પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

સંબંધસેતુ..15 June 24, 2008

સંબંધોના અર્થ કદી બદલાયા કરે
ઉઘડે જો આંખ મર્મ સમજાયા કરે

કયારેક કોઇ પળે અમુક સંબંધો અર્થહીન લાગે છે. દ્રષ્ટિ બદલાતી રહે છે.સન્દર્ભો બદલાતા રહે છે. સમયની સાથે સાથે જીવનમાં પરિવર્તન આવતા રહે છે. એક જ વ્યક્તિ માટે દરેકના અભિપ્રાયો અલગ અલગ હોઇ શકે છે. મા તરીકે ખૂબ પ્રેમાળ સ્ત્રી સાસુ તરીકે એટલી પ્રેમાળ રહે જ એ જરૂરી નથી હોતું. કોઇ પણ સંબંધ માટે આ એક હકીકત છે. એક જ વ્યક્તિના કેટલાયે અલગ રૂપો હોય છે. અને એ સ્વાભાવિક પણ છે. એક વ્યક્તિ મા તરીકે અલગ,બહેન તરીકે અલગ..પત્ની તરીકે અલગ.. પુત્રી તરીકે અલગ , વહુ તરીકે અલગ..પિતા તરીકે..ભાઇ તરીકે..પુત્ર તરીકે..દરેકનો રોલ અલગ જ રહેવાનો..એ સમજી શકાય તેવી વાત છે.

આજે કંઇક આવી જ એક વાત નજર સામે તરવરી રહી છે. દરેક સ્ત્રીની જેમ કેતાબહેને ખૂબ હોંશથી..ધામધૂમથી દીકરાના લગ્ન કરી પૂત્રવધૂ ઇશાને હોંશથી ઘરમાં આવકારી. આટલા વરસો સુધી પોતે જવાબદારી સંભાળી હવે વહુ જાણે અને તેનું ઘર જાણે..કહી બધું વહુને સોંપી પોતે પોતાના વાંચવા લખવાના શોખમાં પ્રવૃત થઇ ગયા. આમ તો વહુ ઉપર ખાસ કોઇ કચકચ કરતા નહીં. વહુ પણ નોકરી કરતી હતી. ઘરની અને બહારની બંને જવાબદારી તેણે સારી રીતે સંભાળી લીધી હતી. સવારે દસ વાગ્યે તેને નીકળી જવું પડે…સવારના ચા નાસ્તાનું પતાવી જલદી જલદીથી રસોઇના કામમાં લાગી જાય…ઓફિસ નજીક હતી તેથી બપોરે લંચ અવરમાં ઘેર આવી રોટલી બનાવી સાસુ વહુ જમવા બેસે. કેતાબહેન રાહ જોઇને જ બેઠા હોય. બાપ દીકરો બંને તો ટિફિન લઇને નીકળી ગયા હોય તે છેક સાંજે આવે. તેથી બપોરે તો સાસુ વહુ બે જ હોય. કયારેક આવવામાં ઇશાને મોડું થાય ત્યારે તે માંડ માંડ પહોંચી શકે..ત્યારે તેને થાય કે મમ્મી ચારપાંચ રોટલી ન બનાવી શકે ?..તેમને શારીરિક કોઇ તકલીફ હતી નહી..તેથી ધારે તો જરૂર બનાવી શકે તેમ હતા..પરંતુ સાસુ હતાને…? પહેલેથી એવી આદત પાડીશ તો હમેશ માટે બધું મારી ઉપર જ આવી જશે.એમ વિચારી કેતાબહેન કયારેય કોઇ કામ હાથમાં લે નહીં.અન્યના સાંભળેલા…જોયેલા અનેક અનુભવો પરથી તેમણે કદાચ આ નક્કી કરેલું હતું. જોકે ઇશાથી પહોંચી ન શકાય તો ઇશાને કહી દે કે રોટલી વિના ચાલશે..પણ બનાવે તો નહીં જ.. કોઇ કચકચ વિના ચલાવી જરૂર લે…પણ કરાવવાની વાત નહીં જ. સગા સંબંધીઓની વણમાગી સલાહો નો અમલ તો કરવો રહ્યો ને..?

..રાત્રે ઇશાને સૂવામાં હમેશા મોડું થાય કેમકે તેના પતિ સાગરને આવવામાં મોટે ભાગે લેઇટ થાય એટલે તેને જમાડી..બધું પતાવી ઇશા સૂવા જાય ત્યારે હમેશા રાતના 11 વાગી જ ગયા હોય. અને સવારે કેતાબહેનને વહેલા ઉઠવાની આદત..અને ઉઠીને ચા પણ પહેલા જોઇએ..પર્ંતુ જાતે બનાવીને પી લે તો સાસુ કેમ કહેવાય? એટલે ઇશાને જલદી જલદી ઉઠી જ જવું પડે. ઇશા સંસ્કારી હતી તેથી કશું બોલ્યા સિવાય કરતી તો ખરી..પણ કયારેક મનમાં અકળાતી પણ ખરી જ. પરંતુ કોને કહે…? પતિને કહી ઘરની શાંતિ ભંગ થાય તેવું તે ઇચ્છતી નહીં..થોડું કામ જ વધારે કરવું પડે છે ને..બીજી કોઇ તકલીફ તો નથી ને? એમ વિચારી..મન મોટું રાખી તે મૌન રહેતી. જોકે નીરવભાઇ ઘણીવાર પત્નીને કહેતા સવારે થોડી વાર વહુને મદદ કરાવતી હો તો ઇશાને થોડી રાહત રહે.

’ પણ બૈરાની વાતમા તમને સમજ ન પડે ‘ કહી કેતાબહેન તેમને ચૂપ કરી દેતા..અને ઘરનું ગાડુ ગબડયા કરતું..

હમણાં કેતાબહેન પુત્રીને ઘેર આવ્યા હતા.પુત્રી પણ નોકરી કરતી હતી. તેના ઘરમાં સાસુ કે કોઇ નહોતું. પતિ, પત્ની બે જ હતા. અહી કેતાબહેન સવારે જાતે પોતાની ચા બનાવી લેતા. પુત્રી હક્કથી કહી શકતી ‘ મમ્મી મારે પણ તારા હાથની ચા પીવી છે હોં..તું આવી છે તો મને કેવી નિરાંત છે તૈયાર ચા નાસ્તા મળે છે. ‘ કેતાબહેન દીકરી જમાઇ માટે રોજ સવારે ગરમ નાસ્તો હોંશે હોંશે બનાવતા. પુત્રી કૂકર કરીને જતી.રોટલી કેતાબહેન બનાવી નાખતા. અને સાંજે પણ પુત્રીને રસોઇમાં હોંશે હોંશે મદદ કરતા કે કયારેક તો પોતે જ બધું કરી રાખતા.

એક દિવસ રાત્રે કોઇ વાત નીકળતા તેમના જમાઇ કહે.. ‘ તમે છો તો કેવુ સારું લાગે છે. રોજ નવું નવું જમવા મળે છે. અમે બને તો નોકરી પરથી આવીને થાકયા હોઇએ તેથી જે હોય તેનાથી ચલાવી લેતા હોઇએ કે પછી એકાદ વસ્તુ ફટાફટ બનાવી લેતા હોઇએ..તમારી વહુ ઇશા નશીબદાર છે. નોકરી પરથી આવે ત્યારે કોઇ ગરમાગરમ જમાડવાળુ કે મદદ કરાવવા વાળુ હોય તો કેવું સારું લાગે..’

પુત્રીએ પણ પતિની વાતમાં સૂર પૂરાવ્યો તેણે કહ્યું ‘ ભાભી તો નશીબદાર છે. મમ્મીને તો કામ સિવાય ગમે જ નહીં…હું તેને ઓળખું ને ..સાચી વાતને મમ્મી…..?

કેતાબહેન વિચારમાં પડી ગયા. કશું બોલ્યા નહીં પોતે ઇશાને કશું કરાવતા નથી એવું કેમ બોલે? તે મૌન થઇ ગયા. પણ પુત્રીના વાકયે અને અહી એક મહિનો રહ્યા પછી તેની નજર સમક્ષ કશુંક ઉઘડતું જરૂર જણાયું.

અને આ વખતે કેતાબહેન પોતાને ઘેર ગયા ત્યારે એકાદ દિવસ પછી ઇશા સવારે ઉઠી ત્યારે તેના આશ્ર્વર્ય વચ્ચે તેમણે જોયું કે મમ્મીએ તો પોતાની ચા બનાવીને પી લીધી છે. અને બધા માટે નસ્તાની તૈયારી કરી રહ્યા છે. ઇશાએ થોડો ક્ષોભ અનુભવતા તુરત કહ્યું. ‘ મમ્મી હું બનાવું છું..આજે જરા…..’ તેને કોઇ ખુલાસો આપતા રોકી વચ્ચે જ કેતાબહેને હસીને કહ્યું..’ એ તો તું આવી તેથી થોડો સમય આરામ કરી લીધો….બાકી હું કંઇ અપંગ થોડી છું કે મારી ચા પણ ન બનાવી શકું ?’

અને તે દિવસે બપોરે ઇશા આવી ત્યારે ગરમાગરમ રોટલી બનાવી કેતાબહેન તેની રાહ જોઇ રહ્યા હતા. અને સાસુ વહુ નિરાંતે વાતોના તડાકા મારતા સાથે બેસીને જમ્યા…રોજ તો વાતો કરવાનો સમય કયાં રહેતો હતો… હવે તો ઇશા રોજ આવીને ઓફિસની કેટલીયે વાતો કેતાબહેન સાથે કરે છે. ઇશા ઘણીવાર તેમને કામ કરવાની ના પાડે છે.પણ કેતાબહેન હસીને કહે છે રવિવારે તારા હાથની રોટલી..બાકી રોજ બીજું બધું તો તું કરે જ છે ને? આ તો મારે જીમમાં જવાનો કે ચાલવાનો ધક્કો બચે..થોડી કસરત ઘરમાં જ થઇ જાય ને કામ પણ લાગે..એક કાંકરે બે પક્ષી….

વાત તો સાવ જ નાની..નજીવી..! પણ પરિણામ ? કેટલું મોટું ! કેવું સરસ….!

અને હવે આવા ઘરમાં સંબંધોનું સૌન્દર્ય છલક્યા સિવાય રહે ખરું ?

સાસુ વહુ વચ્ચે હેતપ્રીતના નવા સંબંધોથી ઘરની દીવાલો પણ હસી ઉઠી.. વહુને દીકરી કહેવી કેટલી આસાન છે.. પરંતુ સાચા અર્થમાં તેને દીકરી માની શકાય તેની તકલીફ પણ પુત્રીની માફક જ જો સમજી..સ્વીકારી શકાય તો સાસુ વહુના બહુ વગોવાયેલા સંબંધોની વચ્ચે દીવાલ બનવાને બદલે સેતુ રચાઇ શકે…અને એકવાર સંબંધોનો સેતુ રચાય પછી તો એ સેતુ પરથી પસાર થવાનું કેટલું આસાન ? પછી જીવન રળિયામણું બનતા વાર ન જ લાગે ને? સાવ નાની વાત પણ સંબંધોને એક નવી ઉંચાઇ અર્પી શકે છે.. અને ઘરમાં હેતના અને હાસ્યના ફુવારા ઉડતા રહે છે…સંબંધોના મર્મ પમાઇ જાય ત્યારે તેના અર્થ આપોઆપ બદલાઇ જાય છે..અને બદલાય જાય છે એક ઘર…ઘરનું વાતાવરણ હસી ઉઠે છે..અને ખુશહાલીના આ સામ્રાજયમાં જીવન મહોરી રહે છે.

