પાપમાં નથી પડવું..!

published in Lekhini deepotsvai 2104

 પાપમાં નથી પડવું.

                                                                  તારીખ બે જાન્યુઆરી..

પૂરા તેર દિવસ વીતી ગયા. આ તેર દિવસ લગભગ આખો વખત  સુનીતા પાસે રહી એમ કહી શકાય. નાનપણની બહેનપણી. વરસોની અમારી મિત્રતા કોઇ જખમ વિના , કોઇ ઉઝરડા વિના લીલીછમ્મ રહી શકી છે એ શું જેવી તેવી વાત છે ? સુનીતા માટે મને કેટલી લાગણી છે એ કંઇ કહેવાની જરૂર થોડી છે ?   બિચારી સુનીતા.  સફેદ સાડલામાં તેને જોઇને મન કરૂણાથી ભરાઇ આવ્યું. હમેશા ડાર્ક રંગોની શોખીન સુનીતાની જિંદગીમાંથી કાયમ માટે રંગોની   બાદબાકી થઇ ગઇ કે શું ?  સાજા સારા કંદર્પભાઇ  ઘડીકમાં આમ હતા ન હતા થઇ જશે એવી કલ્પના પણ કોને હોય ? પણ  જિંદગીમાં  માનવીની કલ્પના બહારનું કેટકેટલું બનતું જ હોય છે ને ? એક સાવ સાજો સારો માણસ  ઘડીકમાં ધૂમાડો થઇ ગયો. એક અસ્તિત્વ પૃથ્વીના પટ પરથી અને ખાસ તો સુનીતાની જિંદગીમાંથી  ભૂંસાઇ ગયું.

પંચાવન વરસની ઉંમર કંઇ આ જમાનામાં વધારે ન કહેવાય. જોકે સુનીતા હિંમતવાળી ખરી. બે દિવસ રડી લીધું પણ હવે કેવી સ્વસ્થતાથી સ્વીકારી લીધું.

શ્યામા, મને ખબર છે કે લાખ માથા પટકીશ તો યે કંદર્પ હવે પાછો આવવાનો નથી.હસીને કે રડીને સ્વીકાર કરવાનો જ છે. જનાર પાછળ કોઇ જઇ શકતું નથી. મારે જીવવાનું છે એની મને જાણ છે. અને હું જીવીશ.સારી રીતે જીવીશ. ઇશ્વરે આપેલા જીવનનો અનાદર શા માટે ? અઘરું લાગશે પણ એનો કોઇ ઉપાય નથી.

બિચારી સુનીતા ! ભગવાન, આ ઉંમરે આમ કોઇને એકાકી ન બનાવે. કેમ કાઢશે બિચારી હવે આવું એકાકી આયખું ?

તારીખ 31 જાન્યુઆરી

સુનીતા યે ખરી છે.  તેના દીકરો વહુ તો હૈદ્રાબાદથી હમેશ માટે અહીં આવી જવા તૈયાર હતા.પણ સુનીતાએ જ  ના પાડી દીધી.  બેટા, હું એકલી જરૂર થઇ ગઇ છું પણ તૂટી નથી ગઇ. મારી સંભાળ લઇ શકીશ.  કદીક બહું એકલતા લાગશે ત્યારે તમારે ઘેર આવીશ જ ને ? સુનીતા હિંમતવાળી તો કહેવાય જ હો.  ભગવાન દુખ આપે ત્યારે એ સહન કરવાની હિમત પણ સાથે આપી જ દેતો હશે. હમણાં રોજ તેની પાસે જવાનું મન થાય છે. પણ પતિદેવ કહે, તેર દિવસ જઇ આવી એ ઘણું હવે રોજ રોજ કંઇ દોડવાની જરૂર ન હોય. તારી બહેનપણી એકલી છે તું નથી.તારે ઘર  બાર છે કે નહીં ? અહીં  મને કેટલી અગવડ પડે છે એ ખબર છે ?

અરે, અગવડ શેની ? એમનું  બધું  કામ પતાવીને તો જતી હતી. બપોરે ચા કરી દેવા માટે ઘરમાં વહુ તો છે. પણ ના, મને તારા હાથની જ ચા જોઇએ.બહાના છે બધા..હું ન હોઉં  તો આખો દિવસ ઓર્ડર કોની પર છોડવાના ? વહુ થોડી સાંભળવાની છે ? વહુ તો મારી  યે સાસુ બનીને રહે એમ છે.

