બાબુભાઇએ પુસ્તક લખ્યું… July 4, 2008
બાબુભાઇ ખૂબ મહત્વાકાંક્ષી માણસ.અને મહેનતુ પણ ભારે. અને પાછા નીકળ્યા નશીબના બળિયા. પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેનો જયારે સંગમ થાય ત્યારે વિધાત્રી નવેસરથી લેખ લખવા આવી જ પહોંચે ને ? અને નવેસરથી લખાયેલ એ લેખમાં બાબુભાઇના ચરણમાં લક્ષ્મી નો ભંડાર ભર્યો હતો..આમ તો તેમના ચરણમાં અને મસ્તકમાં એવા બીજા પણ ઘણાં ભંડાર ભર્યા હતા. જેની વિગતવાર વાત કરવી મને કયારેક જરૂર ગમશે. તમને વાંચવી પણ ગમશે જ…એમ દલા તરવાડીની જેમ માની લેવાનું આમે ય મને બહું ગમે. મનને ગમે તે કર્યે જવાનું, ફળની ચિંતા કર્યા સિવાય. ગીતામાં ભગવાને કહ્યું જ છે ને…ફળની આશા રાખ્યા સિવાય નિષ્કામ કર્મ કરવાનું…ગીતા એટલે અહીં ભગવદગીતા જ સમજવાનું હોં ! ( ગીતા નામની કોઇ છોકરીની વાત નથી.) જોકે આમ તો મને આપ જેવા સમર્થ વાચકોની બુધ્ધિ પર પૂરો વિશ્વાસ છે. છતાં સ્પષ્ટતા કરી લેવી સારી.
શ્રીમંત બનવાની બાબુભાઇની એક મહત્વાકાંક્ષા તો પૂરી થઇ. પણ માનવીની ઇચ્છાઓનો કયાં કદી અંત હોય છે ?
‘ એક પછી બીજી, ઇચ્છાઓ રોજ નવી અહીં ઠલવાય છે..’
ની જેમ. સમુદ્રમાં એક પછી એક મોજા જેમ ઉછળતા રહે તેમ માનવમનમાં પણ એક પછી એક ઇચ્છારૂપી મોજાઓ સતત ઊછળતા જ રહે છે. કોઇ આરા કે ઓવારા વિના ચારે તરફ પરથારા કરતાં રહે છે. જોકે એ ઇચ્છાઓ જ માનવી ને દોડતો રાખે છે..જીવંત રાખે છે એની ના પાડી શકાય ખરી ?
તો આપણા બાબુભાઇ પણ આ સામાન્ય નિયમમાંથી કેમ બાકાત રહે ? માનવી પાસે પૈસા આવી જાય પછી પૈસા તેને બહુ કામના નથી લાગતા. પૈસા તો હાથનો મેલ છે એ વિશે હવે તે આરામથી ભાષણ આપી શકવાની ક્ષમતા મેળવી લે છે. ( આ સર્વસામાન્ય નિયમ માંથી બાબુભાઇ બાકાત કેમ રહી શકે ? )
બાબુભાઇને પણ થયું કે પૈસા તો ઠીક મારા ભાઇ, પણ માનવી માં સંસ્કારિતા આવવી જોઇએ..આવે નહીં તો ચાલે પરંતુ દેખાવી તો જરૂર જોઇએ. નાનપણમાં ગોખેલ એક સંસ્કૃત શ્લોક તેમની સ્મૃતિમાં ઝબકી ગયો
“સાહિત્ય,સંગીત કલા વિહિન: સાક્ષાત પશુ: પુચ્છ વિષાન્હીન:” એટલેકે સાહિત્ય, કે સંગીત વિનાનો માનવી સાક્ષાત પશુ સમાન છે. અને બાબુભાઇને પશુ થવું કેમે ય ગમ્યું કે ફાવ્યું નહીં. તો હવે ? હવે તેમના ફળદ્રૂપ ભેજામાં તરત વિચાર આવ્યો….પુસ્તકો…યસ..પુસ્તકો…! ઘરમાં સારા પુસ્તકોનો કબાટ ભર્યા હોય તો પહેલી દ્રષ્ટિએ જ પ્રથમ દ્રષ્ટિના પ્રેમની જેમ ખ્યાલ આવી જાય કે આ કોઇ સંસ્કારી વ્યક્તિનું ઘર છે. શંકાને કોઇ સ્થાન જ નહીં ને ! પુસ્તકો ઘરમાં હોવા એ સંસ્કારિતાની પ્રથમ નિશાની છે. તો હવે ?
