એક સાસુની ડાયરી..6 December 27, 2007
અન્યના અનુભવમાંથી શીખીશું ?
તારો સાથ ને
મારી સમજણ
વિસ્તરતી ક્ષિતિજો…
બેટા, તારા કુમકુમ પગલાની છાપ હજુ આંગણામાં ને અંતરમાં અકબંધ છે. લગ્નની શરણાઇ ગૂંજવાને તો હજુ એક વરસનો સમય બાકી છે. પ્રતીક્ષાનો, વિરહનો લાંબો પંથ કાપવાનો બાકી છે.
અહીં ઘરમાં વહુરાણીના ઝાંઝરનો મીઠો રણકાર સાંભળવાની પ્રતીક્ષા માં દિવસો દોડતા રહે છે. બેટા, સમયની ગતિ બહુ ધીમી લાગે છે ને ? પણ એનો સીધો સંબંધ માનવીના મન સાથે છે. બાકી સમય તો બધાથી અલિપ્ત..બધાથી બેખબર, અને છતાં બધા સાથે સંકળાઇને રેતીની જેમ સરકતો રહે છે.
બેટા જૂઇ, આવનાર દિવસોમાં આપણે કયાં..કયારે..કેટલું..કેવી રીતે સાથે રહીશું..તેની આ પળે તો કંઇ જ ખબર નથી. તારા મીઠા શબ્દો આજે તો મનને ભીંજવતા રહે છે. વાણી અને વર્તનનો સુમેળ જીવનમાં સધાય તો જીવન સ્વર્ગ સમાન બની રહે. અને મને તારામાં વિશ્વાસ છે ..મારામાં શ્રધ્ધા છે અને આપણામાં આસ્થા છે ! શ્રધ્ધા, વિશ્વાસ અને આસ્થા દિલની મંગલ ભાવનાના પ્રતીક છે. જેમાં કયાંય કોઇ કચાશ, ઓછપ ન રહે એ પ્રાર્થના અંતરમાં થી સરતી રહે છે. કોઇ કહે છે. ’ અત્યારથી હરખાઇ ન જાવ..એ તો નીવડે વખાણ…અત્યારે તો બધા સારા જ દેખાય. એ તો હમેશ સાથે રહો તો..અને ત્યારે જ સાચી જાણ થાય….’ કહેવાવાળાને કોઇ રોકી શકયું છે ? મને કોઇ અસર નથી થતી. મનમાં કોઇ આશંકા હું રાખવા નથી માગતી. કોઇ પૂર્વગ્રહની દીવાલો વિના મારી વહુને મારે દિલથી અમારા ઘરમાં આવકારવી છે. એવું મારી જાતને હું કહેતી રહું છું. સાસુ વહુના સંબંધો વિશે ઘણું વાંચ્યું છે, સાંભળ્યું છે, જોયું છે. પરંતુ જાતે અનુભવ્યું નથી. સ્વામી વિવેકાનંદે કહેલ એક વાકય મનમાં ડોકિયુ કરી જાય છે. દુનિયામાં ત્રણ પ્રકારના માણસો હોય છે.
1..) જે પોતાને જાતે અનુભવ થાય ત્યારે જ શીખે.
2 ) જે બીજાના અનુભવમાંથી શીખે
3 ) જે પોતાના કે બીજા કોઇના અનુભવમાંથી શીખે જ નહીં.
હકીકતે જે બીજાના અનુભવમાંથી શીખીને અમલ કરી શકે તે જ સાચો માણસ.
દરેક અનુભવ જીવનમાં જાતે થવા જરૂરી નથી.
આપણી બાજુમાં રહેતા આશા બહેન અને તેની વહુ અનિતા લગભગ રોજ આપણે ઘેર આવીને પોતપોતાના મનનો ઉભરો ઠાલવતા રહે છે. બંનેની વાત મારે સાંભળવી પડે છે. સાંભળી ને હું સમજતી રહું છું. અને મારી સમજ મુજબ તેમને પણ સમજાવવાનો પ્રયત્ન કરતી રહું છું. બંને વચ્ચે નું અંતર કેમ ઘટે.. બંને એકબીજાની કેમ નજીક આવે તે માટે બનતી કોશિશ કરતી રહું છું. બીજાઓના પણ આવા તો કેટલાયે અનુભવો આસપાસમાંથી…સમાજમાંથી કાને અથડાતા રહે છે. અને હું તો ખાસ ધ્યાન દઇને એ સાંભળું છું.સમજવાનો પ્રયત્ન કરતી રહું છું. એમાંથી નીરક્ષીર તારવતી રહું છું. કેમકે મારે બીજાના અનુભવમાંથી શીખવું છે, ઘડાવું છે. વહુ શું વિચારે છે અને સાસુ શું વિચારે છે તે બંને વાત સાંભળી બંનેની દ્રષ્ટિ સમજવાનો પ્રયત્ન ખુલ્લી આંખે કરતી રહું છું. કોઇ અનુભવ જીવનમાં કયારેય નકામો જતો નથી.
