1941નો મે મહિનો હતો. રવીન્દ્રનાથની એંશીમી વરસગાંઠનો હર્ષોત્સવ હજુ હમણા બંગાળ આખામાં ઊજવાયો હતો. પણ ખુદ કવિ પર તો ગંભીર માંદગીની શ્યામ છાયા ઝળુંબતી હતી. સાંભળેલું કે કવિવરનો દેહ ખૂબ કષ્ટાતો હતો, એમની ચેતના ક્ષીણ થતી જતી હતી. અમે એમને કેવી હાલતમાં જોવા પામશું તેનો અંદાજ નહોતો. મેં ધારેલું કે તેઓ થોડા શબ્દો માંડ બોલી શકશે, અને એમની નજીક બેસીને એમની સહજ સોબતનો લાભ આ વેળા નહીં લઇ શકાય. પણ આ ધારણાઓ અવળી પડી. શાન્તિનિકેતન પહોંચીને સાંજ ઢળ્યે અમે એમને મળવા ગયા ત્યારે એ એમના પુત્ર રથીન્દ્રનાથના આવાસની ખુલ્લી ઓસરીમાં બેઠા હતા, થાકેલા, જીર્ણકાય. સંચરતી રાત્રિનું આછું અંધારું એમના ચહેરા પર ઝાંખપ પાથરતું હતું. બીજે દિવસે પ્રભાતે ફરી એમને જોયા ત્યારે એમની બેઠક દક્ષિણમુખી બંધ વરંડામાં હતી. મહેકતાં પુષ્પોની છાબ સમીપ હતી. ચહેરો સુકાયેલો હતો, લાલી ઊડી ગઇ હતી. પણ એમના ભવ્ય, પુષ્ટ દેહનો આભાસ અછતો નહોતો. સિંહની કેશવાળી સરીખાં ગરદન-પહોંચતાં વાંકડિયાં જુલ્ફાં હવે લુપ્ત થયેલાં, પણ મસ્તક હજુ મધ્યમાં સેંથો પાડેલા શ્વેત કેશથી વિભૂષિત હતું. આરપાર જોઇ શકતી આંખોનું તેજ સુકાયું હતું; એમની નજર કોઇની ઉપર ઠરતી ત્યારે તેમાં એક મ્લાન કુમાશ દેખાતી હતી. શહેનશાહ જેવો એમનો દમામ ગાયબ હતો; વૃદ્ધાવસ્થામાં ઘેરાયેલા તૉલ્સ્તૉયની છબિનો અણસાર આપતો એ ચહેરો હતો. પણ, ઓહો, રવીન્દ્રનાથનું દેહલાલિત્ય આટલું સોહામણું તો કદી નહોતું! કદાચ એવું હતું કે વધેલી ઉંમર અને વ્યાધિદીધા દર્દને કારણે જ એમનું સ્વરૂપ આટલું સોહતું હતું. કિશોરાવસ્થાથી માંડીને વરસોવરસની એમની તસ્વીરમાલા બતાવતી કે વધતી વય સાથે એ ઉત્તરોત્તર વધુ દેખાવડા ભાસતા. હજુ થોડાં વરસ પહેલાની જ વાત : કોઇ સમુદાયમાં એમનું આગમન થાય ત્યારે એમના ઝળાંહળાં વ્યક્તિત્વ પાસે બીજા તમામ ચહેરા નૂરવિહોણા દીસતા.
એ વખતે તો કવિવર સુંદર લાગતા જ, અત્યારે સંધ્યાના આછા તિમિરમાં એ સૌંદર્ય-નિખાર શિખરે હતો, બેશક હતો.
કોણ કહી શકે કે કવિ માંદગીને બિછાને હતા? અમે પ્રવેશ કર્યો ને એમનું વાણી-વહેણ વહેવા લાગ્યું. અવાજ ક્ષીણ હતો, પણ વાતો તો હમેશ જેવી અદ્ભુત.