શ્યામા, પાણી..શ્યામા, મારો ટુવાલ, શ્યામા, મારી બી.પી.ની દવા, શ્યામા મારો ફોન કયાં ? શ્યામા, ટીવીનું રિમોટ નથી દેખાતું ? કોણે ખસેડયું અહીથી ? શ્યામા, મને જરાક લીંબુ પાણી આપજે તો.આજે બે ભજિયા ખાવાનું મન થયું છે. આજે દાળમાં કંઇ ઠેકાણું નહોતું. તારું ધ્યાન કયાં હોય છે ? શ્યામા..શ્યામા…ની બૂમ સાંભળવાની  આ દીવાલોને પણ આદત પડી ગઇ છે.

હું કોના નામની બૂમ પાડૂં ?

તારીખ..20 માર્ચ

આજે માંડ સમય કાઢીને સુનીતાને  ઘેર ગઇ હતી.પણ ઘેર તાળા.મને એમ કે બિચારી એકલી છે તો કંપની આપવાની મારી ફરજ કહેવાય. મારે ઘેર તો બહેનપણીઓ આવે એ પતિદેવને ગમે જ નહીં. ચાર ચોટલા મળીને પંચાત જ કરવાના કે બીજું કંઇ ? એ એમનું બ્રમ્ભવાકય. એમના દોસ્તારો આવીને અડ્ડો જમાવે, જાતજાતનું ખાવા પીવાની ફરમાઇશ કરે ને ખીખીયાટા કર્યા કરે એનું કંઇ નહીં ?

સુનીતાને ફોન કર્યો તો કહે, મારી ચિંતા ન કર શ્યામા, મેં મારું જીવન મારી રીતે ગોઠવી લીધું છે.

ઠીક છે. ગોઠવાઇ ગઇ એ સારું કર્યું. હું નકામી ચિંતા કરીને અડધી થતી હતી.

આજે પતિદેવે ફરીથી સંભળાવ્યું. વાતવાતમાં ટોણા મારવાની તેમની આદત શું કદી યે નહીં બદલાય ? જીવનભર એ સાંભળતું રહેવાનું ? લગ્નના ચાલીસ ચાલીસ વરસો પછી યે ? મેં મૂરખીએ લાગણીના પ્રવાહમાં તણાઇને વાત કરવાની ભૂલ કરી નાખી. મને શું ખબર કે વાતનું આ રીતે વતેસર થશે ?

લગ્નની શરૂઆતના એ દિવસોમાં..કોલેજમાં હું ને અખિલ સાથે ભણતા. અમારે બહૂં સારું બનતું એ મારો સારો મિત્ર હતો

બસ આટલું મારાથી કહેવાઇ ગયું અને એની સજારૂપે રોજ મેણા ટોણા…

કેમ ધ્યાન તારા પેલા દોસ્તારમાં હતું ?

કોઇ પણ સાથે ફોન કરતી જુએ એટલે..

દોસ્તાર સાથે વાત ગપાટા ચાલે છે ? ફોન તો આવતો  જ હશે ને તારા પેલા દોસ્તારનો ?  જોકે મને કોઇ વાંધો નથી. હોય હોય..દોસ્તાર તો હોય..જમાનો બદલાયો છે ભાઇ, હવે સ્ત્રીઓને યે દોસ્તાર હોવાના. અમારે એ બધું હવે ચલાવવાનું છે. નહીંતર અમે જૂનવાણી ગણાઇએ..’

 એવા કોઇ કટાક્ષના ચાબખા ચાલુ જ રહે.

 લાખ સમજાવવાની કોષિષ કરી જોઇ કે એ બધી તો વરસો પહેલાની વાતો અને એ પણ એટલી જ વાત હતી કે કોલેજમાં અખિલ સાથે મારે સારું બનતું. અમે કંઇ પ્રેમી નહોતા. પણ પતિદેવના મનમાં તો…

મને તો  અખિલ કયાં છે એની યે  જાણ નથી. ન જાણે કેમ  સંદીપ એને મનમાં સંઘરીને બેઠો છે.

તારીખ..24 એપ્રિલ

આજે સુનીતાને ફોન કર્યો કે એને જરૂર હોય તો કંપની આપવા આવું. એકાદ બે વારના અનુભવ પછી નક્કી કર્યું છે કે એને ઘેર ફોન કર્યા સિવાય ન જવું. એ ઘરમાં હોતી જ નથી. કંદર્પભાઇના ગયા પછી એનું બહાર ફરવાનું વધી ગયું છે. હશે બિચારી..બીજું કરે યે શું ?

