પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

સ્તબ્ધતા….. February 28, 2007

Filed under: સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 8:23 am

પથિક દ્વિધામાં અટવાતો હતો.એક મન લાલચમાં પડતું હતું.તો અંદરથી જાણે કોઇ ઠપકો આપી રહ્યું હતું..આ તને શોભે?કયાં ગયા તારા સંસ્કાર?આવો વિચાર પણ કેમ આવે?

 વાત સાવ સાદી સીધી હતી.આજે તેની ઓફિસમાં કોઇ તેનો મોબાઇલ ભૂલી ગયું હતું.ઓફિસમાં તો ઘણાં બધા આવ્યા હતા.કોઇનો પણ હોઇ શકે.તેણે થોડીવાર રાહ પણ જોઇ હતી.પણ કોઇ આવ્યું નહીં કે કોઇનો ફોન પણ એમાં આવ્યો નહીં.અને હવે તો તેણે ફોનની સ્વીચ બંધ કરી દીધી હતી.એટલે હવે એ સવાલ તો રહ્યો નહોતો.કોઇ ને યાદ આવે ને રૂબરૂ લેવા આવે તો જ….પણ પૂરા ચાર કલાક થઇ ગયા હતા કોઇ આવે એવી શકયતા નહોતી દેખાતી.હવે?

 આજે જ પથિકના બાર વરસના દીકરાએ તેની પાસે મોબાઇલની માગણી કરી હતી. અને પથિક આરામથી લઇ શકે તેમ હતું જ.પણ આ નવો નકોર,મોંઘો મોબાઇલ અનાયાસે હાથમાં આવતા તે લલચાતો હતો.કોઇને ખબર કયાં પડવાની છે અને હું કયાં ચોરી કરવા જાઉ છું ! કોઇ ભૂલી ગયું છે તો હું શું કરું?પોતે જ પોતાને જાતજાતના સવાલ કરતો હતો અને પોતે જ જવાબ આપતો હતો.મનમાં એક દ્વંદ ચાલતું હતું.એક તરફ લાલચ,લોભ હતા…બીજી તરફ સંસ્કાર હતા.બંને વચ્ચે પોતે અટવાતો હતો.

અંતે મોટેભાગે બને છે તેમ જ બન્યું લાલચને જીતવી થોડી સહેલી છે?તેણે અંદરના અવાજની અવગણના કરી.અને મોબાઇલ હાથમાં લીધો.તેની અંદર રહેલા ચોરે આસપાસ જોયું. તે થોડો વિહ્વવળ બન્યો.પણ પછી કોઇ જોતું નથી તેની ખાત્રી કરી અંદરથી સીમ કાર્ડ કાઢી નાખ્યું.અને પોતાની પાસે રહેલ બીજું સીમ કાર્ડ અંદર નાખી મોબાઇલ ખિસ્સામાં મૂકી ધીમેથી તે નીચે આવ્યો..જોકે ખબર નહીં કેમ પણ મનમાં મોબાઇલ મળ્યાની પ્રસન્નતા ન અનુભવી શકાઇ.!! નીચે આવી તેણે રીક્ષા બોલાવી.આજે બાઇક સર્વીસમાં મૂકી હતી.તેથી રીક્ષામાં જવું પડે તેમ હતું.તેના હાથમાં પોતાનો મોબાઇલ હતો અને ખિસ્સામાં…દીકરા માટે” નવો લીધેલ” મોબાઇલ હતો.!!

રીક્ષા માં બેઠા બેઠા પણ મનમાં વિચારો ચાલુ જ રહ્યા .દલા તરવાડીની જેમ પોતે પોતાની જાતને સવાલ કરતો રહ્યો અને પોતે જ પોતાને અનુકૂળ જવાબ આપતો રહ્યો..અને વિચારમાં ને વિચારમાં કયારે ઘર આવી ગયું તેની યે ખબર ન પડી.રીક્ષાવાળાએ કહ્યું, સાહેબ,હવે કયાં લઉં?ત્યારે તેને ભાન આવ્યું કે પોતે ઘર આગળ આવી ગયો છે.બરાબર ઘર પાસે રીક્ષા ઉભી રખાવી,રીક્ષાના પૈસાચૂકવી તે અંદર ગયો..પુત્ર આતુરતાથી પપ્પાની રાહ જોઇને જ બેઠો હતો.તેણે પપ્પાને જોઇ તરત કૂદકો માર્યો,”પપ્પા,મારો મોબાઇલ લાવ્યા?” પથિકે કંઇ બોલ્યા સિવાય ખિસ્સામાંથી મોબાઇલ કાઢી પુત્રને આપ્યો.આવો સરસ મોબાઇલ મળવાથી પુત્ર ખુશખુશાલ થઇ ગયો.પત્નીએ મોબાઇલ જોઇને તરત કહ્યું,”આવો મોંઘો લેવાની કોઇ જરૂર નહોતી.થોડો સસ્તો લેવો હતો ને?કેટલાનો આવ્યો?” પથિકે ગુસ્સાથી કહ્યું,”તારે શી પંચાત?જેટલાનો આવ્યો હોય તે.” પત્ની આશ્ર્વર્યથી તેની સામે જોઇ રહી.આવા સાદા સવાલમાં યે તે કેમ અકળાઇ ગયૉ?નહીંતર સામાન્ય રીતે પથિક જલ્દી ગુસ્સે થનાર માણસ નહોતો.પત્ની ને કંઇ સમજાયુ તો નહીં પણ પતિનો ગુસ્સો જોઇ તેણે અત્યારે વાત પડતી મૂકી.તેને થયુ કંઇક ઓફિસમાં થયું લાગે છે..તે ચા બનાવવા અંદર જતી હતી ત્યાં બેલ વાગી.તે ખોલવા જતી હતી ત્યાં ન જાણે કેમ પથિકે લગભગ દૉડીને દરવાજો ખોલ્યો.”મોબાઇલનો માલિક આવ્યો કે શું?”

