પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

નાની નાની પણ મોટી વાતો.. June 9, 2007

એક દાદા છે. નામ એમનું રમણભાઇ.. એમનો મોટો સંયુક્ત પરિવાર. બહુ મજાની છે એમની વાતો. એમના ઘરમાં અમુક નિયમો છે. એક નિયમ એવો કે રોજ સવારમાં દીકરાએ પિતાને ભેટવાનું !! છે ને સોનાની વાત !! ભેટવાની અસર કેવી હોય એ ચકાસવું હોય તો ઘરમાં જેની સાથે ઝગડો થયો હોય એને ભેટી જોજો… અને ચમત્કાર જોજો !!! રમણદાદાનું કહેવું એમ છે કે જે ઘરમાં દીકરો રોજ બાપને ભેટે એ બાપને કદી હાર્ટએટેક ન આવે !!! તાણ અને ટેન્શનથી ભરપુર જીવનમાં આ ઉપાય અજમાવવા જેવો !! અરે ઘરમાં બધા જ એકબીજાને ભેટી લે તો કેવું રુડું !! પણ જોજો, એને ઇચ્છા પર નહીં છોડતા નહીંતર થઇ રહ્યું… નિયમ જ કરવો …ક્યારેક યાંત્રિક લાગે તો યે આ અપનાવવા જેવું છે.. નુકશાન કંઇ નહીં.. ફાયદા પાર વગરના….

બીજો નિયમ એમનો એવો છે રોજ સવારમાં ઉઠીને દરેક નાની વ્યક્તિ પોતાનાથી મોટાને પગે લાગે. પાંચ વર્ષની દીકરી હોય તો એણે છ વર્ષના ભાઇને પણ પગે લાગવાનું જ. બહુ શાણપણવાળી વાત છે. આમ કરવાથી એક બીજા માટે કંઇ પણ મનદુખ હોય તો પરસ્પર ભાવ બદલાય. ગુસ્સો ઓછો થઇ જાય અને મન પણ હળવા થાય. નાનાના મનમાં વિવેક અને મોટાના મનમાં ઉદારતા પ્રસરતી જાય.
આ જ કુટુંબની શ્રધ્ધા પણ એક મિસાલ જેવી છે….ધરતીકંપ વખતે દસ માળનું આખું બિલ્ડીંગ ખાલી થઇ ગયું હતું ત્યારે એ એક જ ઘર ભરેલું હતું… “મોતને કોઇ હાથતાળી દઇ શકતું નથી અને જીવન હોય તો ક્યાંય ઊની આંચ આવતી નથી. મરવાનું હશે તો રસ્તા ઉપર પણ બચી નહીં શકાય !!” ડહાપણની વાતો તો આપણે બધા કરીએ છીએ પણ આવો અમલ કરવા જેટલી મજબુત આપણી શ્રધ્ધા છે ખરી ???

બીજા એક અમારા મિત્ર દિનેશભાઇ છે. સવારમાં મોર્નિંગવૉકમાં નિકળે ત્યારે સામે મળતી દરેક વ્યક્તિને સ્માઇલ આપવાનો નિયમ એમણે રાખ્યો છે. જાણીતી હોય કે અજાણી, ઓળખવાની કોઇ જરુર નહીં… સામેવાળાને તો ફાયદો થાય કે ન થાય, આવું કરવાથી આપણું મન સવાર સવારમાં પ્રસન્નતાથી ભરાઇ જાય ખરું. દિનેશભાઇને લાફિંગ ક્લબમાં જવાની જરુર નહીં. સવારમાં મન આવી તાકાતથી ભરી પછી દિવસ આખો પોતાની ફેકટરીમાં ભરપુર કામ કર્યા રાખે !!
વર્ષો પહેલાંની વાત છે. કકુ અંગ્રેજીમાં ફેઇલ થઇ. રીઝલ્ટ લઇને ઘરે આવી. કકુનો જરા રમતિયાળ જીવ. બહુ ચિંતા કરવાનો સ્વભાવ નહીં. ફેઇલ થવાનું દુખ હતું પણ હવે શું થઇ શકે ?? પપ્પાને બતાવ્યું. પપ્પાએ પુછ્યું “બેટા કેમ આવું થયું ?” કકુએ જવાબ આપ્યો, “પપ્પા, મારી પાસે ઘડિયાળ નહોતી એટલે ટાઇમની ન ખબર પડી અને લખવાનું અધુરું છુટી ગયું.” કકુને એ જ દિવસે એના પપ્પાએ ઘડિયાળ ભેટમાં આપી. કકુબહેન પછી ઇંગ્લિશના પ્રોફેસર થયાં !! સલામ એમના પપ્પાને !!

પાર્થનાં લગ્ન વિશાખા સાથે થયાં. વિશાખાના કુટુંબમાં સૌ કહેતાં તો ખરાં કે પાર્થની બહુ હેન્ડસમ પર્સનાલિટી છે. વળી એ બધામાં ખૂબ ભળી જાય. હસમુખો સ્વભાવ એટલે સૌને ગમે. વિશાખાના દાદીમાએ પ્રેમથી કહી દીધું, “પાર્થ, તમે બહુ વહાલા લાગો છો !!!” સામાન્ય રીતે જમાઇ સાથે થોડું અંતર રાખીને જ વર્તાય એવું આપણા સમાજમાં મનાય છે. એક ઘરડા દાદીમા પોતાની પૌત્રીના વરને આમ નિખાલસતાથી વહાલની અભિવ્યક્તિ કરી દે એ કેવું સરસ !!!

નિસર્ગ હજી પાંચમા ધોરણમાં ભણતો ત્યારની વાત. નાનાજીના જન્મદિને સહુ મળવા ગયા ત્યાં એણે પોતાના દફતરમાં સંતાડીને રાખેલી ફાઇલ કાઢી. “બાપુજી, આ તમારી બર્થડે ગીફ્ટ !!” ના પાડવા છતાં દફતર સાથે શું કામ લે છે ?? એ ત્યારે મમ્મીને સમજાયું… હંમેશા કામમાં રહેતા બાપુજીને ગિફ્ટમાં શું આપી શકાય એ એણે બરાબર પારખ્યું !!
બંગલાઓમાં ઘરકામ કરતા લાલજીને કોઇએ પૂછ્યું, “આ ઉપરવાળાની દિકરીને દુબઇ લઇ જવા માટે નોકર જોઇએ છે. તારા યે જાણીતા લોકો છે. તને તારી વહુ સાથે લઇ જાય તો જતો રહે, પૈસા સારા મળશે !!” લાલજીનો જવાબ હતો, “ના મારે નથી જવું. પછી મારા ઘરડા મા-બાપનું કોણ કરે ??” કહેવું પડે લાલજી…..

દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કોલમ..”સેતુ”

લતા હિરાણી