સારું થયું ફોન કરી લીધો. મને કહે, હું તો સિમલામાં છું. અમે ચાર બહેનપણીઓ સાથે આવ્યા છીએ અને એન્જોય કરીએ છીએ.મારાથી કહેવાઇ ગયું કે મને કહ્યું હોત તો હું પણ આવત ને ?

તો કહે અરે, તને  એકલીને સંદીપ થોડો જ આવવા દેવાનો ? આ તો મારા જેવી જ બધી બહેનપણીઓએ એક ગ્રુપ બનાવ્યું છે  અમે  બધા સાથે હરીએ ફરીએ છીએ..એન્જોય કરીએ છીએ. જીવનના દુખને હળવા કરવાનો પ્રયાસ કરીએ છીએ..બીજું હવે કરવાનું પણ શું છે ?   ચાલ, આવજે..અત્યારે અમે બધા પહાડ ખૂંદવા નીકળીએ છીએ. શ્યામા, ખરેખર શું સરસ વાતાવરણ છે !

દુખ હળવું કરવા..વાહ ! આમાં મને તો દુખની એકાદી રેખા યે ન દેખાણી. બધી ભેગી મળીને જલસા જ કરે છે કે બીજું કંઇ ? ઘરમાં કોઇ પૂછવાકે કહેવાવાળું ન રહ્યું.  કંદર્પભાઇ પૈસો પણ સારો એવો મૂકી ગયા છે. પછી ફરે જ ને ? કહેવાય એમ કે ગમતું નથી એટલે ફરીએ છીએ.દુખને ભૂલવા માટે.. હું તો કદી આ રીતે કયાંય ફરવા પામી નથી. સંદીપને કામ સિવાય બીજું કશું કદી સૂઝયું જ કયાં છે ? મારા નસીબમાં તો આખી જિંદગી બસ ઢસરબોળૉ જ લખ્યો છે.

તારીખ 30 એપ્રિલ

આજે સુનીતાએ કહ્યું કે તેણે હવે ડાન્સ કલાસ અને મ્યુઝીક કલાસ જોઇન કર્યા છે. શ્યામા, વરસોથી મને એમાં રસ હતો અને શીખવાની  બહું ઇચ્છા હતી પણ સંજોગોને લીધે કદી શકય ન બન્યું. હવે આમ પણ એકલા એકલા સમય ખાવા દોડે છે, કંદર્પની યાદમાંથી બહાર નથી નીકળાતું. એથી મારી રીતે બીઝી રહેવાનો પ્રયાસ કરતી રહું છું.

આ ઉંમરે ડાન્સ ક્લાસ શરૂ કર્યા ? સુનીતા પણ ખરી છે. કંદર્પભાઇ હોત તો કદી કરી શકી હોત ? કંદર્પભાઇએ તો સુનીતાને જાણે મુક્તિ આપી. મને તો એવી મુક્તિ …

સોરી..હે ભગવાન, માફ કરજો..આવો વિચાર મનમાં કેમ આવી ગયો ?

પણ પ્રામાણિકતાથી કહું તો સાલ્લું પોતાની રીતે, પોતાની મરજી મુજબ જીવવાનો યે એક રોમાંચ હોય હોં. બધું મન ફાવે ત્યારે ને મન પડે એમ કરવાનું. મન થાય ત્યારે તાળું મારી નીકળી જવાનું કોઇ લપ્પનછપ્પન નહીં. કોઇને ગમશે કે નહીં ગમે.. ચિંતા જ નહીં. અને પાછું દુખી છું, ગમતું નથી કહીને બધાની સહાનુભૂતિ તો ઉઘરાવતા જ રહેવાનું.

તારીખ 4 મે.

આજે સુનીતા સાથે ખાસ્સી વાતો કરી. સંદીપ બપોરે ઘરમાં ન હોય એટલી વાર જ વાત થાય. બાકી તો…

સુનીતા તેની દિનચર્યા વર્ણવતી હતી.

શ્યામા, રોજ રોજ એકલા માટે શું રાંધવું ને શું ખાવું મને તો એ જ સમજાતું નથી. સવારે ઉઠતાની સાથે શું કરવું એની પણ ઘડીકવાર તો ગતાગમ નથી પડતી. પછી ધીમે ધીમે બધું ચાલુ થાય. બધી વસ્તુની આદત પડતી જાય છે. ભગવાન દુખ આપે છે ને સાથે એને સહન કરવાની શક્તિ પણ આપી જ દે છે.