પણ ત્યાં પેલો રીક્ષાવાળો આવ્યો હતો,”સાહેબ,તમે તમારો મોબાઇલ રીક્ષામાં જ ભૂલી ગયા હતા..!! “
                                  પથિક સ્તબ્ધ !!

                     નીલમ દોશી.

 

આજની ખાટી મીઠી… February 28, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 6:00 am

આપણે જેને પ્રગતિ કહી છીએ તે હકીકતે એક ઉપદ્રવને પડ્તો મૂકીએ છીએ અને બીજાને દાખલ કરીએ છીએ.

 

મમ્મીજી… February 27, 2007

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 7:47 am

ઇલા બહુ જ આનંદી અને પ્રેમાળ. જ્યારે પણ મળે ત્યારે ખુશીના ફુવારા છુટે. એના ઘરના પ્રોબ્લેમ્સ ઘણાં પણ એને રોદણાં રોવાની જરાય ટેવ નહીં. એક વાર સવારના પહોરમાં એ સરલામાસીને ત્યાં જઇ ચડી. કોઇપણ સમયે એનું આગમન કોઇને પણ ગમે જ. એક તો એનો આનંદી સ્વભાવ અને બીજું એની સતત મદદરુપ થવાની ટેવ. એના આવવાથી કદી કોઇને અડચણ ન લાગે. થોડીવાર વાતો થઇ. સરલામાસી એના માટે ચા બનાવવા ઉઠયાં.
ઇલા કહે, ”અત્યારે તો તમારે ત્યાં તાજું દૂધ હશે ને ! હું એમાંથી આપણા બંને માટે ચા બનાવું છું. મને તાજા દૂધની ચા બહુ ભાવે.” ”તેં સારી ટેવ પાડી છે. બાકી હવે આ ફ્રીઝ યુગમાં વાસી દૂધ જ વાપરવાનું થાય છે..” ઇલા કહે, “ આપણે તાજું દૂધ વાપરવું હોય તો વાપરી શકાય ને ! એ પ્રમાણે આયોજન કરવું પડે. આ જુઓને, મને વાસી દૂધની ચા જરાય ન ભાવે પણ રોજ એ જ….” ”એમ કેમ? રસોડું તો તું સંભાળે છે.. હમણાં તો આયોજનની વાત કરતી હતી…” ”અરે વાત જવા દો. મમ્મીજીને જરાય ન ગમે. તાજું દૂધ વપરાય જ નહીં. જો ચામાં વાપર્યું તો બોલ્યા વગર ન રહે. એનાં કરતાં વાસી દૂધની ચા પી લેવી સારી.” ”પણ તું તારી મરજી મુજબની ચા ન બનાવી શકે ??” ”માસી…. ચાની કયાં વાત કરો છો ?

મારે ઓફિસમાંથી રજા લેવી કે નહીં એમાં ય મમ્મીજીની માથાકુટ ચાલે જ. રજા લેવાનું જરુરી છે કે નહીં એ મમ્મીજી નક્કી કરે. થાકી હોઉં અને આરામ કરવાનું મન હોય ત્યારે તો ભુલથી યે ઘરે ન રહેવાય. રજા લઇને મારી ફ્રેંડના ઘરે જતી રહું. અને ઓફિસમાં કહી રાખવું પડે કે મમ્મીજીનો ફોન આવે તો હું કામથી બહાર ગઇ છું એવું જ કહેજો. ઓફિસમાં હવે બધા જાણે છે એટલે વાંધો નથી આવતો. મમ્મીજી છે ત્યાં સુધી તો મારા ઘરમાં મારી મરજી મુજબ કંઇ નહીં થાય. એટલે તો તમને અત્યારે ફરમાઇશ કરી.”