બીજાની દ્રષ્ટિએ થોડું જોવાની આદત કેળવીશું ને ? ગામને મદદરૂપ નહીં થઇ શકીએ તો ચાલશે..પણ આપણા પોતાના ઘરમાં તો મદદરૂપ બની શકીશું ને ?

સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )

 

સંબંધસેતુ..14 June 19, 2008

“હૈયુ નર્યુ મુલાયમ,સામે બધા ય પથ્થર,
હળવે રહીને લખજો હૈયાના હસ્તાક્ષર…”

કવિએ આ એક પંક્તિમાં કેટલી સાચી વાત કહી દીધી છે. દરેક વ્યક્તિને પોતે હમેશા લાગણીશીલ અને અંદરથી મુલાયમ છે. અને બીજા પથ્થર જેવા કઠોર છે તેવું લાગતું હોય છે.પણ એ બીજા બધા પણ પોતે એવું જ માનતા હોય છે ને ? તેથી જ કોઇ કવિ આવું ગાઇ ઉઠ્યા હશે..

”હું કહું એ સાચું અને બીજા કહે એ ભૂલ,
એ બીજા બધા પણ “હું “ જ છે..
તો પછી જગતમાં કયાં ભૂલ છે ? “

કહેવાનો મતલબ એટલો જ દરેક વ્યક્તિ પોતા અંગે આવું જ માનતી હોય છે.અને ત્યારે દરેકે કઠોર બન્યા સિવાય જીવનકિતાબના પાના પર હળવે હાથે, મુલાયમ રીતે જ હસ્તાક્ષર કરવા રહ્યા. જેથી કોઇના યે હૈયાને ઠેસ ન પહોંચે.પણ જીવનમાં આવું કેટલા લોકો વિચારી શકે છે ? અને વિચારનાર..લખનાર કે બોલનાર પણ ખરેખર જીવનમાં તેનો અમલ કરી શકે છે ખરા ? જો કરી શકતા હોત તો આજે જે ઝડપથી સંબંધો તૂટી રહ્યા છે… ઝંખવાઇ રહ્યા છે..માનવ માનવ વચ્ચે તિરાડો પડતી જાય છે. અવિશ્વાસ વધતો જાય છે તે પરિસ્થિતિ હળવી ન થઇ શકત ? આજે સૌને અન્ય માટે ફરિયાદ છે..પણ ફકત ફરિયાદથી કોઇ વાતનો ઉકેલ કયારેય મળી શકે ખરો ? આજે કંઇક આવી જ વાત કરવી છે.

રોમિન અને રીનાની સગાઇને એક મહિનો થયો હતો. બંને ખુશખુશાલ હતા. જીવનના આ સોનેરી સમયને…ગોલ્ડન પીરીયડને મન ભરીને માણતા હતા. રીનાની દરેક વાત રોમિન હોંશેહોંશે સ્વીકારતો રહેતો. રીના ની આગળ પાછળ ફરતો રહેતો. તેનો પડયો બોલ ઝિલવા તત્પર રહેતો.બંને એક જ શહેરમાં હોવાથી રોજ સાંજે અચૂક મળતા. દિવસો ને..સમયને જાણે પાંખો આવી હોય તેમ લાગતું હતું.દિવસો સોનેરી તો રાતો અનેક શમણાઓથી રૂપેરી બની રહેતી..રીનાને પણ રોમિનની દરેક વાત અદભૂત લાગતી. સુંદર કપડામાં સજ્જ થઇ ..હાથમાં હાથ પરોવી બંને કલાકો સુધી ગુફતગુ કર્યા કરતા. એકબીજા પર સારી છાપ કેમ પડે..તે જોવા બંને પ્રયત્નશીલ હતા.

અને અંતે સપનાઓ સાકાર થવાની ઘડી પણ આવી પહોંચી, રીના નવવધૂ બની રોમિનના ઘરમાં આવી. ઘરમાં પણ બંને એકલા જ હતા.સાસુ,સસરા બીજા શહેરમાં રહેતા હતા.અને રોમિનને નોકરીને લીધે અલગ જગ્યાએ રહેવાનું હતું.આમ પૂરી મોકળાશ સપનાને પાંગરવા મળી હતી.

અને હમેશા જેમ બનતું આવ્યું છે તેમ શરૂઆતનો થોડો સમય તો ખૂબ સરસ રીતે એકમેકમાં ખોવાઇને….ખૂબ ઝડપથી પસાર થઇ ગયો. પરંતુ શરૂઆતની રોમાંચકતા, ઉન્માદ..ધીમે ધીમે ઓસરવા લાગ્યા..પ્રાપ્તિ કરતાં પ્રયત્નનો આનંદ હમેશ વધારે જ હોય છે. હવે તો રોજના થયા..ધીમેધીમે બંને એક બીજા પ્રત્યે થોડા બેદરકાર થવા લાગ્યા.રીના જે રોજ સાંજે સરસ તૈયાર થઇ રોમિનની પ્રતીક્ષા કરતી હતી..તે રોજ ઘરમાં શું તૈયાર થવાનું હોય…માની એમ જ બેસી રહેતી. અને રોમિન પણ પહેલાની માફક ફરીથી મિત્રોમાં ફરવા લાગ્યો. બંનેને એક્બીજા માટે લાગણી નહોતી..એવું નહોતું. પરંતુ કદાચ બંનેએ એકબીજાને “ ટેઇકન ફોર ગ્રાન્ટેડ “ લઇ લીધા હતા. અને સંબંધોમાં બેદરકારી પ્રવેશતા જ ઘરમાં નાની નાની વાતોમાં મતભેદ થવા લાગ્યા..કયારેક બોલાચાલી..તો કયારેક અબોલા..એકબીજા પર આક્ષેપો…તને મારી પડી નથી…એવા રુટિન ડાયલોગો ચાલુ થયા..જે સામાન્ય રીતે અંતહીન અને અર્થહીન હોય છે. જીવનમાં કંટાળો પ્રવેશવા લાગ્યો.. લગ્ન અને સગાઇ વચ્ચેના સમય ગાળામાં સ્વાભાવિક રીતે જ બંને એકબીજાને ખુશ રાખવાના પ્રયત્નો સતત કરતા રહેતા.સરસ તૈયાર થઇને એકબીજાને મળતા રહેતા.ભવિષ્યના સપનાઓ સાથે જોવાતા રહેતા. એકમેકના ગુણો જ દેખાતા..બંને એકબીજા પર સારી છાપ પાડવા સ્વાભાવિક રીતે જ આતુર રહેતા. હવે નજીક આવતા..હમેશ માટે સાથે રહેવાનું થતા…એકબીજાના દોષ..આદતો..વિગેરે થી પરિચિત થવા લાગ્યા. અને જીવનમાં કંઇ ફકત સપનાઓ જ નથી હોતા..અને હકીકત સપનાઓની માફક રંગીન થોડી જ હોય છે ? અને હવે શરૂ થઇ સંબંધોની કસોટી.. રોમિન અને રીના બંને એકબીજા પર આક્ષેપો કરવા લાગ્યા..’તને મારી પડી નથી….’ રોમિન કહેતો..અને બમણા જોશથી રીના કહેતી,’લગ્ન પહેલા તું કેવી મોટી મોટી વાતો કરતો હતો…આવી ખબર હોત તો….’

’તો શું કરત ? લગ્ન ન કરત..એમ જ ને ? તો તારા વિના અહીં કોણ કુવારું રહી જતું હતું. અને હવે તો પડી ને ? તારે જે કરવું હોય તે છૂટ છે. હું તો આમ પણ થાકયો છું હમેશની આ કચકચથી…’’

’એટલે..? તું મારાથી છૂટવા માગે છે ? હું જ ખરાબ છું? બધો દોષ મારો જ છે ? ‘ અને અંતહીન આક્ષેપબાજી ચાલુ રહેતી. અને રીના આંસુ સારતી અને રોમિન ગુસ્સે થઇ બહાર ચાલ્યો જતો. વળી મનામણા થતાં..થોડા દિવસો ફરી બધું સરખુ ચાલતું..અને પડયુ પાનુ નિભાવવાની વૃતિથી બંને છૂટા તો ન પડતા..પરંતુ જીવન રગશિયા ગાડાની જેમ ચાલતુ રહેતુ.ઉત્સાહના અભાવે જીવનની મજા અદ્રશ્ય થવા લાગી.

હકીકતે દરેક યુવક,યુવતીએ સમજવું રહ્યું કે લગ્ન પછી પહેલાની રોમાંચકતા જાળવવી બહું અઘરી છે. લગ્ન પહેલા સંસારની…ઘર ચલાવવાની કોઇ જવાબદારી નથી હોતી. કાંદા..બટાટાના ભાવોની ચર્ચા કે સામાજિક વ્યવહારો જાળવવાની ચર્ચા એ સમયમાં નથી થતી હોતી. એ બધું તો લગ્ન પછી જ શરૂ થાય છે. અને એકમેકની નજીક આવતા જ સામી વ્યક્તિના દોષ દેખાવાની શરૂઆત થાય છે. ત્યારે જો સમજણનો સેતુ વિકસેલ ન હોય તો સેતુમાં તિરાડ પડતા સમય નથી લાગતો.. અને “.stich in time,saves nine..” ની જેમ સમયસર જો એ તિરાડ સંધાય નહીં તો સમય જતાં એ તિરાડોને મોટું સ્વરૂપ ધારણ કરતાં વાર નથી લાગતી. અને સતત સાથે રહેવાનું થાય ત્યારે દરેક વ્યક્તિના જીવનમાં નાની તિરાડો..નાના નાના મતભેદો તો થતા જ રહેવાના….એમાંથી બહાર કેમ નીકળવું એ કલા જો સાધ્ય ન કરી હોય તો…પરિણામ ખરાબ જ આવવાનું. હકીકતે લગ્ન પહેલા જેટલી શારીરિક તૈયારીઓ.. ફેસિયલ,વેક્સીંગ,બ્લીચીંગ.મહેંદી, વિગેરે થાય છે. વહેવારની તૈયારીઓ થાય છે.તેટલી જ માનસિક તૈયારીઓ થાય..તો ઘણાં પ્રશ્નો ભવિશ્યમાં સોલ્વ થઇ શકે.એકમેકના પ્રેમ વડે સંસારસાગર આસાનીથી તરી શકાય છે. પરંતુ એકમેક પ્રત્યે જો નફરત ઉભી થઇ તો….પરિસ્થિતિ સંભાળવી બહું કઠિન બની જાય છે.
ખલિલ જિબ્રાને એક જગ્યાએ સરસ વાત કહી છે.

તેઓ કહે છે..”પ્રેમને વશ થજો..તેમાં શ્રધ્ધા રાખજો..પ્રેમ પોતા સિવાય બીજું કશું આપતો નથી..અને પોતા સિવાય બીજુ કશું લેતો નથી..”

સ્નેહમાં હમેશા સમર્પણ જ હોય. દામ્પત્યજીવન એ “હું” માંથી “અમે “ તરફ જવાની શરૂઆત છે.વિસ્તારયાત્રા છે. જોકે સદનશીબે રોમા અને રોમિનના જીવનમાં ભંગાણ ન પડયું. શરૂઆતમાં થોડા મતભેદો જરૂર થયા..પણ અંતે એક્બીજાને માટે પ્રેમ હોવાથી ધીમે ધીમે પરિપકવતા આવવાથી એકબીજાનો સ્વીકાર..થવાથી મોટા પ્રશ્નો ઉભા ન થયા. વ્યક્તિ જેવી છે તેવી મારી છે…સંપૂર્ણ કોણ હોય શકે ? “ આ ભાવના જો એકવાર દિલમાં ઉગે તો દોષ રાઇ જેવડા બની જાય છે. અને જીવન વિકસી રહે છે.

