પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

ગમતાનો કરીએ ગુલાલ.. September 25, 2006

ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ
ને ગમતાનો કરીએ ગુલાલ,
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમન્દર ર્ની લહેર લાખ સુણી કયાંય સાંકળી? 
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય,
આ તો વરસે ગગનભરી વહાલ….ગમતાનો….
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?
સરી સરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી       
મુઠ્ઠીમાં રાખતાતો માટીની પાંદડી,
ને વેર્યે ફોરમનો ફાલ…..ગમતાનો….
આવી મળ્યું તે દઇશ આંસુડે ધોઇને
ઝાઝેરું જાળવ્યું તે વહેલેરુ ખોઇને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઇને?
માધવ વેચંતી વ્રજનારીની સંગ,
તારા રણકી ઉઠે કરતાલ!…ગમતાનો…
ગમતું મળે તો અલ્યા,ગૂંજે ન ભરીએ
ને ગમતાનો કરીએ ગુલાલ.  

    
  
                                                         મકરંદ દવે.

 

નવરાત્રિ આવી પહોંચી… September 25, 2006

Filed under: અન્ય, ગમતાનો ગુલાલ — nilam doshi @ 8:28 am

નવરાત્રિના પડઘમ સંભળાતા હતા ..ત્યારે હતું કે કોલકત્તાની દુર્ગાપુજાની ઝાંખી કરાવીશ.પણ હમણાં પાંચ દિવસો સુધી ચાલેલ સાઇકલોને આ તહેવારની રંગત થોડી ઝાંખી કરી દીધી છે.વાવાઝોડાની સૌથી વધારે અસર ગરીબ ,ફૂટપાથ પર જીવતા ,રોજ નું કમાઇને રોજ ખાતા લોકો પર સૌથી વધારે થાય તે સ્વાભાવિક જ છે ને?એટલે અત્યારે તો અહીં જીવવાનો….ટકી જવાનો સંઘર્ષ  ચાલે છે.છતાં બંગાળી લોકો એમ કંઇ જલ્દી હાર માને તેમ નથી જ.એટલે મા દુર્ગાની પ્રતિષ્ઠા તો ષષ્ઠી થી એટલે કે છઠ્ઠા નોરતાથી થશે જ.અત્યારે તો પહેલાં એની થોડી વાર્તા જોઇશું?જે જોકે બધા ને જ ખબર હોય તે સ્વાભાવિક છે.છતાં શરૂ કરતા પહેલા એક નજર નાખી લેશું?       

             મહિષાસુર નામના એક રાક્ષસે પોતાના સામર્થ્ય ના જોરે બધા દેવો અને મનુષ્યોને ત્રાહિમામ કરી દીધા હતા.હિંમત હારી ગયેલ દેવોએ બ્રહ્ભા,વિષ્ણુ અને મહેશની આરાધના કરી.દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલ ભગવાન મહિષાસુર પર ક્રોધે ભરાયા.અને તેમના પુણ્ય પ્રકોપમાંથી એક દૈવી શક્તિ નિર્માણ થઇ.આ દૈવી શક્તિએ નવ દિવસના અવિરત યુધ્ધ પછી મહિષાસુરને હણ્યો.આસુરી વ્રુતિને ડામી દૈવી વ્રુતિની સ્થાપના કરી.આ દૈવી શક્તિ તે જ આપણી જગદંબા…અંબા કે દુર્ગા!!.આમ આ દિવસોમાં મા ની આરાધના કરી મા પાસે શક્તિ માગી આસુરી વ્રુતિઓ પર વિજય મેળવવાનો તહેવાર.

                        આજે પણ દરેક માનવના મનમાં ઓછેવત્તે અંશે રાક્ષસ મહિષાસુર સંતાયેલ છે જ.અને તેની અંદર રહેલી દૈવી વ્રુતિને ગૂંગળાવી  દે છે.આ મહિષાસુરની ની માયા ને ઓળખવા અને તેમાંથી મુકત થવાના,શક્તિની ઉપાસના કરવાના દિવસો એટલે નવરાત્રિ.નવ દિવસ અખંડ દીપ પ્રગટાવી મા દુર્ગાની પુજા કરી શક્તિ ને સામર્થ્ય મેળવવાની તક આ તહેવાર આપે છે.

                       આ તહેવાર ના આવતા પહેલાં જ એક મહિના અગાઉથી તેનો ઉત્સાહ લોકોમાં છલકવા લાગે છે.ચારેતરફ આનંદનું વાતાવરણ છવાઇ જાય છે.પોતપોતાને શક્તિ અને રૂચિ મુજબ ખરીદી નો દોર ચાલુ થાય છે.બજારો અવનવી વસ્તુઓથી અને લોકોથી ઉભરાય છે.જુદાજુદા પંડાલ ની તૈયારીઓ જોરશોરથી ચાલુ થઇ જાય છે.અહીં ગરબાનો વૈભવ નથી.પણ જુદી જુદી થીમ લઇ તે મુજબ બનતા પંડાલો ફકત અહીં બંગાળમાં જ જોવા મળે.એની વાત પછી કરીશું.