ત્યારે મને વિચાર આવે છે..આ બધા અનુભવો હું મારી ડાયરીના પાનાઓમાં ટાંકતી રહું.. કયારેક તેમાંથી કંઇક હાર્દ પકડવાનો પ્રયત્ન કરી રહીશ. કયારેક કોઇ અનુભવ મારે માટે જીવનપાથેય બની રહે એવી શકયતા નકારી કેમ શકાય ? ભાવિની ભીતરમાં શું છૂપાયેલું છે તે કોણ કહી શકે ?
જો કે દરેકના અનુભવો જુદા, સંજોગો જુદા, સ્વભાવ જુદા..છતાં મને લાગે છે.દરેકનો મુખ્ય સૂર તો એક જ છે.
“ મને કોઇ સમજતું નથી..મારા માટે કોઇ ને લાગણી નથી.. “
વહુને લાગે છે દીકરો મા નો પક્ષ જ લે છે. અને મા ને લાગે છે દીકરો વહુનો થઇ ગયો છે. અને પરિણામ….?
પ્રેમ અને આનંદ મેળવવાની માણસની મૂળભૂત ઝંખના છે. એના વિના જીવન અપૂર્ણ છે. આજે સંયુકત કુટુંબો ઘણાં કારણો ને લીધે ઓછા થતાં જાય છે. વિભકત કુટુંબોના પ્રશ્નો વધતા જાય છે. મૂળે માનવી સામાજિક પ્રાણી છે. એ એકલો રહી નથી શકતો ને સારી રીતે સાથે રહેતાં એને આવડતું નથી. એકલતા એને પીડે છે. અને એકાંત માણવું એને અઘરું લાગે છે.કોઇ પણ તહેવાર ,ઉત્સવ આવે એટલે એ કોઇની કંપની..કોઇ નો સાથ ઝંખે છે. સગાવહાલાઓ ન મળે તો એ મિત્રોમાં ફરતો રહે છે. દુ;ખ કે આનંદ..દરેક પ્રસંગે એને કોઇનો સાથ જોઇએ છે.
” એકલ ફરવું , એકલ રમવું,
એકલ વિચરવું, કરમ કદી ન લખીશ..”
આવું કયાંક વાંચેલ…કેટલું સાચું છે. !
સાંપ્રત સમયમાં આપણે ઘણાં પાસેથી સાંભળીએ છીએ..’સગા કરતાં તો મિત્રો સારા..કોઇ ટેન્સન નહીં..સાચું ખોટું લાગવાનો કોઇ પ્રશ્ન નહીં..સંબંધનો કોઇ ભાર નહીં..”
આંશિક રીતે આ વાત સાચી પણ લાગે છે. છતાં કયારેક એક પ્રશ્ન જરૂર જાગે છે. મિત્રતા સાચવવા..જાળવી રાખવા આપણે જે ધ્યાન રાખીએ છીએ,પ્રયત્નો કરીએ છીએ. તેટલા પ્રયત્નો સગાસ્નેહીઓને જાળવી રાખવા કરીએ છીએ ખરા ? કોઇ પૂર્વગ્રહની ગ્રંથિ… એકાદ કટુ અનુભવ, કોઇના બે કડવા શબ્દો.નો ભાર આપણે જીવનભર વહ્યા કરીએ છીએ તેવું નથી લાગતું ? જેટલું મિત્રોમાં let go..કરીએ છીએ..તેટલું સગાઓમાં કરીએ છીએ ખરા ? જવાબની કોઇ અપેક્ષા નથી..દરેકનો જવાબ અલગ જ હોય. આ તો ફકત એક વિચાર છે.સર્વગુણસંપન્ન આ દુનિયામાં કોણ છે ?
કહેવાનો મતલબ એટલો જ કે દરેક સંબંધને નિભાવતા શીખવું પડે છે. સંબંધને માંજીમાંજી ને ચળકાવતા રહેવું પડે છે. વધુ નહીં તો થોડો સ્વાર્થ જતો કરવો પડે છે. સમાધાન કરતા રહેવું પડે છે. એક આંખ મીંચેલી રાખવી પડે છે…ત્યારે સંબંધો જાળવી શકાય છે.