નાનીવાતને મોટું સ્વરૂપ આપવાની ભૂલ કયારેય ન થવી જોઇએ. સમાધાન એ જ ઘરના સુખની ચાવી છે. સારા પુસ્તકોનું વાંચન ઘણીવાર ઉપયોગી નીવડે છે..અને જીવનને તૂટતું બચાવી લે છે.દરેક માણસની એક મર્યાદા હોય છે. અન્યની સાથે સરખામણી કરવાની ભૂલ દામ્પત્યજીવનમાં કયારેય કરવી નહીં. તમને બીજાની પત્ની કે બીજાનો પતિ સારો લાગતો હોય તો એ ખરેખર સારો જ છે તેવું માનવાની જરૂર નથી કેમકે ડુંગરા દૂરથી જ રળિયામણા લાગતા હોય છે. અને “ માંહ્યલા ગુણ તો મહાદેવજી જ જાણે..” તે વાત સાચી છે જ. બની શકે તમારી બહેનપણીને તમારો પતિ સારો લાગતો હોય કે તમારા મિત્રને તમારી પત્ની સુંદર લાગતી હોય.પારકે ભાણે હમેશા લાડુ મોટો જ લાગવાનો. માટે એવા કોઇ ભ્રમમાં રહ્યા સિવાય જે આપણી વ્યક્તિ છે તેનો પ્રેમપૂર્વક સ્વીકાર એ જ સુખી થવાની ગુરુચાવી છે. દરેકના જીવનમાં કયારેક તો સંબંધોની કસોટી થતી જ રહે છે. જીવનમાં ચડાવ ઉતરાણ તો આવવાના જ.જીવન કંઇ સપાટ મેદાનમાં વહેતી નદી નથી. એ તો ખડકો વચ્ચેથી રસ્તો કરતું વાંકુચુકુ પણ સતત વહેતું ઝરણુ છે.એ ઝરણાના સંગીતને સાંભળવાની શક્તિ કેળવી શકીએ..તો સંબંધોમાં કયારેય તિરાડ ન પડે..અને સંબંધોનો સેતુ જળવાઇ રહે એનાથી રૂડી વાત બીજી કઇ હોઇ શકે ?

સહજીવનને સખ્યજીવન પ્રેમથી જ બનાવી શકાય ને ?

(સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )

 

સંબંધસેતુ…13 June 16, 2008

સંબંધોનો રસ્તો સહિયારો

મારગ જીવનનો મઝિયારો

સંબંધોનો રસ્તો હમેશા સહિયારો જ રહેતો હોય છે. અને એ રસ્તો કોઇ રાજમાર્ગ નથી..કે સડસડાટ ચાલી જવાય. એ તો સાંક્ડી કેડી છે. જયાં દરેક પગલુ થોડી સાવચેતીથી…થોડી સમજણથી….થોડા સ્નેહથી..થોડા સમાધાનથી અને થોડી ધીરજથી ભરવામાં આવે તો રસ્તામાં અવરોધો નડે નહીં..અને જીવનમાં સંબંધો ખીલી રહે અને જીવન સભર બની શકે.

આજે વાત કરવી છે એક લીલાછમ્મ સંબંધની…વાત સાવ સાચી અને આપણા અમદાવાદની જ છે.

મનોજભાઇ ધ્રુવ અમદાવાદમાં જ રહે છે. મીકેનીકલ એંજીનીયર તરીકે વટવામાં એક ફેકટરીમાં સારી પોસ્ટ પર કાર્યરત હતા. આજથી સાત વરસ પહેલાં એક દિવસ કંપનીના કામે મુંબઇ જવાનું હતું. સ્ટેશને જવા માટે રીક્ષામાં બેસવા જતા હતા…ત્યાં પાછળથી એક મારુતિ કારે આવીને જોરદાર ટક્કર મારી. મનોજભાઇ બેભાન…! બે મહિના હોસ્પેટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા રહ્યા. જાતજાતના ઓપરેશનો થતા રહ્યા..દવાઓ..ઇન્જેકશનો વચ્ચે ઝઝૂમતા રહ્યા. પાણીની માફક પૈસા વેરાતા રહ્યા.

અંતે બે મહિના પછી બચવાની આશા જાગી. ડોકટરોની મહેનત અને ઘરના લોકોની પ્રાર્થના ફળી. મનોજભાઇ સાજા તો થયા..પરંતુ હાથે પગે અને જીભમાં પેરેલીસીસ..!

આજે સાત વરસથી બિલકુલ પથારીવશ. જેને સતત બોલબોલ કરવાની..હસતા અને હસાવતા રહેવાની આદત..એ માણસ આજે સાત વરસથી બિલકુલ મૌન..કશું જોતું હોય ત્યારે ઇશારાથી સમજાવવાનો પ્રયત્ન કરે. શરૂઆતમાં ઘરના કોઇને કયારેક ન સમજાય તો આંખ છલકી રહે..પરંતુ આજે જે ઝિંદાદીલીથી પરિસ્થિતિને સ્વીકારીને હસે છે..તેનુ પુરું શ્રેય જાય છે તેમના ઘરના લીલાછમ્મ સંબંધોને..લીલીછમ્મ લાગણી ને.

પુત્ર ત્યારે બારમા ધોરણમાં ભણતો હતો.પુત્રીએ કોલેજ પૂરી કરી હતી..અને તેના લગ્નની વાતચીત ચાલતી હતી..છોકરાઓ જોવાતા હતા…અને ત્યાં જ..આ અકસ્માત..! ઘરમાં કમાનાર કોઇ નહોતું. પુત્રીએ કોમ્પ્યુટરનો કોર્સ કર્યો.એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી લીધી.. લગ્નના શમણા જોતી આંખો કોમ્પ્યુટરના સ્ક્રીન પર સ્થિર થતી ગઇ. પત્ની ખૂબ પ્રેમપૂર્વક પતિના સંડાશ પેશાબ સાફ કરતી રહી. ખવડાવતી રહી. સવારે ફીઝીયોથેરાપીસ્ટ અને સ્પીચથેરાપીસ્ટ કસરત કરાવવા આવે અને સાંજે પત્ની કસરત કરાવે.પુત્ર સવારે કોલેજ જતાં પહેલા પપ્પાને નવડાવે..દાઢી કરી આપે…! કયારેક મનોજભાઇ ઇશારાથી ના પાડે..સમજાવે કે રોજ દાઢી કરવાની જરૂર નથી..મારે હવે કયાં બહાર જવાનું છે ? પરંતુ પુત્રને પપ્પાની આદતની જાણ હતી,.પપ્પાને રોજ દાઢી કર્યા સિવાય ગમતું નહોતું. હવે લાચાર છે..જાતે નથી કરી શકતા..તો શું થયું ? પપ્પા ઉપર કૃત્રિમ ગુસ્સો કરી પપ્પાને પ્રેમથી તૈયાર કરે છે. વાર્ષિક પરીક્ષા હોય કે ગમે તે હોય..પપ્પાના કોઇ કામમાં ફરક પડવો જોઇએ નહીં.. આગ્રહ કરી પપ્પાને જમાડે છે. પપ્પાને એક તસુભાર પણ કોઇ વાતે ઓછુ ન આવે..લાચારીનો અનુભવ ન થાય તે માટે ઘરમાં બધા સતત જાગૃત છે અને તે પણ કોઇ જવાબદારી…ફરજના ભાન સાથે નહીં..પૂરી સ્વાભાવિકતાથી..દિલની લાગણીથી..કયારેય કોઇ થાકતું નથી..કંટાળતું નથી.. કે પોતે કશું ખાસ કરે છે તેવો કોઇ વિચાર પણ નથી આવતો.પુત્રી ઓફિસેથી આવીને “પપ્પા આજે શું જમ્યા ? આજે તમને ભાવતી ખાસ વસ્તુ લાવી છું..ચાલો…નિશાનીથી કહો જોઇએ..શું હશે ? “ પપ્પા હસે નહીં ..કે પુત્રીને માથે વહાલથી હાથ ફેરવે નહીં ત્યાં સુધી પુત્રી પિતા પાસેથી ખસે નહીં. પપ્પા હસે.પછી જ પુત્રી રસોડામાં રસોઇ બનાવવા જાય. પત્નીની પોતાની તબિયત નાદુરસ્ત..બી.પી. ની ખૂબ તકલીફ..પરંતુ ગમે તેટલુ હાંફે છતાં પતિને કસરત કરાવ્યા સિવાય એક દિવસ પણ ન રહે. કયારેક તેની તબિયત સારી ન હોય ત્યારે મનોજભાઇ ના પાડે કે આજે એક દિવસ ચાલશે..પરંતુ એમ ચલાવે તો એ તેમના પત્ની નહીં. ઘરમાં મહેમાનની સતત અવરજવર રહે.કેમકે મૂળથી બધાના સ્વભાવ અતિશય લાગણીશીલ..બધાનું કરી છૂટનાર..મહેમાન તો નશીબદારને ઘેર હોય એવું બોલવાવાળા નહીં..પરંતુ સંપૂર્ણપણે આચરનાર. કયારેય કોઇ ફરિયાદ નહીં..કોઇ થાક..કંટાળો નહીં.સવારે છ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી અવિરત કામ ચાલુ રહે. આર્થિક રીતે એટલા સધ્ધર નહીં..પરંતુ દરેક માટે એટલા ઉદાર.. તેમાં મનોજભાઇના સાસુનું અવસાન થયું. પતિને મૂકી કયારેય કયાંય ન જનાર પત્નીને મા મરી ગઇ એટલે જવાનું થયું. દીકરી..દીકરાએ તરત કહ્યું,”એમાં મૂંઝાય છે શું ? અમે નથી ? અમારા પર વિશ્વાસ નથી ? અમે પપ્પાનું ધ્યાન નહીં રાખીએ ? “ અને પુત્રની પરીક્ષા ચાલતી હતી. તે કોલેજે પરીક્ષા આપવા જાય ત્યારે મનોજભાઇને સંડાશ પેશાબ બધું કરાવવાની જવાબદારી પુત્રીએ દીકરો બનીને કોઇ સંકોચ વિના સંભાળી લીધી..અને તે પણ પપ્પાને જરાયે ઓછું ન આવે તે રીતે..અમે નાના હતા ત્યારે પપ્પાએ ઘણીવાર અમારું બધું કર્યું જ છે ને ? આજે અમારે માટે એ નાના બાળક જેવા છે.અમે કરીએ તે કંઇ નવાઇ નથી કરતા. પુત્ર,પુત્રી કયારેક બહાર કોઇ સાથે કશું પણ ખાય તો એ વસ્તુ ઘરમાં પપ્પા માટે અચૂક આવે જ.

ભલભલાની લાગણી આ સંજોગોમાં સૂકાઇ જતી જોઇ છે. સંબંધો મૂરઝાઇ જતા જોયા છે..જાણ્યા છે. આટલા લાંબા સમય સુધી કરવું…અને તે પણ આ રીતે ..એ કંઇ આસાન વાત નથી જ.પણ અહીં તો પોતે કશું કરે છે એવી ભાવના પણ કોઇના મનમાં નથી આવતી..સાત સાત વરસ થયા અને હવે જીવનભર આ બધું આમ જ કરવાનું છે તેનો પૂરો ખ્યાલ છે. પરંતુ કોઇને કંટાળો નથી. બિલકુલ સ્વાભાવિકતા છે.અને મનોજભાઇ પોતાની જાતને નશીબદાર માને છે.તેમના ચહેરા પરનું હાસ્ય આજે પણ એવું જ તરોતાજા રહી શકયું છે. જયાં લાગણીના…સંબંધોના આવા અતૂટ તાણાવાણા ગૂંથાયેલ હોય ત્યાં ઉદાસી કેવી રીતે અને કયાં સુધી ટકી શકે ? આવા સંબંધો જીવનના મુશ્કેલ સંજોગોમાં ઉષ્મા પૂરી પાડે છે. અને જીવનને હૂંફાળુ રાખે છે. જીવનની કસોટીમાં આવા સંબંધોની તાવણી જરૂર થાય છે પરંતુ તેમાં તે સુવર્ણની જેમ ચમકી રહે છે. આવા સંબંધો માનવજીવનની મોટી મૂડી છે.અને ગમે તેવા કપરા સંજોગોને સ્વીકારવાની શક્તિ આપે છે.

