઇનામ મેળવેલું…બસ…એટલું જ..સ્કૂલમાં મારા નિબંધો હમેશા વખણાતા. વાંચનની સ્પીડની હરિફાઇમાં હું દરેક વખતે  અચૂક પહેલો નંબર મેળવતી…પોરબંદરની બાલુબા સ્કૂલમાં સાતમા ધોરણમાં એક વખત વાંચનની કોઇ હરિફાઇમાં એક મિનિટમાં બાવન લાઇન મેં મોટેથી વાંચી હતી એવું સ્મરણ  છે.

 

અલબત્ત શું વાંચવું..? કેમ વાંચવું ? એની કોઇ  ગતાગમ..કોઇ વિશેષ અર્થ નહોતો જ..બસ મજા આવતી હતી..વાંચવાની એટલું જ…નવમા ધોરણ સુધી આ વાચનયાત્રા એમ જ ચાલુ રહી.. કોઇ ચોક્કસ દિશા સિવાય…

 

 પણ..ના આખરે એને દિશા પણ મળી..દસમા ધોરણમાં આવી અને પોરબંદર છૂટયું..અમે જેતપુર આવ્યા. અહીં મારા શિક્ષકો પ્રભાબહેન, સ્વ. ઉષાબહેન અને સ્વ, સંધ્યાબહેન…..અને આચાર્ય સિત્તુ સાહેબ…આ ચાર ગુરૂજનોએ એક નવી દિશા..નવી ક્ષિતિજ ઉઘાડી આપી..શું વાંચવું…કેવી રીતે વાંચવું ? એ સમજ  અહીં ઘડાઇ..હવે મારા હાથમાં ચૂંટાયેલ પુસ્તકો આવ્યા…વાંચવાના શોખને એક નવો આયામ મળ્યો..જીવનઘડતરની સૂક્ષ્મ પ્રક્રિયા અભાનપણે ચાલુ થઇ…અહીં લે મિઝરેબલ, ગીતાંજલિ, સત્યના પ્રયોગો, સોક્રેટીસ, પથેર પાંચાલી, ગુજરાતનો નાથ, આમ્રપાલી, પાટણની પ્રભુતા, યુધ્ધ અને શાંતિ, બંધન અને મુક્તિ, સત્યના પ્રયોગો, ધરતીની આરતી, સૌરાષ્ટ્રની રસધાર, ફાધર વાલેસનું વ્યક્તિઘડતર… વિગેરે અનેક યાદગાર પુસ્તકો સાથે મૈત્રી કેળવાઇ. ( લીસ્ટ બહું લાંબુ છે.) હિન્દી, અંગ્રેજી પુસ્તકોનો સાથે પણ નાતો બંધાયો. સ્કૂલની લાઇબ્રેરીયન હું બની. કબાટ ખોલતા જ મારી સામે હારબંધ ઉભેલ પુસ્તકો  જોતા હું કેવી હરખાતી…એ હરખ આજે પણ મારી ભીતર અકબંધ સચવાયેલ છે. આમાંથી પહેલું કયું પુસ્તક ઉપાડું ? મનમાં એ મીઠી અવઢવ ઉગતી રહેતી..અમારી સ્કૂલમાં મેઇન લાઇબ્રેરી તો ખરી જ..એ ઉપરાંત દરેક કલાસની પોતાની આગવી લાઇબ્રેરી પણ ખરી જ..જેની ચાવી મોનીટરના હાથમાં રહેતી..અને  પુસ્તકની લેતી દેતી એ જ કરે..જે કામ હું હોંશે હોંશે કરતી. અને ખાસ વાત એ કે એમાં એક પણ પુસ્તક ફાલતુ ન મળે. પુસ્તકોની પસંદગી પ્રભાબહેન, ઉષાબહેન કે આચાર્ય સિત્તુ સાહેબ જેવી નિષ્ઠાવાન વ્યક્તિઓના હાથમાં હોય ત્યારે પુસ્તકની ગુણવત્તા અંગે બેમત હોય જ ન શકે..મેઘાણી, દર્શક, ક.મા..મુનશી, ધૂમકેતુ, ટોલ્સ્ટોય,શરદબાબુ, ટાગોર,પ્રેમચંદ, ગુરુદત્ત, પન્નાલાલ પટેલ,ર.વ.દેસાઇ, સ્વામી વિવેકાનંદ, સ્વામી આનંદ. વર્ષાબેન અડાલજા, ધીરુબેન પટેલ, હિમાંશીબેન શેલત..વગેરે વગેરે… સાથે માનસિક અનુસંધાન કેળવાતું રહ્યું.