થોડીથોડી વારે વાક્પ્રવાહ અટકતો ખરો, પણ શબ્દ શોધવા માટે નહીં. જોઇતો શબ્દ જિહ્વા પર હાજરાહજૂર રહેતો. વાતો વહેતી ત્યારે એમની દૃષ્ટિ સન્મુખે મંડાયેલી રહેતી, પણ પાછો શ્રોતાઓ સાથે પણ નેત્ર-સમાગમ સધાતો રહેતો. આમ થતું તેમાં એક શબ્દ પણ ખોડંગાતો નહીં. ચિત્રકળા અને સંગીત, જીવન અને સાહિત્ય, હાસ્ય અને નજાકત – એવા વિવિધવિષયરંગી, સુગઠિત વાક્-પ્રપાતનો અમે જાણે અભિષેક માણ્યો. આવી ઝળકતી બુદ્ધિપ્રભા, સૃષ્ટિની ઝીણીમોટી બાબતોમાં સજીવ રસ, અને ભાષા પરનું પ્રભુત્વ – ના, ના, આ ચેતના શીર્ણ થઇ ન કહેવાય. છતાં, કવિવર વ્યાધિગ્રસ્ત હતા એ હકીકત હતી. એ વ્યાધિ દેહને યાતના આપી રહ્યો હતો એટલું જ નહીં, નાનાંનાનાં કેટલાય અસુખ પણ લઇને આવ્યો હતો. સામાન્ય તેમજ મહાન, જ્ઞાનીઓ પણ, બધાં માટીનાં માનવીઓ, દેહની વિપતથી હારીને પોતાની પીડાના વિચાર-પથારા ચિત્તમાં કર્યે જતા હોય છે. પણ કવિવરની ચેતનાનું પદ્મ લેશમાત્ર કરમાયું નહોતું, હીરાના પાસા ઘસાયા નહોતા. એમના હોઠેથી બીમારીનો ઉલ્લેખ કદી સરી પડતો નહોતો. કોઇવાર કહેતા ખરા, ‘થાક્યો છું’, કે ‘આ ખોળિયું જર્જરિત થયું લાગે છે’. વિચારોમાં, વર્તનમાં, રોજિંદા વહેવારમાં ક્યાંય શૈથિલ્ય નહીં, કશું જરીક પણ ખરબચડું નહીં, કઠોર નહીં. સુશ્રુષા માટે સેવકો હાજર રહેતા. પોતાનાં કામ બીજાઓ કરે એ વિચાર જ એમને કદી રુચતો નહીં. પણ સેવા લીધા વિના છૂટકો નહોતો. ત્રીસ વરસ જૂના એક અંતેવાસીએ અમને કહ્યું કે કવિવરને એમણે બે વાર જ ગુસ્સે થતાં જોયા હતા : એકવાર ભોજનની થાળી ચોખ્ખી નહોતી ત્યારે અકળાયા હતા, અને એક શિક્ષકને વિદ્યાર્થીઓ પાસે માલીસ કરાવતા જોયા ત્યારે એમનો પિત્તો ગયેલો. લાંબા કાળથી ઘર કરી ગયેલા હઠીલા દરદ પાસે ઝૂક્યા વિના એમણે સંવેદનફલકને ભીનું રાખેલું. અસહ્ય વેદના ભોગવતા હોય ત્યારે કે મિજાજ પર ગમગીનીનું વાદળ છવાયું હોય એ સમયે પણ એમના તેજીલા વિનોદ-ફુવારાની છોળો અટકતી નહીં. પથારીમાં પડ્યા રહેવાના કાયર કવિને નીંદરને ખોળે જવા ફોસલાવવા પડતા. ’હવે સૂઇ જાઓ’ એમ કહેવામાં આવે ત્યારે આંખો મીંચી દેતા ખરા, પણ એમના પગ આમતેમ હલતા રહેતા. વધુ કડક સૂચના આવતી ત્યારે પછી કહેતા,
‘ભલે ત્યારે, વિચાર કરતો પડ્યો રહીશ. ચાહે તે કરો, મને વિચાર કરતો તો રોકી નહીં શકો’.
( અનુવાદ શ્રી જયંત મેઘાણી..” ઉદ્દેશ 2010માં પ્રકાશિત..)