આજે તો પુત્ર કમાતો થયો છે.તે અમેરિકા જઇ શકે તેવા સંજોગો છે. પણ તે એ વિચાર પણ કરવા નથી માગતો. પુત્ર મહત્વાકાન્ક્ષી છે પરંતુ માતા પિતાને ભોગે પૈસા, અમેરિકા કે ઉજજવળ કારકિર્દી કશુ ન ખપે.

આવા સંબંધો માનવજીવનની સુવાસ સમાન છે એવું નથી લાગતું ?

આની બરાબર વિપરિત કિસ્સો અશોકભાઇનો છે.કમનશીબે એક અકસ્માતમાં છ મહિનાના પથારીવશ તેમને રહેવું પડયું ત્યારે ધોળે દિવસે તેમને તારા દેખાઇ ગયા. મોતનો વિચાર કરતા થઇ ગયા..ઘરમાંથી કોઇ કશું કરવા તૈયાર નહીં. પત્નીને સૂગ ચડતી..પુત્ર,પુત્રી તો પપ્પાની પાસે એકવાર કેમ છો ? એટલું પૂછી જવાબની રાહ જોયા સિવાય ત્યાંથી દૂર ભાગે. રખેને પપ્પા કશું કામ ચીંધશે તો ? એક કામવાળો રાખી દીધો હતો..તે પોતાને ટાઇમે આવતો.અને તે આવે ત્યાં સુધી અશોકભાઇને કુદરતી હાજત પણ દબાવી રાખવી પડતી. અને આખો દિવસ ઘરમાં કકળાટ ચાલુ જ હોય…કશું ન કરવા છતાં થાકી ગયાની…કંટાળાની ફરિયાદો અવિરત ચાલુ રહે..અને ફ્રેશ થવા માટે પત્ની બહાર ફરવા મિત્રો સાથે ચાલી જાય..પુત્ર પુત્રીને તો સમય જ કયાં હોય પિતા પાસે બે મિનિટ બેસવાનો…? લાચાર અશોકભાઇ શું બોલે ? કોને કહે ? પરિસ્થિતિએ તેમને શારીરિક રીતે અને તકલાદી સંબંધોએ તેને માનસિક રીતે પંગુ બનાવી દીધા. તેમની આંખોમાંથી આંસુ વહેતા રહે છે. કોઇ મારું નથી….એ ભાવના મનમાં દ્રઢ થતી રહે છે. સગાઓ અને સંબંધો પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

આવા સંબંધો માટે શું કહેવાનું? જીવનમાં કયારે… કોને કેવા સંજોગો આવે તે કેમ કહી શકાય ? આ પછીની ક્ષણે શું બનશે તે કોણ જાણી શકયું છે ? અને ત્યારે સંબંધોની ગાંઠ જો મજબૂત હોય…સંબંધો જળવાયા હોય તો મુશ્કેલીઓ જીરવવાની તાકાત આપોઆપ મળી રહે છે. સંબંધો સારી રીતે જાળવવા ખૂબ અગત્યના છે..તેવું નથી લાગતું ? એ માટે આપણે દિલથી તૈયાર રહીશું ને ?

(સ્ત્રીમાં પ્રકાશિત કોલમ..)

 

સંબંધસેતુ 12….. June 8, 2008

” સંબન્ધોની રાખ દઝાડે છે
કયાંક હજી ચિનગારી છે.”

સમયની સાથે કેટલાક સંબંધો રાખ થઇ જતા હોય છે તો કોઇ નવા સંબંધો જન્મતા હોય છે. જીવનપથ પર કયારેક કોઇ મળે છે કયારેક કોઇ વિખૂટા પડી જાય છે. અને જયારે કશું ન સમજાય ત્યારે આપણે તેને ઋણાનુબંધ કે લેણદેણનું નામ આપીએ છીએ. અથવા પૂર્વજન્મના કર્મ…કહી મન મનાવીએ છીએ. પૂર્વજન્મ અને એ બધી વાતો નો જવાબ તો આજ સુધી ચોક્કસપણે કોઇ આપી શકયું નથી..પરંતુ આ જન્મ..અને આ ક્ષણ…એ તો આપણી સામે હાજરાહજૂર છે જ. જેનો ઉજળો હિસાબ કિતાબ આપણે આપી શકીએ તો આ જન્મની અને આવતા જન્મની ચિંતા પણ કદાચ ન રહે. આજે આવા જ કોઇ લેણદેણના સંબંધોની વાત અહીં કરવી છે.

ઘર ઘરકી કહાની ની જેમ કે પછી ઘેર ઘેર માટીના ચૂલા ની જેમ જાનકીબહેને પણ દીકરાના લગ્ન તો ધામધૂમથી ખૂબ હોંશથી કર્યા…પણ પછી વહુ સાથે કોઇ રીતે મેળ પડયો નહીં. અને વહુએ દીકરાની કાનભંભેરણી પણ એવી કરી કે દીકરાને પણ મા નો જ દોષ દેખાવા લાગ્યો.

કોઇ આશ્ર્વર્ય કે કશું નવું નથી લાગતું ને આમાં ? આજે આ બધી વાતોથી આપણે એટલી હદે ટેવાઇ ગયા છીએ..કે આ બધુ સામાન્ય લાગે છે. અને સામાન્ય વાતની જેમ જ વિધવા જાનકીબહેન એક દિવસ વ્રધ્ધાશ્રમમાં પહોંચી ગયા. થોડો સમય આંસુ સાર્યા…પોતાની જેવા અનેકની કથની ત્યાં સાંભળી..પ્રસંગો થોડા અલગ હતા..બાકી સાર તો બધી વાતો નો એક જ હતો.સંબંધો..લોહીના સંબંધો પાણીથી યે પાતળા બની ગયા હતા. બહાર લાખોના દાન આપતા દીકરાના માતા પિતા પણ અહીં હતા..જીવતી વાર્તાઓ ..અનેક વિવિધ પાત્રો અહીં હતા. દરેક પાસે પોતાની એક રામકહાણી હતી. કયાંક એક પક્ષનો વાંક હોય..કયાંક બીજા પક્ષનો…તો કયાંક બંને પક્ષ નો..પણ મૂળ વાત એ જ કે સંબંધોનું પોત ઝંખવાઇ ગયું

હતું.પૈસા..સ્વાર્થ,સંકુચિતતા..સ્વભાવ, સમજદારીનો અને સ્નેહનો અભાવ…બે પેઢી અને બે મન વચ્ચેની દૂરી… આ બધા મૂળ કારણો…! કયાંક સાવ નાની વાત હોય..કયાંક મોટી…બાકી કોઇ પોતાની ખુશીથી તો જીવનસંધ્યાએ ઘર ન જ છોડે..એ સ્વાભાવિક છે. જાનકીબહેને અહીં આવીને ઘણી વાતો ઘણાં પાસેથી સાંભળી.. તેઓ સંવેદનશીલ હતા..તે વિચારતા હતા..કે બસ..શું આમ જ રડતા રડતા..એક વલોપાતમાં..અફસોસમાં જ જીવન પસાર કરવાનું ? અને આમ જ આ સંસારની વિદાય લેવાની ?
આ વૃધ્ધાશ્રમની બાજુમાં જ નાના બાળકો માટેનું અનાથાશ્રમ હતું. તેમાં રમતા બાળકો ને જોઇ જાનકીબહેનને પુત્રના બાળકો યાદ આવી જતા. તેમને ખૂબ માયા હતી..બાળકોની..પણ…નશીબમાં એ સુખ પણ કયાં હતું ? બાળકોને વહુ કયારેય પોતાની પાસે ફરકવા પણ કયાં દેતી હતી ? પોતાની જૂનવાણી વાતો,વર્તન અને વિચારથી બાળકો બગડી જશે તેવો વહુને ડર હતો. તેથી ઇચ્છા છતાં પોતે કયારેય પૌત્ર,પૌત્રીને રમાડી શકતા નહીં.

નાનકડા પૌત્ર માટે તેઓ તડપતા રહેતા. આજે પણ મનમાં પૌત્રની યાદ સાથે ..મનમાં ઘૂમતા અનેક વિચારો સાથે તેઓ પોતાના રૂમની બારીમાંથી બહાર જોઇ રહ્યા હતા.અહીંથી અનાથશ્રમના કમ્પાઉન્ડમાં રમતા બાળકો સ્પષ્ટ જોઇ શકાતા, જાનકીબહેન ઘણીવાર આ રીતે તેમને જોઇ રહેતા. અને પોતાના બાળકોની યાદમાં આંસુ સારતા રહેતા.કે કયારેક તેમને જોઇ ખુશી અનુભવી રહેતા.કદાચ આ બાળકોમાં પોતાના વહાલા પૌત્રને જોવા મથતા રહેતા.

આજે પણ રમતા બાળકોને જોઇ તેઓ ખુશ થતા હતા. ત્યાં અચાનક એક બાળક પડી ગયું..અને તેના પગમાં લોહી નીકળતું હતું અને તે રડતુ હતું. જાનકીબહેન રૂમની બહાર નીકળ્યા…અને ત્યાં પહોંચી ગયા. ત્યાં કોઇનું ધ્યાન નહોતું. તેમણે બાળકને ઉભુ કર્યું..અને અંદર મૂકવા ગયા.આ અનાથ શિશુને જોઇ તેમના હૈયામાં હેતની સરવાણી ફૂટી રહી.

આ ઘટનાએ તેમના મનમાં એક નવા વિચારને જન્મ આપ્યો..એક બે બાળકની દાદીમા ન બની શકી તો શું થયુ ? આ અનેક શિશુઓની દાદીમા કેમ ન બની શકુ ? બસ…આમ પણ એકવાર મનમાં વિચાર આવે પછી તેનો અમલ કરતા જાનકીબહેનને વાર નહોતી લાગતી. બીજે જ દિવસે તેઓ અનાથાશ્રમના સંચાલિકાબહેનની રજા લઇ સાંજે ત્યાં રમતા બાળકો પાસે પહોંચી ગયા. થોડીવાર તેમની સાથે રમ્યા..પછી બધાને પોતાની પાસે બેસાડી સરસ વાર્તા કહી..ગીતો ગાયા અને ગવડાવ્યા. બાળકો ખુશખુશાલ.. અને પછી તો રોજ સાંજનો જાનકીબહેનનો એ ક્રમ બની ગયો. રોજ નવી નવી રમતો રમાડે..વાર્તાઓ કરે..ગીતો ગવડાવે ..બાળકો ખુશ થતા તેનાથી બમણી ખુશી જાનકીબહેનને મળતી.. અને અંતે એક દિવસ તેઓ વૃધ્ધાશ્રમ છોડીને બાળકો વચ્ચે અનાથશ્રમમાં જ હમેશ માટે રહી ગયા.બાળકોના વહાલા દાદીમા બની ને. પોતાની બધી ફરિયાદો..અફસોસ બધું ભૂલી ને આ અનાથ શિશુઓમાં તેમને જીવનની સાર્થકતા અનુભવાઇ. અને તેમનું જીવન સ્નેહથી છલોછલ બની રહ્યું.