સરલામાસી ચુપ થઇ ગયાં.
“ચાલો માસી ચા પીને મારે ભાગવું પડશે. આ તો ફ્રેશ દૂધની ચા પીવાનું મન થયું એટલે તમારે ત્યાં ટપકી પડી. માસીને મળવાની યે મજા અને ચાની યે મજા.. મારે પછી ફ્રુટ લેવા જવું છે. મમ્મીજીને આજે અગિયારસ છે ને !” ”એમ કર ઘરમાં પપૈયું પડ્યું છે. તું લેતી જા. તારો ધક્કો બચી જશે.” ”ના માસી મમ્મીજીને પપૈયું જરાય નથી ભાવતું. એક તો એમને જરાય લોહી ચડતું નથી એમાં પાછો ઉપવાસ છે. કંઇક એમને ભાવતું લઇ જઉં તો ખાઇ શકે ને !!” સરલામાસીએ ચા બનાવી ત્યાં સુધીમાં ઇલાએ નાના રાહુલ સાથે ધમાલ મસ્તી કરીને ઘર ગજવી મુક્યું.

                                 લતા હિરાણી.

તા. 8 ફેબ્રુઆરી 2007ના દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં પ્રકાશિત

 

આજની ખાટી મીઠી… February 27, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 6:00 am

કેટલીક વાર મૂરખાઓ પૈસો બનાવે છે, તો પૈસો મૂરખ.

 

આજની ખાટી મીઠી… February 26, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 6:00 am

એક માણસે એક પુસ્તક લખ્યું છે”ધનની ટૂંકી કહાણી”એમાં માત્ર પાંચ શબ્દો છે.”આ આવ્યા,અને આ ગયા.”

 

આજની ખાટી મીઠી… February 25, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 6:05 am

તમે જો રોજ આઠ કલાક વફાદારી પૂર્વક કામ કરશો તો એક દિવસ તમે ઉપરી થશો અને દિવસના બાર કલાક કામ કરશો.

 

મા… February 25, 2007

મા! જગતભરના કવિઓએ

પ્રશંસાના પુષ્પોમાં દાટી દીધી તને.
સુગંધના એ દરિયામાં તણાઇ ગઇ તું
ને ભૂલી ગઇ કે તું માત્ર માતા નથી..
છે..એક વ્યક્તિ જેનું કંઇક કર્તવ્ય છે
પોતાની જાત પ્રત્યે
તેમાં યે ઋષિમુખે સાંભળ્યું
”કુપુત્રો જાયેત્ કવચિદપિ કુમાતા ન ભવતિ”
ત્યારે તો સાત જનમનો નશો ચડયો તને!
અન્યાય,અપમાન ને અવહેલનાની વર્ષા
છો ને કરે સદાયે –
ખમ્મા મારા લાલને!
”સુમાતા” નું કાષ્ઠફલક ગળે લટકાવીને
કંગાલિયતથી જીવ્યા કરીશ સદાયે
કે ખોલીશ કદી નયન?
વયસ્ક સંતાનની માતૃનિર્ભરતા
નથી નથી એ પ્રકૃતિની દેણ
છે જટિલ માનવ સંસ્કૃતિની વધુ એક બેડી
ચકચકિત..રૂપાળી.. ચાંદીની.. સોનાની. તો યે બેડી!!!
રુધિરનો પ્રવાહ પણ એકમાર્ગી નથી
હોય તો જીવન અટકી જાય
સ્નેહનો પ્રવાહ શા સારુ એકમાર્ગી?

ધીરુબહેન પટેલ.

 

મૂલ્યવાન ભેટ February 24, 2007

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 8:35 am

“લતાબહેન, અહીં આવો તો ! તમને કંઇક સરસ બતાવું” ઉત્સાહથી છલકાતા અવાજે મારી પડોશણ કિન્નરીએ મને બોલાવી..
હું એની પાસે ગઇ. એણે મારા હાથમાં એક પુસ્તક મુક્યું. ટાઇટલ પેજ પર કબુતર અને કબુતરીનો ચાંચમાં ચાંચ ભરાવીને વહાલ કરતો ફોટો હતો. હું પુસ્તકના પાનાં ખોલવા ઉત્સુક થઇ ગઇ. જોકે મને થોડો અંદાજ આવી ગયો હતો. અને એવું જ નિકળ્યું. હવે રોમાંચ અનુભવવાનો વારો મારો હતો. આ છે એક અનોખી વાત.

કિન્નરીની દીકરી વલ્લ્ભીનાં લગ્ન લેવાયાં હતાં. પ્રસંગ તો બધે ઉજવાય છે એમ જ ધામધુમથી ઉજવાયો. એમાં નવતર એ હતું કે આમંત્રણ પત્રિકામાં લગ્નમાં હાજર રહેવાના નિમંત્રણ સાથે એક સ્નેહાળ વિનંતિ હતી..આ વિનંતિમાં લગ્ન નિમિત્તે કોઇપણ પ્રકારની ભેટ, ચાંદલો કે ફૂલોના અસ્વીકારની વિવેકભરી પ્રેમાળ ‘ના’ સાથે એક સરસ મજાની માગણી હતી.‘ આ સાથેના કાર્ડમાં તમારા આશિર્વાદ, શુભેચ્છાઓ લખીને આપશો.’ એ આમંત્રણ પત્ર અને શુભેચ્છાકાર્ડ જોઇને જ હું આનંદિત થઇ ગઇ હતી. અને હવે મારા હાથમાં સહુએ પાઠવેલા પત્રો અને કાર્ડ એક પુસ્તકસ્વરુપે હતાં.

