ભીતરની સંવેદનનાને જયારે વાચા ફૂટે છે.. એને શબ્દોનો સાથ મળે છે ત્યારે સરી પડે તે કવિતા.. ક્રૌંચ પક્ષીનો વધ જોઇને વાલ્મીકીના હૈયામાંથી સંવેદનાની..કરૂણાની જે સરવાણી વહી નીકળી તે શ્લોક.. એટલે કવિતા..
કોઇ સુંદર દ્રશ્યને જોઇને કોઇ હૈયું સૌંદર્યથી મન અભભભૂત બની ઉઠે ને આપોઆપ શબ્દો સરી પડે ત્યારે સર્જાય છે કવિતા.. પીડાની પરમસીમાએ હૈયું આક્રંદ કરી ઉઠે ત્યારે સર્જાય છે કવિતા.. કવિતા ખુશીની હોઇ શકે. પીડાની હોઇ શકે. સૌંદર્યની હોઇ શકે..અંધકાર કે ઉજાસની, મિલન, વિરહ, અનેક ભાવોની ભરતીમાં ઉછાળા આવે ત્યારે સર્જાય છે કવિતા.. કવિતા મૌનની હોઇ શકે..વાણીની હોઇ શકે.. એકાંતની હોઇ શકે તો એકલતાની પણ હોઇ શકે.. સમાધિની હોઇ શકે..પરમની હોઇ શકે.. કુદરતના એક એક ત્તત્વની હોઇ શકે. ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ કે ભગવા રંગની હોઇ શકે..એના અનેકરંગી સૌંદર્યમાં રંગાઇને.. એ ઝરણામાં ઝબોળાયા પછી સાચો ભાવક કોરો કેમ રહી શકે? કેમકે સાચી કવિતાનું ઉદગમ સ્થાન છે..માનવીનું હૈયું..માનવીનું ભીતર.. અને હૈયાના ઉંડાણમાંથી જે નીકળે એ સ્પર્શ્યા સિવાય કેમ રહી શકે?
કવિતા..એટલે ઉત્તમ ક્રમમાં ગોઠવાયેલા ઉત્તમ શબ્દો…અહીં ઉત્તમ શબ્દ એના વિશાળ અર્થમાં લેવાનો છે. કવિતા ગીત, ગઝલ, સોનેટ, છાંદસ, અછાંદસ, અનેક સ્વરૂપે અવતરી શકે છે. કયારેક એ સૌંદર્યની દીક્ષા આપે છે તો કયારેક જીવનની દીક્ષા આપે છે.. દીવાદાંડી કે ધ્રુવતારકની ગરજ સારીને એક નવો રાહ ચીંધે છે. તો મિત્રો, આજે અત્તરગલીમાં કાવ્યની સુવાસથી તરબતર બનીશું ને?
સૌથી મોટો પ્રશ્ન..
એક દિન મે’તાજીએ છોકરાને પ્રશ્ન કર્યો,
ઇતિહાસ વિશે પ્રશ્ન સહુથી કયો મોટો છે ?
યાદ કરી છોકરાઓ પ્રશ્નનો વિચાર કરે,
મે’તાજીની આંગળીને ચીંધ સહુ માથે ફરે.
કુરૂક્ષેત્ર ! ટ્રોય કેરો ? ઇતિહાસ ખોટો છે
ફ્રેંચ રાજક્રાંતિ ? એવી ક્રાંતિનો ય જોટો છે.
રાજ્યકેરા ધારા ? એવા ધારાનો ય કયાં તોટો છે ?
વીજળીને સંચાશોધ ? એ તો પ્રશ્ન છોટો છે.
નોખા ધર્મ પંથ ! એમાં ગડબડ ગોટો છે.
સિપાઇના બળવાના વાંસા પર સોટો છે.
સત્યાગ્રહ ! એમાં ય તે કૈંક વાળ્યો ગોટો છે.
આવડે ન તો ગાલે મે’તાજીનો થોંટો છે.
છેલ્લી બાંક, છેલ્લો રાંક છોકરો જવાબ દે..
‘સાબ ! સાબ ! પ્રશ્ન રોટલાનો એક મોટો છે..’
-મુકુંદરાય પારાશર્ય
પહેલી નજરે સાવ સરળ દેખાતા આ કાવ્યમાં કેટલ ઉંડાણ.. કેટલો વ્યાપ અને કેવી મોટી વાત સમાયેલી છે. જાણે ગાગરમાં સાગર સમાઇ ગયો છે. શાંત પાણી આમ પણ ઊંડા ગણાતા હોય છે ને?
