અત્તરગલી..

 

અત્તરગલી.. 9th march 2013

 

                                                                                            મુક્તિ.યોગ્ય કે અયોગ્ય ?

આજે અત્તરગલીમાં માણીએ એક લઘુકથાની મહેક..  

મહિન અને માધુરીના લગ્ન જીવનને આજે પૂરા ચાર દાયકા વીતી ગયા હતા.વીસ વરસની માધુરી આજે સાઠ વરસની થઇ હતી. હમણાં જ તેનો જન્મદિવસ..તેની ષષ્ઠિ પુર્તિ છોકરાઓ સરસ  રીતે ઉજવી હતી. મમ્મીને કહ્યા સિવાય જ બંને દીકરા વહુએ માને સરપ્રાઇઝ આપ્યું હતું. બંને પોતાના કુટુંબ સાથે અચાનક આવી પહોંચ્યા હતા. અને બધું ગોઠવ્યું હતું. માધુરી ના ના કરતી રહી હતી. પણ છોકરાઓ તેનું સાંભળે એમ કયાં હતા ? નોકરીને  લીધે ભલે દૂર રહેતા હોય પરંતુ સદનસીબે મનથી જોડાયેલા હતા. એ યે કયાં ઓછું હતું ?

આમ પણ આજ સુધી માધુરી અને મહિનનું  જીવન બહું સરળ ગતિએ ..ખાસ કોઇ પ્રશ્નો વિના ચાલ્યું હતું. એને  ઇશ્વરની કૃપા ગણીને પતિ પત્ની આનંદથી જીવન વ્યતીત કરતા હતા. દીકરાઓ બંને પરણી ગયા હતા. અને સારી રીતે સેટલ થઇ ગયા હતા. બંનેના લગ્ન સારા કુટુંબમાં થયા હતા. વહુઓ પણ સારી, સંસ્કારી હતી. કયાંય કોઇ અસંતોશ..કોઇ ફરિયાદનું કારણ નહોતું.

મમ્મીનો જન્મદિવસ ઉજવી દીકરા વહુઓ ગયા. ફરી એકવાર ઘર ખાલી થઇ ગયું. પણ પતિ પત્નીને કોઇ ફરિયાદ નહોતી. એ  તો સંસારનો ક્રમ છે. મન થાય ત્યારે દીકરાઓને ઘેર હોંશે હોંશે જઇ આવતા. પરંતુ આ ઘર..આ ગામ છોડીને  હમેશ માટે જવાનું મન નહોતું થતું. તેથી દીકરાઓના આગ્રહ છતાં અહીં જ રહ્યા હતા.

પણ બધા દિવસો કંઇ કોઇના એકસરખા કયાં  જતા હોય છે ?  હમણાંથી માધુરીની તબિયત સારી નહોતી રહેતી.. ઘણી દવા કરાવ્યા પછી પણ કોઇ ફરક નહોતો પડતો. અંતે મહિન તેને નાના દીકરાને ઘેર લઇને ગયો. જેથી મોટું શહેર હોવાથી બધું ચેક અપ સારી રીતે થઇ શકે. જાતજાતના ટેસ્ટ થતા રહ્યા. અને અંતે પરિણામ ?

કેન્સર..લાસ્ટ સ્ટેજ.. બચવાની કોઇ આશા ડોકટર આપી શકયા નહીં. હવે બધું  ઉપરવાળાના હાથમાં છે. આયુષ્ય હોય ત્યાં સુધીની જિંદગી..  બધા આઘાતથી સ્તબ્ધ.. હવે ?

પહેલા તો મહિનને થયું માધુરીને કશું કહેવું નથી. તેને તેના રોગની જાણ ન થવી જોઇએ. નહીંતર મોત પહેલા જ તે .. દીકરા વહુ બધાનો એ જ મત હતો. પરંતુ મહિન પત્નીને બરાબર ઓળખતો હતો. તેને માધુરીથી કોઇ વાત છૂપાવવી યોગ્ય ન લાગી. અને આમ પણ વધારે વખત તો છૂપાવી શકાય એમ હતું પણ કયાં ? ટ્રીટમેન્ટ તો કરવાની જ હતી.