હું તો મન થાય એ એકાદ વસ્તુ બનાવી નાખું . પછી ગમે કે ન ગમે છાપા  ને ટીવીનો સહારો જ લેવો રહ્યો. સવારમાં તો કયાં જવું ? ડાન્સની પ્રેકેટીસ કરી લઉં. થોડા રાગડાં તાણી ને રિયાઝ કર્યાનો સંતોષ માની લઉં. એટલી વાર મનને બહું સારું લાગે. ગમે તેમ તો યે વરસોની અધૂરી તમન્ના  ને ?  બપોરે પછી તો ઘરમાં રહી જ ન શકું. કંદર્પની યાદ મને ઘેરી વળે..સારું છે મારા જેવી ચાર પાંચ બહેનપણીઓ અહીં શહેરમાં છે. કોઇએ કશોક પ્રોગ્રામ બનાવી જ લીધો હોય. એટલે સમય સારી રીતે પસાર થઇ જાય છે. સાંજે મોટે ભાગે તો બહાર થોડૂં ઘણું કઈક આચરકૂચર ખાઇ લઇએ. રાત્રે વળી પાછો ટીવીનો સહારો, દીકરા સાથે વાતો અને બસ..દિવસ પૂરો. બસ શ્યામા, શ્વાસ ચાલે છે ત્યાં સુધી સમય પસાર કરતી રહું છું.

સુનીતા જાણે પોતે બહું દુખી હોય એમ રોદણા રડતી રહી. આમાં દુખ જેવી કોઇ વાત મને તો ન દેખાણી..અરે, આવી રીતે ..મરજી મુજબ જીવવા મળે એ તો સ્ત્રી માટે એક કલ્પના જ કહેવાય ને ? આને જો દુખ કહેવાતું હોય ને તો હું તો કહું ભગવાન આવા દુખ સૌને આપે. વધારે તો શું લખું ?

તારીખ 12 મે

આજે બપોરે સુનીતાએ ઘેર ગેટ ટુ ગેધર રાખ્યું હતું બધી બહેપણીઓ અને મિત્રોને બોલાવ્યા હતા. ખાસ્સી ધમાલ કરી હતી. મને યે મજા આવી. અમારી સાથે કોલેજમાં ભણતો પેલો ચિંતન પણ આવ્યો હતો. બોલાવ્યો હશે તો જ આવ્યો હોય ને ? કંદર્પભાઇ હતા ત્યારે સુનીતાની મજાલ હતી કે આમ દોસ્તારોને ઘેર બોલાવી શકે ?  કે કોઇ જેન્ટસ સાથે આ રીતે હસી હસીને , લટકા કરી કરીને વાતો કરી શકે ? હું આવું વિચારી પણ શકું ? સરસ મજાનો ગોળ મટોળ પહેલા કરતી હતી એવો જ ચાંદલો, એ જ મંગળસૂત્ર અને  કાનમાં એ જ હીરાની ઝગમગતી સરી.. કંઇ ફેર પડયો છે ખરો ? હવે તો સુધારાવાદી ગણાય આ બધું . સારું છે એના કુટુંબમાં કોઇએ વાંધો ન ઉઠાવ્યો. કે ઉઠાવ્યો હોય તો યે કોને ખબર ? કોઇ મોઢે થોડું બોલે ? બાકી હું આવા કોઇ સુધારા કરવા જાઉં ને તો મારા સગાઓ તો મને ફોલી જ નાખે.સખે જીવવા જ ન દે.

તારીખ..15 મે..

આજે તો સુનીતાએ હદ જ કરી નાખી. મારી બહેનપણી ખરી..એ ચાંદલો કરે કે બંગડીઓ રણકાવે એ તો જાણે સમજયા.હું કંઇ એવી જૂનવાણી નથી કે મારી ખાસ બહેનપણીની ટિકા કરું. પણ આજે તો સુનીતાએ હાથમાં મહેંદી મૂકી હતી. હું તો એના રાતાચોળ હાથ જોઇ જ રહી. મને કહે, કાલે અમારી લેડીઝ કલબમાં મહેંદી હરિફાઇ હતી. તને ખબર છે મને મહેંદી મૂકતા સરસ આવડે છે અને મને ગમે પણ ખૂબ. આમ તો હરિફાઇમાં ભાગ લેવાનું મન નહોતું પણ બધાએ બહું આગ્રહ કર્યો એટલે પછી ના ન પાડી શકી. અને પહેલો નંબર પણ મારો જ આવ્યો. શ્યામા, કંદર્પને મારો મહેંદીવાળો હાથ જોવો બહું ગમતો. એને યાદ કરીને કાલે તો ખૂબ રડી લીધું ત્યારે મન શાંત થયું. હવે તો જીવન આમ જ જીવવાનું ને ?

