ધર્મ… સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિએ… January 11, 2006
આજે 11 જાન્યુઆરી..સ્વામી વિવેકાનંદના જન્મદિવસ… નિમિત્તે….તેમને વંદન સાથે….
મહાપુરૂષોનું જીવન તેમના વરસોથી નહીં પણ કાર્યોથી મપાય છે.”હું મારું 40મું વર્ષ નહીં જોઉં” એવી આગાહી કરનાર ….”ઉઠો,જાગો” નો મહામંત્ર આપનાર સ્વામી વિવેકાનંદે આજ્થી 106 વરસો પહેલાં ધર્મ વિષે જે વિચારો ન્યુયોર્કમાં રજૂ કરેલ…તે આજે પણ એટલા જ સાચા..કે પછી આજના સંદર્ભમાં જોતા તો વધારે સાચા…સમજવા વધારે જરૂરી (અને આચરવા તો એનાથી પણ વધારે જરૂરી) બની ગયા લાગે છે.
સ્વામીજીએ પોતાનેએ આકરી જીવનસાધના દ્વારા સદીઓ સુધી પહોંચે તેવું વિરાટ કાર્ય આપણા માટે કરી રાખ્યું છે.અને આ બધું અલ્પ સમયાવધિમાં.ભારતના ઇતિહાસને નવા પરિમાણો આપનાર વિરલ વિભૂતિઓમાં તેમનું સ્થાન ગૌરવવંતુ છે. ધર્મ અને વિજ્ઞાન,પ્રાચીન અને અર્વાચીન,પૂર્વ અને પશ્વિમ,વ્યવહાર અને પરમાર્થ.સન્યાસ અને સંસાર…આવા અનેક દ્વન્દો વચ્ચે નવયુગના આ મહાન “સમન્વયાચાર્યે” પોતાની અપૂર્વ સાધનાથી એક અતૂટ સેતુ બાંધ્યો અને ભાવિ પેઢી માટે જીવનનો ધોરી માર્ગ… રાજમાર્ગ..રચી આપ્યો.’અચલાયતન’ બની રહેલ રાષ્ટ્રને તેમણે “ઉઠો જાગો” નો મહામંત્ર સંભળાવ્યો.અને સૈકાઓ જૂના વેદાંતના પડઘમમાંથી અબિનવ સૂરાવલિઓનું ,સંપ્રદાયોની દીવાલો ને ભેદતું..મહાસંગીત સંભળાવ્યું.યોગ,જ્ઞાન ,ભક્તિ અને કર્મનો સમન્વય એ સ્વામીજીનો આદર્શ.
તેમણે કહેલી ધર્મ વિશેની એક એક વાત આજે ફરીથી તાજી કરીએ….સમજીએ અને સમજાવીએ તો ધર્મને નામે ઉભા થતા વિવાદ,કલહ…નું અસ્તિત્વ જ ન રહે. તેમણે એક વાત વારંવાર કહી છે કે ખ્રિસ્તી એ હિન્દુ કે બૌધ્ધ બની જવાનું નથી.પરંતુ દરેક ધર્મના મનુષ્યે અન્ય ધર્મની ભાવનાને આત્મસાત્ કરવાની ચે અને પોતાનું સ્વત્વ પણ જાળવી રાખવાનું છે.કાળ ની રેતી પર પોતાના વિચારો અને કાર્ય દ્વારા પગલા પાડી ને તેમણે ભાવિ પેઢી માટે પ્રગતિનો પંથ ખુલ્લો કર્યો..
”વિવેકાનંદ અને ધર્મ” માંથી…તેમના જ શબ્દોમાં વારંવાર પુનરાવર્તન કરતા રહીએ..તે સાંપ્રત પરિસ્થિતિ માં ખૂબ જરૂરી નથી લાગતું?