 

એ મહાસાગરમાં ડૂબકી મારવાના  અદભૂત આનંદ  સાથે સાથે હાથમાં પહેલી કલમ પણ આ શિક્ષકોએ જ પકડાવી. સ્કૂલના મેગેઝિન..”સ્વાતિ” અંકમાં જાતજાતની રચનાઓ મારી પાસે લખાવડાવી..મઠારી..જાતજાતના શીર્ષકો આપી મારી પાસે સતત લખાવતા રહેતા..કયારેક તો શીર્ષકોનો અર્થ પણ ન સમજાય..આંખમાં પાણી આવી જાય..કેમ કહેવું ? કેમ પૂછવું ?  કેટલાક શીર્ષકો આજે ચાલીસ વરસ બાદ પણ યાદ છે.. અમાસનો અજવાસ,…ભીતર ભીના ભીના,  સ્નેહના અજવાળા….શિરસ્તા પરસ્તીની પરિસીમાએ( જેનો અર્થ ન સમજાતા રડી પડી હતી..કે હવે લખવું કેવી રીતે ? નથી આવડતું..એ કહેતા તો કેવી શરમ આવે..! શિક્ષકોએ રાખેલી ઉંચી અપેક્ષાઓ..વિશ્વાસને તોડવા કેમ ? )જેવા અનેક શીર્ષકો આપી વાર્તા લખવાની રહેતી.પાછું આ મેગેઝિનની કમિટીમાં હું..મારાથી તો ના પડાય જ નહીં કે નથી આવડતું એવું બોલાય જ નહીં..જેવું આવડે એવું એકવાર લખવું તો પડે જ..પછી એમાં સુધારા વધારા શિક્ષકો કરી આપે..અને અમારી કૃતિ ઝળકી ઉઠે.. આખા અંકમાં અનેકવાર આવતું મારું નામ હું આનંદથી જોઇ રહું..આ બે વરસ જાણે મારા જીવનના સુવર્ણયુગ..આજે આ લેખ નિમિત્તે મારા એ ગુરૂજનોને મારા સ્નેહવંદન.મારો લઘુકથા સંગ્રહ “પાનેતર “ આ શિક્ષકોને જ અર્પણ થયેલ છે..કમનસીબે એમાંથી સંધ્યાબહેન કે ઉષાબહેનઆજે હયાત નથી.પરંતુ પ્રભાબહેન  સાથે આજે પણ મારો સ્નેહનાતો અતૂટ રહ્યો છે. એ શિક્ષકોએ જ મારી ભીતર છૂપાયેલી શક્તિ ઓળખીને વિકસાવી. મારી આજની શબ્દયાત્રાના મૂળ ફકત અને ફકત મારા શિક્ષકોએ જ  રોપેલ છે. સ્વનો પહેલો પરિચય અહીં જ પામી. ઘરમાં સાહિત્યનું કોઇ વાતાવરણ નહીં…અમારી સાત પેઢીમાં પણ કોઇ વાંચનાર કે લખનાર નહીં..પણ મારી અંદર ન જાણે વાંચન શોખના…આ ગ્રંથરાગના  બીજ કયાંથી આવ્યા એ આજ સુધી પામી શકી નથી.