વિશ્વનો સૌથી મોટો પ્રશ્ન કયો? આવો કોઇ પ્રશ્ન આપણને પૂછવામાં આવે તો આતંકવાદ, ભ્રષ્ટાચારથી માંડીને અગણિત અલગ અલગ જવાબો મનમાં તરત ઉગવા માંડે. અને એ દરેકમાં વત્તે ઓછે અંશે સત્ય પણ હોવાનું.
અહીં આ વેધક કાવ્યમાં પણ શિક્ષક વિદ્યાર્થીઓને એવો જ એક પ્રશ્ન પૂછે છે
‘ ઇતિહાસનો સૌથી મોટો પ્રશ્ન કયો? ‘
“કોઇને કુરૂક્ષેત્રનું યુદ્ધ, કોઇને ટ્રોયનું યુદ્ધ, કોઇને ઇતિહાસમાં થયેલી ફ્રાંસની કે એવી બીજી અનેક રાજક્રાંતિનાં પ્રશ્ન દેખાય છે. કોઇને ધર્મના ભેદભાવનો પ્રશ્ન સળગતો દેખાય છે.”
મ્હેતાજીની..શિક્ષકની આંગળી વારાફરથી બધા છોકરાઓ તરફ ફરતી રહે છે. અને ત્યારે સ્વાભાવિક રીતે જ જુદાજુદા અનેક જવાબ મળે છે. કોઇને કુરૂક્ષેત્રનું યુદ્ધ, કોઇને ટ્રોયનું યુદ્ધ, કોઇને ઇતિહાસમાં થયેલી ફ્રાંસની કે એવી બીજી અનેક રાજક્રાંતિનાં પ્રશ્ન દેખાય છે. કોઇને ધર્મના ભેદભાવનો પ્રશ્ન સળગતો દેખાય છે. ક્રાંતિ, યુદ્ધનો પ્રશ્ન, ધર્મના ભેદભાવનો પ્રશ્ન, ઇતિહાસમાં થયેલી અનેક ક્રાંતિનો.. સત્યાગ્રહ કે બળવાઓનો પ્રશ્ન..દેખાય છે. પણ એ બધા અગત્યના પ્રશ્નો હોવા છતાં શિક્ષકને એ સૌથી અગત્યનો નથી જ લાગતો. કોઇને નવી નવી શોધો સૌથી મહત્વની લાગે છે. પણ એવી શોધોનો તો કયાં તોટો છે? જુદાજુદા કાયદાઓ..પણ એવા કાયદાઓની ભરમાર પણ કયાં ઓછી છે?
પણ દરેક જવાબમાં શિક્ષકને એક કે બીજો વાંધો દેખાય છે. તેની આંગળી તો હજુ ફરતી રહે છે. હજુ એને સંતોષકારક જવાબની તલાશ છે.
અને અંતે એને જવાબ મળે છે..સંતોષકારક જવાબ મળે છે.. કેવો જવાબ? અને કોની પાસેથી?
છેલ્લી બાંક, છેલ્લો રાંક છોકરો જવાબ દે..
‘સાબ ! સાબ ! પ્રશ્ન રોટલાનો એક મોટો છે..’
અહીં બે વાર ઉચ્ચારાયેલા શબ્દ “ સાબ..સાબ..માં છલકાતી કરૂણા ભાવકને સ્પર્શ્યા સિવાય રહી શકે ખરી?
પ્રશ્ન એક રોટલાનો મોટો છે. “સાવ સહજતાથી અપાયેલો, સાચુકલો, હૈયા સોંસરવો ઉતરી જાય એવો આ જવાબ સાંભળી શિક્ષકની આંગળી ત્યાં જ થંભી જાય છે. બની શકે શિક્ષક નિરૂત્તર..સ્તબ્ધ બની ગયા હોય..
ભાવકના ચિત્તને ખળભળાવી મૂકતો આ જવાબ કાવ્યને એક નવી ઉંચાઇ અર્પે છે.
પન્નાલાલ પટેલે તેમની પ્રખ્યાત નવલકથા માનવીની ભવાઇમાં સનાતન સત્ય ઉચ્ચારતું સો ટચના સોના જેવું એક વાક્ય મૂકયું છે. “ ભૂખ ભૂંડી છે, ભાઇ માનવી ભૂંડો નથી.”
સંસ્કૃતમાં પણ કહ્યું છે.
બુભુક્ષિત નર: કિમ ન કરોતિ પાપમ્? ભૂખ્યો માણસ કયું પાપ ન કરી શકે?
અહીં બહુ સરળ શબ્દોમાં એ જ વાત કેવી વેધકતાથી કવિએ કહી દીધી છે.