આજે તો આ વાતને દસ વરસો વીતી ગયા છે. જાનકીબહેન આજે આશ્રમનો પર્યાય બની ગયા છે. સૌ બાળકોના વહાલા દાદીમા બની ગયા છે. હવે આ બાળકો જ તેમને માટે સર્વસ્વ છે. તેમના વહાલમાં તેમનું મન અનન્ય સંતોષ અનુભવી રહ્યું છે. હવે તો તેમની પાસે કોઇ ફરિયાદ કરવાનો સમય પણ કયાં છે ? આજે અહીં તેમનું માનભર્યું સ્થાન છે. તેઓ સૌના આદરપાત્ર બની ચૂકયા છે. બાળકોને તેમના વિના ચાલતું નથી. સૌનો સ્નેહ મેળવી જાનકીબહેનને જીવન ધન્ય લાગે છે. અને ઇશ્વરના આભાર સાથે જીવનની સાર્થકતા અનુભવી રહે છે.

કોઇ સંબંધો જયારે જાકારો આપે કે ઠોકર મારે..લોહીના સંબંધોને ઝાંખપ લાગે..કોઇ ઋણાનુબંધ પૂરા થતા અનુભવાય ત્યારે વધારે અફસોસ કર્યા સિવાય માનવી બીજી દિશામાં વિચારવાનું શરૂ કરે તો રસ્તો મળી જ રહે છે. આમ પણ કહ્યું જ છે ને “ઇશ્વર એક દરવાજો બંધ કરે ત્યારે બીજો અચૂક ખૂલે છે. “.જરૂર હોય છે ફકત એ ખુલ્લા દરવાજા તરફ નજર નાખવાની…! કરવું છે તેને કામ મળી જ રહે છે. આજે જાનકીબહેન જેવા અનેક બહેનો….અને અનેક સંબંધો જીવનમાં છે. જો દ્રષ્ટિ બદલી તેઓ હકારાત્મક અભિગમ અપનાવી સમાજ માટે પોતાથી જે શકય હોય તે કરી છૂટવાની ભાવના ધરાવે તો સમાજને તો ફાયદો થાય જ,અને સાથે પોતાનું જીવન પણ સાર્થક બનતું લાગે.આજે વૃધ્ધાશ્રમમાં કે ઘરમાં ઘણી જગ્યાએ લોકો સતત ફરિયાદ કરતા જીવનના બાકી રહેલ વરસો પૂરા કરતા રહે છે. આયખુ ટૂંકુ કરતા રહે છે. તેમનો પૂરો સમય બધાની ફરિયાદમાં કે આંસુ સારવામાં કે અન્યની પાસે પોતાનું દુ:ખ રડવામાં…સહાનુભૂતિ મેળવવામાં જાય છે. પરંતુ જીવનનું એ સત્ય તેઓ ભૂલી જાય છે. સ્નેહ કે લાગણી પરાણે કયારેય મેળવી શકાતા નથી. અને અન્યની પાસે રોદણા રડવાથી ..કે દુ:ખની વાતો..ફરિયાદ કરવાથી કોઇ તેમનું દુ:ખ લઇ શકતું નથી. કે સાચી સહાનુભૂતિ પણ મેળવી શકાતી નથી. અને એવી ઉછીની સહાનુભૂતિનો કોઇ અર્થ હોતો નથી. તેને બદલે જે પણ પરિસ્થિતિ હોય તેમાંથી સારો ઉકેલ કઇ રીતે શોધી શકાય તે વિચારી તે દિશામાં પોતાથી શકય હોય તે કરી શકાય તો ઘણી ફરિયાદો..ઘણાં અભાવો જીવનમાં ઓછા થઇ જાય. આપણાથી પણ વધારે દુ:ખી લોકોની દુનિયામાં ખોટ નથી જ. તેમને મદદરૂપ બનવાનો એક પ્રયત્ન તો કરીએ. બની શકે અન્યનું દુ:ખ દૂર કરતા કરતા આપણું પોતાનું દુ:ખ હળવું થઇ જાય. અન્યને રોશની આપનાર પોતે કયારેય તે રોશનીથી વંચિત રહે ખરો ?

કોઇ તૂટેલ સંબંધને જોડી ન જ શકાય તેમ હોય તો તેનો વધારે અફસોસ કર્યા સિવાય અન્ય સંબંધોમાં મન પરોવી શકાય. સમાજમાં આપણાથી દુ:ખી અનેક લોકો છે જ. જેમને આપણા લંબાવેલા હાથની જરૂર છે.અને એક દીપથી અનેક દીપ લઈ શકે છે તે સત્યથી આપણે સૌ કયાં અપરિચિત છીએ ? આવો..એક દીપ જલાવીશું ? નવા સંબંધોને આવકારીશું ? આપણા કોઇ કવિએ સાચું જ કહ્યું છે ને ?

“ મળ્યું છે તો માણો..જીવન કચવાટે શીદ વહો ?
જીવો આયુ એવું ક્ષણમહીં ભરી કોટિક યુગો..”

(સ્ત્રીમાં પ્રકાશિત કોલમ )

 

સંબંધસેતુ…11 May 28, 2008

“ શી રીતે સંબંધ જાળવવો હવે ?
હું સ્વમાની છું અને તું મગરૂર છે.”

સ્વમાન અને અભિમાન વચ્ચે બહું બારીક ભેદરેખા હોય છે. જો એ સમજી ન શકાય તો માનવી એની ભૂલભૂલામણીમાં જીવનભર અટવાતો રહે છે. અને સંબંધોમાં ગોથા ખાતો રહે છે. સ્ત્રી અને પુરુષ..જીવનરથના બે પૈડા…બંને ધરતી પર હોય તો જ રથ ચાલી શકે. સ્ત્રી ને પુરુષ વિના કે પુરુષને સ્ત્રી વિના ચાલતું નથી..કુદરતની આ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. લગ્નસંસ્થાનું અસ્તિત્વ સ્ત્રી..પુરુષના સહજીવનને..સખ્યજીવનને હોંશે હોંશે આવકારે છે.

લગ્ન થવાના હોય ત્યારે બંને પક્ષે અગાઉથી કેટકેટલી તૈયારીઓ થતી રહેતી હોય છે. હોંશથી જાતજાતની ખરીદીઓ થતી રહે છે. શરીરની સાર સંભાળ લેવાતી રહે છે. છોકરીપક્ષે જાતજાતની બ્યુટી ટ્રીટમેન્ટ થતી રહે છે. સ્કીનને ચમકીલી બનાવવા કેટલાયે પ્રયત્નો તે કરતી રહે છે. ફેસિયલ,વેક્સીંગ,બ્લીચીંગ,બોડી મસાજ…હેરસ્ટાઇલ.મેઇકઅપ.મહેંદી….કોઇ કચાશ ન રહેવી જોઇએ….ઘરના લોકો પણ પોતપોતાની સગવડ અને શક્તિ મુજબ જરૂરી તૈયારીઓ કરતા રહે છે.કેટલાયે વહેવારો નિભાવાતા રહે છે. લગ્ન જેવો મોટો પ્રસંગ છે. તૈયારીઓ તો કરવી જ રહી ને ? અને આ તૈયારીઓ છોકરી અને છોકરા બંને પક્ષે ચાલતી રહે છે.

બહું સરસ વાત છે. આ પ્રસંગ કંઇ જીવનમાં વારંવાર નથી આવતો. પરંતુ કયારેક પ્રશ્ન થાય છે. બીજી બધી તૈયારીઓ તો થાય છે..થતી રહે છે અને થતી રહેશે. લગ્ન પછી આપણી સંસ્કૃતિ મુજબ..આપણી પરંપરા મુજબ છોકરીને છોકરાને ઘેર જવાનું હોય છે. પારકા ઘરને પોતાનું બનાવવાનું હોય છે. લગ્ન પછી એક છોકરીનું સ્ત્રીમાં રૂપાંતર થાય છે..થવાનું છે..તો એ માટેની માનસિક તૈયારી આમ તો બંને વ્યક્તિએ ..અરે, વ્યક્તિએ જ શા માટે ઘરના સૌએ એક બદલાવની તૈયારી કરવી જ રહી. પરંતુ એ તૈયારી ખરા અર્થમાં આપણે કરીએ છીએ ખરા ?

સહજીવનના રંગીન શમણા તો સ્વાભાવિક રીતે જ આંખોમાં અંજાતા રહે છે. કલ્પનાની દુનિયા સજાવાતી રહે છે.પરંતુ લગ્ન પછી ફકત કલ્પનાની રંગીન દુનિયા જ નથી હોતી..વાસ્તવિકતાની કઠોર ધરતી પણ હોય છે. અને એ ધરતીમાં ફકત ફૂલો જ નથી હોતા…કડવી મીઠી વાસ્તવિકતા પણ હોય છે. તેને માટે લગ્ન પહેલા કોઇ સજ્જ્તા કેળવાવી જોઇએ..કોઇ માનસિક તૈયારી થવી જોઇએ તેવું નથી લાગતું ?

હા. ખાસ કરીને છોકરીને સગાસ્નેહીઓ પાસેથી અમુક સલાહ સૂચનો મળતા રહે છે..પરંતુ એમાં કયારેક ફકત આદર્શની વાતો હોય કે કયારેક સાવધાન રહી બધા પર પોતાની ધાક કઇ રીતે જમાવવી..પતિ અને સાસુને કઇ રીતે વશમાં રાખવા એવી સલાહો હોય છે. અને એક છોકરીના મનમાં પૂર્વગ્રહના તાણાવાણાઓ બંધાતા રહે છે. જે ભવિષ્યમાં બંધાનાર સંબંધોમાં અસરકારક બની રહે છે. આજે છોકરી ઉચ્ચ શિક્ષણ મેળવતી થઇ છે. ઘરની અંદર રહેવાનો સમય તેને બહુ ઓછો મળ્યો હોય છે. ત્યારે ઘણી વાતોથી તે અજાણ રહી જતી હોય છે.

આવું જ કંઇક સંજનાની બાબતમાં પણ બનેલ. લગ્ન પહેલા બીજી ઘણી બધી તૈયારીઓ તો કરેલ..પણ માનસિક તૈયારીનો કદાચ અભાવ રહી ગયો હતો.. જેના પરિણામ સ્વરૂપ આજે ફરી એકવાર તે પિયરમાં આવી પહોંચી હતી. આ એક વરસમાં તે સાત વાર આવી ચૂકી હતી. નાની નાની વાતમાં તેને સાસુ સાથે વાંકુ પડી જતું.. અને પિયર નજીક હોવાથી તે કોઇને કશું કહ્યા સિવાય પિયર પહોંચી જતી. સાસરામાં પતિ સિવાય બધા તેને પારકા લાગતા. ઘરની જવાબદારી..વહેવારો નિભાવવા.. ઘરમાં કોઇનો સમય કે સગવડ સાચવવા.. એ બધું તેને ફાવતુ કે ગમતુ નહી.. સાસુ તેને કચકચિયા લાગતા.નણંદ તેને હરીફ જેવી લાગતી. તે પોતાના પિયર સાથે બધી વાતની સરખામણી મનોમન કર્યા કરતી.. આ ઘરમાં તેને બધી ખામીઓ જ દેખાતી.