આમ મારી આજની લેખનયાત્રાનાનો પાયો  અહીં જ નખાયો…એ શિક્ષકો..એ સ્કૂલ જો મને ન મળી હોત તો આજે પણ હું આડેધડ ..વાંચવા ખાતર વાંચતી હોત..કદાચ કશું પામ્યા સિવાય..

 

કોલેજમાં હતી ત્યારે મારી પ્રથમ વાર્તા અખંડઆનંદમાં છપાઇ ત્યારે ખુશીની જે ચમક મારું નામ જોઇને છવાયેલ તે  રોમાંચની તો વાત જ અલગ ને ?  આજે અનેક જગ્યાએ વાર્તાઓ છપાય  છે ત્યારે ખુશી અવશ્ય  થાય છે. પણ એ રોમાંચ તો ગેરહાજર જ…પહેલા નશા..પહેલા ખુમારની તોલે તો એ ન જ આવે ને ?  કેટલાયે દિવસો સુધી હાથમાં અખંડ આનંદનો એ અંક હાથમાં લઇને મારું નામ જોતી રહેતી…! જોકે અંતર્મુખ સ્વભાવને લીધે કોઇને બહું બતાવવાની તકલીફ લેતી નહોતી.એટલી નસીબદાર  ખરી જ કે પુસ્તકો મેળવવામાં કયારેય કોઇ તકલીફ પડી નથી..સામેથી હાથમાં આવતા ગયા..વેકેશનમાં આખો દિવસ પૂ. પ્રભાબહેનને ઘેર પહોંચીને એમની અંગત લાઇબ્રેરી પૂરા હક્કથી ફેંદવાનું સદભાગ્ય મળ્યું છે. આજે પણ મારો એ હક્ક અબાધિત રહ્યો છે. એમની અંગત લાઇબ્રેરીની વારસદાર તો હું જ….!

કોલેજમાં હતી ત્યારે ફીશપોન્ડના એક કાર્યક્રમમાં મારી ઉપર …

લાઇબ્રેરીમાં બેસીને ભગવાનને પ્રાર્થના કરો છો કે આવતે જન્મે મને પુસ્તક જ બનાવે..જેથી અહીંથી ખસવું જ ન પડે”કે પછી…

નીલમ એટલે પુસ્તકોને વળગેલી જળો…” એવા નામથી નવાજેલ..

એ યાદ આ ક્ષણે પણ ચહેરા પર સ્મિતની લહેરખી ફરકાવી દે છે.

મને બરાબર યાદ છે..કિશોરાવસ્થામાં જયા પાર્વતીનું વ્રત કરેલ..જાગરણને દિવસે મમ્મી ઘરમાં લોકોને ભેગા કરતી..મને જગાવવા માટે… હું એ બધાને પડતા મૂકીને એક રૂમમાં પુસ્તકો વચ્ચે ભરાઇ રહેતી..ને મમ્મીનો ગુસ્સો વહોરી લેતી.મમ્મી પૂરેપૂરી ટોળાનું માણસ..અને હું સાવ ઉલટી…મને મારું એકાંત વહાલું…

લગ્ન પછી મીઠાપુરમાં રોજ સાંજે અમારા ઘરમાં લાઇબ્રેરીનું વાતાવરણ જ છવાતું. પતિદેવ પણ વાંચવાના પૂરેપૂરા રસિયા.  અમારા બાળકોને પણ હાથમાં રમકડાને બદલે પહેલું પુસ્તક જ આપ્યું છે..બંનેમાં અમારો એ શોખ જળવાયો છે. હવે એ બંને અંગ્રેજી પુસ્તકો વાંચે છે..એ અલગ વાત છે. અહીં અમેરિકામાં રહીને એટલો બદલાવ આવે એ સ્વાભાવિક જ કહેવાય ને ? આમ પણ પુસ્તકો…સાહિત્ય વચ્ચે કંઇ ભાષાના વાદવિવાદ થોડા જ હોય ?