પરંતુ  બધાના આશ્વર્ય વચ્ચે માધુરીને પોતાના રોગની જાણ થતા તેણે બહું આસાનીથી પરિસ્થિતિ સ્વીકારી લીધી. જેવી ઇશ્વરની ઇચ્છા.. આમ પણ મેં હવે જિંદગી જીવી લીધી છે. હવે કોઇ અભરખા નથી. હા..તમને બધાને છોડીને જવું નહીં ગમે.. તમારા બધાનો પ્રેમ છોડીને  હું કેમ  જવાની ?  પણ ઇશ્વરની ઇચ્છા સ્વીકાર્યે જ છૂટકોને..? મરે..તમારે..આપણે બધાએ..

કહેતા માધુરીની આંખો ભરાઇ આવી.

પણ તે છતાં ધીમેથી ઉમેર્યું..

આમ પણ વહેલું કે મોડું બધાએ એકલું જ જવાનું છે ને ? મોહ,  મમતા ..માયાના બંધન એક દિવસ તો છોડવાના છે જ ને ?

પણ મહિન,  પ્લીઝ..એક વિનંતી.. હું દવા કરાવીશ.. તમે કહેશો એ  બધું કરીશ.. પણ જો મારી સ્થિતિ એવી થાય કે છેલ્લે હું કંઇ બોલી ન શકું..કે પરવશ થઇને પડી રહી હોઉં.. ત્યારે મારા શ્વાસ કૃત્રિમ રીતે બે પાંચ દિવસ વધારે  ટકાવી રાખવાનો મોહ ન રાખશો.. પ્લીઝ..મને હસીને વિદાય આપશો.. બસ.. એ એક જ મારી ઇચ્છા છે. મારે સારી રીતે મરવું છે..રિબાયા સિવાય.. કે કોઇને રિબાવ્યા સિવાય . મારા મોતની પ્રતીક્ષા કરતા હું તમને નહીં જોઇ શકું.. પ્લીઝ.. મારી વિનંતી સ્વીકારશોને ?

શું જવાબ આપવો તે ત્યાં હાજર રહેલા કોઇને સમજાયું નહીં. બધાની  આંખો ભીની બની હતી.મહિને મૌન રહીને ધીમેથી માધુરીનો હાથ દબાવ્યો. એમાં મૌન સ્વીક્રતિ હતી.  એ સ્પર્શની શાતા માધુરી અનુભવી રહી.

માધુરીની એક એક પળનું બધા ધ્યાન રાખતા હતા.તે કેમ આનંદમાં રહે એ એકમાત્ર બધાનું ધ્યેય બની ગયું હતું. માધુરીને જયારે સારું લાગતું હોય ત્યારે બધા સાથે બહાર ફરવા ઉપડી જતા..રોગની..વેદનાની..મૃત્યુની કોઇ વાત નહીં. હસી મજાક ચાલતા રહેતા. બને તેટલા સ્વાભાવિક  રહેવાય એનું સૌ ધ્યાન રાખતા હતા. માધુરી મનોમન ઇશ્વરનો આભાર માનતી હતે..આવા સરસ સ્વજનો મળવા એ કંઇ ઓછા નસીબની વાત છે ?

