પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

એક સાસુની ડાયરી…4 November 18, 2007

શિશુને ભોગે થતી પૂજા ઇશ્વર ને પહોંચે ખરી ?

મુઠ્ઠી જેવડા મનના ઉધામા પણ ગજબ હોય છે. ક્ષણમાં પ્રસન્ન..ક્ષણમાં ઉદાસ. મને તો કયારેક શેખચલ્લી જેવો વિચાર પણ આવે.. આ મન હકીકતે છે શું ? કયાં છે ? શરીરમાં તો એક હ્રદય સિવાય બીજુ કંઇ નથી..એમ ડોકટરો કહે છે..વિજ્ઞાન કહે છે.

મન…અંતર તો કોઇ એ જોયું છે કયાં ?

જવાબ પણ હું જ આપી રહું છું. જે ન દેખાતું હોય તેનું અસ્તિત્વ નથી એમ કેમ કહી શકાય ? એમ તો આપણે ઇશ્વરને પણ કયાં જોયો છે..તેથી તેના અસ્તિત્વને નકારી શકાશે ? આ બધા વિચારો પણ મન કરે છે કે હ્રદય ?

આજે સવારે હજુ તો અગિયાર વાગ્યા હતા..ત્યાં બાજુમાં રહેતા માલાબહેન ગુસ્સાથી ધમધમતા આવ્યા.’ છોકરાં તો અમારે પણ હતા…એને કંઇ નવી નવાઇ ના છે ? એક કામ સમયસર નથી થતું ..’ તેમને થોડા શાંત પાડી વિગત પૂછતાં કહે, ‘ તમને તો ખબર છે. વરસોથી રોજ સવારે હું સેવા પૂજા કરું છું. ‘ ’ હા, તો એનું શું છે ? ‘ ’ અરે, વહુ આવ્યા પછી એ પણ ટાઇમે નથી થતી. ‘ ’કેમ ? ભગવાનની પૂજાને અને વહુને શો સંબંધ છે ? ‘ ’અરે, ટાઇમે કયારેય કશું તૈયાર હોય જ નહીં ને ? તુલસીપત્ર કે ફૂલ બગીચામાંથી તોડી લાવવામાં..અને એક માળા ગૂંથવામાં કેટલી વાર ? ન માળા તૈયાર હોય ..ન પ્રસાદ તૈયાર હોય…ભગવાનનું કામ કરવામાં પણ કેટલીવાર કહેવું પડે…અને કહીએ એટલે જવાબ તૈયાર હોય જ..’ મારે છોકરાને સ્કૂલની રીક્ષા હમણાં આવી જશે. તેને નાસ્તાનું મોડું થાય છે. તમારા ભગવાન કયાંય ભાગી નહીં જાય..’ ’બોલો, આવા જવાબ આપી દે..આ ભણેલા હોય તો શું થઇ ગયું ? સંસ્કાર શીખ્યા હોય તો ને ? …” નમિતાબહેન ન જાણે કેટકેટલું બોલતા રહ્યા..થોડા શાંત થયા ત્યારે મેં તો હિમત કરીને ધીમેથી પૂછી જ લીધું. ‘હેં માલાબહેન, નમિતા નહોતી ત્યારે આ બધું કોણ કરતું હતું ? ‘ ’કોણ કરે ત્યારે ? મારા સિવાય કોઇ હતું ઘરમાં ? પણ હવે વહુ આવી છે તો એટલી આશા તો થાય ને…’ કહી ધૂંધવાતા માલાબહેન ઉભરો ઠાલવી હું કઇ વધારે કહું એ પહેલાં ચાલતા થયા.

તેઓ તો ગયા..પરંતુ મને વિચારમાં ડૂબાડતા ગયા..જે કામ જાતે થઇ શકે તે માટે બીજાની..વહુની આશા પણ શા માટે રાખવી ? હા, કયારેક ઉમરના કોઇ પડાવે આવી ને સ્ત્રી ને પણ રીટાયર થવાની ઝંખના જાગે એ સ્વાભાવિક છે. ઘરના કામ..જવાબદારી આટલા વરસો તેણે વહન કરી છે. તો હવે બાકીની જિંદગીમાં પોતાને મનગમતી પ્રવૃતિ કરે કે રસોઇ વિગેરે જવાબદારીમાંથી મુકત થવાનું ઇચ્છે તો એ માટે કોઇને વાંધો ન હોવો જોઇએ..સાસુ કંઇ કરાવતા નથી..એવી ભાવના વહુ એ શા માટે રાખવી ? પોતે પણ એક દિવસ મોટી થશે. ત્યારે તેને પણ એ રુટીન કામો નો કંટાળો કે થાક લાગે એવું બનવાનું જ છે. અત્યારે યુવાન છે ત્યારે કામનો કંટાળો શા માટે ? કસરત કરવા માટે બહાર જવાની જરૂર જ ન રહે એ ફાયદો છે એમ પણ વિચારી શકાય ને ? સાસુનો ભાવનાત્મક અણગમો એ સમજી શકે..વિચારી શકે તો..?

એ જ વહુ પોતાને ઘેર હમેશ કહેતી હોય છે.. ‘ મમ્મી, હવે તેં ઘણુ કર્યુ હોં. હવે આરામ કરતા શીખ..ભાભી સંભાળી લેશે..’
આ ડબલ ધોરણો શા માટે ?