હવે પ્રથમ પગલું ભરવું કયાં અઘરું હતું ? પુસ્તકો વસાવવા એટલું જ ને ? વાંચવા કે નહીં એ તો અલગ વાત છે. અને એની કોને ખબર પડવાની છે ?બસ… ફટાફટ પુસ્તકો ખરીદાઇ ગયા. એમાં બાળઉછેરથી…કે પાકશાસ્ત્રથી માંડીને શ્રી ટાગોર, વિવેકાનન્દ, ગાંધીજી, કે રજનીશ સુધ્ધાં સરસ મજાના કબાટમાં શોભી ઉઠયા. ફેશન, ફિલ્મ, ફિલોસોફી.., રાજકારણ કોઇ વિષય બાકાત ન રહ્યા. ઓફિસના માણસો એ જે જે પુસ્તકોના લીસ્ટ આપ્યા તે બધા જ પોતપોતાની જગ્યા શોધી શો કેસમાં ગોઠવાઇ ને શોભી ઉઠયા..અને હવે બાબુભાઇ પૂરેપૂરા સંસ્કારી બની ગયા.!
હવે ? હવે સ્ટેપ બે….આટલું બધું ને આટલી બધી ભાષાઓના પુસ્તકો વાંચ્યા પછી અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બંગાળી, તામિલ…આટઆટલી ભાષાઓનું સમૃધ્ધ સાહિત્ય વાંચ્યા કે વસાવ્યા પછી ? ( વાંચવું કે વસાવવું..બંને એક જ ને ? શો ફરક પડે છે ? ) આમેય બાબુભાઇને ગુજરાતી સિવાય બીજી ભાષા ન જ આવડતી હોય એ તો સામાન્ય બુધ્ધિની જ વાત છે ને ?
અને હવે બીજા પગલાં તરીકે બાબુભાઇ ને થયું કે ખાલી વાંચવાથી કંઇ ન વળે. લોકોને ખબર કેમ પડે ? એ માટે તો લખવું જ રહ્યું. લેખક બનીએ તો સમાજમાં કંઇક માન..સ્થાન મળે..(લેખકના માનપાન કેવા ને કેટલા હોય છે એ વિષે આપણે બાબુભાઇનો ભ્રમ શા માટે ભાંગવો ? )અને તેમને થયું કે લખવામાં વળી શું મોટી ધાડ મારી છે ? આટલા બધા પુસ્તકો કયારે કામ આવશે ?
અને તરત દાન અને મહાપુણ્ય ! ની જેમ શુભ વિચારને અમલમાં મૂકતાં બાબુભાઇને વાર કેટલી ? અહીંતો વિચાર આવે ને કલમ ચાલુ..બાબુભાઇની કંઇ વાત થાય ? બાબુભાઇ એ તો સાત આઠ પુસ્તકોમાંથી જે હાથ ચડયું..એ થોડું થોડું લઇને ઢસડી માર્યું એક દળદાર પુસ્તક.! લખવામાં વળી કંજૂસાઇ કેવી ?
પુસ્તક તૈયાર થઇ ગયું.અને બાબુભાઇ જીવનની પરમ કૃતાર્થતા અનુભવી.ધન્ય ધન્ય થઇ ગયા. આજની ઘડી રળિયામણી..ખુશખુશાલ થઇને હરખથી છલકતા હૈયે બાબુભાઇ પુસ્તક સામે જોઇ જોઇને ગાતા રહ્યા. બચીબહેન ડર લાગ્યો કે આમ જ કયાંક…..
પણ પુસ્તક લખવાથી શું વળે ? એ છપાવું પણ જોઇએને ? નહીંતર લોકોને બાબુભાઇ જેવા મહાન લેખકની જાણ કેમ થાય ? જોકે છપાવવું એ તેમને મોટી વાત કયાં હતી ? પૈસા દેખી મુનિવર ચળે એ કંઇ અમસ્તુ કોઇએ થોડું કહ્યું હશે ? તો પ્રકાશક વળી કઇ વાડીનો મૂળો ? શેઠ બાબુભાઇને કોણ ના પાડે ? શા માટે ના પાડે ?