પણ ધીમે ધીમે મધુરીનો રોગ જોર પકડતો ગયો. હવે પથારીમાં પડયા પડયા મશીનો વડે જ શ્વાસ ચાલતા હતા. હવે રિબામણી સિવાય બીજું કશું નહોતું. ડોકટરોએ બધા પ્રયત્નો છોડી દીધા હતા. બસ..શ્વાસ ખૂટવાની રાહ જોતા હતા. મહિનના કાનમાં માધુરીના શબ્દો પડઘાતા હતા. જીવ નહોતો ચાલતો.. પણ …

આજે સવારે મહિન માધુરી સામે જોતો ઉભો હતો. વેંટીલેટર પર રહેલી માધુરી નિશ્વેતન જેવી હાલતમાં સૂતી હતી. દીકરા વહુ બધા પાસે જ ઉભા હતા. મહિનના કાનમાં માધુરીના શબ્દો પડઘાતા હતા.. મહિન..પ્લીઝ..તમે મને વચન આપ્યું છે.. મને મુક્તિ આપો.પ્લીઝ મુક્તિ આપો.. મહિને બધા સામે જોયું. કોઇ કશું બોલ્યું નહીં. બધાની આંખો નીચી ઢળેલી હતી.

મહિને મન મકકમ કર્યું. ધીમે રહીને  તે આગળ વધ્યો. માધુરીના શરીર સાથે જોડાયેલી નળીઓ હળવેકથી કાઢી.. અને…

મહિનની આંખે આંસુની વણખૂટ ધારા.. આજે તેણે તેની માધુરીને મુક્તિ આપી હતી.

દોસ્તો, શું માનો છો આપ ? મહિને સાચું  કર્યું ? ખોટું કર્યું ?

 

( ગ્લોબલ ગુજરાત ન્યુઝમાં પ્રકાશિત કોલમ અત્તરગલી )  

 

4 thoughts on “અત્તરગલી..

  1. Mahin has done great service to his wife. This should be part of our WILL with a request to family members,friends,relatives to execute in case of one runs on life support systems. Machine supported life is no life at all. Let us not borrow breaths.

    Like

  2. પ્રિય નીલમબેન,

    આજની તમારી વાર્તા “અત્તર ગલી” વાંચી. તમે જે લખ્યું છે તે ખરેખર જોવા જઈએ તો દરેક મોટી ઉંમરના લોકોએ અંત ઘડી આવે ત્યારે જે પરિસ્થિતિ આવે તે સ્વીકારી લેવી જોઈએ, જીવનની બચવાની આશા જ ન હોય અને જીવે તો પણ ન કુટુંબને, કે, ન સમાજને, તમારી જરૂર હોય પછી વધુ જીવવાનો મોહ ન રાખવો જોઈએ, કારણકે “લાઈફ સપોર્ટ” કે “વેન્ટિલેટર” ઉપર રાખવાથી કુટુંબ ઉપર ભયંકર ખર્ચાનો બોજ આવી પડે છે, અને મોટી ઉંમરના બચે તો પણ કાંતો પક્ષઘાત થઈ જાય અથવા કાયમ કોમામાંજ રહે….

    બહુ સુંદર વાર્તા છે. તમારી વાર્તા વાંચ્યાંના ઘણા સમય પહેલા મેં મારી આખરી ઈચ્છાનું વીલ બનાવ્યું છે, તે બતાવવા, મારા નામ વગેરે કાઢીને તમને એક કોપી મોકલું છું.( અહીં માત્ર વેન્ટિલેટર શબ્દ તમારી વાર્તા વાંચ્યા પછી મેં ઉમેરેલો છે)

    Date: Sat, 6 Apr 2013 23:41:11 +0000
    To: mdgandhi21@hotmail.com

    Like

  3. મારા મત મુજબ ખરેખર મહીને જે કર્યુ તે સાચુ અને સારુ કર્યુ. મોતની પ્રતીક્ષા કરતા વ્યક્તી ને ખોટી રીતે રીબાવ્યા સિવાય વિદાય આપી….. કાયદા મા પણ ઇચ્છા મ્રુત્યુ ની જોગવાઇ કરવી જોઇએ.

    Like

  4. મહીને જે કર્યું તે બરાબર કર્યું. આ રીતે તેને એક ઉમદા પ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.