“આજે એવો સમય આવી ગયો છે કે માણસ એક પણ વિચાર એવો ન કરી શકે…કે જે દુનિયાને દરેક છેડે..પહોંચ્યા સિવાય રહી શકે.માત્ર ભૌતિક સાધનો વડે પણ આપણે આખી દુનિયાના સંપર્કમાં પહોંચી ચૂકયા છીએ.અને તેથી જ દુનિયાના ધર્મોએ પણ તેટલા જ વિશ્વવ્યાપી અને ઉદાર બનવું પડશે.(યાદ રહે આ શબ્દો 100 વરસ પહેલાના છે…જ્યારે નેટ જગત…સાયબર જગત નહોતું આવ્યું…આજે તો દુનિયા એનાથી યે વધુ નજીક આવી ગઇ છે.સ્વામીજી કેટલા આર્ષદ્રષ્ટા હતા!!!)
“માણસજાતનું ભાવિ ઘડવામાં જે પરિબળોએ કામ કર્યું છે…ને હજુ પણ કરી રહ્યા છે…તે બધામાં જેના અભિવ્યક્તિ ને આપણે “ધર્મ “કહીએ છીએ….તેના કરતાં વધારે શક્તિશાળી બીજું એકે ય પરિબળ નથી.
ગ્રહો અને તારાઓનું સંચાલન કરતા નિયમોનું જ્ઞાન હોવું એ મહત્વપૂર્ણ અને સારું છે.પરંતુ માનવમનની ઇચ્છાઓ…લાગણીઓ અને આવેશોને કાબુ માં રાખતા નિયમોનું જ્ઞાન વધુ જરૂરી અને વધુ મહત્વનું નથી લાગતું?આપણી અંદરના માનવીને જીતવાનું..માનવ મનમાં અટપટી રીતે ચાલતી ક્રિયાઓના રહસ્યને સમજવાનું…તેના રહસ્યો ઉકેલવાનું કામ માત્ર ધર્મનું જ છે.
એક વિશાળ રેલ્વે એંજીન રેલ્વે લાઇન પર ધસી રહ્યું હોય…તે વખતે એક નાનકડું જીવડું…જે પાટા પરથી પસાર થતું હોય તે એંજીનના માર્ગમાંથી ખસી જઇ ને પોતાનો જીવ બચાવી શકે છે.પ્રાણહીન અને પ્રાણવાન વચ્ચેનો આ ભેદ છે.
વિશાળ એંજીન ની તુલનામાં તે નાનકડું જીવડું પણ ભવ્ય પ્રાણી છે.અનંતનો એ નાનો સરખો અંશ છે.અને તેથી તે શક્તિશાળી યંત્ર કરતાં વધુ મહાન છે.તેનામાં સ્વાતંત્ર્ય છે..બુધ્ધિ છે.ઇશ્વરની કલ્પના એ માનવ બંધારણનું મૂળભૂત તત્વ છે.વેદાંતમાં સત –ચિત્ –આનંદ એ માનવ મનથી થઇ શકે એવી ઇશ્વરની સર્વોચ્ચ કલ્પના છે.
વિવિધ ધર્મો,મતો અને સંપ્રદાયો યોગ્ય જ છે…જે રીતે જે હોટેલમાં દરેક જાતનો ખોરાક મળે..તેમાં દરેક ને પોતાની ભૂખ સંતોષવાની તક પ્રાપ્ત થાય.કેમકે અંતિમ ધ્યેય ભૂખ સંતોષવાનુ છે.તેવી જ રીતે આપણે બધા અંતે એક જ લક્ષ્યે પહોંચવા મથી રહ્યા છીએ…તે જો જાણી લઇએ તો કલહને…ઝગડાને સ્થાન જ ન રહે.
એક માણસ સૂર્ય તરફ જઇ રહ્યો હોય….જેમ જેમ તે આગળ વધતો જાય..તેમ દરેક તબક્કે તે સૂર્યના ફોટા લેતો જાય છે.જયારે તે પાછો ફરે છે,ત્યારે તેની પાસે સૂર્યના જે ફોટા હોય છે..તેમાંથી કોઇ પણ બે ફોટા સાવ સરખા નથી.છતાં એમ કોણ કહી શકે કે આ બધા ફોટા એક જ સૂર્ય ના નથી?
જુદા જુદા ખૂણેથી એક જ મંદિરના ચાર ફોટા લો..તે અલગ દેખાશે.છતાં સત્ય એક જ રહેશે..કે તે એક જ મંદિરના ફોટા છે.