”અમારે ત્યાં તો આવું ન હોય..” આ તેનું ધ્રુવ વાકય રહેતું. સમીર તેને સ્નેહથી સમજાવવાનો પ્રયત્ન કરતો. ઘરમાં સાસુ,નણંદના સ્વભાવ પણ સારા હતા..પરંતુ જયાં કોઇ માનસિક સ્વીકાર ન થયો હોય..ત્યારે નાની વાત પણ મોટુ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. સંજનાને તો જાણે બધી વાત નો એક જ ઉકેલ હોય તેમ તે પોતાને ન ગમતી કોઇ વાત થાય ત્યારે પિયર પહોંચી જતી.પછી બે ચાર દિવસે સમીર બધું ભૂલી ને તેને મનાવીને લઇ આવતો..આમ ગાડુ ગબડયા કરતું હતું. જોકે સમીર સમજદાર હતો.પણ હવે તે થાકયો હતો.

આજે ફરી એકવાર પુનરાવર્તન થયુ હતું..અને સંજના પિયર આવી હતી. બસ..હવે મમ્મી અને ભાભી પાસે પોતાની તકલીફના ગાણા ગાવાનું શરૂ થાય એટલી જ વાર હતી. તેના ઘરના બધા સમજદાર હતા..તેમને પણ પુત્રી આ રીતે વારંવાર પિયર આવતી રહે એ ગમતું નહોતું. પુત્રીના સાસરામાં બધા સારા જ હતા..સદનશીબે દીકરીનો વાંક તેઓ જોઇ શકતા હતા. પરંતુ લાડકોડે ઉછેરેલ દીકરીને વધારે કહી શકતા નહોતા. અને પુત્રીને જાકારો કેમ આપવો..? કયાંક આવેશમાં આવી ને કોઇ આડુઅવળુ પગલું ભરી બેસે તો ? તેથી અચકાતા હતા.

આજે સંજના આવી ત્યારે ઘરમાં ભાભી બહાર જવાની તૈયારી કરતા હતા. અને મમ્મીને થોડુ ઠીક નહોતું તેથી સૂતા હતા. ‘સંજનાબહેન, તમે જમી લેજો..મારે બહાર જવાનું છે.. ‘ કહી બીજી કશી પૂછપરછ કર્યા સિવાય ભાભી બહાર નીકળી ગયા..સંજનાને અપમાન જેવુ લાગ્યું.
મમ્મીને કહેતા તેણે રુક્ષ સ્વરે જવાબ આપ્યો,

’ બેટા, હવે આ ઘર તેનું છે..મારું શું ચાલે ? રોજ ઝગડા થોડા કરાય છે ? અને તે પિયર ચાલી જાય તો અહીં મારાથી તો હવે બહુ થતું નથી..તેથી જેમ ચાલે તેમ હું તો ચાલવા દઉં છું..બીજું શું થાય ?

કહી તે માથે ઓઢી સૂઇ ગયા. સંજના મનમાં તો સમસમી ગઇ. છતાં તેને થયું કે સાંજે ભાઇ આવશે ત્યારે પોતે કહેશે. પોતે ભાઇની લાડલી હતી. સાંજે ભાઇ આવ્યો..ત્યારે તેને સંજના સાથે ખાસ વાત કરવાનો સમય જ નહોતો. તે ફોનમાં બીઝી હતો અને તેને સવારે વહેલા જવાનું હતું તેથી થાકી ગયો છું..કહી સૂઇ ગયો. ભાભી તો જાણે આ વખતે સાવ બદલાઇ ગયા હતા. સંજનાને ઓછું આવી ગયું. અહીં કોઇને તેને માટે સમય નહોતો. બીજે દિવસે પણ બધાનું વર્તન એવું જ શુષ્ક રહ્યું. તે ઊઠી ત્યારે બધાએ નાસ્તો કરી લીધો હતો.અને ભાઇ તો બહાર નીકળી ગયો હતો. નહીતર તે આવતી ત્યારે બધા સાથે નાસ્તો કરતા..વાતો કરતા..હસી મજાક ચાલુ રહેતા..અને આ વખતે..? ભાભી તો કેવા પ્રેમાળ હતા. પણ આજે ભાભી…!! અને મમ્મીને આ વખતે તબિયત સારી ન હોવાથી તે રૂમમાંથી બહુ બહાર નીકળતી નહોતી. સંજના ભાભીને કશું કહેવા ગઇ ત્યાં ભાભી તરત બોલી ઉઠયા,

’ અહીં અમારા ઘરમાં તમારે માથુ મારવુ નહીં…તમારી રીત અહીં ચલાવવાની જરૂર નથી…’ સંજના સ્તબ્ધ..! આ ઘર પોતાનું નથી..? આવું અપમાન ?

તે આખો દિવસ સંજના વિચારોમાં ડૂબેલી રહી..જાણે એક સત્ય નજર સમક્ષ ઉજાગર થતું હતું. બીજે દિવસે તે સમીર પાસે જવા નીકળી..જેમ ચૂપચાપ આવી હતી..તેમ જ તે હવે સાસરે નહીં..પરંતુ પોતાને ઘેર જઇ રહી હતી…ઘરનો અર્થ કદાચ હવે તેને સમજાઇ રહ્યો હતો. અને ત્યારે સંજનાની ભાભી સમીરને ફોન કરી રહી હતી..અને નણંદ ત્યાં આવવા નીકળી છે તેવા સમાચાર આપી રહી હતી.અને તેની મમ્મી બાજુમાં બેઠા બેઠા પોતાની વહુની સમજદારી જોઇ મરકી રહી હતી. પુત્રીને સમજાવવા કરેલ નાટક સફળ થયું હતું. હવે સંજના નાની નાની વાતમાં પિયર નહી દોડી આવે તેવી શ્રધ્ધા જાગી હતી.

આમ અહીં તો કોઇની સમજદારીથી એક સરસ સંબંધ તૂટતો બચી ગયો હતો.. એક ઘર અને બે જિંદગી બરબાદ થતાં રહી ગયા હતા.પરંતુ જો સંજના ના ઘરના એ પુત્રીનો પક્ષ લઇ તેને ઉત્તેજન આપ્યું હોત તો..? તો આ સંબંધ કયારેય ટકી ન શક્ત.

પિયરમાં હવે કોઇ પોતાનું નથી..ત્યાં પહેલા જેવો આવકાર નથી મળવાનો…હવે એ ઘર પોતાનું નથી..એ ખાત્રી થતાં સંજનાની માનસિકતા આપોઆપ બદલાઇ…અને હવે આ ઘર જ પોતાનું છે એ અહેસાસ તેને થયો..અને એ સમજે તેનામાં સુખદ પરિવર્તન આવ્યું. અને ઘી ના ઠામમાં ઘી પડી રહ્યું.

અને પછી તો પિયરથી કેટલા ફોન આવ્ય ત્યાર પછી તે પિયરમાં સમીર સાથે ગઇ ત્યારે તેને પહેલા જેવા જ સ્નેહાળ ભાઇ, ભાભી મળ્યા. ઘણીવાર સંબંધો જાળવવા આવી કોઇ યુકતિનો સહારો પણ લેવો પડે તો તેમાં કશું અજુગતુ નથી જ ને ? સીધી આંગળીએ ઘી ન નીકળે તેમ હોય તો આંગળી ટેઢી કરવી જ રહી ને ? બાકી કઇ માને દીકરી વહાલી ન હોય ? પરંતુ જેમ સોનાની કટારીને પેટમાં ન મરાય તેમ દીકરીની ખોટી વાતો ને ઉત્તેજન આપી તેની જિંદગી ન બગાડાય. અને ઘણીવાર કેટલીયે સલાહ સૂચનો જે કામ નથી કરી શકતા..તે કામ પરોક્ષ રીતે કરવામાં આવે તો આસાનાથી થઇ જતું હોય છે. સો શબ્દો કરતા એક નાનકડું વર્તન ઘણીવાર વધુ અસરકારક નીવડે છે. અને સંબંધો સચવાઇ જાય છે. જરૂર પડયે દીકરીને કડવી દવા આપવી જ રહી.. અગણિત સંબંધો જીવનમાં તૂટતા રહે છે …ત્યારે આવી નાની સમજદારી કોઇ એક પક્ષ દાખવે ત્યારે શકય છે સંબંધો જળવાઇ રહે..અને સંબંધો જળવાઇ શકે એનાથી રૂડી વાત બીજી કઇ હોઇ શકે ?

( સ્ત્રી સાપ્તાહિકમાં પ્રકાશિત કોલમ )

 

સંબંધસેતુ…10… May 22, 2008

સંબંધસેતુ…

વાવ્યું હશે બીજ મીઠાશનું તો,
વૃક્ષ કદી મહોરશે લીલુછમ્મ.

આપણે સૌ જાણીએ છીએ કે કેકટસ વાવીને કાંટા જ મળે અને ગુલાબ વાવીએ તો જ ગુલાબની ખુશ્બુ મળી શકે..લીંબોળી વાવીને આંબાની આશા રાખનારને આપણે મૂરખ જ કહીએ ને ? કુદરતનો આ સ્વાભાવિક ક્રમ જીવનમાં પણ એટલો જ સાચો છે. “ વાવો તેવું લણો અને આપો એવું પામો “ આ વાત જીવનની પરમ સચ્ચાઇ છે. આપણે હમેશા ઘણાં લોકો પાસેથી ફરિયાદ સાંભળતા હોઇએ છીએ કે હું તો બધાનું ગમે તેટલું કરું..બધા માટે તૂટી મરું તો પણ મારા હાથમાં તો જશની રેખા જ નથી.. જયારે પેલી વ્યક્તિ કશું કર્યા સિવાય જશ લઇ જાય છે. કયારેક આવી ફરિયાદમાં તથ્ય પણ હોતું હશે તેની ના નહીં…પરંતુ સામાન્ય રીતે આપણે આપણી ભૂલ જોવા નથી માગતા હોતા… કે પછી આપણને આપણી ભૂલ દેખાતી નથી હોતી. આમ પણ આપણી પહાડ જેવી ભૂલ પણ આપણને રાઇ જેવા લાગતી હોય છે.અને બીજાની રાઇ જેવી ભૂલ પણ પર્વત જેવી જ દેખાતી હોય છે. કોઇ અપવાદ વિના દરેક માટે એ સ્વાભાવિક છે. અને ઘણીવાર જીવનમાં એવું પણ બનતું હોય છે..કે આપણા પોતાના આપણને સમજી શકતા નથી જયારે પારકા વધારે સારી રીતે સમજી શકે છે તેવું આપણને લાગે છે.અને ઘણીવાર એ સાચુ પણ હોય છે એનો ઇન્કાર કેમ થઇ શકે ? આજે વાત કરવી છે આવા જ એક સંબંધની…

સામાન્ય રીતે સાસુ વહુના સંબંધો આપણા સમાજમાં વગોવાયેલા જ રહ્યા છે. કયારેક તેમની વચ્ચે સારા સંબંધો હોય તો પણ એ ફરજના ભાગરૂપે જ હોય છે. બંને એકબીજાના વર્તનના લેખા જોખા લેતા જ રહે છે. પોતપોતાની રીતે દરેક વાતનું અર્થઘટન કરતા રહે છે. એમાં લાગણીની મધુરતા કે સ્નેહની સુવાસ નથી હોતી. જોકે અપવાદરૂપ કિસ્સા પણ હોય જ છે. જયાં સાસુ વહુ ના સંબંધો સ્નેહના તાણાવાણાથી ગૂંથાયેલ હોય છે. સાસુ વહુના આવા જ એક સુવાસિત કિસ્સાની વાત આજે કરવી છે.