 

પછી હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાઇ ત્યારે મારા શિક્ષકોનું ઋણ ચૂકવવાના ખ્યાલે મારા અનેક વિધ્યાર્થીઓને પણ વાંચતા કર્યા..લાઇબ્રેરીમાં  સંભાળી અને  વિધ્યાર્થીઓને એમાં જતા કર્યા. કલાસમાં પુસ્તકો લાવી જાતે વાંચીને રસ લેતા કર્યા…અને એક સંતોષનો એહસાસ…

આજે પણ વાંચનનો શોખ.. યથાવત્ રહ્યો છે. મારા સદાના આ સાથીદારોએ કયારેય દગો દીધો નથી. ગુજરાતથી દૂર બંગાળ અને ઓરીસ્સામાં આ પુસ્તકો જ મારી એકલતાને રળિયામણા એકાંતમાં પલટાવતા રહેતા. અલબત્ત  પુસ્તકોની પસંદગી  હવે બદલાણી હોય એ સ્વાભાવિક છે. પણ આજે યે એ વાંચનભૂખ તો એવી અને એટલી જ… પતિદેવ એના કામમાં સતત વ્યસ્ત..બાળકો પરદેશમાં, સ્વજનો બધા ગુજરાતમાં….ત્યારે સાથ મારા આ મિત્રોનો જ ને ?

 

આજે અવારનવાર  અમેરિકા આવું છું ત્યારે હવે અંગ્રેજી પુસ્તકો સાથે પણ ઘરોબો કેળવાયો છે. અનેક અદભૂત પુસ્તકો અહીં પણ વાંચ્યા છે..વાંચતી રહું છું..માણ્યા છે.. ત્યારે નર્મદના શબ્દો કાનમાં ગૂંજે છે. ભાષાને શું વળગે ભૂર ? પુસ્તકો એ પુસ્તકો છે..ભાષા કોઇ પણ હોય..બકોર પટેલથી શરૂ થયેલી મારી યાત્રા આજે કાઇટ રનર, લાઇફ ઇઝ બ્યુટીફુલ, ગોન વીથ ધ વીન્ડ, ટયુસડે વીથ મોરીસ,મેમરી ઓફ ગેઇશા..અનેક નામો સુધી વિસ્તરી ચૂકી છે.  જીવનના અંતિમ શ્વાસ સુધી આ યાત્રા ચાલુ રહેશે જ એ કોઇ શંકા સિવાયની વાત છે. મારા પલંગ પર ચાર, પાંચ પુસ્તકો..મેગેઝિનો પડયા ન હોય તો મને ઉંઘ ન જ આવે..તો એ પલંગ મારો ન જ હોય એમ બધા સ્વીકારી લે.

આજે જયારે ઘણી જગ્યાએ  લખું છું..અને વાચકોના  સુંદર પ્રતિસાદ આવે ત્યારે સ્વાભાવિક  રીતે જ છલકાઉં છું…અલબત્ત એ કાર્ય મહાસાગરના એક બિંદુ જેટલું પણ નથી જ..એનો પૂરો ખ્યાલ છે. વાંચવું અને  લખવું એ  કદાચ મારી જરૂરિયાત છે. મારી એકલતાને એકાંતમાં પલટાવવાની જરૂરિયાત…બધી જવાબદારીઓ સારી રીતે પૂરી થઇ ગઇ છે. ઘરના કામમાંથી ઓલમોસ્ટ રીટાયર્ડ..સમયનો કોઇ અભાવ નહીં..મિત્ર પતિનો પૂરેપૂરો સાથ, સહકાર..જે કરવું હોય તે કરવાની સ્વતંત્રતા. કોઇ આર્થિક  પ્રશ્ન નહીં..આવી અનેક અનુકૂળતાઓ માટે ઇશ્વરની ઋણી છું..”દીકરી મારી દોસ્ત “ મારા આ પુસ્તકે દેશમાં કે વિદેશમાં અનેક સુંદર આજીવન સંબંધો આપ્યા છે. શબ્દોની પવનપાવડીએ બેસીને કયાંથી કયાં સુધી પહોંચી શકાય છે.. લોકોના હ્રદયને સ્પર્શી શકાય છે એ  અનુભૂતિ મનને સભર રાખે  છે.