એજ રીતે આપણે બધા..એક જ સત્યને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોઇએ છીએ..અને તે આપણા જન્મ,કેળવણી,અને વાતાવરણ અનુસાર આપણને ભિન્ન લાગે છે.એટલે જુદા જુદા બધા ધર્મો ભિન્ન ભિન્ન શક્તિ છે.ને તેમાંથી એકેય નો નાશ થાય તેમ નથી.બધા ધર્મ માનવજાતના કલ્યાણ માટે જ કામ કરી રહ્યા છે.
હકીકતે વિશ્વધર્મ અસ્તિત્વમાં છે જ..જો પુરોહિતો..અને ઉપદેશકો..થોડા સમય માટે ઉપદેશ આપવાનું..પ્રચાર કરવાનું બંધ કરે તો આપણે વિશ્વધર્મને જોઇ શકીશું.પરંતુ તેઓ પોતાના સ્વાર્થ ને કારણે સાચા ધર્મને ખલેલ પહોંચાડતા રહે છે.(100 વરસો પહેલા સ્વામીજી એ કહેલા આ વાત આજે યે કેટલી સાચી છે.!!)
બધી ધર્મપ્રણાલિઓની એક જ નીતિ છે..દરેક ધર્મમાં એક જ ઉપદેશ અપાયો છે”સારા બનો…સારું કામ કરો…નિ:સ્વાર્થી બનો..બીજા ને ચાહો……”
એક કહે છે..”જેહોવા એ હુકમ કર્યો છે માટે..”કોઇ કહે છે..:જીસસની આજ્ઞા છે માટે”તો ત્રીજો કહે છે,”અલ્લાહનુ ફરમાન છે માટે” અને ચોથો કહે છે,”ઇશ્વરે કહ્યું છે માટે…”
હવે જો આ માત્ર ફકત “જેહોવા” કે “જીસસ”નો જ હુકમ હોત તો..જે લોકો જેહોવા કે જીસસને કદી જાણતા જ નથી..તેમની પાસે આ આજ્ઞા કેવી રીતે આવે?આદેશ આપનાર એક માત્ર વિષ્ણુ જ હોત તો તેની સાથે સાવ પરિચય વગરના યહુદીઓ પાસે તેવો જ આદેશ કેમ આવે?
માટે એ બધા કરતા..વધારે ઉચ્ચએવું ઉદભવસ્થાન બીજુ જ હોવું જોઇએ.કયાં છે એ? એ છે…”હલકામાં હલકાથી લઇ ને ઉંચામાં ઉંચા સર્વ પ્રાણીઓના અંતરાત્મામાં”
એક માણસ ધ્રુવનો તારો બતાવવાનું કહે તો સૌ પ્રથમ તમે તેને નજીકનો વધુ પ્રકાશિત તારો બતાવો..પછી એક ઓછો પ્રકાશિત તારો બતાવો..પછી એક ઝાંખો..અને પછી અંતે દૂરનો પ્રકાશિત તારો..ધ્રુવ નો તારો બતાવો…આ પ્રક્રિયા ધ્રુવના તારાને જોવા માટે સરળ છે.તે જ રીતે માણસને પણ આવી જ પ્રક્રિયા આસાન પડે છે.બધી જ વિવિધ સાધનાઓ…તાલીમો…વિધિઓ…બાઇબલ.કુરાન.ગીતા..ઇશ્વર..એ બધા ધર્મના માત્ર મૂળાક્ષરો છે.
જુદા જુદા રંગના કાચમાંથી બહાર પડતો પ્રકાશ મૂળે એક જ છે…માત્ર થોડા ફેરફારો…અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે આવશ્યક હોય છે.બાકી દરેક ના હાર્દ માં એક જ સત્ય વિરાજતું હોય છે.
હાથી અને આંધળાની વાર્તા જાણી તી છે જ.હાથી ને જુદી જુદી જગ્યાએ સ્પર્શતી અંધ વ્યકતિ એક જ હાથી નું જુદુ જુદુ વર્ણન કરશે…પણ તેથી હાથી ના મૂળ સ્વરૂપ માં કશો ફરક પડતો નથી.
