પ્રીતિ ની આંખોમાં આંસુ હતા.અંતરમાં મૌન આજીજી હતી.અને દિલમાં એક ડર હતો.કોઇ તેના મનની વાત જાણી તો નથી જતું ને?ધૂંધળી બનેલ આંખો આગળથી પાંચ વરસનો અતીત ચલચિત્રના દ્રશ્યની માફક પસાર થઇ રહ્યો હતો. પરણીને આવી ત્યારથી શરૂઆતના એક મહિના સિવાય પોતે કયારે જીવનમાં સુખની ક્ષણો અનુભવી હતી?.પરણ્યાના એક જ મહિનામાં હજુ તો સ્વપ્નિલ આંખના સ્વપ્ના પૂરા માણ્યા યે નહોતા અને રાખ બનીને કયારે ઉડી ગયા..એ ખબર ન પડી.એક જ મહિનામાં નિરલ તેના મૂળ સ્વરૂપમાં આવી ગયો.દારૂ,જુગાર અને પત્ની માટે સતત શંકા..વહેમ..કોઇ પણ પત્ની નું જીવન નરક બનાવવા પૂરતા નથી?. દારૂના નશામાં આવી પ્રીતિને બેફામ ગાળો આપવી કે જાતજાતના આક્ષેપો મૂકી મારવી એ તો જાણે રોજિન્દો ક્રમ બની ગયો હતો અને હવે તો કયારેક ગુસ્સામાં આવી સિગરેટના ડામ દેતાં પણ તે અચકાતો નહીં.થોડુઘણું જે કમાતો તે દારૂમાં કયાંય ઉડી જતું.પિયરમાં ફરિયાદ સાંભળે તેવું કોઇ નહોતું.દીકરી તો સાસરે જ શોભે.પડયુ પાનુ નિભાવી જ લેવું રહ્યું…તેવી શિખામણોથી તંગ આવી હવે તેણે ત્યાં જવાનું યે બંધ કરી દીધું હતું.
ભૂખ અને ત્રાસથી બેહાલ બનેલ ,થોડુ ભણેલ પ્રીતિએ માંડ માંડ એક સ્કૂલમાં પટાવાળા ની નોકરી મેળવી.પણ તેમાં યે નિરલે શાંતિ ન લેવા દીધી.સ્કૂલમાં આવી ને ગમે ત્યારે તે બેફામ ગાળો બોલતો.માનસિક અને શારીરિક અત્યાચાર કરવામાં તે બેફામ બન્યો.અને તેમાં યે જયારે પુત્રીનો જન્મ થયો ત્યારે તો તેણે જાણે માઝા મૂકી દીધી.આ પુત્રી પોતાની નથી.એ વહેમ તેના મનમાં ઘૂસી ગયો.અને વહેમનું કોઇ ઓસડ હોય છે ખરું?
અને હવે એ અત્યાચારનો ભોગ માસૂમ પુત્રી સુધ્ધાં બનતી.!પતિ તેને જીવવા નહોતો દેતો અને માસૂમ પુત્રીનો વિચાર તેને મરવા નહોતો દેતો. કોઇ પગલુ ભરવાની તેની હિમત નહોતી.સમય તો સરતો રહેતો પણ તેની સહનશીલતાની હદ આવી ગઇ હતી.દોઢ વરસની પુત્રીને મારતા પણ તે અચકાતો નહોતો.
ત્યાં આજે અચાનક દારૂના નશામાં ધૂત બની ને ચાલતા તેને અકસ્માત થયો હતો.કોઇએ દયા ખાઇ તેને હોસ્પીટલ ભેગો કર્યો હતો.તેની જાણ થતાં પ્રીતિ હોસ્પીટલે તો આવી.ખાટલામાં સૂતેલ આ માણસને જોઇ તેના મનમાં કોઇ ભાવ ઉમટયા નહીં.તેની સંવેદનાઓ બુઠ્ઠી બની ગઇ હતી. આ…આ માણસે તેની જિંદગી બરબાદ કરી હતી.અને હવે કદાચ પોતાની પુત્રીના પણ એ જ હાલ થવાના હતા. તેના હાથની મુઠ્ઠી અનાયાસે સખત બની.આંખમાં રતાશ પ્રગટી.અને તેનાથી ઇશ્વર સમક્ષ બે હાથ જોડાઇ ગયા..બંધ આંખોમાંથી વહેતા ખારા પાણીમાં જાણે એક મૂક આજીજી હતી.
સાવિત્રી જાણે યમરાજને વીનવતી હતી.તેના સત્યવાનનો જીવ બચાવવા નહીં પણ……..????