અરે, મારી બઇ, બધું યે કરી તો લીધું પછી આનાથી વધારે સારૂં જીવન વળી કેવું હોય ? અરે, મારે હવે મહેંદી મૂકવી હોય ને તો  યે સો વાર વિચાર કરવો પડે.સૌથી પહેલો વાંધો સંદીપને જ આવે.આ ઉંમરે આવું શોભતું હશે ? કાલે તારા રંગેલા નખ જોઇને મને યે રંગવાનું મન થઇ આવ્યું.પણ હું કંઇ એવી સ્વતંત્ર થોડી જ છું ? હવે પંચાવન વરસની ઉમરે આ બધા નખરા શોભતા નથી એવી ટકોર સૌ પહેલી સંદીપની જ આવે એની મને કયાં ખબર નથી ? બહેનપણી સાથે પિકચર જોવા જાઉં છું એમ આજે યે કયાં બોલી શકું છું હા, મંદિરે જાઉં છું, સત્સંગમાં જાઉં છું કે ..કોઇ સાધુ મહારાજની કથા સાંભળવા જાઉં તો ઠીક કહેવાય. એ જ શોભે હવે. વનપ્રવેશ કર્યા પછી એવા મોહ સારા નહીં.

તારીખ 20 મે

આજે સુનીતાના દીકરો વહુ આવ્યા હતા.  મને કહે, આંટી, મારી મમ્મી એકલી પડી ગઇ છે એનું ધ્યાન રાખજો હોં. તમે બધા એની નજીક છો એટલું સારું છે. પપ્પાની યાદમાં મમ્મી એકલી એકલી હિજરાયા કરે છે. જુઓ છો ને કેટલું વજન ઉતરી ગયું છે એનું ? હવે મારાથી એમ થોડૂં કહેવાય છે કે એ તો રોજ ડાંસ કરવા જાય છે અને પછી ઘેર પ્રેકટીસ કરે એટલે નાચી નાચીને વજન ઉતર્યું છે.કંઇ દુખને લીધે નથી ઉતરી ગયું. મોઢા પર ચમક કેવી આવી ગઇ છે એ જો ને. તારા પપ્પા હતા ત્યારે કદી જોઇ હતી તારી માના ચહેરા પર આવી ચમક ? સાવ મારા જેવી જ લાગતી હતી. આ તો હવે..

પણ આવું કશું બોલાય છે થોડું ? મનમાં ભલે ને સમજતા હોઇએ.

 ખેર ! બધાના નસીબ કંઇ સુનીતા જેવા થોડા હોય છે ?

કાલથી મારે ડાયરી લખવી જ નથી. નકામું મનમાં દુખ થાય અને સાલી ન કરવી હોય ને તોયે સરખામણી થઇ જાય છે. નકામું પાપ લાગે.ના, ના મારે એવા પાપમાં નથી પડવું. નથી પડવું..

અને શ્યામાએ ડાયરીનો ઘા કર્યો અને ન જાણે કેમ ધ્રૂસકે ધ્રૂસકે રડી ઉઠી.

 Nilam doshi

2 thoughts on “પાપમાં નથી પડવું..!

  1. Hello madam. Very nice and true story.
    Agree with you that people always find their way like this. But why are they afraid of ;
    To ask for space,
    Life is not only to make other people happy. One has to think about himself/herself.
    Even lord krishna told arjuna” I am samveda in veda” even though people not enjoying their life. People can’t decide the way of life sometime. At that time writers like show the right patpath. This is the right way to serving the society. Thank you mam.

    Liked by 1 person

  2. ઘેર ઘેર માટીના ચુલા.પારકા ભાણામાં લાડુ મોટો લાગે એટલુંજ.માનના વિચારોને સરસ રીતે આલેખ્યાછે.આભાર.

    Liked by 1 person

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.