પણ ના, બાબુભાઇને થયું કે એમ ઉતાવળે આંબા ન પાકે.. એમ તો બાબુભાઇ વિચાર્યા સિવાય કંઇ ન કરે.તેમને થયું એમ તરત ન છપાવાય.દરેક મહાન લેખક કેટલા વરસોની મહેનત બાદ..સુધારીને ..વારંવાર મઠારીને પછી જ પુસ્તક બહાર પાડે છે.( આ બાબુભાઇએ કયાંક ભૂલથી વાંચી લીધું હતું ) તેથી તેમને થયું કે મારાથી ભલે ગમે તેટલી ઝડપે મહાન કૃતિ સર્જાઇ ગઇ હોય..પણ્ એમ ઉતાવળ ન કરાય.પહેલાં તેને બરાબર મેચ્યોર થવા દેવી જોઇએ.
બાબુભાઇએ તો પુસ્તકને મેચ્યોર થવા માટે , પરિપકવ કરવા માટે તાળા ચાવીમાં..મોટા કબાટમાં રાખી દીધું.
જોકે તેમનો જીવ થોડો અધૂરિયો ખરો..બહું ધીરજ રહે નહીં. થોડા દિવસો માંડ માંડ કાઢયા. રોજ કબાટ ખોલીને જોઇ લે.પાંચ સાત દિવસ તો કાઢયા..પછી થયું કે આ ફાસ્ટ જમાનામાં એક પુસ્તકને પરિપકવ થતાં આટલો બધો સમય થૉડો લાગે ?તેથી પોતાનું પુસ્તક હવે છપાવવાને લાયક થઇ ગયું છે એમ જાતે જ સ્વીકારી લઇ..(દલા તરવાડીએ બધાને સારી સગવડ કરી આપી છે ને ? ) તેમણે હોંશે હોંશે પ્રકાશક ને આપ્યું. પુસ્તક વાંચી તે બેભાન થઇ ઢળી પડવાની તૈયારીમાં જ હતા. પણ ત્યાં બાબુભાઇની પૈસાની મસમૉટી કોથળીની મધમીઠી સુવાસે તે બેહોશ થવાને બદલે જાતે જ પુસ્તક છાપવા બેસી ગયો !
બાબુભાઇ તો છુટે હાથે..પરમ ઉદારતાથી ..પોતાના પુસ્તકની લહાણી કરવા માંડી. એટલે એ અદભૂત પુસ્તકની એક મહિનામાં જ બીજી આવૃતિ છાપવી પડી. બધા પસ્તીવાળા સુધ્ધાં પાસે આ પુસ્તકની એક એક નકલ પહોંચી ગઇ.અને સીંગ દાળિયાના પડીકામાંથી પણ દરેકને બાબુભાઇની પ્રતિભાનો લાભ મળવા લાગ્યો કોઇ સગા સ્નેહીઓ તેને ઘેર આવતાં પણ ગભરાતા હતાં. વળી પુસ્તકની એકાદ નકલ લઇ જવી પડશે ને ખોટા વખાણ કરી કરી ને થાકી જવાશે..જોકે કોઇ ન જાય એથી કંઇ ફરક નહોતો પડવાનો એ અલગ વાત હતી. કેમકે બાબુભાઇને પોતાને ઘેર આવતાં તો રોકી શકાય નહીં.