જોકે સામે પક્ષે એ વાત પણ એટલી જ સાચી છે. રસોઇ કે એવા કોઇ મહેનતના કામ સાસુ કદાચ ન કરે કે ન કરી શકે..પરંતુ પૂજા કરવા માટે ફૂલ તોડવા કે માળા બનાવવી,પ્રસાદ સુધારવો…એવા નાના કામો તો એ જરૂર કરી શકે..અને કરવા જ જોઇએ પહેલી પસંદગી તો નાના બાળકને જ મળવી જોઇએ. ઇશ્વર પણ તો જ રાજી રહે. કોઇ બાળક હેરાન થતું હોય તો ઇશ્વર કયારેય પ્રસન્ન ન જ થઇ શકે. શિશુના ભોગે થતી સેવા પૂજાનો કોઇ અર્થ નથી જ..એ સત્ય સાસુએ સમજીને સ્વીકારવું જ જોઇએ. વહુને બાળકો નાના હોય તો પ્રેમથી એની સંભાળ લઇ શકાય. નાના નાના આવા તો કેટલાયે કામો જરૂર થઇ શકે. વહુ યુવાન છે. તેને હરવા ફરવાની હોંશ સ્વાભાવિક રીતે જ હોય.. એ સમજતા અને સ્વીકારતા પણ શીખવું જ રહ્યું. દીકરો જ નહી… વહુ પણ પોતાની છે એ લાગણી અંતરમાં કેમ ન રાખી શકે ? અને દીકરો ઘરમાં વહુને કંઇ મદદ કરાવે તો ખુશ થતાં શીખવું જોઇએ.તેને બદલે ‘ મને તો કયારેય નહોતો કરાવતો..મા કરતી હતી..ત્યારે તો …’ આવા વ્યંગ્યો ઉચ્ચારવાથી બચી કેમ ન શકાય ? સમય પ્રમાણે વિચાર અને આચાર માં પરિવર્તન લાવે તો જ માનવી સુખી થઇ શકે અને કરી શકે.

આજે મનમાં આવી અનેક વાતો ઉભરાઇ રહી છે. ભવિષ્યમાં હું આ બધી વાતો અમલ કરી શકું એવી આસ્થા સાથે અત્યારે તો અહીં જ અટકું ? વિચારમાં હશે તો કયારેક અમલમાં જરૂરથી આવી શકે ને ? અને કદાચ ત્યારે પૂરો અમલ ન થઇ શકે તો આ ડાયરીના પાનાઓ મારું ધ્યાન દોરી મારા પથદર્શક બનશે.

બાકી સો વાતની એક વાત તો સાચી જ લાગે છે.. થોડી અપેક્ષાઓ ઓછી કરી શકશે..સાસુ વહુ બંને ..તો સુખ કયારેય ગેરહાજર નહીં રહે..

કાલે આ જ વાત તેમની વહુ, નમિતા આવી ને આ જ વાત મને તેની દ્રષ્ટિએ કહેશે..એ વાતનો મને અંદાજ છે. સાસુ વહુ બંનેની વાત માં થોડું તથ્ય જરૂર હોય છે. પોતપોતાની દ્રષ્ટિએ કદાચ બંને સાચા હોઇ શકે.. હમેશા બીજાની દ્રષ્ટિથી વિચારી શકવું કંઇ આસાન તો નથી જ ને ?

પરંતુ એ ન થઇ શકે તો પણ થોડી વાર ઉભરો ઠાલવી ફરી પાછા સામાન્ય બની શકાય..કોઇ પૂર્વગ્રહ રાખ્યા સિવાય..એ વાત ભૂલી શકાય તો પણ ઘણું છે.

જીવનમાં આમે ય કેટલું બધું ભૂલી જવા જેવું હોય છે.

કાલે ડાયરીના પાનાઓમાં મળીશું ને ?

 

6 Responses to “એક સાસુની ડાયરી…4”

  1. manvant Says:

    Bahena !
    Tamari diaryna badha j pana soneri hoy chhe.
    Asha rakhie ke sau teno sadupayog kare !
    Vali shishune bhoge to Ishvarne puja nahij !

  2. Jugalkishor Says:

    સાસ ભી કભી વહુ હતી એ સત્ય સીરીયલો-માંનું / પુરતું સત્ય બની રહ્યું છે.
    હવે વહુના બળાપા પણ લખો ! પછી બંનેના બખાળા પણ લખવા /વાંચવા ગમશે.
    બહુ ભી કભી હાહુ થાવાની ! થાવા દ્યો.
    અભીનંદન.

  3. સુનીલ શાહ Says:

    વાતની ખુબ સરસ ગુંથણી કરી છે. અભીનંદન.

  4. Suresh Jani Says:

    તમારી લખવાની કળાના ક્લાસ ચાલુ કરતાં હો તો?
    પણ નવા જમાનાની વાતો પણ લખજો. આ થોડી જુની વાત લાગી.

  5. neetakotecha Says:

    દાદાજી, સાસુ વહુ ની વાત ક્યારેય જુની નહી થાય.
    એ પુરુષો ને કયાંથી ખબર પડે એ તો સાસુ અને વહુ થાવ તો જ ખબર પડે.
    નીલમ બેન આજની તારીખ માં સાસુઓ ને ટોણા મારતા અને હેરાન કરતા જોવ છુ.
    અને આજે પણ એવા ઘર જોયા છે કે જેમાં વહુ ઓ વડિલો ને અતિશય ત્રાસ આપતી હોય છે.
    બહુ દુઃખ થાય આ બધુ જોવ ત્યારે, એમ થાય ક્યારે સુધરશે આ સંબધ.

  6. pravinash1 Says:

    This is the old war. ww1 and ww2 got over. America and rest of the world are trying not to have ww3 but this is NEVER ENDING WAR.

Leave a Reply