લગ્નમાં જઇએ એટલે ભેટ, ચાંદલો અને ફૂલો આપવાનું કેટલું યાંત્રિક હોય છે ! કોઇપણ સ્વરુપે આવતી ભેટમાં અંગત સ્પર્શ બહુ જ ઓછો હોય છે. ઘણી વખત ઇચ્છા હોવા છતાં એવું બનતું હોય છે કે સમય ન રહે અને છેલ્લે જતાં જતાં રસ્તામાંથી કંઇક ખરીદી લેવું પડે. નજીકના સગાં પરણતી કન્યાને શું લેવાનું બાકી છે એ વિચારતા હોય છે. સંબંધીઓ અને મિત્રોમાં મોટા ભાગે વહેવાર પૂરો કરવાની વાત હોય છે. પોતાને ત્યાં થયેલા પ્રસંગ વખતની ડાયરી પણ ખુલતી હોય છે. “આપણા પ્રસંગમાં એમણે શું આપ્યું હતું કે કેટલો ચાંદલો કર્યો હતો ?” વળી પ્રસંગે આવતી ભેટો એટલી બધી હોય છે કે કેટલીયે ભેટોનાં ગિફ્ટ પેપર જ બદલાતાં હોય છે. ઘણા લોકોને ઘરે આવી ‘સર્ક્યુલેટીંગ ગીફ્ટ’ જુદી મુકી દેવામાં આવતી હોય છે અને એ ધ્યાન રાખવું પડતું હોય છે કે જેમણે ભેટ આપી છે એમને જ ક્યાંક એ ભેટ પાછી અપાઇ ન જાય !

અહીંયા આશિર્વાદ લખીને આપવાની વાત હતી !! કબાટમાંથી કોઇ ભેટ કાઢી નવું પેપર લગાવવું કે પછી કંઇક ખરીદી લેવું બહુ સહેલું છે પણ લખીને આપવાનું છે ?? અઘરું કામ છે. સરસ લખવાનું મન બધાને થાય ! જેમણે ખુશીખબરના પત્રો કે હિસાબ સિવાય જીંદગીમાં કશું નથી લખ્યું એમણે પણ હોંશે હોંશે લેખક કે કવિ બની પોતાની ભાવના વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો. જાતે ન લખી શક્યા એમણે કોઇકની કવિતાની પંક્તિ કે અવતરણો શોધીને લખ્યાં.. તો કોઇએ સાદા શબ્દોમાં પોતાની ભાવના જરુર વ્યક્ત કરી. અને આ બધી મથામણમાં બધાએ વલ્લભીને કેટલી યાદ કરી !! હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે સાવ સાદા બે વાક્યથી માંડીને કંઇપણ લખવામાં સહુએ થોડીક લાગણીભીની ક્ષણો વલ્લભી માટે જરુર અનુભવી !! જે પોતાનાં છે એની લાગણી તો હંમેશા રહેવાની પણ જે દૂરનાં છે એમનું મન પણ સંવેદનાથી છલકાયું. અને છેવટે આ બધું એક પુસ્તક સ્વરુપે વલ્લભીને મળ્યું… કેવો સરસ વિચાર અને કેવી મુલ્યવાન ભેટ !!

                   લતા હિરાણી.

તા. 21 ફેબ્રુઆરી 2007 ના રોજ દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં પ્રકાશિત

 

અમારી હાસ્યવાર્તાનો કરૂણ અંજામ… February 22, 2007

Filed under: સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 2:26 pm

માણસ ઘરથી થાકે ત્યારે ફરવા જાય અને ફરીને થાકે એટલે ઘેર જાય…ઘરથી કંટાળે એટલે પ્રવાસે જાય અને પ્રવાસથી થોડા દિવસમાં કંટાળી..”ધરતીનો છેડો ઘર……”.હાશ!!!કરીને ઘેર આવે…ટૂંકમાં માનવમન જ ભગવાને એવું વિચિત્ર બનાવ્યું છે..(આપણે દોષનો બધો ટોપલો ભગવાન પર જ ઢોળી દેવો…આમે ય ગીતામાં ભગવાને ખુદે જ કહ્યું છે ને કે તારા કર્મ મને…ઇશ્વરને સમર્પિત કર…)હા,,,,તો હું કહેતી હતી કે માનવમન એવું વિચિત્ર છે કે જે ન હોય તે જ ગમે અને જયાં ન હોઇએ એ જ સારું લાગે…અને જેવા ત્યાં પહોચીએ એટલે તરત ગાડી રીવર્સમાં ભાગે…..