મા દુર્ગાની અવનવી પ્રતિમાઓ બનાવવા કારીગરો રાત દિવસ એક કરી રહે છે.મા દુર્ગાના શણગારની તો વાત જ ન પૂછો!અવનવા વસ્ત્રોથી અને શણગારોથી મા ની પ્રતિમા શોભી ઉઠે છે અને માનવની શ્રધ્ધા તે પ્રતિમામાં પ્રાણ પૂરી તેને જીવંત બનાવે છે. ચારેતરફ ભક્તિ,આનંદ,ઉલ્લાસ નું વાતાવરણ ધબકી રહે છે.રોશનીથી શહેર ઝગમગી ઉઠે છે.આબાલ વ્રુધ્ધ,બાળકો સ્ત્રીઓ..દરેક ઉત્સાહથી ઝૂમી ઉઠે છે.ચારેતરફ માનવ મહેરામણ ઉમટે છે.રાત્રિ જાણે  દિવસમાં પરિવર્તન પામી હોય તેમ પ્રકાશિત બની રહે છે.વરસાદથી સંતપ્ત થયેલ લીલી ચૂંદડી ઓઢેલ ધરતીનું રૂપ આમેય આ રૂતુમાં નીખર્યું હોય છે જ .એમાં આ નવરાત્રિનો રંગ એને જાણે ચાર ચાંદ લગાવી દે છે.પરંપરાગત પૂજા,અર્ચના,ભોગ,આરતી,ધૂપ,દીપ થી વાતાવરણ સાત્વિક બની રહે છે.   
                                                     ક્રમશ:

                                                                     નીલમ દોશી.  

 

જીવનક્ષણો માણીએ સૌ સંગાથે.. September 25, 2006

મારી બહેન ના દીકરા ચિંતને હમણાં જ એમ.બી.બી.એસ. પૂરૂ કર્યું ને હવે તેની ઇંટરંશીપ ચાલુ છે.હમણાં રજામાં તે મારે ઘેર આવેલ ત્યારે તેણે કહેલ એક વાત મને સ્પર્શી ગઇ.માસી,હમણાં ઇમરજન્સી વોર્ડમાં મારે નાઇટ ડ્યુટી હતી.વોર્ડમાં એકસરખા લાગતા બે છોકરા દાખલ હતા.એમાંથી એક ને બે કલાક પછી અમુક ઇંજેક્શન આપવાનું છે.એમ સૂચના આપી સીનીયર ડોકટર ચાલ્યા ગયા.બે કલાક પછી ડોકટરે કહેલ ઇંજેક્શન લઇ હું આપવા ગયો.પણ ભૂલથી ન જાણે કેમ એક ને બદલે બીજા છોકરાને અપાઇ ગયું.હું મૂંઝાઇ ગયો.કોઇ ને કહું તો મારું આવી જ બને તેમ હતું.મેં મૂંગા રહેવાનું મુનાસિબ માન્યું.

પણ..થોડીવાર થઇ ત્યાં જે છોકરા ને ઇંજેક્શના આપેલ તેને આંચકી આવવાનું શરૂ થયું હું ગભરાઇ ગયો.ફોન કરી સીનીયર ને બોલાવ્યા.તેણે તપાસ્યો..પણકઇ  સમજાયું નહી કે અચાનક આમ કેમ થયું?મને પૂછયું..પણ તેના કડક સ્વભાવની ખબર હોવાથી હું ગભરાઇ ગયો અને ઇચ્છા છતાંકંઇ બોલી ન શકયો.ડોકટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી પણ કઇ ફરક ન પડયો.મારી દશા વિચિત્ર થઇ ગઇ હતી.એકવાર ના પાડી  દીધા પછી બોલવું યે કેમ?

પણ ત્યાં મને મેડીકલમાં એડમીશન  લેતી વખતે મમ્મીએ કહેલ શબ્દો યાદ આવ્યા..બેટા.તારે હવે જીવંત માનવ શરીર સાથે કામ કરવાનું છે.તારી એક નાની ભૂલ પણ કોઇની જિંદગી છીનવી શકે છે.તું કયારેય માનવતા ન ચૂકતો..વિ…

અને મારું મન શાંત બની ગયું.મેં તરત જ ડોકટરને સોરી કહી સાચી વાત કરી દીધી.સાચી વાત ની ખબર પડવાથી એ પ્રમાણે યોગ્ય સારવાર થઇ શકી અને તે બચી ગયો.મને ઠપકો તો ઘણો મળ્યો..ઘણું સાંભળવું પડયું મારી બેદરકારી બદલ.પણ એનો મને કોઇ અફસોસ નહોતો.કોઇની જિંદગી છીનવાતી બચી ગઇ હતી.અને આ લેશન હવે હું હમેશા યાદ રાખીશ.

અને  મને યે આ વાત યાદ રહેશે.                             નીલમ દોશી.

 

આજની ખાટી-મીઠી… September 25, 2006

Filed under: ગમતાનો ગુલાલ, જરા હસી લઈએ — nilam doshi @ 7:41 am

સપના સાચા પાડવા માટે ખરા સમયે જાગી જવું પણ બહું જરૂરી છે.