હવે બાબુભાઇને થયું કે આટલા ઓછા સમયમાં જે પુસ્તકની બીજી આવૃતિ છાપવી પડે તેને એકાદ એવોર્ડ ન મળે એ કેમ ચાલે ? આવું મહાન પુસ્તક એકાદ ઇનામમાંથી યે જાય ? તો હવે બાબુભાઇ એવોર્ડની વ્યવસ્થામાં પડયા. બહુ તપાસ કર્યા બાદ તેમને જાણ થઇ કે એવોર્ડ કયાંય વેચાતો મળશે નહીં..પણ બાબુભાઇને એથી બહુ ફરક કયાં પડ્વાનો હતો ? તેમના ફળદ્રૂપ ભેજામાં મૌલિક આઇડીયાઓની કયાં કમી હતી ?તેમને તરત સ્ફૂર્યું..આડીઅવળી મહેનત કરવને બદલે પોતે જ એકાદ એવોર્ડની વ્યવસ્થા કરી નાખવી સારી. માથાકૂટ જ નહીં. ‘અપના હાથ જગન્નાથ..’ કોઇને મસકા મારવાની લાચારી કરતાં પોતાનું કામ જાતે કરી લેવું સારું. બાબુભાઇમાં ખુદનો ભરોસો એટલો બધો કે તેમને ખુદાના ભરોસાની જરૂર જ ન પડે ને ? એકલો જાને રે આપણે તો ખાલી વાંચેલ કે સાંભળેલ ..બાબુભાઇ તો બધી વાતનો અમલ કરવાવાળા. ફટાફટ તેમણે “ બાબુભાઇ સુવર્ણચન્દ્રક ‘ટ્રસ્ટની સ્થાપના કરી નાખી. જેના અન્વયે દર વરસે એક શ્રેષ્ઠ પુસ્તકને આ એવોર્ડ એનાયત કરવામાં આવવાનો હતો. શ્રેષ્ઠ પુસ્તકના નિર્ણય માટે એક કમિટિની પણ વિધિવત રચના કરવામાં આવી. બાબુભાઇનું કામ બધું પરફેકટ હોં. ગમે તેમ ચલાવી ન જ લેવાય ને ?આ કમિટિમાં બાબુભાઇ, તેમના ધર્મપત્ની બચી બહેન ,( તેમને ગુજરાતી વાંચતા બરાબર નહોતું આવડતું એ અલગ વાત છે ) અને બાબુભાઇની ઓફિસનો મેનેજર,એમ ત્રણ જણા નિર્ણાયકો હતાં. અને ઘણાં બધા પુસ્તકોની આકરી સમીક્ષા કર્યા બાદ કમિટિએ સર્વાનુમતે જાહેર કર્યું કે એકમાત્ર બાબુભાઇ જ આ ઇનામને પાત્ર ઠરે છે. આ જાહેરાતને બાબુભાઇએ પરમ વિનમ્રતાથી સ્વીકારી લીધી. હવે આ માટે તો બાબુભાઇનું સન્માન થવું જ જોઇએ ને ? તેમની ઓફિસનો આખો સ્ટાફ આ મહોત્સવની તૈયારીમાં લાગી ગયો.
બાબુભાઇને શાલ ઓઢાડીને સન્માન કરવાનું હતું.તેથી સૌ પ્રથમ શાલની પસંદગી ચાલી. કાશ્મીરી વણાટની મુલાયમ ,રેશમી શાલ આવી ગઇ.અને બાબુભાઇએ ખભ્ભે નાખી ને જોઇ પણ લીધી કે પોતાને કેવી શોભે છે !
અને દબદબાભર્યા સમારંભમાં જયારે એ શાલ બાબુભાઇને ઓઢાડવામાં આવી ત્યારે ખબર નહીં કેમ પણ જેટલી થવી જોઇએ તેટલી પ્રસન્નતાનો અનુભવ તેમને થયો નહીં.!! છતાં બાબુભાઇ તો મનના મોટા. શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ લઇ વિજયી મુદ્રા સાથે બાબુભાઇ ઘરે આવ્યા..અને હવે આગળ શું કરવુ જોઇએની વિચારણા તેમના મગજમાં ન ચાલે એવું તો બને જ નહી ને ? તેમને થયું ..દેશમાં તો ઠીક પણ વિદેશમાં કોઇ સાહિત્યસભાનું કે એવું કોઇ આમંત્રણ મળી જાય તો …! વાહ કયા કહેના !
અને પૈસો હોય તો શું નથી થઇ શકતું ? પછી બાબુભાઇ કેવી રીતે વિદેશમાં પહોંચ્યા..અને ત્યાં શું કર્યું..એ બધી વાતો અત્યારે કહેવાની ફુરસદ બાબુભાઇ પાસે નથી જ. કેમકે હમણાં તેઓ બીજા એક પ્રોજેકટમાં વ્યસ્ત છે. તેમણે સાંભળ્યુ છે કે સાહિત્યમાં નોબેલ પ્રાઇઝ મળે છે. હવે એ ગુજરાતી પુસ્તકને મળી શકે કે કેમ ? અને એ માટે શું કરવું જોઇએ..કયા કયા પગલા લેવા જોઇએ..એના સંશોધનમાં બાબુભાઇ વ્યસ્ત છે.
કોઇ મદદ કરી શકો તેમ છો ? ?