પ્રેમી પ્રેમિકાને પામવા આકાશપાતાળ એક કરે…બધું યે હરખથી હોંશે હોંશે સહન કરે…ને જેવા લગન થઇ જાય…એટલે થોડા સમયમાં પત્નીનું મુખારવિંદ ડાચુ બની જાય…અને ચરણકમળ ટાટિયા બની જાય.પ્રાપ્તિ કરતાં પ્રયત્નનો આનંદ હમેશા વધારે જ રહ્યો છે…એ કહેનારે સાચું જ કહ્યું છે..અનુભવને આધારે જ કહ્યું હશે. ને?ખેર!! જવાદો…આપણી મુખ્ય વાત એ હતી કે અમે હમણાં કયાંય ઘણાં સમયથી ઘરની બહાર નહોતા નીકળ્યા.તો થયું કે બહારગામ જવાય એવી સંજોગો તો હમણાં છે નહીં…પણ આ રવિવારે જરા કયાં ક ફરવા તો જઇએ ને તાજા માજા થઇએ.(તાજા માજા ઘેર કેમ થવાય…એની માહિતી મોટે ભાગે કોઇ પાસે હોતી નથી..તેથી આનંદની શોધમાં બહાર ભટકયા કરે છે.પેલા કસ્તુરી મૃગની જેમ ..)

હવે ચાલી.. બહાર જવાના સ્થળોની શોધ..!! પહેલાં થયુ કે ચાલો કોઇ સારું પિકચર જોઇ આવીએ.પણ પછી તરત થયું કે એ તો ઘેર બેઠા યે કયાં નથી જોવાતું?વિજ્ઞાને ઘરની બહાર નીકળ્યા સિવાય પણ દુનિયા આખીની સફર કરી શકીએ તેટલી સગવડ કરી જ દીધી છે.
તેથી પિકચરનું તો માંડી વાળ્યું..પછી કોઇ મ્યુઝીયમ જોવા જવાનો વિચાર આવ્યો….અને જેવો આવ્યો એ ભેગો જ કેન્સલ પણ થઇ ગયો…કેમકે એવા કોઇના સંગ્રહ..જોવા જવાની આપણે શું પંચાત?ઇતિહાસ તો આમે ય ભણતા હતા ત્યારથી જ કંટાળાજનક હતો અમારે માટે…કોણ કયારે જનમ્યું અને કયારે મર્યું…ને શું કર્યું..?એ બધી લપ કોણ કરે?ઇતિહાસ એટલે તો પારકી પંચાત જ ને?અને પાછું એ જોઇને આપણે તો દુ:ખી જ થવાનું ને?કેમકે એક તો આપણે આ બધા જેવા મહાન નથી..તેનું..આપણી પામરતાનુ ભાન થાય, અને બીજું આપણે આવો કોઇ સંગ્રહ પણ કરી શકીએ તેમ નથી…!! તો દુ:ખી થવું એના કરતાં એવી જગ્યાએ જવું જ નહીં…આપણે તો ફ્રેશ થવા…મનોરંજન માટે જઇએ છીએ.નહીં કે જીવ બાળવા…..!!!!

એટલે મ્યુઝીયમ ઉપર પણ ચોકડી મૂકાઇ ગઇ.ચોકડી…એટલે સીલેકશન….ચૂંટાઇ જવું ..એવો લોકશાહીનો અભિપ્રેત અર્થ અહીં નહીં લેવાનો હોં..!!!

તો બાગ બગીચામાં જવું?પણ એ ફૂલો ને ફુવારાઓ તો ઘણાં જોઇ નાખ્યા….તો પછી આખરે જવું કયાં?શહેરમાં શું ફરવા જવાના સ્થળો જ નથી રહ્યા?અને અચાનક વીજળીના ચમકારાની જેમ…(વીજળી ના ચમકારે પાનબાઇ મોતી યે પરોવી શકે તો વીજળી ના ચમકારે અમારું મન પણ ચમકી જ ઉઠે ને?)અને અમારા મગજમાં ઝબકાર થયો…ઘણાં વરસોથી કોઇ ઝૂ નથી જોયું..તો ચાલો આજે તો કોઇ ઝૂની મુલાકાત લઇએ.