કોઇ પણ સંબંધ માટે આ સનાતન સત્ય છે. ફકત સાસુ વહુ જ નહીં..પતિ પત્ની, માતા પુત્ર, ભાઇ બહેન..કે મિત્રો… !
હા, ઘણીવાર કોઇ સંબંધોનું સાચું સૌન્દર્ય પ્રગટતું હોય છે. અને જીવન મઘમઘી ઉઠે છે. એવા નશીબદારની સંખ્યા જોકે બહું ઓછી હોય છે. એક્વાર જો સંબંધોનું સૌન્દર્ય ખીલી શકે તો જીવન સુરભિત બની જાય. બેટા, આપણે સંબંધોના એ સૌન્દર્ય ને એક ઉંચાઇએ પહોંચાડવા સદા જાગૃત રહીશું ? અન્યના અનુભવમાંથી આપણે કંઇ શીખીશું ?
આપણે કોઇ ના પગલે ચાલવાને બદલે આપણી અલગ કેડી બનાવીશું ? સાસુ કે વહુ માટે પ્રેરણારૂપ પ્રેરણારૂપ બનીશું ?
હજુ તો મન વિચારોના ચગડોળે ઝૂલી રહ્યું હતું ત્યાં બાજુના ઘરમાંથી આશાબહેનનો મોટો અવાજ મારા કાને અથડાઇ રહ્યો.
“ અરે,અનિતા, હજુ મારા ઠાકોરજી માટે ભોગ તૈયાર નથી કર્યો ? મારા લાલાને ભૂખ્યો રાખવાનો છે ? ભગવાનનું કામ પણ સમયસર નથી થતું. ને ફૂલ, તુલસીની માળા બનાવી કે નહીં ? કે હજુ એનું પણ ઠેકાણું નથી ? અને આ ભગવાનના વાસણો પાછા કામવાળી ને સાફ કરવા ન આપી દેતી.! એ તો જાતે જ કરવા જોઇએ. ગમે તેનાથી એ વાસણ ને ન અડાય. અને લાલાના દૂધમાં સૂકો મેવો ને સાકર જરા સરખા નાખજે. કાલે સાવ ઓછા હતા. ઠાકોરજીના કામમાં જરાયે વેઠ કેમ ચલાવી લેવાય ?
અને સૂચનાઓનો વરસાદ વરસાવી આશાબહેન એકલાં એકલાં બોલતા રહ્યા. આજ કાલની વહુઓમાં કંઇ વેતા જ ન મળે ને ! ભગવાનનું કામ કરવામાં પણ આળસ..એટલું પણ સમયસર ન થઇ શકે ? આ તો હું છું તે ચાલે છે. બાકી મારી સાસુ જેવી સાસુ મળી હોત ને તો ખબર પડત ! અમારાથી જરાક મોડું થાય કે કોઇ ભૂલ ચુક થાય તો સાસુજી નો પારો સાતમે આસમાને જ હોય. બાકી આજકાલ તો હવે વહુ ને કંઇ કહેવાય છે જ કયાં ? જરાક કહ્યું નથી ને મોઢું બગડયું નથી..છોકરાઓ તો અમારે યે કયાં નહોતા ? આ તો જાણે નવી નવાઇના..!
જેવા નશીબ…બીજું શું ? મારે તો ચલાવવું જ રહ્યું ને બધું. આપણે તો રામ રાખીએ એમ રહીએ..મને તો જરાયે કચકચ કરવી ગમે જ નહીં ને..! એને ફાવે એમ કરે..મારે તો હું ભલી ને મારી માળા…મને તો બે ટાઇમ જમવા મળી જાય..એટલે બસ..માથું મારવું જ નહીં ને શેમાં યે…
હવે થોડું આપણું રાજ છે ? “
અને અનિતાની વાત..તેનો ઉભરો કાલે સાંભળવા મળશે જ. એની ખાતરી છે.
હું મૌન…તેમની આ રોજની રામાયણથી આમ તો આસપાસના સૌ પરિચિત છીએ.પરંતુ આજ સુધી મને કયારેય બહું સ્પર્શતું નહીં. હું કયાં સાસુ હતી ? કે મારે કયાં વહુ હતી ? પણ આજે..રેલો પગ નીચે આવવાનો સમય આવી ગયો હતો…હું તેમાંથી પાર ઉતરીશ ને ?
આજે આ લખતા લખતા મનમાં આ આશંકા શા માટે ? ના,ના, કોઇ પૂર્વગ્રહ વિના સંપૂર્ણ શ્રધ્ધાથી હું મારી વહુને આવકારીશ.