જયારે જયારે મારા પુસ્તકને કોઇ એવોર્ડ મળ્યા છે  ત્યારે મારી નજર સમક્ષ બે વસ્તુઓ અચૂક તરવરી ઉઠે છે..એક કીર્તિમંદિરની લાઇબ્રેરી…અને બીજા મારા શિક્ષકો..આજે આ લખતી વખતે પણ તેમનો સાદ મારી ભીતર ઘૂઘવે છે.

તેમને ભાવપૂર્વક સ્નેહવંદન સાથે જ આ ગ્રંથરાગનો લેખ પૂર્ણ થઇ શકે ને ?

 

 સાથે સાથે રણઝણી રહી છે…કલાપીની આ પંક્તિ….”

કલા છે ભોજય મીઠી..ને ભોકતા વિણ કલા નહીં..

કલાકાર, કલા સાથે ભોકતા વિણ મળે નહીં…”

એ ન્યાયે વાચકો સિવાય કોઇ  પણ લેખક અધૂરો જ ને ? સદનસીબે  અસંખ્ય વાચકોના અઢળક સ્નેહથી હું સભર સભર….  એમના સ્નેહને સલામ..શબ્દોની સાચી કદર કરનાર કોઇ ભાવકનો પ્રતિસાદ  અચાનક આવી ચડે ત્યારે સર્જનની સાર્થકતા અનુભવાય…મારું જીવન એ જ મારો સંદેશ એમ તો ગાંધીજી જેવી મહાન વ્યક્તિ કહી શકે..મારી એ પાત્રતા કયાં ?

પણ  વાંચન કે લેખન.. શબ્દો એ જ મારું જીવન..પછી એ મારા હોય કે મારા  અન્ય પ્રિય મિત્રોના…

સ્કૂલ, કોલેજમાં હતી ત્યારે વ્યક્તિઘડતર અને ગુણવંત શાહની કાર્ડિયોગ્રામ..એ બે પુસ્તકો લગભગ આખેઆખા મારી ડાયરીમાં કોપી કરેલા..અનેક કવિઓની સુંદર પંક્તિઓ મારી દસેક ડાયરીઓમાં આજે પણ ઝળહળી રહી છે. હકીકતે ભલે હું ગદ્ય જ વધારે લખું છું..પણ મારો પહેલો પ્રેમ તો કવિતા અને માત્ર કવિતા જ રહ્યો છે. પદ્ય સિવાય મારું ગદ્ય મને અધૂરું જ લાગે. લાખ ઇચ્છા છતાં છંદ સાથે નાતો બંધાયો નથી.. ઉતાવળિયો સ્વભાવ અને  ધીરજનો અભાવ આ બે અવગુણોની લીધે છંદની ગાડી આજે તો અટકીને ઉભી છે..કયારેક ચાલી શકશે એ શ્રધ્ધા હજુ ખૂટી નથી..પણ એ માટે જરૂરી મહેનત..સાધના કયાં ? છંદ શીખવા બેઠી હોઉં અને એકાદ વાર્તા લખીને ઉભી થઇ હોઉં એવું અનેકવાર બનતું રહ્યું છે..કયાં સુધી ?એ ખબર નથી.

કૃષ્ણ નામે ગ્રંથ ન  સમજાય તો પણ

   સાવ સીધો ને સરળ અનુવાદ રાધા….મુકેશ  જોશી