ગમે તેમ તોયે આપણે રહ્યા સામાજિક પ્રાણી…જ ને?તો ભાઇબંધ..દોસ્તારો કે પછી પૂર્વજોને મળવાનું મન તો કયારેક થાય ને?બસ…અને તરત આ વાત મગજમાં ફીટ થઇ ગઇ.કે ઝૂ માં જ જવું…અરે,ભાઇ ,ઝૂ માં રહેવા જવાની નહીં પણ ઝૂ જોવા જવાની વાત થાય છે.!!(જોકે મનમાં એક ડર રહે કે કયાંક આપણને યે ઝૂ માં રાખી લેશે તો? ન જાણ્યું જાનકીનાથે ….!!પણ એ તો પડ્શે એવી દેવાશે..એમ ડરવાથી થોડુ ચાલે?)અને અમે સપરિવાર મિત્રમંડળ સાથે ઉપડયા ઝૂ માં.
ત્યાં જોકે ઘણાં બધા પ્રાણીઓ..પંખીઓની સત્તાવાર મુલાકાત લીધી…તેમના વિષે લખેલું બધું વાંચીને અમારા જ્ઞાનમાં અદભૂત વધારો થયો…એ બધું વિગતવાર કહેવા કે લખવા બેસીશ તો..હું લખીને થાકી જઇશ અને તમે વાંચી ને..તો.. બંને ને નુકશાન થાય એવું કામ કરવું જ શા માટે?(ખાલી તમને થતું હોય તો તો……)અને આમેય આ જમાનો રહ્યો શોર્ટ કટનો…ટૂંકુ ને ટચ બધાને ગમે….!!!!બરાબરને?

તો આ ઝૂ એટલે કે પ્રાણીસંગ્રહાલયમાં અમને સ્પર્શી ગયેલા…ના…ના..સ્પર્શ્યા કયાં હતા?,,ગમી ગયેલા…જેની સાથે અમારા ભવ્ય અતીતની યાદો સંકળાયેલ હતી…એ જ પ્રાણીઓની મુલાકાતની વાત તમને કરીશ.બસ થૉડી જ હોં…એટલે તમે યે છુટ્ટા અને હું યે…..!!!!

હા,તો ઝૂ માં સૌ પ્રથમ જ અમને મુલાકાત થઇ.પેલા મગરની.પેલા, એટલે કે વાંદરાનુ કાળજુ ખાવા માટે દગો કરી ને લઇ જનાર મગરની.અમે ધીમેકથી પૂછી જ લીધુ,”કેમ ભાઇ,હવે તારી મગરીની જીદ માની ને વાંદરાને ફસાવવાના પ્રયત્ન તો નથી કરતો ને?

મગરે જવાબ આપ્યો,”અરે,ના રે..મારા દાદાને વાંદરાએ કેવા ઉલ્લુ બનાવેલ..તે મને ખબર છે.અને હું કંઇ એમ મગરીની બધી વાત માં હા જી હા..કરું એવો નથી હો!!આપણે તો માનવુ હોય એટલુ જ માનીએ. સ્ત્રીનું કહેલ બધુ માનવા બેસીએ ને તો પસ્તાવાનો વારો આવે !!!બરાબર ને?તમારે ત્યાં યે આવું જ છે ને?”

અમે તો હા કે ના કઇ પણ કહ્યા સિવાય “નરો વા કુંજરો વા” રહેવામાં જ સલામતી અનુભવી અને તેને બાય કરી આગળ પ્રયાણ કર્યુ.

આગળ જતાં દેખાણા પોપટભાઇ…અમે પૂછયું,”કેમ છો પોપટ.રાજા રામના ને?અને તમને તો પૂછવાનું હોય જ નહીં ને?પોપટ ભૂખ્યો નથી કે પોપટ તરસ્યો નથી..પોપટ આંબાની ડાળ ને પોપટ સરોવરની પાળ..!! એ તો આજે યે અમને યાદ છે હો !!”

પોપટ કહે,”એ જમાના ગયા.તમે આઝાદ થયા..પણ આ જુઓને અમને તો અહીં પાંજરે પૂર્યા છે.મુકત ગગનવિહાર કયાં?આંબાની ડાળ કે સરોવરની પાળ કયાં?પેલા કાગડાભાઇ કચરા લાવ્યા હતા એ કેવા જલસાથી ફરે છે! “અમે તેમને સાંત્વના આપી જલ્દી ત્યાંથી આગળ ચાલ્યા.અમારું પાણીપોચુ મન થોડુ ભરાઇ આવેલ તેથી.

આગળ ગયા ત્યાં તો જંગલનો રાજા સિંહ દેખાયો.વાહ ! :કેમ છો સિંહભાઇ?મજામા ને?હવે તમને કોઇ સસલુ છેતરતુ તો નથી ને?”

સિંહ કહે,”ના,હો…હવે અમને કોઇ છેતરી ન શકે..એ તો અમારા દાદા ભોળા હતા તે સસલાથી છેતરાઇને કૂવામાં કુદકો મારી દીધો.બાકી આજે એ સસલુ આવે ને તો …..”

સિંહે ગર્વથી જવાબ આપ્યો.અમે અમારી પ્રશ્નોતરી આગળ ચલાવી.ઇંટરવ્યુ લેવો તો પૂરો જ લેવો ને?”સિંહ ભાઇ સાચુ કહેજો હો…અહીં આ પાંજરામાં મજા આવે છે?જંગલની યાદ નથી આવતી?તમે તો જંગલના રાજા….” સિંહ કહે…”રાજા..તો ઠીક મારા ભાઇ,સમજયા..આજકાલ રાજા ના કેવા હાલ થાય છે..એ અમારાથી યે કયાં અજાણ્યું છે?અને શિકાર શોધવા જવાની લપ તો નહીં.બેઠા બેઠા ખાઇ પી ને જલસા કરવાના…!!હા,આ મારી પત્નીને, સિંહણરાણી ને કયારેક જંગલની યાદ સતાવે છે ખરી..તેના પિયરનું અહીં કોઇ નથી ને તેથી.પછી ધીમેથી ઉમેર્યું..હકીકતે એટલે જ મને અહીં ગમે છે.નિરાંત છે!!”