“જેને બે સમય પેટપૂરતું જમવાના પણ સાંસા હોય તેને બીજી કોઇ ચર્ચામાં..બીજાં કોઇ પ્રશ્નમાં રસ કેમ હોઇ શકે? પેટનો ખાડો ભરેલો હોય ત્યારે જ મનમાં બીજા ઉધામા શરૂ થઇ શકે.”
“ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે” ..કે “ભૂખ્યા પેટે ભજન ન થાય” એવી વાત લગભગ દરેક કવિઓએ, લેખકોએ, સંત, મહાત્માઓએ પોતપોતાની રીતે કહી છે, કહેવી પડી છે. જેને બે સમય પેટપૂરતું જમવાના પણ સાંસા હોય તેને બીજી કોઇ ચર્ચામાં..બીજાં કોઇ પ્રશ્નમાં રસ કેમ હોઇ શકે? પેટનો ખાડો ભરેલો હોય ત્યારે જ મનમાં બીજા ઉધામા શરૂ થઇ શકે. આજે પણ વિશ્વના અનેક બાળકોને પૂરતું પોષણ નથી મળી શકતું. એમની દારૂણ સ્થિતિથી આપણે કોઇ અજાણ નથી જ.. પણ આપણને એ બધું એટલું તો કોઠે પડી ગયું છે કે એ વાત આપણને અંદરથી હચમચાવી મૂકતી નથી. આપણે એની ચર્ચા કરી શકીએ… વાતો કરી શકીએ..મૌખિક સહાનુભૂતિ, ઠાલી..ખોખલી સંવેદના વ્યક્ત કરી શકીએ પણ એ માટે કોઇ નક્કર કાર્ય નથી કરતાં હોતા. અહીં કવિએ આ દિશા તરફ અંગૂલિનિર્દેશ કરીને પોતાનું કવિકર્મ બજાવ્યું છે.
સાવ સામાન્ય અને સરળ લાગતાં આ કાવ્યમાં જીવવા માટેની મથામણ..કરૂણતા કેવી વેધકતાથી રજૂ થઇ છે. ભૂખથી મોટો કોઇ પ્રશ્ન હોઇ શકે ખરો?
( ગ્લોબલ ગુજરાતી ન્યુઝ.ડોટ કોમ પર દર રવિવારે નિયમિત આવતી મારી કોલમ )
http://www.globalgujaratnews.com/article/nilam-doshi-article-on-a-poetry/
“જીવનનો સૌથી મોટો પ્રશ્ન” વિષે કવિના કર્મની જેમ લેખિકાએ પણ પુરેપૂરું ધર્મનું કાર્ય બજાવ્યું છે..
પૂર્વ-ભૂમિકા ખુબજ ઉત્કૃષ્ટ બંધાઈ છે….કવિતાની બહુઆયામી વ્યાખ્યા-સમજણ નીલમબેને આપી એ વિશેષ ગમ્યું…”કવિતા” ખૂબજ ઓછા શબ્દોમાં કેટલુંબધું સચોટ રીતે સોંસરવા ઉતરી જાય એવા બાની-ભાષામાં પ્રતીકો દ્વારા અસરકારક મૂલ્યો ઉપસાવી કવિકર્મ કરી શકે તે વાત સુપેરે સ્પષ્ટ કરી તે બદલ ધન્યવાદ અને અભિનંદન પણ!!!
અચાનક સ્ફૂરેલીબીજી બાજુ પણ જોઈ લઈએ …
સહાનુભૂતિ,અનુકંપા અને દયા જગવી ખળભળાવી-ભીતરમાં ઊંડે સુધી હલાવી મૂકે તે અન્નની ક્ષુધા – ભૂખ એ પાયાની જરૂરત તો ખરીજ અને સહુથી મોટો પ્રશ્ન પણ ખરોજ. પણ એનું બીજું પાસુ: ખાવા-પીવા પૂરતું મળે પછી પણ …..તે ઉપરાંત ,ભૂખ કોઈ પણ હો! પૈસાની,વાસનાની,પદ-પ્રતિષ્ઠાની , અને મૂળ તો , સ્વતંત્રતા ભોગવવાની અતિમહત્વની ભૂખ પણ એટલીજ ભયાનક રીતે ખતરનાક નીવડતી હોય છે! અસંતોષ એ અન્ય ભૂખોના પાયામાં રહેલો હોતો હોય છે! ખરી સમજણ નો અભાવ પણ એમાં મુખ્ય ભાગ ભજવતો હોય છે.
atyant sundar
wonderfull with prem n om