બસ..મજા આવે છે ..!! November 28, 2007
નિલય અને નીલાક્ષી..જીવનના પચાસ વરસો આ દંપતિ વટાવી ચૂકયા હતા. લક્ષ્મીજીની તેમની પર અસીમ કૃપા હતી. ઇશ્વરે ખોબે ખોબે સુખ વરસાવ્યું હતું. અંતરને ઠારે તેવો પુત્ર અને વહાલના દરિયા જેવી પુત્રીથી જીવન સભર હતું. શહેરમાં ઝવેરાતનો ધીકતો ધંધો હતો.
તેમના સ્ટેટસ પ્રમાણે હાઇ સોસાયટી ની લગભગ પાર્ટીઓમાં તેમને નિમંત્રણ જરૂર આવતું..પરંતુ કયારેય તેઓ તેમાં જતા નહીં કે પોતે એવી કોઇ પાર્ટીઓ આપતા નહીં. લોકો ખાનગીમાં તેમને કંજૂસ કહેતા. નિલય અને નીલાક્ષીને કદાચ આ વાતની જાણ પણ હતી જ. પણ એવી બહુ દરકાર તેઓ કરે તેમ નહોતા.
જોકે આમ છતાં તેમનું મિત્રવર્તુળ મોટું હતું. તેમનો સરળ, આનંદી સ્વભાવ, સહજતા, દરેકને મદદરૂપ થવાની ભાવના, મોટાઇનો અભાવ, નિરાભિમાનીપણુ…આ બધા ગુણોને લીધે તેઓ સ્વાભાવિક રીતે જ મિત્રોમાં પ્રિય હતા. તેમના ઘરના અને દિલના દરવાજા મિત્રો માટે હમેશા ખુલ્લા રહેતા.
આ દંપતિને એક વિચિત્ર ટેવ હોય તો તે એ કે ઘરમાં ત્રણ ત્રણ ગાડીઓ હોવા છતાં દર રવિવારે બંને લોક્લ ટ્રેનમાં આખો દિવસ ફરતા. અને ટ્રેનમાં જે પણ ફેરિયાઓ વેચવા આવે તેમની પાસેથી વસ્તુઓ ખરીદતા રહેતા. નાની મોટી વસ્તુઓથી તેમણે સાથે રાખેલ થેલો ભરાઇ જતો. વસ્તુઓ પણ કેવી ? જે કદાચ તેમને કયારેય કામ ન લાગે..કે પોતે કયારેય તેનો ઉપયોગ પણ ન કરતા હોય તેવી બિનજરૂરી વસ્તુઓ ભેગી કરી તેનો આનંદ માણતા..તેમની પાસે આવતો કોઇ ફેરિયો તેમને કંઇ વેચ્યા સિવાય પાછો ન ફરતો. હવે તો દર રવિવારે ફેરિયાઓ તેમની આતુરતાથી પ્રતીક્ષા કરતા. એ આશા સાથે કે આ શેઠ કંઇક તો જરૂર ખરીદશે જ. અને શેઠ તેમને કયારેય નિરાશ કરતા નહીં .
તો કયારેક જુહુના દરિયાકિનારે ફુગ્ગાવાળા પાસેથી બંને ફુગ્ગા લેતા દેખાય. અને પછી એ ફુગ્ગાઓ ત્યાં રમતાં નાના બાળકોને આપી..તેમની સાથે પોતે પણ ફુગ્ગા ઉડાડી આનંદ માણતા. ફાઇવ સ્ટાર હોટેલ કે કોઇ કલબમાં પણ આટલો આનંદ તેમને મળતો નહીં. અહીં જાણે તેઓ જીવન સાચ અર્થમાં માણતા હતા.આ ચંદ પળોમાં તેઓ જીવન જીવતા હતા.
અને તેમના જાદુઇ થેલામાં પીન, બકલ, છરી, ચપ્પુ, કાતર, કીચેઇન, દાંતિયા, અરીસા..ફૂલના ગજરા, ચોકલેટ, બિસ્કીટ…વિગેરે બધું જ નીકળે. જાણે સાંતાકલોઝ નો જાદુઇ થેલો જોઇ લો. મિત્રોને તેમની આ આદત કયારેય સમજાતી નહીં. કોઇ પૂછતું તો હસી ને જવાબ આપતા કે , ‘ બસ..મજા પડે છે. અને જેમાં મજા પડે એ કામ કરવા જેવું ખરું કે નહીં ? ગાડીમાં તો રોજ ફરીએ છીએ..રવિવાર ટ્રેન માટે..’
’ એ તો ઠીક…પણ આ તમારા અદભૂત સંગ્રહ નું શું કરો છો ? ‘
પણ જવાબ એક જ મળે..’બસ..મજા પડે છે. ‘ જોકે તેની બહુ નજીકના મિત્રોને એટલી ખબર હતી કે એ બધી વસ્તુઓ ઘરના કામવાળા, નોકરો, માળી કે ડ્રાઇવરના બાળકો સુધી પહોંચે છે.
પણ એમને એ ન સમજાતું કે જો એ બાળકોને આપવું હોય તો એ માટે ટ્રેનમાં જઇ જાતે હેરાન થવાની શી જરૂર છે ? બીજા કોઇ પાસે આસાનીથી મંગાવી શકાય છે. કે પછી વસ્તુ લેવા માટે એના પૈસા પણ આપી શકાય છે..તો પછી આવો દુરાગ્રહ શા માટે ?
પણ નિલય કે નીલાક્ષી ને પૂછવાનો કે આ બધું કહેવાનો કોઇ અર્થ કયાં હતો ? તેમનો તો હમેશા એક જ જવાબ રહેતો..તેમનું ધ્રુવ વાકય એક જ હતું..’ બસ..મજા આવે છે..’ હવે મિત્રો એ પણ તેમની આ આદતને શ્રીમંતોની એક ધૂન ગણી ને તેને સમજવાનો પ્રયત્ન છોડી દીધો હતો.
અને આમેય તેમને સમજાય તેમ પણ કયાં હતું ?
નિલય ના પિતા એક જમાનામાં જુહુ પર ફુગ્ગા વેચતા હતા કે કયારેક ટ્રેનમાં નાની નાની વસ્તુઓ વેચતા હતા. અને બાળક નિલય તેમની સાથે મદદ માટે રહેતો તેની કોઇ ને કયાં જાણ હતી ? ત્યારે એ જરૂરિયાત હતી….. પેટની આગ ઓલવવા માટેની એ મજબૂરી હતી.
અને આજે હવે તેમને એમાં એક મજા આવતી હતી. અનોખી મજા.!
કદાચ મનની આગ આ રીતે ઓલવાતી હશે..!!
આ એક સત્ય પ્રસંગ છે. જરાયે અતિશયોક્તિ વિના.