અમે હસીને તેની યે વિદાય લીધી.કદાચ દૂરથી કોઇ ઝડપથી આવતું દેખાયુ એટલે નકામા કયાંક લેવા દેવા વિનાના ફસાઇ જવાય.જોકે અમને મૂકે તો યે કંઇ સિંહના પાંજરામાં તો ન જ મૂકે..એની ખાત્રી હતી.(કોના પાંજરામાં મૂકે?એવો પ્રશ્ન પાછો નહીં પૂછવાનો હો! બાંધી મુઠ્ઠી લાખની !! )

ત્યાંથી આગળ ચાલતા મળ્યા ખન્ધા શિયાળભાઇ..બિચારા અહીં કેવા નિમાણા થઇ ને બેઠા હતા !! અહીં કોની સાથે ચાલાકી કે કાવાદાવા કરે?અહીં તો તે કામ માટે માણસો હતા જ ને?!! અમે શિયાળભાઇને પૂછયું,કેમ શિયાળભાઇ.હવે કાગડાની પૂરી પડાવી નથી લેતા ને?કાગડાનું ગીત સાંભળવું છે કે?

પણ શિયાળભાઇ કંઇ જવાબ આપવાના મૂડમાં ન લાગ્યા.અમે ફરી એક પ્રયત્ન કર્યો.”શિયાળભાઇ દ્રાક્ષ અહીં કેવી મીઠી મળે છે કે ખાટી?”પણ આજે તે જવાબ આપે તેવી શકયતા લાગી નહીં.કદાચ પત્ની સાથે ઝગડો થયો લાગ્યો.કેમકે તેની પત્ની ત્યાં જ સામે બેઠી હતી..મોઢું ચડાવીને… ખેર! કોઇને પરાણે થોડુ કંઇ પૂછાય છે આ લોકશાહીમાં?

અરે,આગળ ગયા ત્યાં તો મળ્યા અમને બિલ્લી ભક્તાણી….અમે તો તેને જોઇને જ ખુશ થઇ ગયા:કેમ છો..બિલ્લીમાસી?હવે ટીલા ટપકા કરીને પંખીઓને છેતરતા નથી ને?અને હા,હવે તમારી બહેનપણી સાથે રોટલા માટે લડતા નથી ને?”

”અરે,લડીએ ને તોયે પેલા વાંદરાને તો ન્યાય કરવા બોલાવીએ જ નહીં હો.!! મારી દાદી ને એ લુચ્ચો વાનર ઠગી ગયો હતો…અને રોટલો પડાવી ગયો હતો..!! બિલ્લીમાસી ગુસ્સે થતાં બોલ્યા.અમે ગીત ગણગણતા ગણગણતા ત્યાંથી આગળ ચાલ્યા”એક બિલાડી જાડી ..એણે પહેરી સાડી…..સાડી પહેરી ફરવા ગઇ…..”

અને હવે મળ્યા ઉંદર..અહીં તો સફેદ રંગના સરસ મજાના ઉંદરો..!! અમે તો ધારી ધારી ને જોયુ..આમાનો એકે ય પૂંછડી વિનાનો દેખાય છે?કે એકે ય સાત પૂંછડીવાળો દેખાય છે?ઉંદરો સમજી ગયા…તેમણે ઘૂરકિયુ કરતા કહ્યું,”અરે,,એ અમે નહીં અમે તો સફેદ મજાના..એની ને અમારી જાત જુદી હો!!અમે કંઇ એમ કોઇના કહેવાથી પૂંછડીઓ કપાવીએ નહીં…અમે તો પેલા જંગલના રાજા સિંહ ને યે મદદ કરી હતી ..એના વંશજો છીએ સમજયા?”

અમે સમજી ગયા હોવાથી ત્યાંથી ચાલતી પકડી.અને આગળ ચાલ્યા.આમ તો હવે થાકી ગયા હતા.પણ એમ કંઇ અમારા પૂર્વજોને મળ્યા વિના તો જવાય જ નહીં ને?

યસ..અને હવે અમે મળ્યા વાંદરા ભાઇને..પણ એ થોડા ઉદાસ લાગ્યા. અમે પૂછયું,”વાહ ! વાંદરાભાઇ..કહેવું પડે હો! પેલા મગરને ,,બિલ્લીને બધાને કેવા મૂરખ તમે બનાવેલ નહી?તમારી ચાલાકી આગળ તો ભલભલા મૂરખ બની જાય..”