વિરાજ પરણીને સાસરે આવી..તે એમ.બી.એ. થયેલ આધુનિક યુવતી હતી. તે અને અસીમ સાથે ભણતા હતા…અને પરિચયમાંથી પ્રેમ પાંગર્યો હતો. અને સ્વાતિબહેન દીકરાની વાત નો વિરોધ આમ પણ જલદી કરી શકતા નહીં. અને હવે તો છ મહિના પહેલા પતિનો અચાનક સ્વર્ગવાસ થતાં તેઓ એકલતા મહેસૂસ કરી રહ્યા હતા. દીકરાના લગ્ન થયા..ભણેલગણેલ વહુ હવે પોતાને શું સાચવવાની હતી ? પોતે આમ પણ જૂનવાણી વિચારના હતા..એમ દીકરો કહેતો રહેતો.સ્વાતિબહેન સેવા પૂજામાં આટલો બધો સમય કાઢે તે બધું આધુનિક જમાનાના દીકરાને સમય બગાડવા જેવું જ લાગતું. તે તો મમ્મીને ઘરની બહાર નીકળી બીજા ઘણા કામ કરવાના છે તેવુ કહેતો રહેતો. તેને માટે આ બધું નકામુ હતું. જોકે મા માટે તેને લાગણી જરૂર હતી..પણ તેના આચારવિચાર સાથે તેનો મેળ પડતો નહીં. અત્યાર સુધી તો પતિ હતા તેથી સ્વાતિબહેન ને કંઇ પણ કરવાનું મન થાય તો બધું થ ઇ જતું. તેમને અવારનવાર હવેલીમાં રાજભોગ કરાવવો..ઓચ્છવ કરાવવા…સત્સંગ કરાવવા..મનોરથ કરાવવા..વિગેરે કરાવવું બહુ ગમતું. પણ હવે પતિ હતા નહીં..અને દીકરો તો એવી બધી વાતો નો સખત વિરોધી હતો. તેથી હમણાં ઇચ્છા હોવા છતાં તેઓ એવી કોઇ વાત કરતા નહીં. અને હવે તો ઉલટુ વહુ પણ એવી જ ભણેલી આવી. આ બધા નવા જમાનાવાળા…સુધારાવાદી પોતાને થોડા સમજી શકવાના ? જોકે તેમણે હવે એ બધું ઘણુ ઓછું કરી નાખેલ..

પરંતુ હમણાં પતિની પહેલી પુણ્યતિથિ આવતી હતી. અને તે દિવસે તેમને હવેલીમાં બધું કરાવવું હતું. ઘણી વિધિ બ્રાહ્મણને બોલાવીને કરાવવી હતી. પરંતુ પુત્રને એ બધું કહેતા ડર લાગતો હતો. પુત્ર ના પાડી દેશે તો..? તો પોતે સહન નહીં કરી શકે..અને કોઇ બોલાચાલી થાય તે તેમનાથી સહન થાય તેમ નહોતું. ચર્ચાના તે કાયર હતા કે પછી ડરપોક હતા. દીકરાના આકરા સ્વભાવને પોતે બરાબર ઓળખતા હતા. તેથી મન મારીને બેસી રહ્યા.વહુને તો કશું કહેવાનો સવાલ જ નહોતો.જયાં દીકરો જ પોતાને નથી સમજી શકતો ત્યાં વહુ શું સમજી શકવાની હતી ? અને હવે તો એ બધું કરવા માટે પૈસા પણ પુત્ર પાસે માગવાના હતા. મનમાં ને મનમાં સંકોચાતા તે મૌન બેસી રહ્યા. સાસુને મૌન જોઇ વિરાજને થયું કે જરૂર કંઇક વાત છે. સાસુ અસ્વસ્થ છે તે પોતે જોઇ શકી…તે આધુનિક વિચારની જરૂર હતી..પરંતુ તેનો ઉછેર સંયુકત કુટુંબમાં થયેલ હતો. અને વડીલો માટે તેના દિલમાં આદર હતો. સાસુ માટે પણ તેને કોઇ ફરિયાદ નહોતી. તે નોકરી કરતી..આ ખો દિવસ તેને બહાર રહેવું પડતું. પરંતુ જયારે ઓફિસેથી આવે ત્યારે કે જયારે સમય મળે ત્યારે તે સ્વાતિબહેન પાસે બેસીને વાતો અચૂક કરતી. સ્વાતિબહેનને પણ વહુ માટે કોઇ ફરિયાદ નહોતી. પરંતુ પોતાના સંકોચશીલ સ્વભાવને લીધે તે કયારેય ખુલીને મનની વાત કરી શકતા નહીં. ઔપચારિક વાતો થતી રહેતી. તેઓ મનમાં વિચારતા રહેતા કે ભણેલી વહુ ના વિચારો આધુનિક જ હોય અને તે પોતાને જૂનવાણી ગણશે તેવી માન્યતાને લીધે તેઓ વહુ સાથે કયારેય દિલની કોઇ વાત કરતા નહીં.

વિરાજે આજે સાસુને અસ્વસ્થ જોઇ પૂછયું,’કેમ મમ્મી, ઢીલા દેખાવ છો ? ‘ ’ના, ના, ખાસ કશું નહીં…’ સ્વાતિબહેને જવાબ આપ્યો. ’ના, મમ્મી, કંઇક વાત તો છે..મને કહેશો તો મારાથી શકય હશે તે હું જરૂર કરીશ. ‘ પણ સ્વાતિબહેન મૌન રહ્યા. દીકરો જ જયાં પોતાને નથી સમજતો ત્યાં વહુ શું સમજવાની છે ? ’કેમ મમ્મી, મારામાં વિશ્વાસ નથી ? હું તમારી વાત નહીં સમજી શકું ? કે પછી હું વહુ છું તેથી મનની વાત મને ન કહી શકાય ? ‘ ’ના, એવું ખાસ કશું નથી..’’ ’ખાસ ન હોય તો કહેવામાં શું વાંધો, મમ્મી ? હું કદાચ કશું કરી નહી શકુ તો પણ મનની વાત કયાંક ઠાલવીને તમે હળવા તો જરૂર થશો..’’

વહુનો આગ્રહ હવે સ્વાતિબહેન ટાળી ન શકયા.તેણે અચકાતા અચકાતા પોતાની ઇચ્છા જણાવી.અને ઉમેર્યું,’મને ખબર છે ..તમે લોકો આવી બધી વાત માનો નહીં. અસીમને પણ આવું બધુ ગમતુ નથી..પણ હું એવી સુધારાવાદી નથી..ને મને બહુ ઇચ્છા છે..’

કહી સ્વાતિબહેન મૌન થઇ ગયા. ’અરે, મમ્મી, આવી નાની વાતમાં તમે આમ મૂંઝાવ છો ? અમે માનીએ કે ન માનીએ..એ અલગ વાત છે. અને તમારી લાગણીની વાત અલગ છે. તમે ચિંતા ન કરો..બધું થઇ જશે..’ ’પણ..અસીમને નહીં ગમે..અને તેનો સ્વભાવ તને ખબર છે થોડો આકરો છે..ખાસ કરીને આવી બધી બાબતમાં…’’

’ મમ્મી,એ બધી ચિંતા તમે છોડી દો…અને એક વાત કહું ? આજ સુધી તમે પણ તમને ન ગમતી ઘણી વસ્તુ અસીમ માટે કરી હશે..તો કયારેક તેને ન ગમતી વાત તે પણ મા માટે કરી જ શકે..તમે જરાયે ચિંતા ન કરો..અને એક વાત કહું મમ્મી ? ‘

સ્વાતિબહેન પ્રશ્નભરી આંખે મૌન રહી વહુના કદી ન જોયેલા આ નવા સ્વરૂપ સામે જોઇ રહ્યા. ’મમ્મી, તમને તો ખબર છે..અમે સંયુકત કુટુંબમાં રહ્યા છીએ..અને મારા દાદીમાને આવું બધું ખૂબ ગમતું.અને અમારા ઘરમાં તો આવું બધું ખૂબ થતું. મારા દાદીમા તો કેટલા મરજાદી હતા…ખબર છે ? ‘ અને પછી વિરાજે તો પોતાના દાદીમાની કેટલીયે વાતો સ્વાતિબહેનને કરી તેમનો બધો ભાર હળવો કરી નાખ્યો.

અને પછી વિરાજે અસીમને શી વાત કરી,…અને કેવી રીતે અસીમને સમજાવ્યો તે તો સ્વાતિબહેનને ખબર ન પડી પરંતુ પતિની પુણ્યતિથિએ તેમની ઇચ્છાથી પણ વધારે સારી રીતે રાજભોગ,મનોરથ,સત્સંગ અને બધું થયું. સ્વાતિબહેન ખુશખુશાલ થઇ ગયા. અને આવી વહુ મળવા બદલ પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યા..અને હમેશ માટે સાસુ વહુ વચ્ચે સાચા મિત્રોનો સંબંધ મહોરી ઉઠયો. બંને એકબીજાને અનૂકુળ થવાની સ્નેહભરી હોડમાં જાણે ઉતર્યા હોય તેમ વર્તી રહ્યા. અને સ્નેહના સરોવરમાં સંબંધોનું સૌન્દર્ય કમળની માફક ખીલી ઉઠયું.

થોડી સમજદારીથી માનવહૈયામાં સ્નેહના ઝરણા છલકી રહે છે. અને સંબંધનો સેતુ જળવાઇ રહે છે. દરેક કામ આપણી માન્યતા મુજબ જ થવું જોઇએ એવો આગ્રહ કે દુરાગ્રહ શા માટે ? કયારેક બીજાની માન્યતા મુજબ કરવાથી કે બીજાની લાગણીને માન આપવાથી જે સુખ..સંતોષ મળે છે તે માણવા…અનુભવવા જેવો છે એવું નથી લાગતું ?

સ્ત્રી માં પ્રકાશિત કોલમ… )

 

સંબંધસેતુ….9 April 5, 2008

“ કોઇ એવું નથી જેના જીવનમાં હોય ના ખામી,
કોઇ એવા નથી રસ્તા કે જયાં ખાડા નથી. “

કયાંક વાંચેલી સુંદર પંક્તિઓ જે મનને સ્પર્શી ગઇ હોય છે તે દિલમાં રણઝણ્યા કરતી હોય છે. ઘણીવખત બે લાઇન પણ કેટલું બધું કહી જતી હોય છે.
જીવનમાં સર્વગુણસંપન્ન તો ફકત બે જ વ્યક્તિઓ હોઇ શકે..એક હજુ ન જન્મેલ અને બીજી..અવસાન પામેલ વ્યક્તિ…! બાકી કોઇ પણ જીવંત વ્યક્તિ બિલકુલ ખામી રહિત હોય તે શકય નથી. ગાંધીજી જેવા યુગપુરુષના દોષોની ચર્ચાઓ પણ આજ સુધી થતી આવી છે. તો પછી આપણે સૌ તો સામાન્ય વ્યક્તિઓ…સામાન્ય માનવીઓ…એની પાસેથી દરેક ગુણની આશા તો કેમ રાખી શકાય ? વ્યક્તિનો સ્વીકાર એટલે તેના ગુણ…અવગુણ સહિત સ્વીકાર.! હા, શકય તેટલા સારા થવાનો પ્રયાસ કરવો એ માનવમાત્રની નૈતિક ફરજ છે. અને ભૂલો તો માનવીથી જ થાય..આપણે કોઇ દેવ નથી..અને દેવ થવાની જરૂર પણ નથી..”હું માનવી માનવ થાઉં તો યે ઘણું..” સુંદરમ જેવા આપણા મહાન કવિ તેથી જ આ વાત વરસો પહેલા કહી ગયા છે.કહેવાનો અર્થ અને હેતુ ફકત એટલો જ કે આપણે સૌ આ સત્યનો પૂરી સમજણપૂર્વક સ્વીકાર કરી શકીએ તો જીવનના ઘણાં પ્રશ્નો હલ થઇ શકે. તૂટતા..વિખેરાતા અનેક સંબંધો જળવાઇ શકે..મનની આડે આવતી દીવાલો તૂટી શકે અને સંબંધોનો સેતુ રચાઇ અને જળવાઇ શકે.
આજે આવા જ એક સંબંધની વાત કરવી છે.