જગતના ધર્મો નો અભ્યાસ કરવામાં આવે તો..સામાન્ય રીતે બે પ્રણાલિઓ આપણી નજરે ચડે છે.1) ઇશ્વરથી આરંભ કરી મનુષ્ય સુધી પહોંચવાની…દા.ત.1) સેમેટિક જૂથ ના ધર્મો..જેમાં ઇશ્વરની કલ્પના લગભગ શરૂઆતથી જ હોય છે.
2)માનવમાંથી ઇશ્વર સુધી પહોંચવાની …
આ આર્યોની વિશેષતા છે.આર્યમાનવે હમેશા દિવ્યતાને પોતાની અંદર શોધવાનો પ્રયાસ કર્યો છે.
આજે પણ આપણે જો કોઇ ધાર્મિક માનવીનું પશ્વિમી કલાકારે દોરેલું ચિત્ર જોશું તો..ચિત્રકાર તેને ઉંચે આંખો કરેલ..પ્રકૃતિની બહાર ઉંચે આકાશમાં ઇશ્વરને શોધતો બતાવતો હશે..બીજી તરફ,,ભારતમાં ધાર્મિક વલણ ના પ્રતીકરૂપે માનવને ચિત્રમાં આંખો બંધ કરી ને બેઠેલો બતાવે છે.જાણે કે તે અંદર કંઇક જોઇ ન રહ્યો હોય!!
હકીકતે અનુભૂતિ એ જ ધર્મનો સાચો માર્ગ છે.જ્યાં સુધી ચર્ચાઓ ચાલે ત્યાં સુધી ઇશ્વરપ્રાપ્તિ થાય નહીં….જમણવારમાં અવાજ ક્યાં સુધી સાંભળવામાં આવે?જયાં સુધી માણસો જમવા ન બેઠા હોય…અને પીરસાણું ન હોય ત્યાં સુધી.જેવા પૂરી શાક વિ..પતરાળામાં પડવા માંડે એટલે બાર આના અવાજ ઓછો થઇ જાય…અને બીજી ચીજો આવે એટલે અવાજ એથી યે ઓછો થઇ જાય…તે જ રીતે ઇશ્વરનો અનુભવ જેમ જેમ થતો જાય તેમ તેમ ચર્ચા..વાદવિવાદ ઓછા થતા જાય…અને ઇશ્વરપ્રાપ્તિ થયે અવાજ..ચર્ચા રહે જ નહીં.
“એકમ્ સત્ વિપ્રા બહુધા વદંતિ”
અર્થાત્ સત્ય એક જ છે..માત્ર ઋષિઓ તેને જુદા જુદા નામે ઓળખે છે.
“ઇન્દ્રં મિત્રં વરુણમગ્નિમાહુચ્યો દિવ્ય: સ સુપર્ણો મરૂત્માન!
એકં સદ્વિપ્રા બહુધા વદન્યગ્નિં યમં માતરિશ્વાનમાહુ”!!
ઋગ્વેદ,,(1/164/46)
“અર્થાત્ જેમને તેઓ ઇન્દ્ર,મિત્ર,કે વરુણ કહે છે…જે એક જ અસ્તિત્વમાં છે..તે સત્ છે..જ્ઞાનીઓ તેને જુદા જુદા નામે ઓળખે છે.”
”આત્મવત્ સર્વભૂતેષુ” બધા પ્રાણીઓને તમારા આત્મા જેવા ગણો…આ ઉપદેશ શું પુસ્તકમાં પૂરી રાખવા માટે કે વાતો કરવા માટે જ છે? ક્ષુધાર્તો ના ભૂખ્યા મોં માં જેઓ રોટલાનો ટુકડો આપી શકતા નથી..તેઓ બીજાના મુક્તિદાતા કેવી રીતે બની શકે?
જો ઓરડામાં અંધારુ હોય તો…અંધારું છે…અંધારું છે…એમ નિરંતર બૂમો પાડવાથી તે જવાનું નથી.તેનો ઉપાય દીવો કરવો તે છે.પ્રકાશને લાવો એટલે અંધકાર તેની જાતે અદ્રશ્ય થઇ જશે.વેદાન્ત કેસરી ને ગર્જના કરવા દો એટલે શિયાળવા બધા નાસી ને એની બખોલમાં ભરાઇ જશે.
