આઇંસ્ટાઇનના એક વૈજ્ઞાનિક મિત્ર બર્લિનના તેમના નિવાસસ્થાને મળવા આવ્યા હતા.વાતચીત દરમ્યાન તેમણે પોટ્સડેમ પુલ પાસે આવેલી એક વેધશાળા જોવા જવાનું નક્કી કર્યું.તેનો દિવસ અને સમય નક્કી કર્યા,અને પુલના એક છેડે મળવું એમ નક્કી થયું.મિત્ર બર્લિન ના અજાણ્યા હતા.પોતાની મુશ્કેલી જણાવતાં તેમણે કહ્યું:”કદાચ હું સમયસર ન પહોંચી શકું તો?”આઇંસ્ટાઇને જવાબ આપ્યો:”અરે,તેમાં શું ફરક પડવાનો હતો?તમારી રાહ જોતો હું પુલ પાસે ઉભો રહીશ.”
મિત્રને સંકોચ થયો:”એમ તો તમારો ઘણો સમય બગડે.”આઇંસ્ટાઇન કહે:”મારા સમયની ચિંતા ન કરો.જે કામ હું રોજ કરું છું,તે હું ગમે ત્યાં કરી શકું તેમ છું.”એ જવાબથી પણ મિત્રને સંતોષ ન થયો. વિવેક ખાતર આઇંસ્ટાઇન આમ કહેતા હશે એમ માની તેમણે પૂછ્યું; “ત્યં પૂલને છેડે ઉભા ઉભા તમારું રોજિંદું કામ કેવી રીતે કરી શકો, તે મને સમજાતું નથી !
”આઇંસ્ટાઇને હસતાં હસતાં કહ્યું; “ અરે એ તો સાવ સહેલું છે. અભ્યાસખંડમાં બેસીને જો હું ચિંતન કરી શકતો હોઉં, તો પોટ્સડેમ પુલને છેડે ઉભો ઉભો એ જાતનું ચિંતન કરવાને હું ઓછો શક્તિમાન છું એમ તમે શા માટે માનો છો ?
”મને સમય નથી” એમ કહેવામાં કેટલાક લોકો ગર્વ લે છે પણ આઇંસ્ટાઇન તો “મને હંમેશા સમય મળી રહે છે”- એમ કહેવામાં ગર્વ અનુભવતા.