અમને એમ કે વખાણ સાંભળી ને એ ખુશ થઇ જશે.કહે છે ને કે “ખુશામત તો ખુદાને યે પ્યારી છે.”પણ..એણે તો ઘૂરકિયુ કરી ને અમારી સામે જોયું…અમે તો એનો ગુસ્સો સમજી ન શકયા,”અરે,વાનરભાઇ,અમારો કંઇ વાંક ગુનો?અમે તો તમારા વખાણ કર્યા..તો યે અમારી સામે કાં આમ દાંતિયા કાઢો?”

વાનર કહે,”તમારો વાંક છે એટલો તો કોઇનો નથી.અમને બધાને તમારી આખી જાત સામે વાંધો છે.ભાગો અહીંથી”તેણે અમારી સામે દાંતિયા કરતા ગુસ્સાથી કહ્યું. અમને તો કંઇ સમજાયુ નહીં..અમે તેને શાંત પાડતા કહ્યું,”અરે,ભાઇસાબ,તમારી કંઇ ભૂલ થતી લાગે છે..અમને બધાને તો તમારે માટે કેટલું માન છે !! તમે તો અમારા પૂર્વજ..! “

અને વાત પૂરી કરીએ તે પહેલાં વાનરભાઇ જે છટકયા..”બસ,હવે એ વાત સામે જ અમારો સખત વિરોધ છે.તમારા પેલા ડાર્વિને આમ કહી ને અમારું સખત અપમાન કર્યું છે. અમારી વાનર જાત આને અમારું કલંક સમજે છે..અપમાન સમજે છે.” ”પણ કેમ?કેમ?આ તો તમારું માન થયું..માનવી જેવો માનવી તમારામાંથી બન્યો છે…એનું તમને તો ગૌરવ હોવું જોઇએ..માનવી જેવું બુધ્ધિશાળી આજે બીજુ કોઇ છે ખરું?”

બુધ્ધિશાળી તો ઠીક સમજયા…પણ એ બુધ્ધિનો તે કેવો ઉપયોગ કરે છે એ અમારાથી યે અજાણ્યુ નથી જ. અરે,પોતાના સ્વાર્થમાં કુદરતને નુકશાન કરીને ..પર્યાવરણને નુકશાન કરીને તે પોતાના પગ પર જ કુહાડો મારી રહ્યો છે..તે જાણવા છતાં..અજાણ્યા બની આંખ આડા કાન કરી..ક્ષણિક સ્વાર્થ માટે સમગ્ર સ્રુષ્ટિને નુકશાન કરી રહ્યો છે..એ બધુ યે અમે જાણીએ છીએ હો !અને માનવી?માનવી આજે માનવી રહ્યો છે ખરો?

વાંદરામાં તો વાંદરાપણુ છે..માનવી માં માનવીપણુ છે ખરું?અમે તો અમારી ખાસિયત જાળવી રાખી છે.તમે તો તમારું માનવીપણુ..માનવતા કયાં જાળવી શકયા છો?અમે તો બિલ્લી કે મગરને મૂરખ બનાવીએ..અમારા જાતભાઇ સાથે કયારેય દગો ન કરીએ.કે મારીએ કે કાપીએ નહીં.ઇર્ષ્યા,અહંકાર,દંભ, સ્વાર્થ, નાત, જાત,ભાષા ,ધર્મ…બધા ભેદભાવ થી ભરેલ માનવીને તમે અમારા પૂર્વજો કહો છો?અમારું આવું અપમાન?એ ડાર્વિન ને તો અમે કયારેય માફ નહીં કરી શકીએ……”

અને ગુસ્સે થયેલ વાનરભાઇ તો ન જાણે કેટલું બોલતા રહ્યા…જે અમારાથી ન સાંભળી શકાયું..કે અમારી પાસે એનો કોઇ જવાબ પણ નહોતો..તેથી ચૂપચાપ ધીમે પગલે,વ્યથિત હ્રદયે અમે ત્યાંથી સરકી ગયા. બીજું કરી પણ શું શકવાના હતા?વાંદરાની વાત ખોટી છે..એમ પણ કયાં કહી શકીએ તેમ હતા?નીચી મુંડી કરી,અમે મૌન બની ગયા. અને હવે બીજા કોઇ પ્રાણી ને મળવા જવાની અમારી હિમત ચાલી નહીં.!!!વળી કોઇ બીજુ કંઇ સંભળાવી દેશે તો?

અને અમે વીલા મોઢે ઘેર પાછા આવી ગયા….પણ આ અમારી મુલાકાત અવિસ્મરણીય બની રહી..આજે યે વાનરના એ શબ્દો અમારા કાનમાં તો ગૂંજે છે.બધાના હૈયામાં ગૂંજી શકે ખરા?

                                                                                   નીલમ દોશી.

 

આજની ખાટી મીઠી… February 21, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 9:20 am

કેટલાક માણસ ,બીજાએ જીવન કેવું જીવવું જોઇએ તે બરાબર સમજે છે,પણ પોતાનું જીવન નહીં.