સમગ્ર ભૂતકાળ અને ભવિષ્યકાળ અહીં વર્તમાનમાં જ છે.કોઇ માનવીએ કદી ભૂતકાળ ને જોયો નથી.તમે ભૂતકાળને જાણો છો..તેવો વિચાર જયારે કરો છો..ત્યારે તમે માત્ર વર્તમાનકાળમાં ભૂતકાળની કલ્પના જ કરો છો..ભવિષ્યને નિહાળવા માટે પણ તેને તમારે વર્તમાનમાં જ લાવવો પડશે.તો વર્તમાન એક જ સત્ય છે….બાકીનું બધું કલ્પના છે.
સમસ્ત વિશ્વ એક અસ્તિત્વ છે.તેના સિવાય બીજું કંઇ જ હોઇ શકે નહીં વિવિધતામાંથી આપણે સૌ વિશ્વવ્યાપી એકતા તરફ જવાનું છે….અને…આ એકતાની અનુભૂતિ એ જ ધર્મ!!!ધર્મ કદી તોડે નહીં..ધર્મ હમેશા જોડે.
ઉપનિષદોમાંથી બોંબની માફક ઉતરી આવતો એવો જો કોઇ શબ્દ હોય તો તે છે…..
”અભી..અત્યારે જ…”
ધર્મ એટલે માનવમાં પહેલેથી જ રહેલી દિવ્યતાની અનુભૂતિ.
ઘણાં લોકો કહે છે કે અમુક વ્યક્તિમાં વિશ્વાસ રાખો…પણ તેઓ હમેશા કહેતા…”પહેલાં તમે તમારી જાતમાં વિશ્વાસ શ્રધ્ધા રાખો..એ જ સાચો રસ્તો છે.
“ ઉધ્ધરેદાત્મનાત્માનમ્ “ અર્થાત મનુષ્યે પોતાનો ઉધ્ધાર પોતાની જાતે જ કરવાનો છે.
સામાન્ય રીતે માણસ પોતાની નિષ્ફળતાનો દોષ…સાથીદાર પર…નશીબ પર કે ઇશ્વર પર ઢોળતો હોય છે.પણ નશીબ કયાં છે?અને કોણ છે?”વાવીએ તેવું લણીએ” આપણા ભાગ્યવિધાતા આપણે જ છીએ.પવન તો વાયા જ કરે છે….પણ જે વહાણના સઢ ખુલ્લા હશે તેમાં જ પવન ભરાશે અને તે જ આગળ ચાલશે.પણ જેણે સઢ ખોલ્યા જ નહીં હોય..તેમાં પવન ભરાશે નહીં..એમાં પવન નો દોષ ખરો?
સ્વામીજી એક દ્રષ્ટાંત અવારનવાર આપતા.કેટલાક માણસો એક આંબાવાડી માં ગયા.ત્યાં તેઓ વૃક્ષોના પાંદડા તથા ડાળીઓ ગણવામાં..તેનો રંગ,લંબાઇ વિગેરે જાણવામાં મશગૂલ બની ગયા.અને પછી એ વિષય પર પંડિતાઇભરેલી ચર્ચા ચાલી.પરંતુ તેમાનો એક કે જે વધુ સમજદાર હતો..તે આ બધી વસ્તુઓની ચર્ચા…કે પરવા ન કરતા કેરીઓ ખાવા લાગ્યો.તો તે માણસ વધુ ડાહ્યો નહીં? માટે પાંદડા અને ડાળીઓ ગણવાનું કામ બીજા…જેને કરવું હોય તેના પર છોડી દો.પાંડિત્યપૂર્ણ તર્ક વિતર્ક ચાલતા હોય ત્યારે તમે બધું છોડી ને …જે અંતિમ ધ્યેય છે…તે……કેરીઓ ખાવા લાગી જાવ.”
“ વિવેકાનંદ અને ધર્મ”માંથી સંકલિત.
નીલમ દોશી.