નિશા અને નિયતિ બંને બહેનો….નિશા મોટી અને નિયતિ તેના કરતાં ચાર વરસ નાની. નિશાના લગ્ન થઇ ગયા હતા. સાસરામાં તે દરેક રીતે ખૂબ સુખી હતી.તેને ખૂબ શ્રીમંત સાસરુ મળ્યું હતું. નિયતિ પણ પોતાની રીતે ખૂબ સુખી હતી. પરંતુ આર્થિક રીતે નિશા જેટલી સમૃધ્ધિ તેની પાસે નહોતી. બંને બહેનો વચ્ચે આમ તો સારા સંબંધો હતા. છતાં નિશાને પોતાની મોટાઇ બતાવવી હમેશા ગમતી.બીજા બધા તેના કરતા ઉતરતા છે તેવો ભાવ જાણ્યે અજાણ્યે તેના વર્તનમાં ડોકાઇ રહેતો.જોકે તે પોતે કયારેય તેનો સ્વીકાર કરતી નહીં..મોઢેથી તો મોટી મોટી વાતો જ કરતી રહેતી..કે ‘પૈસાનું અભિમાન તો રાખવું જ ન જોઇએ…અને પૈસા તો આજે છે અને કાલે નથી..’ વિગેરે વાતો જરૂર કરતી..પરંતુ તેની વાતો અને વર્તનમાં આસમાન જમીનનું અંતર રહેતું. બધા તે સમજ્તા..પણ કોઇ મોઢે કહેતુ નહીં..અને આંખ આડા કાન કરી રહેતા. અને તેને સાચવી લેતા. નિયતિ ખૂબ નિખાલસ હતી. કોઇ દંભ વિનાની તેની દુનિયામાં તે મશગૂલ રહેતી.સુખની વ્યાખ્યા બંને બહેનો માટે અલગ હતી. તેવામાં નિયતિની પુત્રીના લગ્ન આવ્યા.નિયતિ નાના ગામમાં રહેતી હતી. તેથી સ્વાભાવિક રીતે જ અમુક સગવડો ધારીએ તો પણ ત્યાંઉપલબ્ધ ન થઇ શકે. દીકરી પરણીને પરદેશ જવાની હતી..અને તેને ખૂબ સરસ ઠેકાણુ મળ્યુ હતું. તેથી નિયતિ ખૂબ ખુશ હતી..અને દીકરી દૂર જતી હોવાથી થોડી ઉદાસી પણ હતી.અને દીકરીએ મા ને ખાસ તાકીદ કરેલ કે મમ્મી, તું થોડી જવાબદારી બીજાને સોંપી ને મારી બાજુમાં રહેજે. પછી તો આપણે નિરાંતે કયારે મળી શકીશું…’ કેમકે લગ્નના ચાર દિવસ માં જ તેને જવાનું હતું.અને સ્વાભાવિક રીતે જ નિયતિ પણ તે જ ઇચ્છતી હોય.
હવે લગ્નની ધમાલમાં તે પોતાની બહેન નિશાનું બરાબર ધ્યાન રાખી શકી નહીં..અને તેને એમ પણ હતું કે સાસરાવાળાને સાચવવા પડે.બહેન તો પોતાની કહેવાય..તે તો સમજી શકશે..અને લગ્નની ધમાલમાં તે ગૂંચવાયેલી રહી.

લગ્ન તો રંગેચંગે થઇ ગયા. પરંતુ તે પછી નિશા એ નાની બહેન સાથે બોલવાનું બંધ કરી દીધું.બધો વ્યવહાર કાપી નાખ્યો. નિયતિના દીકરી જમાઇ તેના શહેરમાં ગયા તો તેને પણ બોલાવ્યા નહીં. નિયતિ તો સમજી જ ન શકી કે આમ કેમ થયું ? પોતે કોઇ ભૂલ કરી હતી એવો તેને ખ્યાલ સુધ્ધા ન આવ્યો. કેમકે જાણીજોઇને તેણે કશું કરેલ નહોતું. અને જયારે બીજા દ્વારા જાણ થઇ ત્યારે તેને ખૂબ આઘાત લાગ્યો. બહેન થઇને પ્રસંગે આ રીતે ખોટા સાચા લગાડે ? તે કંઇ નણંદ હતી ? તેણે તો ઉલટાનું બીજાનું ધ્યાન રાખવું જોઇએ..તેને બદલે આમ ..? અને તેનો બદલો દીકરી જમાઇ સાથે લેવાનો ? નવી પરણેલી દીકરી અને જમાઇને કેવું ખરાબ લાગે ? સદનશીબે જમાઇનો સ્વભાવ ખૂબ સારો હતો તેથી એવો કોઇ પ્રોબ્લેમ ઉભો ન થયો. નહીંતર દીકરીને સાસરામાં કેવું સાંભળવું પડયંલ હોત…!!

નિયતિને બહેન ઉપર ખૂબ ગુસ્સો આવ્યો.અને બંને બહેનો વચ્ચેના સંબંધો તૂટી ગયા. બંનેએ એકબીજા સાથે બોલવાનું બંધ કરી દીધું. નિશાને થયું કે પોતે કેટલા વરસે નાની બહેનને ઘેર ગઇ..અને બહેને બે દિવસ પણ પોતાને સરખી રીતે ન સાચવી..નાની બહેન તો વરસોથી અવારનવાર પોતાને ઘેર આવે છે.અને પોતે તેનું બધું કરે છે..તો પણ તેણે આવું કર્યું ?

નિયતિને થયું કે માનો..પોતાની ભૂલ થઇ ગઇ..તો પણ નિશાએ સંજોગો તો જોવા જોઇએ ને ? પુત્રીના લગ્ન વખતે મા ના દિલની હાલત કેવી હોય તે મોટી બહેન ન સમજી શકે ? તેણે તો સામેથી કહેવું જોઇએ કે મારી ચિંતા અત્યારે ન કરતી..તારી ઉપર અત્યારે ઘણી જવાબદારી હોય..તું બીજાનું જોજે .હું કંઇ મહેમાન નથી…આવું કહેવાને બદલે મૉટી બહેન આવું કરે ? તેને ખૂબ દુ:ખ થયું. આમ બંને બહેનો વચ્ચેના સંબંધો માં તિરાડ પડી ગઇ. આજે બંને બહેનો પ્રસંગોપાત ફોન પર વાત તો કરી લે છે..પરંતુ પહેલાની મીઠાશનો અનુભવ હવે થતો નથી. કોઇ એ સાચું જ કહ્યું છે. “ મન મોતીને કાચ ત્રણ ભાંગ્યા સંધાય નહીં..” અને સંધાય તો પણ વચ્ચે રેણ….રહી જાય.. અને આ રેણ મનમાં ચૂભતી રહે છે. બંને સામાન્ય થવાનો દેખાવ કે પછી કોશિષ જરૂર કરે છે..એ સારી વાત છે. બની શકે કયારેક એ રેણ પૂરાઇ જાય અને ફરીથી સંબંધો પાંગરી ઉઠે. ખેલદિલીની ભાવના જો બંને દાખવે તો જ આ શકય બને. બાકી દ્રષ્ટિ જો નેગેટીવ રહી તો…..

જીવનમાં આવા કેટલાયે સંબંધો તૂટતા રહે છે..જોડાતા રહે છે..માનવમન જેટલું વિચિત્ર..સંકુલ..કદાચ બીજું કશું નથી..કયારેક વજ્જર જેવા ઘા પણ એ આસાનીથી કોઇ ફરિયાદ વિના જીરવી જાય છે અને કયારેક એક નાનકડો શબ્દ પણ એ સહન કરી શકતું નથી. સાવ અપેક્ષાશૂન્ય તો કોઇ સંબંધ ન હોઇ શકે..જાણ્યે અજાણ્યે એક કે બીજી..દ્રશ્ય કે અદ્રશ્ય અપેક્ષાઓ અનાયાસે મનમાં રહેતી જ હોય છે. કેમકે આખરે આપણે સૌ માનવી છીએ..પરંતુ અપેક્ષાઓ ઘટાડી જરૂર શકાય…અપેક્ષાઓ ઓછી કરી શકાય તો તેટલું દુ:ખ પણ ઓછું થવાનું. કોઇ આશા જ જેણે નથી રાખી તેને નિરાશ કોણ કરી શકે ?

બાકી સામાન્ય વહેવારમાં તો જેટલી સમજદારીથી..ધીરજથી કામ લઇ શકાય.. કોઇ પણ સંબંધ તોડતા કે જોડતા પહેલા વિવેકબુધ્ધિનો ઉપયોગ કરી..સામી વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ સમજવાની કોશિષ કરી શકાય તો અનેક સંબંધો તૂટતા બચી જાય.અને જીવનનાવ સરળતાથી વહી શકે. સંબંધોમાં ઉભા થતાં વિવાદોને સંવાદોથી…સમજણથી જ ઉકેલવા રહ્યા. સંવાદ ચાલુ રહે તો કયારેક તેમાંથા કયરેક માર્ગ નીકળી શકે.બાકી બંને પક્ષ મનમાં ને મનમાં કોઇ પણ વાતનું પોતાની રીતે અર્થઘટન કરતી રહે..તો અર્થનો અનર્થ થતાં કેટલીવાર ? દૂધને બગાડવા તેમાં ખટાશનું એક બુંદ જ પૂરતું છે ને ?

 

સંબંધસેતુ…8 March 24, 2008

“એ જ આશ્વાસન બધા સંબંધોનું ,
છે ગણિત અઘરું ઋણાનુબંધોનું.”

જીવનમાં ઘણી વખત અચાનક કોઇ સાથે સંબંધો જોડાઇ જાય છે. ક્ષણિક પરિચય શાશ્વત બની જાય છે. કયારેક કોઇ કારણ વિના કોઇ વ્યક્તિ ગમી જાય છે. તો કયારેક વિનાકારણ કોઇ વ્યક્તિ માટે અંદરથી અભાવ જન્મતો હોય તેવું પણ અનુભવાતું હોય છે. મનમાં નેગેટીવ કે પોઝીટીવ વાઇબ્રેશન જન્મતા રહે છે. અને સંબંધો ખીલતા કે ખરતા રહે છે. અને આવા ન સમજાય..તર્કથી બુધ્ધિથી જેનો તાળો ન મેળવી શકાય તેવા સંબંધોને આપણે ઋણાનુબંધ કહીએ છીએ. અને આ ઋણાનુબંધ કયારે કોની સાથે જોડાઇ જાય તેની સમજ નથી પડતી હોતી. તેના કારણો સમજાતા નથી.અને ત્યારે પૂર્વજન્મની લેણાદેણી કે ઋણાનુબંધ એ નામનો સહારો લેવામાં આવે છે. ઋણાનુબંધના આવા અનેક ઉદાહરણો સમાજમાં આપણી આસપાસ જોવા મળતા રહે છે.

આજે આવા જ એક સાચા ઉદાહરણની વાત કરીશ. ફકત નામ બદલેલ છે. ઘટના સાવ સાચી છે.અને આપણા અમદાવાદની જ છે.

” કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇ ને ચાલ્યો.
પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત
ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત;
પૈડુ સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે.
અને જાન ઉઘલતી મહાલે….”

અનિલ જોશીના આ શબ્દોની યાદ અપાવતા શરણાઇના કરૂણ મંગલ સૂ